કતારથી આઠ અધિકારીઓનું ઘરે પાછા ફરવું અને અબુ ધાબીમાં હિંદુ મંદિરની સ્થાપના એ કેન્દ્ર સરકાર માટે મોટી રાજદ્વારી જીતના પુરાવા છે
તાજેતરમાં બે અગત્યની ઘટનાઓ ઘટી. એક તો કતારમાં ભારતીય નૌકાદળના જે પૂર્વ અધિકારીઓને ફાંસીની સજા ફટકારી હતી તેમની સજા પાછી ખેંચાઈ અને તે સાજા-સમા ભારત પાછા ફર્યા. બીજી ઘટના કે યુ.એ.ઇ.ની રાજધાની અબુ ધાબીમાં ભવ્ય સમારોહ સાથે BAPSના હિંદુ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આમ તો એક બીજાથી સદંતર જુદી લાગતી ઘટનાઓ છે, પણ બન્નેનો સાર સમાંતર છે. મુસ્લિમ દેશો હોવા છતાં, આકરા ધાર્મિક અને કાયદાકીય નિયમોને અનુસરનારા દેશો હોવા છતાં આ ઘટનાઓ શક્ય બની છે અને તેની પાછળ બહુસ્તરીય કારણો છે. વૈશ્વિક રાજકારણની ફલકમાં ભારત પ્રત્યે મુસલમાન દેશોનું આ વલણ સપાટી પરથી નાણવાની ભૂલ ન કરવી જોઇએ.
છેલ્લાં દસ વર્ષમાં ખાડી દેશો સાથે ભારતના સંબંધો બહેતર થતા રહ્યા છે. આરબ દેશો અને ભારત એક બીજા સાથે જે રીતે વાટા-ઘાટો કરતા તેમાં પણ ધરમૂળથી ફેરફાર થયા છે અને આ ભારત માટે બહુ નોંધપાત્ર અને મોટી રાજદ્વારી જીત ગણી શકાય. અન્ય સરકારો દરમિયાન ખાડીના (ગલ્ફ) દેશોને ભારતીય રાજદ્વારી તંત્રમાં બહુ મહત્ત્વ નહોતું અપાતું. દસ વર્ષના યુ.પી.એ. શાસન દરમિયાન વડા પ્રધાન મનમોહન સિંઘ મિડલ ઇસ્ટની મુલાકાતે ચાર વખત ગયા હતા, જેમાંથી બે મુલાકાત નોન-અલાઇન્ડ સમિટ માટે હતી. પરંતુ નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન પદ સંભાળ્યું એ પછી તે લગભગ પંદર વખત યુ.એ.ઇ.ની મુલાકાતે જઇ આવ્યા છે. તાજેતરની તેમની મુલાકાત ગણીએ તો યુ.એ.ઇ.માં આ તેમનો સાતમો પ્રવાસ હતો અને કતારની બીજી વખતની મુલાકાત હતી. આમ તો ભારત અને કતાર વચ્ચે કૂટનૈતિક સંબંધો સિત્તેરના દાયકામાં શરૂ થયા હતા. કતારની કૂલ વસ્તીમાં ૨૭ ટકા ભારતીયો છે. વળી કતારમાં 15 હજાર ભારતીય કંપનીઓ છે. ભારત અને કતાર વચ્ચે દ્વિપક્ષીય વ્યાપારના સંબંધો છે, આવામાં ભારત કે કતાર બેમાંથી કોઈને ય એકબીજા સાથે વૈમનસ્ય રાખવાનું પોસાય તેમ નથી. એટલે જ કદાચ ભૂતકાળમાં ભા.જ.પા.એ કતારને માઠું લાગતાં મહોમંદ પયંગબર વિશે બેજવાબદાર ટિપ્પણી કરનાર નુપૂર શર્માને સસ્પેન્ડ કર્યાં હતાં.
ભા.જ.પા.ની સરકારે ગલ્ફના નેતાઓ – રાજાઓની નાડ પારખી અને એ પ્રમાણે વહેવાર કેળવ્યો. આરબ દેશના પ્રમુખોને રાજકીય શાસક સાથે જો સારાસારી હોય તો તેઓ પરસ્પર વિશ્વાસ તથા રાજકીય લેવડ-દેવડને ગણતરીમાં રાખી પોતાના દેશની રાજકીય નીતિઓ પર પુનઃ વિચાર કરવા, બદલવા તૈયાર હોય છે. એક સમય સુધી ભારત સરકારે આરબ દેશોના મુદ્દાઓને સમર્થન આપ્યું હતું, છતાં પણ ભારત અને આરબ દેશો વચ્ચેના સંબંધોમાં રાજકીય બાબત ભાગ્યે જ જોવા મળતી.
આપણે ત્યાં અંદરખાને દેશમાં જે પણ ચાલતું હોય પણ એક રાજકીય સાથી તરીકે આરબ દેશોને તેમની ધાર્મિક ઓળખની આગળ જોવાની પહેલ પણ કરવામાં આવી. મુસ્લિમ દેશ હોવાને નાતે પાકિસ્તાને આરબ દેશો સાથે ધર્મને આધારે સંબંધ મજબૂત કરવાની લ્હાયને કારણે ખાડી પ્રદેશના દેશો સાથે સંબંધ બનાવવામાં ભારત પાછો પડતો હતો. ધર્મને કારણે પાકિસ્તાન અને આરબ દેશોના સંબંધો તો સારા જ હોય તથા ધર્મને કારણે ભારત તથા આરબ દેશો વચ્ચે હિતવર્ધક સંબંધો ન જ બંધાઈ શકે એમ માનવાની ભૂલ ભારત સરકારે સુધારી. આજે વડા પ્રધાન ગલ્ફના દેશો સાથે ભારતના વિશેષ સંબંધોની ઉજવણી કરે છે તો બીજી તરફ પાકિસ્તાન માટે હજી પણ આરબ દેશો સાથેના સંબંધ લાભદાયી બનાવવાનો સંઘર્ષ ચાલુ છે.
મોદીને કતારના અમીર સાથે સારા સંબંધ છે અને નૌકાદળના અધિકારીઓની ફાંસીની સજા જન્મટીપમાં ફેરવાઈ તેના થોડા વખત પહેલાં જ COP 28 દુબઇ સમિટ વખતે મોદી કતારના શેખ તમીમ-બિન-હામિદ-અલ-થાનીને મળ્યા હતા. ધંધા-પાણીની દૃષ્ટિએ જોઇએ તો ભારત વિશ્વમાં ત્રીજા ક્રમાંકે સૌથી વધુ ઊર્જા વાપરનારો દેશ છે અને જ્યારે ખરીદ શક્તિ વધે ત્યારે રાજકીય વાટા-ઘાટને મામલે ભારતનો હાથ ઉપર રહે સ્વાભાવિક છે. આપણે અશ્મિગત ઇંધણ તરફથી કુદરતી ગેસના વપરાશ તરફ જઇ રહ્યા છીએ અને માટે આપણે આરબ દેશોના અર્થતંત્ર માટે એક અગત્યનો દેશ છીએ. વળી હજી અઠવાડિયા પહેલાં જ ભારતે ૭૮ બિલિયન ડૉલર્સનો એલ.એન.જી. (આમાં પાછું ભારતે ડિસ્કાઉન્ટ મેળવ્યું હોવાની વાત પણ છે) આયાતનો સોદો કર્યો છે જે ૨૦ વર્ષ સુધીનો કરાર છે. યુ.કે., યુ.એસ. અને કેનેડામાં રહેતા ભારતીયોની વાત કરતી વખતે આપણે એ ચૂકી જઇએ છીએ પણ ૧.૫ કરોડ એન.આર.આઇ.માંથી લગભગ 60 ટકા જેટલા તો સાઉદી અરેબિયા, કુવેત, કતાર, ઓમાન, બહેરીન જેવા દેશોમાં રહે છે અને તેમની સલામતી માટે પણ આ દેશો સાથે આપણા સંબંધ સારા હોય એ જરૂરી છે. આ બધી ગણતરીઓ ઉપરાંત આપણી વિદેશ અને સુરક્ષા નીતિ એટલે કે એસ. જયશંકર અને અજીત દોભાલે બંધ બારણે અથવા તો બેક-એન્ડમાં આ આઠ અધિકારીઓને મુક્તિ મળે જે ચર્ચા કરી હશે એ ભલે જાહેર ન થાય પણ તેનું મહત્ત્વ ઓછું ન આંકી શકાય.
2022માં ભારત, ઇઝરાયલ, અમેરિકા અને યુ.એ.ઇ. સાથે I2U2 જૂથની સ્થાપના, વળી ભારત-મિડલ ઇસ્ટ- યુરોપના આર્થિક કોરિડોરની જાહેરાત એ મિડલ-ઇસ્ટ સાથેની નક્કર જીઓ-પોલિટિકલ પ્રવૃત્તિના પુરાવા છે. એક સમયે જે દેશોથી ભારતે અંતર રાખ્યું હતું તે જ દેશો હવે ભારત માટે મહત્ત્વના સાથીદાર બન્યા છે.
અબુ ધાબીમાં સ્વામીનારાયણ સંપ્રદાય BAPSનું હિંદુ મંદિર બનવું એ આરબ દેશોમાં આવી રહેલા સામાજિક સુધારની નિશાની છે, તેઓ પોતાની ધાર્મિક સહિષ્ણુતાની સીમાઓ વિસ્તારી રહ્યા છે. યુ.એ.ઈ.માં વસનારા 33 લાખ ભારતીયો માટે તો આ મોટી ભેટ છે. આમ તો 27 વર્ષ પહેલાં પ્રમુખ સ્વામી મહારાજે અબુ ધાબીમાં મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો હતો. 2015માં અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ અને ‘UAE આર્મ્ડ ફોર્સ’ના સુપ્રીમ કમાન્ડર શેખ મોહમ્મદ બિન ઝાયેદ નહ્યાને મંદિરના નિર્માણ માટે 13.5 એકર જમીન દાનમાં આપી અને જાન્યુઆરી 2019માં ‘ યર ઓફ ટોલરન્સ’ દરમિયાન, યુ.એ.ઈ.ના શાસકો દ્વારા વધુ 13.5 એકર જમીન ફાળવી – કુલ 27 એકર જમીન મંદિર માટે ભેટમાં આપવામાં આવી અને અંતે આ સપનું સાકાર થયું. એક રિપોર્ટમાં UAEના ભારતીય રાજૂદત તરીકે નિમાયેલા નવદીપ સિંઘ સૂરીએ જણાવ્યું છે કે તેમને 2016માં તત્કાલીન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે મંદિર પ્રોજેક્ટની દિશામાં બને એટલું જલદી કામ કરવા કહ્યું હતું.
આ અંગે BAPS અબુ ધાબી મંદિરના મુખ્ય મહંતુ બ્રહ્મવિરાહીદાસ સ્વામીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે, ‘આ પગલાંથી અબુ ધાબીના શાસકોએ પોતાનાથી અલગ હોય થતાં પણ તેમને સન્માન આપીને સ્વીકારી શકાય છેનું દૃષ્ટાંત વૈશ્વિક સ્તરે પૂરું પાડ્યું છે. તેઓ એક ઐતિહાસિક ઘટનાના ભાગીદાર બન્યા જે આવનારી પેઢી માટે પણ હંમેશાં એક ઉજવણીનુ કારણ બની રહેશે. આધ્યાત્મિકતા પવનની લહેર જેવી હોવી જોઇએ તેમ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ કહેતા અને આ હિંદુ મંદિરની સ્થાપના એ લહેરનો સ્રોત બની છે એમ કહેવામાં કોઇ અતિયોક્તિ નથી.’ ધર્મશાસ્ત્રના અભ્યાસુ, સ્વામી નારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા અને લેખક તથા પત્રકાર યોગી ત્રિવેદીએ જણાવ્યું કે, ‘જ્યાં કારીગરીમાં પામનાં વૃક્ષો અને કમળ સાથે જોવા મળે છે એવું આ મંદિર આરબ અને ભારતીય સંસ્કૃતિઓના મિલનનું કેન્દ્ર છે – આ અનુભવવા માટે મંદિરની મુલાકાત લેવી જરૂરી છે. આ વિશ્વભરના ભારતીયો માટે આવકાર, હાશકારો અને ગર્વની ક્ષણ છે.’
આ મંદિર સાથે હિંદુ ધર્મની વૈશ્વિક સ્તરે ફેલાવાની ક્ષમતાને જાણે વધારે ઘાટી કરીને રજૂ કરાઇ છે તો બિનસાંપ્રદાયિકતાના લોકશાહી વિચારને પણ નવી શરૂઆત આપવાનો પ્રયાસ કરાયો છે. પશ્ચિમી દેશોના વિચારો અને સંસ્કૃતિ પર આખા વિશ્વમાં રખાતા આધારને ઘટાડવાની આ બહુ નોંધપાત્ર પહેલ છે. પશ્ચિમી લોકશાહી અને ઉદારમતવાદના વિચારોથી પર જઇને ભારત અને અરબી દેશો પોતાની સંસ્કૃતિના મિશ્રણથી એક નવો વિચાર વાયરો પ્રસારી પોતાની સત્તા પણ સિદ્ધ કરે છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.
બાય ધી વેઃ
ટૂંકમાં દ્વિપક્ષીય વેપાર, અરબી દેશોમાં વસનારા ભારતીયોની સવલત અને સલામતી જેવું ઘણું બધું આ વૈશ્વિક રાજનૈતિક પગલાંઓની પાછળ રહેલું છે. પાકિસ્તાનના પ્રિઝમથી મિડલ-ઇસ્ટને જોવાનું કેન્દ્ર સરકારે બંધ કર્યું છે. દર વખતે બાબતોને સપાટી પરથી ન જોવી કારણ કે તેના મૂળમાં રાજકીય સ્વાર્થ, વિકાસની મહેચ્છા, વૈશ્વિક સ્તરે છબી બહેતર બનાવવાની ચાહ જેવી ઘણી બાબતો રહેલી હોય છે. જો કે હજી કુલભૂષણ યાદવ પાકિસ્તાનની જેલમાં છે, એને છોડાવવા પાકિસ્તાન સાથે હજી માથાકૂટ ચાલુ છે પણ રાજકીય તાણને પગલે જલદી નિવેડો આવે એમ લાગતું નથી.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 18 ફેબ્રુઆરી 2024