Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9345157
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અજ્ઞાનમાંથી ભય, ભયમાંથી નફરત અને નફરતમાંથી હિંસા પેદા થાય

રાજ ગોસ્વામી|Opinion - Opinion|18 February 2024

રાજ ગોસ્વામી

ઇન્ટરનેટ પર, એક જાણીતી વાઈરલ પોસ્ટ છે. તેમાં ઈજીપ્તના ત્રણ અદાલતી પ્રસંગોનો ઉલ્લેખ છે. તે પ્રસંગોની ઐતિહાસિક સત્યતા વિશે ખબર નથી, પરંતુ તેમાંથી જે ગહેરી અંતદૃષ્ટિ મળે છે તે આપણા માટે ઘણી પ્રાસંગિક છે.

પ્રસંગ-1

ઈજીપ્તના પૂર્વ રાષ્ટ્રપતિ અનવર સાદતના હત્યારાને અદાલતમાં જજે પૂછ્યું, “તેં કેમ સાદતની હત્યા કરી?”

પેલાએ કહ્યું, “કારણ કે તે બિન-સાંપ્રદાયિક હતા!”

જજે વળતો સવાલ પૂછ્યો, “બિન-સાંપ્રદાયિકતા એટલે શું?”

હત્યારાએ કહ્યું, “મને ખબર નથી!”

પ્રસંગ-2 

ઈજીપ્તના લેખક નજીબ મહેફોઝની હત્યા કરવાનો પ્રયાસ કરનારા માણસને જજે પૂછ્યું, “તેં કેમ તેમને ચાકૂ માર્યું હતું?”

આરોપીએ જવાબ આપ્યો, “તેમણે ‘ગબેલાવીનાં બાળકો’ નામની નવલકથા લખી હતી એટલે.”

જજે પૂછ્યું, “તેં આ નવલકથા વાંચી છે?”

પેલાએ કહ્યું, “ના!”

પ્રસંગ-3

ઈજીપ્તના એક અન્ય લેખક ફરાજ ફરાની હત્યા કરનારા આતંકવાદીને જજે પૂછ્યું, “તેં કેમ ફરાજ ફરાની હત્યા કરી?”

પેલાએ કહ્યું, “કારણ કે તે નાસ્તિક હતા!”

જજ : “તને કેવી રીતે ખબર કે તે નાસ્તિક હતા?”

આતંકી : “તેમણે ચોપડીઓ જ એવી લખી હતી.”

જજ : “એમની કઈ ચોપડી પરથી તને લાગ્યું કે તે નાસ્તિક છે?”

આતંકી : “મેં નથી વાંચી?”

જજ : “કેમ”

આતંકી : “મને લખતાં-વાંચતા આવડતું નથી!”

•

આ ત્રણે પ્રસંગોમાં એક વાતનું સામ્ય છે; હત્યારાઓ અજ્ઞાની હતા, અને છતાં પણ તેમણે હિંસા કરી હતી. આમાં “છતાં પણ” શબ્દ અસ્થાને છે. તેનાથી એવું અભિપ્રેત થાય છે કે તેમને જો નફરતનું કારણ ખબર જ નહોતું, તો પછી તેમણે હત્યા કરવાની જરૂર નહોતી. બીજી રીતે કહીએ તો, નફરત કરવા માટે કારણ હોવું જોઈએ. જેણે પણ આ પોસ્ટ બનાવી છે (તેનું નામ નથી મળતું) તેણે આ ત્રણે પ્રસંગો વર્ણવીને એક નવી જ દૃષ્ટિ આપી : નફરત જ્ઞાનથી ફેલાતી નથી. તે ફેલાય છે અજ્ઞાનથી.

પહેલા હત્યારામાં બિન-સાંપ્રદાયિકતાને લઈને અજ્ઞાન હતું. બીજાએ નજીબ મહેફોઝની નવલકથા વાંચી નહોતી અને ત્રીજાને તો લખતાં-વાંચતાં ય આવડતું નહોતું. તેમનામાં ભારોભાર અજ્ઞાન હતું અને એના કારણ જ તેમનામાં હત્યા કરી નાખવા જેટલી તીવ્ર નફરત પેદા થઇ હતી.

નફરત અજ્ઞાનની માટીમાં મૂળિયાં નાખે છે – લોકોને જોડતાં ઐતિહાસિક તથ્યોની અજ્ઞાનતા, વિજ્ઞાનની અજ્ઞાનતા, અને માનવીય ગુણોની અજ્ઞાનતા માણસમાં નફરત માટે સરળતા કરી આપે છે. ઐતિહાસિક અથવા વૈજ્ઞાનિક તથ્યોને નકારવાથી સત્યનો શૂન્યાવકાશ પેદા થાય છે, જેનો ઉપયોગ અસહિષ્ણુતા અને નફરતના અવાજો કરવા માટે થાય છે. અજ્ઞાન ભય પેદા કરે છે, ભય નફરત તરફ દોરી જાય છે અને નફરત હિંસાના આશ્રયે લઇ જાય છે.

અસહિષ્ણુતા બહાદુરીમાં લપેટાયેલી અસલામતી છે. આપણા તમામ દુર્વ્યવહારોના મૂળમાં ડર હોય છે, બહાદુરી નહીં. બાળપણમાં આપણે પેરેન્ટ્સ કે અન્ય વયસ્ક લોકોના માધ્યમથી જે વ્યવહારોને જોઈએ, સાંભળીએ, અનુભવીએ છીએ (એમાં કલ્પનાઓ પણ આવી ગઈ), તેમાંથી આપણામાં ડરની ભાવના વિકસે છે. 

બાળક તરીકે આપણે જો ત્રણ બુનિયાદી ગુણો – બીજાઓ માટેનો પ્રેમ, સદાચાર અને વિવેકબુદ્ધિમાં શ્રદ્ધા રાખવાના અને તેનું સન્માન કરવાના ભાવ સાથે મોટા થઈએ, તો આપણા માટે દુર્વ્યવહાર અસંભવ બની જાય, પરંતુ જીવન એટલું આદર્શ નથી હોતું, પરિણામે આપણા ઉછેરમાં રહી ગયેલી એ રિક્તતાના કારણે આપણામાં અસલામતી પેદા થાય છે અને આપણે અસહિષ્ણુતા, નફરત, ચીડ, ડર, દોષભાવના, પ્રતિશોધ, આત્મસંરક્ષણ, કાયરતા વગેરેથી એ રિક્તતને ભરી દઈએ છીએ. 

એ આંતરિક રિક્તતા(voids)થી બચવા માટે આપણે દુનિયા સામે અને અન્ય લોકો સામે લડાઈનો મોરચો માંડીએ છીએ. આપણી અંદરના એ ખાલીપાને કારણે આપણને ‘અન્યો’માં એવો દુ:શ્મન નજર આવે છે, જે જાણે આપણી તકલીફો માટે જવાબદાર હોય. ‘અન્યો’ જ્યારે આપણને આપણી ભીતરી સચ્ચાઈથી વાકેફ કરાવે, ત્યારે આપણા માટે અસહિષ્ણુ બની જવું અનિવાર્ય બની જાય છે. એક વ્યક્તિ કે એક સમાજની અસહિષ્ણુતાની અસલી સચ્ચાઈ તેનો ડર છે.

આજે, સોશિયલ મીડિયા નફરત માટે વૈશ્વિક લાઉડસ્પીકર જેવું કામ કરે છે. જૂઠ, ખોટી માહિતી-અને તેના નજીકના પિતરાઈ, પ્રોપેગેન્ડા એક બટનના સ્પર્શથી વિશ્વભરમાં ફેલાય છે.  અસત્યાપિત અને બિનજવાબદાર વિચાર તાત્કાલિક વિશ્વસનીયતા પ્રાપ્ત કરે છે અને સત્ય તેમ જ વિજ્ઞાનની બાજુમાં ગોઠવાઈ જાય છે. જાતિવાદી, અસહિષ્ણુ અને ઉગ્રવાદી મંતવ્યો જંગલની આગની જેમ ફેલાઈ જાય છે.

કોરોનામાં લાખો લોકો એટલા માટે મરી ગયા કારણ કે તેમને ખાતરી હતી કે રસી લેવી બરાબર નથી. ઘણા લોકો માત્ર એટલા જ કારણથી હિંસા, આતંકવાદ અને નરસંહારનાં કૃત્યો કરે છે, કારણ કે તેમણે એવું માની લીધું છે આમ કરવું સર્વથા ઉચિત છે. આપણા સમાજમાં ધાર્મિક દ્વેષભાવ, જાત-પાતનાં વિભાજન, સ્ત્રી-દ્વેષ એટલા માટે જ છે કારણ કે આપણે અજ્ઞાનતામાં જીવીએ છીએ.

આપણે જ્યારે જ્ઞાનની ભૂમિને હકીકતો, વિજ્ઞાન અને ઐતિહાસિક ચોકસાઈથી સમૃદ્ધ કરીએ તો નફરત તેમાં મૂળ નાખી ના શકે. જ્ઞાન વિચારો અને માન્યતાઓના વૈવિધ્ય માટે આપણી આંખો ખોલે છે અને સ્વાભાવિક રીતે જ માનવ અધિકારો, સામાજિક ન્યાય અને બધા માટે ગૌરવ અને  આદર પેદા કરે છે.

નાનીથી લઈને મોટી સુધી, માનવજાતની લગભગ તમામ નિષ્ફળતાઓના મૂળમાં અજ્ઞાનતા છેઃ સોશિયલ મીડિયા પર રાજકારણ વિશે દલીલોથી લઈને વ્યક્તિગત નાણાંકીય ભૂલો, નિષ્ફળ સંબંધો અને યુદ્ધ સુધીનું બધું કોઈને કોઈ રીતે અજ્ઞાનને આભારી છે. અજ્ઞાન સ્વાર્થ, ઘમંડ, ભય, લોભ અને નફરત જેવી વિનાશક વર્તણૂકો અને લાગણીઓને જન્મ આપે છે. 

માર્ટિન લ્યુથર કિંગ જુનિયરે મહાત્મા ગાંધીના શબ્દો “આંખના સાટે આંખ આખી દુનિયાને આંધળી કરશે”નો પડઘો પાડતાં કહ્યું હતું કે, હિંસાથી તમે જૂઠ બોલનારાને તો મારી શકો છો, પણ ન તો જૂઠને મારી શકો છો ન તો સત્યને સ્થાપી શકો છો. હિંસાથી તમે નફરતી વ્યક્તિની હત્યા કરી શકો છો, નફરતની નહીં. બલકે, તમે નફરતમાં ઉમેરો કરો છો. હિંસાનો જવાબ હિંસાથી આપો તો હિંસા બેવડાય છે. હિંસા તારાઓ વગરના આકાશમાં વધુ અંધારું ફેલાવે છે. અંધારું અંધારાને દૂર ના કરે, માત્ર પ્રકાશ જ અંધારું દૂર કરે. “

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 18 ફેબ્રુઆરી 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

18 February 2024 રાજ ગોસ્વામી
← ઈલેક્ટોરલ બોન્ડ્સ એ છાની પ્રવૃત્તિને હાથીની અંબાડી પર બેસાડવામાં આવે એવી ઘટના
જ્યારે ભારતે મુસ્લિમ દેશોને પાકિસ્તાનના પ્રિઝમથી જોવાનું બંધ કર્યું ત્યારે … →

Search by

Opinion

  • લાકડાના વેપારીની બોઇંગ કંપનીનું સો વર્ષનું એકચક્રી શાસન ડામડોળ થઇ રહ્યું છે
  • ….. તો શું થાત?
  • અમેરિકી પ્રમુખ ટ્રમ્પને નોબેલ ‘અશાંતિ’ પુરસ્કાર અપાવો જોઈએ …
  • ભારતીય ઉડ્‍ડયન ક્ષેત્રના રન-વેની વિટંબણાઓઃ સલામતી, આર્થિક મજબૂતાઈ, નીતિની ગૂંચ જેવા બર્ડ હિટ
  • પશ્ચિમનો યુગ પૂરો થઈ ગયો છે

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • પંડ સાથે ગાંધીચીંધ્યા જીવનને જોડીએ! 
  • ગાંધીમાર્ગ કઠિન છે?
  • બાપુનો દાંત
  • વિરાટદર્શન
  • નિર્મમ પ્રેમી

Poetry

  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …
  • તારવણ
  • હે કૃષ્ણ ! કોણ છે તું?
  • આ યુદ્ધ છે !

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved