ઇન્ટરનેટ પર, એક જાણીતી વાઈરલ પોસ્ટ છે. તેમાં ઈજીપ્તના ત્રણ અદાલતી પ્રસંગોનો ઉલ્લેખ છે. તે પ્રસંગોની ઐતિહાસિક સત્યતા વિશે ખબર નથી, પરંતુ તેમાંથી જે ગહેરી અંતદૃષ્ટિ મળે છે તે આપણા માટે ઘણી પ્રાસંગિક છે.
પ્રસંગ-1
ઈજીપ્તના પૂર્વ રાષ્ટ્રપતિ અનવર સાદતના હત્યારાને અદાલતમાં જજે પૂછ્યું, “તેં કેમ સાદતની હત્યા કરી?”
પેલાએ કહ્યું, “કારણ કે તે બિન-સાંપ્રદાયિક હતા!”
જજે વળતો સવાલ પૂછ્યો, “બિન-સાંપ્રદાયિકતા એટલે શું?”
હત્યારાએ કહ્યું, “મને ખબર નથી!”
પ્રસંગ-2
ઈજીપ્તના લેખક નજીબ મહેફોઝની હત્યા કરવાનો પ્રયાસ કરનારા માણસને જજે પૂછ્યું, “તેં કેમ તેમને ચાકૂ માર્યું હતું?”
આરોપીએ જવાબ આપ્યો, “તેમણે ‘ગબેલાવીનાં બાળકો’ નામની નવલકથા લખી હતી એટલે.”
જજે પૂછ્યું, “તેં આ નવલકથા વાંચી છે?”
પેલાએ કહ્યું, “ના!”
પ્રસંગ-3
ઈજીપ્તના એક અન્ય લેખક ફરાજ ફરાની હત્યા કરનારા આતંકવાદીને જજે પૂછ્યું, “તેં કેમ ફરાજ ફરાની હત્યા કરી?”
પેલાએ કહ્યું, “કારણ કે તે નાસ્તિક હતા!”
જજ : “તને કેવી રીતે ખબર કે તે નાસ્તિક હતા?”
આતંકી : “તેમણે ચોપડીઓ જ એવી લખી હતી.”
જજ : “એમની કઈ ચોપડી પરથી તને લાગ્યું કે તે નાસ્તિક છે?”
આતંકી : “મેં નથી વાંચી?”
જજ : “કેમ”
આતંકી : “મને લખતાં-વાંચતા આવડતું નથી!”
•
આ ત્રણે પ્રસંગોમાં એક વાતનું સામ્ય છે; હત્યારાઓ અજ્ઞાની હતા, અને છતાં પણ તેમણે હિંસા કરી હતી. આમાં “છતાં પણ” શબ્દ અસ્થાને છે. તેનાથી એવું અભિપ્રેત થાય છે કે તેમને જો નફરતનું કારણ ખબર જ નહોતું, તો પછી તેમણે હત્યા કરવાની જરૂર નહોતી. બીજી રીતે કહીએ તો, નફરત કરવા માટે કારણ હોવું જોઈએ. જેણે પણ આ પોસ્ટ બનાવી છે (તેનું નામ નથી મળતું) તેણે આ ત્રણે પ્રસંગો વર્ણવીને એક નવી જ દૃષ્ટિ આપી : નફરત જ્ઞાનથી ફેલાતી નથી. તે ફેલાય છે અજ્ઞાનથી.
પહેલા હત્યારામાં બિન-સાંપ્રદાયિકતાને લઈને અજ્ઞાન હતું. બીજાએ નજીબ મહેફોઝની નવલકથા વાંચી નહોતી અને ત્રીજાને તો લખતાં-વાંચતાં ય આવડતું નહોતું. તેમનામાં ભારોભાર અજ્ઞાન હતું અને એના કારણ જ તેમનામાં હત્યા કરી નાખવા જેટલી તીવ્ર નફરત પેદા થઇ હતી.
નફરત અજ્ઞાનની માટીમાં મૂળિયાં નાખે છે – લોકોને જોડતાં ઐતિહાસિક તથ્યોની અજ્ઞાનતા, વિજ્ઞાનની અજ્ઞાનતા, અને માનવીય ગુણોની અજ્ઞાનતા માણસમાં નફરત માટે સરળતા કરી આપે છે. ઐતિહાસિક અથવા વૈજ્ઞાનિક તથ્યોને નકારવાથી સત્યનો શૂન્યાવકાશ પેદા થાય છે, જેનો ઉપયોગ અસહિષ્ણુતા અને નફરતના અવાજો કરવા માટે થાય છે. અજ્ઞાન ભય પેદા કરે છે, ભય નફરત તરફ દોરી જાય છે અને નફરત હિંસાના આશ્રયે લઇ જાય છે.
અસહિષ્ણુતા બહાદુરીમાં લપેટાયેલી અસલામતી છે. આપણા તમામ દુર્વ્યવહારોના મૂળમાં ડર હોય છે, બહાદુરી નહીં. બાળપણમાં આપણે પેરેન્ટ્સ કે અન્ય વયસ્ક લોકોના માધ્યમથી જે વ્યવહારોને જોઈએ, સાંભળીએ, અનુભવીએ છીએ (એમાં કલ્પનાઓ પણ આવી ગઈ), તેમાંથી આપણામાં ડરની ભાવના વિકસે છે.
બાળક તરીકે આપણે જો ત્રણ બુનિયાદી ગુણો – બીજાઓ માટેનો પ્રેમ, સદાચાર અને વિવેકબુદ્ધિમાં શ્રદ્ધા રાખવાના અને તેનું સન્માન કરવાના ભાવ સાથે મોટા થઈએ, તો આપણા માટે દુર્વ્યવહાર અસંભવ બની જાય, પરંતુ જીવન એટલું આદર્શ નથી હોતું, પરિણામે આપણા ઉછેરમાં રહી ગયેલી એ રિક્તતાના કારણે આપણામાં અસલામતી પેદા થાય છે અને આપણે અસહિષ્ણુતા, નફરત, ચીડ, ડર, દોષભાવના, પ્રતિશોધ, આત્મસંરક્ષણ, કાયરતા વગેરેથી એ રિક્તતને ભરી દઈએ છીએ.
એ આંતરિક રિક્તતા(voids)થી બચવા માટે આપણે દુનિયા સામે અને અન્ય લોકો સામે લડાઈનો મોરચો માંડીએ છીએ. આપણી અંદરના એ ખાલીપાને કારણે આપણને ‘અન્યો’માં એવો દુ:શ્મન નજર આવે છે, જે જાણે આપણી તકલીફો માટે જવાબદાર હોય. ‘અન્યો’ જ્યારે આપણને આપણી ભીતરી સચ્ચાઈથી વાકેફ કરાવે, ત્યારે આપણા માટે અસહિષ્ણુ બની જવું અનિવાર્ય બની જાય છે. એક વ્યક્તિ કે એક સમાજની અસહિષ્ણુતાની અસલી સચ્ચાઈ તેનો ડર છે.
આજે, સોશિયલ મીડિયા નફરત માટે વૈશ્વિક લાઉડસ્પીકર જેવું કામ કરે છે. જૂઠ, ખોટી માહિતી-અને તેના નજીકના પિતરાઈ, પ્રોપેગેન્ડા એક બટનના સ્પર્શથી વિશ્વભરમાં ફેલાય છે. અસત્યાપિત અને બિનજવાબદાર વિચાર તાત્કાલિક વિશ્વસનીયતા પ્રાપ્ત કરે છે અને સત્ય તેમ જ વિજ્ઞાનની બાજુમાં ગોઠવાઈ જાય છે. જાતિવાદી, અસહિષ્ણુ અને ઉગ્રવાદી મંતવ્યો જંગલની આગની જેમ ફેલાઈ જાય છે.
કોરોનામાં લાખો લોકો એટલા માટે મરી ગયા કારણ કે તેમને ખાતરી હતી કે રસી લેવી બરાબર નથી. ઘણા લોકો માત્ર એટલા જ કારણથી હિંસા, આતંકવાદ અને નરસંહારનાં કૃત્યો કરે છે, કારણ કે તેમણે એવું માની લીધું છે આમ કરવું સર્વથા ઉચિત છે. આપણા સમાજમાં ધાર્મિક દ્વેષભાવ, જાત-પાતનાં વિભાજન, સ્ત્રી-દ્વેષ એટલા માટે જ છે કારણ કે આપણે અજ્ઞાનતામાં જીવીએ છીએ.
આપણે જ્યારે જ્ઞાનની ભૂમિને હકીકતો, વિજ્ઞાન અને ઐતિહાસિક ચોકસાઈથી સમૃદ્ધ કરીએ તો નફરત તેમાં મૂળ નાખી ના શકે. જ્ઞાન વિચારો અને માન્યતાઓના વૈવિધ્ય માટે આપણી આંખો ખોલે છે અને સ્વાભાવિક રીતે જ માનવ અધિકારો, સામાજિક ન્યાય અને બધા માટે ગૌરવ અને આદર પેદા કરે છે.
નાનીથી લઈને મોટી સુધી, માનવજાતની લગભગ તમામ નિષ્ફળતાઓના મૂળમાં અજ્ઞાનતા છેઃ સોશિયલ મીડિયા પર રાજકારણ વિશે દલીલોથી લઈને વ્યક્તિગત નાણાંકીય ભૂલો, નિષ્ફળ સંબંધો અને યુદ્ધ સુધીનું બધું કોઈને કોઈ રીતે અજ્ઞાનને આભારી છે. અજ્ઞાન સ્વાર્થ, ઘમંડ, ભય, લોભ અને નફરત જેવી વિનાશક વર્તણૂકો અને લાગણીઓને જન્મ આપે છે.
માર્ટિન લ્યુથર કિંગ જુનિયરે મહાત્મા ગાંધીના શબ્દો “આંખના સાટે આંખ આખી દુનિયાને આંધળી કરશે”નો પડઘો પાડતાં કહ્યું હતું કે, હિંસાથી તમે જૂઠ બોલનારાને તો મારી શકો છો, પણ ન તો જૂઠને મારી શકો છો ન તો સત્યને સ્થાપી શકો છો. હિંસાથી તમે નફરતી વ્યક્તિની હત્યા કરી શકો છો, નફરતની નહીં. બલકે, તમે નફરતમાં ઉમેરો કરો છો. હિંસાનો જવાબ હિંસાથી આપો તો હિંસા બેવડાય છે. હિંસા તારાઓ વગરના આકાશમાં વધુ અંધારું ફેલાવે છે. અંધારું અંધારાને દૂર ના કરે, માત્ર પ્રકાશ જ અંધારું દૂર કરે. “
(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 18 ફેબ્રુઆરી 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર