આપણે ગૌરવ પૂર્વક કહી શકીએ કે આપણી સંસ્કૃિતમાં પુરુષ શક્તિની સાથે સાથે જ સ્ત્રી શક્તિનો મહિમા ગવાયો છે. “યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, રમન્તે તત્ર દેવતાઃ”, “નારી તું નારાયણી” અને “જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે.” તેવી ઉક્તિઓ પુરાણ કાળથી પ્રચલિત થયેલી છે. વૈદિક કાળમાંવિદુષીઓએ વેદની ઋચાઓ રચેલી અને શાસ્ત્રાર્થમાં પણ સમાન યોગદાન આપેલું, તેના પુરાવા ગાર્ગી અને મૈત્રેયી જેવી વિદુષીઓના ઉલ્લેખ પરથી જાણી શકાય.
પરંતુ આજે આપણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં નારીશક્તિના પ્રદાનની વાતો કરીશું.
ભારતમાં સ્વાતંત્ર્ય માટેની લડતના પગરણ ઈ.સ. 1857ના સંગ્રામથી મંડાઈ ચૂક્યાં હતાં. ખાલસા પદ્ધતિથી રાજ્યોને હડપ કરી લેવાની નીતિ અંગ્રેજ સરકારે અપનાવેલી. તે સમયે ઝાંસીના રાજાનું અવસાન થયું અને પુત્ર સગીર વયનો હોવાથી તે રાજ્યનો અંગ્રેજોએ કબજો લેવા પ્રયત્ન કર્યો. રાણી લક્ષ્મીબાઇ હિંમતવાન હતાં. પુત્રને પીઠ પર બાંધીને શસ્ત્રો લઇ મેદાને પડ્યાં. અંત સુધી લડ્યાં અને શહીદ થયાં. આ વીરાંગના સ્વતંત્રતા સંગ્રામના પ્રથમ મહિલા સેનાની તરીકે યાદ રહેશે. રાણી લક્ષ્મીબાઈએ ઇતિહાસમાં સ્ત્રીશક્તિનું સ્થાન અમર કર્યું.
વિશ્વના ઇતિહાસ તરફ નજર નાખીએ તો સમૃદ્ધ અને શક્તિશાળી દેશો વેપાર કરવા અને ધર્મ પ્રચારના નામે અન્ય દેશો પર આધિપત્ય ભોગવવા સંસ્થાનો જમાવી બેઠેલા. ઘણા દેશોએ વિદેશી સત્તાનો સશસ્ત્ર પ્રતિકાર કર્યો. ભૂતકાળમાં અનેક લોહિયાળ ક્રાંતિઓ થઇ. તેમાં ગાંધીજીએ લડતની એક અનોખી પ્રથાની ભેટ દુનિયાને ધરી. દક્ષિણ આફ્રિકામાં ભારતથી એગ્રીમેન્ટ પર ગયેલા મજૂરો, ખેડૂતો અને વ્યાપારીઓ પર અન્યાય ભરેલા કાયદાઓ અને નિયમો લાદીને તેમનો તિરસ્કાર અને અપમાન કરવામાં આવતા. એ રંગભેદની નીતિનો વિરોધ કરવા ગાંધીજીએ જે ચળવળ કરી તેને પરિણામે ‘સત્યાગ્રહ’નો જન્મ થયો. વિદેશી ભૂમિમાં કસ્તૂરબા અને બીજી અનેક મહિલાઓને આ લડતમાં જોડીને ગાંધીજીએ સ્ત્રીશક્તિને ઉજાગર કરી. મજૂર હો કે કિસાન, શિક્ષિત હો કે અશિક્ષિત, તમામ વર્ગમાંથી પુરુષોની હારોહાર બહેનોને પણ પોતાના અધિકારોની રક્ષા કાજે લડત આપવા સાથે લીધી.
1915માં જ્યારે ગાંધીજી સ્વદેશ પરત થયા, ત્યારે તેમના પૂરોગામી નેતાઓ જેવા કે લોકમાન્ય તિલક, ગોપાલકૃષ્ણ ગોખલે, મદન મોહન માલવીયજી, દાદાભાઈ નવરોજી અને ફિરોજશાહ મહેતા સ્વરાજ માટે અનેક પ્રયત્નો કરી ચૂકેલા હતા. આફ્રિકામાં મળેલ સફળતાનો ગાંધીજીએ ભારતની સ્વરાજની લડાઈમાં વિનિયોગ કર્યો. અત્યાર સુધી વિશ્વ આખામાં સશસ્ત્ર યુદ્ધો થતાં આવ્યાં, જેમાં સ્ત્રીઓ આડકતરી રીતે સહાયભૂત થતી. પરંતુ ગાંધીજી પાસે જે શસ્ત્ર હતું તે અહિંસક હતું અને તેથી ભારતની નારી શક્તિ તેમાં અગ્રેસર બનીને ભાગ લેવા લાગી. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં બહેનોમાં હીર જોયું. ભારતની નારીઓમાં પણ માનવ જાત માટે પ્રેમ, કરુણા અને અહિંસક માર્ગ માટેની શ્રદ્ધા પારખી બહેનોની આંતરિક શક્તિ અને સ્વભાવગત કરુણાને નાણીને તેમને સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રિય થવા પ્રેર્યા.
ભારતમાં ખૂણે ખૂણે સ્વતંત્રતા મેળવવા માટે જાગૃતિ આવી ગઈ હતી. પહેલાંના સમયમાં માતા, બહેન કે પત્ની પુરુષોને ભાલે તિલક કરી રણસંગ્રામમાં મોકલવા વિદાય આપતી. હવે એ દ્રશ્ય બદલાયું. ચંપારણ, ખેડા, બારડોલી અને મીઠાના સત્યાગ્રહમાં બહેનો માત્ર સહભાગી જ નહીં, પણ અગ્રેસર પણ બની. 1930ની દાંડી કૂચમાં ગાંધીજીએ બહેનોને કૂચમાં સહેતુ સામેલ ન કરી, પણ તેઓ તો ધારાસણાના મીઠાના અગર પર પહોંચી ગયાં. બહેનોની ટુકડી ઘાયલોને ઝોળીમાં ઉઠાવવા, પાટાપિંડી કરવી, મલમપટ્ટી કરવી, લોહી વહેતા ઘાવને જંતુ નાશક દવાઓથી સાફ કરવા. વગેરે કાર્યોમાં સતત કાર્યરત રહી.
ગાંધીજીનું ભારતમાં પુનરાગમન 1915માં થયું, ત્યારથી માંડીને 1947માં સ્વતંત્રતા મળી તે દરમ્યાન નાના મોટા દેશ વ્યાપી તેમ જ સ્થાનિક અનેક સત્યાગ્રહો થયા. પહેલો સત્યાગ્રહ ચંપારણનો. ખેડા, બારડોલી, વાઇકોમ, દાંડી અને છેવટે ‘ભારત છોડો’ એ તમામ સત્યાગ્રહોમાં અગ્રીમ ભૂમિકા ભજવનાર મહિલાઓની યાદી લાંબી થાય. નોંધ એ વાતની લેવાની રહે કે ગાંધીજીના અસહકારની ચળવળોમાં રાજ પરિવાર હો કે સામાન્ય પ્રજા, સંપન્ન કે રંક પરિવાર, શિક્ષિકાઓ કે વિદ્યાર્થિનીઓ તમામને એક સરખી રીતે ખેંચી લાવે તેવું એક અસાધારણ પરિબળ હતું. કેટલાંક નામો ગણાવું. કસ્તૂરબા, સરૂપ રાણી, સુશીલાબહેન નય્યર, સરોજિની નાયડુ, કમાલદેવી ચટોપાધ્યાય, કમલા નહેરુ, એની બેસન્ટ અને મિસ સ્લેડ (મીરાંબહેન) જેવાંએ રાષ્ટ્રીય તખતા પર ધર્મ બજાવ્યો.
તો ગુજરાત પણ કઇં ઓછું ઊતરે તેવું નહોતું. કસ્તૂરબાએ તો દક્ષિણ આફ્રિકાથી જ પોતાના હીરના પારખાં કરાવી દીધેલાં. તેઓ સભાઓને સંબોધતાં, આશ્રમમાં ગાંધીજીની ગેરહાજરીમાં સંચાલન સંભાળતાં અને જેલવાસ તો અનેક સહ્યાં. એ જગદંબાનું મૃત્યુ પણ છેલ્લા સત્યાગ્રહ સમયે આગાખાન મહેલમાં થયું. તેમણે ભારતની અને ખાસ કરીને ગુજરાતની અનેક શિક્ષિત તેમ જ અશિક્ષિત બહેનનોને જાણ્યે અજાણ્યે એક આદર્શ પૂરો પાડ્યો. તે ઉપરાંત મણિબહેન પટેલ, ભક્તિબા દેસાઈ, દેવીબહેન પટ્ટણી, વિજયાબહેન પંચોલી, રમાબહેન જોશી, દુર્ગાબહેન દેસાઈ, અનસૂયાબહેન સારાભાઈ, મૃદુલા સારાભાઈ અને વનમાળા પરીખ જેવાં જેવાં અનેક નામી અનામી નારીરત્નોએ ભાગ લીધો.
એ સમયે ભારતની અને ખાસ તો ગુજરાતની મહિલાઓમાં દેશપ્રેમની ભાવના અને સમર્પણનાં ઉદાહરણ પણ ગૌરવ અપાવે તેવાં હતાં. દેશના ખૂણે ખૂણેથી અને ગુજરાતના ગામે ગામથી આવેલી બહેનોએ દારૂના પીઠાંઓ પર પિકેટિંગ કર્યું, સભાઓમાં ભાષણો કર્યાં અને સરઘસો તથા પ્રભાતફેરીમાં ઝંડો લઈને ફર્યાં, તેમ જ પોલીસના વાર છતાં ધ્વજને નીચે ન પડવા દેવા જેવાં કાર્યો હિંમત દાખવીને કર્યાં. આવી નારી સેનાઓમાં પ્રૌઢાઓ અને નવયૌવનાઓ, ગૃહિણીઓ અને મજૂરણો પણ સામેલ થતી. તેમાનાં અનેકોએ જેલવાસ ભોગવ્યો, સંતાનોને એકલાં મૂક્યાં, લાઠીઓના ઘા ખમી લીધા, અનશન કર્યા, પિકેટિંગ અને સરઘસોમાં માઈલો સુધી ચાલ્યાં. સહુથી મોટી વાત જેલના કઠિન જીવનને પચાવીને સત્ય અને અહિંસાને વળગી રહ્યાં. દેશપ્રેમ અને સમર્પણ કે ખુમારીમાં પુરુષોથી જરા ય ઊણા ન ઉતર્યાં એટલું જ નહીં, પણ ક્યાંક તો તેમનાથીયે અદકેરું યોગદાન આપ્યું તેવાં ઉદાહરણો મળી આવે.
70મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જેમણે કરુણા, આત્મવિશ્વાસ અને દેશાભિમાનની ભાવનાઓથી પ્રેરાઈને અનેક બલિદાનો આપીને સ્વાતંત્ર્ય સંગ્રામને સફળ બનાવ્યો તેવા ભારતના અસંખ્ય નારીરત્નોને યાદ કરીએ. સત્ય અને અહિંસાનો માર્ગ ચીંધનાર મહાત્મા ગાંધીને પણ ભારતની સૌ સન્નારીઓ વતી લાખ લાખ વંદન.
જય જગત.
(આરાધનાબહેન ભટ્ટે 07 અૉગસ્ટ 2017ના દિવસે અૉસ્ટૃલિયાના ‘સૂરસંવાદ’ રેડિયો માટે સરોજબહેન અંજારિયાની રેડિયો-મુલાકાત લીધી. એમની અનુમતિથી એ વાર્તાલાપનું લેખિત સ્વરૂપ અહીં સાદર છે.)