દર્શક શતાબ્દી વર્ષના સહુથી મહત્ત્વના પ્રકાશન ‘મનીષીની વિચારયાત્રા’માં સંપાદક મોહન દાંડીકરે તેમના આરાધ્ય લેખકનાં વીસ ભાષણો મૂક્યાં છે. ભાષણોના વિષયોમાં ગાંધીવિચાર, નયી તાલીમ સહિતનું કેળવણી ચિંતન, વિશ્વશાંતિની ગુરુકિલ્લી તરીકે બાળશિક્ષણ, સર્વોદય, મહાભારત, સાહિત્યમહત્તા અને સ્વામી આનંદ તેમ જ સરદાર પટેલ વ્યક્તિવિશેષોનો સમાવેશ થાય છે. દર્શક પાસે તૈયાર થયેલા, લોકભારતીના એક પ્રબુદ્ધ વિદ્યાર્થી દાંડીકરે ‘દર્શક : જેવા મેં જોયા જાણ્યા’ સહિત એકસઠ પુસ્તકો લખ્યાં છે. તેમાં સઆદત હસન મન્ટો, કમલેશ્વર, દલિપકૌર ટિવાણા અને ગિરીરાજ કિશોરનાં પુસ્તકો ઉપરાંત વિવિધ સંપાદનો પણ છે. દર્શકના જીવનસર્જનના અભ્યાસી સંપાદકે પુસ્તિકાઓ, લેખો, રેકૉર્ડિંગ્સ કે નોંધો રૂપે વિખરાયેલાં ભાષણોને જહેમતથી એકઠાં કરીને કંઈક વિષયવાર ગોઠવ્યાં છે.
દાંડીકરના સંપાદનનો સહુથી મહત્ત્વનો લાભ તેમણે કેટલાંક વ્યાખ્યાનો વિશે પ્રાસ્તાવિકમાં આપેલી રસપ્રદ માહિતી તરીકે મળે છે. ‘મહાભારતનો મર્મ’ વ્યાખ્યાનપુસ્તિકા વિશે ‘હિંદુસ્તાન કી સબ ભાષાઓંમેં અનુવાદ હોના ચાહિયે’ એવો પત્ર પીઢ સર્વોદયી ઠાકુરદાસ બંગે લખ્યો હતો. સાવરકુંડલાના વ્યાખ્યાનમાં દ્રૌપદી-કુંતીની વાત કરતાં વક્તા અને હજારો શ્રોતાઓની આંખો ભીની થઈ ગઈ હતી. ઝવેરચંદ મેઘાણી વિશે સણોસરામાં આપેલાં પાંચ વ્યાખ્યાનોમાં ‘કશી જ નોંધો રાખ્યા વિના સતત છ કલાક વરસેલા’. આ વ્યાખ્યાનોની ‘ભેદની ભીંત્યુને આજ મારે ભાંગવી’ નામે લોકમિલાપ પ્રકાશને બહાર પાડેલી પુસ્તિકા પર ‘આફરીન’ થઈને સ્વામી આનંદે કહ્યું હતું, ‘ગુજરાતમાં મેઘાણીની આવી રજૂઆત કોઈએ કરી નથી.’ નારાયણભાઈ દેસાઈ ‘આ નાનકડી ચોપડીને’ દર્શકની ‘ઉત્તમ નવલકથાઓની હરોળમાં’ મૂકે છે. ગાંધીવિચાર પરનું ભાષણ સાંભળીને યેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરે ‘આવી વાતો અમે પહેલી જ વાર સાંભળી, મહાપુરુષનો સાચો પરિચય થયો’ એ મતલબનું કહ્યું હતું. દર્શકના ચાહકોના એક જૂથે ‘વિશ્વશાંતિની ગુરુકિલ્લી’ની સવા લાખ નકલો છપાવી. દર્શકનાં ભાષણોમાં એમના વિશ્વદર્શન ઉપરાંત ગુજરાતી ભાષાનાં ઓજસ અને સામર્થ્ય તેમ જ ગોહિલવાડી બોલીની સોડમ માટે પણ મળે છે. ગુર્જર પ્રકાશને બહાર પાડેલા પોણા ત્રણસો પાનાંના આ સંચયનો આસ્વાદ કરાવનાર મનસુખ સલ્લાના શબ્દોમાંકહીએ તો આ વ્યાખ્યાનો થકી ‘પ્રાજ્ઞપુરુષના વિચારલોકમાં પ્રવેશ’ કરાવે છે.
વ્યાખ્યાન સંચયનાં કેટલાંક લખાણો ‘મનુભાઈ પંચોળી સાથે વિચારયાત્રા’ નામે વાચનમહર્ષિ મહેન્દ્ર મેઘાણીએ બાણુંની વયે ‘કિશોરો-યુવાનો માટે’ કરેલાં બાણું પાનાંના સંપાદનમાં પણ મળે છે. દર્શક પરના લોકમિલાપના આ પાંચમા પ્રકાશનમાં ચાળીસેક લખાણો છે. તેની ‘એક લાખ નકલ નવી પેઢીના વાચકોને પહોંચાડવાની ઉમેદ’ સંપાદક ધરાવે છે. મનુભાઈના થોડાક ચાહકોએ દોઢસો શિક્ષણ સંસ્થાઓમાં સો-સો નકલ મોકલવા માટેની સખાવત તો કરી દીધી છે. જો કે સંપાદક જણાવે છે : ‘આ પુસ્તકની સોથી ઓછી નકલ ખરીદી શકાશે નહીં.’
સર્વોદય વિચારધારાના પખવાડિક મુખપત્ર ‘ભૂમિપુત્ર’નો સોળમી જુલાઈનો વિશેષાંક રમણીય અને સંગ્રાહ્ય છે. પચાસેક તસવીરો મોટાં કદનાં બેતાળીસ પાનાંના આ અંકની મિરાત છે. દર્શકની જુદી જુદી ઉંમરે, જાતભાતની ભાવમુદ્રાઓમાં, અનેક પ્રકારની વ્યક્તિઓ સાથેની ઘણાં સ્થળે અને પ્રસંગે પાડવામાં આવેલી આ છબિઓમાં કેટલીક દુર્લભ છે. સરસ સંપાદકીય સહિતના ઓગણીસ લખાણોમાં જીવનની વિગતો, ગુણકીર્તન, સ્મરણો, લેખન, આસ્વાદ, પુસ્તક પરિચય જેવી વૈવિધ્યપૂર્ણ સામગ્રી ઝીણવટથી પસંદ કરીને બહુ માવજતથીમૂકવામાં રજનીભાઈ, સ્વાતીબહેન અને પારુલબહેનના બનેલા સંપાદકમંડળની સૂઝ અને મહેનત દેખાય છે.
કમનસીબે આવો કોઈ વિશેષાંક ગુજરાતી સાહિત્ય પરિષદના મુખપત્ર ‘પરબ’એ હજુ સુધી કર્યો નથી. ગયા ઑક્ટોબરથી શરૂ થયેલા શતાબ્દી વર્ષ દરમિયાન ‘પરબ’ના એક પણ અંકમાં દર્શક વિશે ધોરણસરનો એક પણ લેખ આવ્યો નથી. ગુજરાતી સાહિત્ય અકાદમીના મુખપત્ર ‘શબ્દસૃષ્ટિ’નું પણ લગભગ આવું જ છે. પરિષદના ડિસેમ્બરના વાર્ષિક જ્ઞાનસત્રમાં દર્શક પર કોઈ બેઠક ન હતી, આગામી અધિવેશનના જાહેર થયેલા કાર્યક્રમમાં પણ નથી. છવ્વીસમી ફેબ્રુઆરીના એક બુધવારે ઉજવણીના ઉજમ-ઉલ્લાસ વિનાના માહોલમાં છએક વ્યાખ્યાનોનો સભોજન કાર્યક્રમ તેણે પદાધિકારીઓ અને વક્તાઓ સહિત પચાસ-પંચોતેર આવતા-જતા શ્રોતાઓની હાજરીમાં કર્યો. તેમાં ય પરિષદને, દર્શકે જેને સ્વાયત્ત બનાવવા માટે લડત આપી હતી તે, સરકારીકરણ થઈ ચૂકેલી સાહિત્ય અકાદમીનો સહયોગ લેવો પડ્યો. અકાદમીએ પણ વળી અલગ કાર્યક્રમ કર્યો નથી. તેણે વડોદરાની ‘અક્ષરા’ અને સંભવત: બીજી સંસ્થાઓની સાથે જોડાવાનું પસંદ કર્યું. રાજ્ય સરકારે ‘સૉક્રેટીસ’ના નાટ્યપ્રયોગને ટેકો કર્યા સિવાય ઝાઝું કંઈ કર્યું હોવાનું માલુમ નથી.
‘સૉક્રેટીસ’ અમદાવાદ ઉપરાંત વાળુકડ અને સણોસરામાં ભજવાયું. ટૉલ્સ્ટૉયના જીવન પરનું દર્શકનું ‘ગૃહારણ્ય’ નાટક રાજકોટના રંગકર્મી ભરત યાજ્ઞિકના દિગ્દર્શનમાં ‘કલાનિકેતન’ સંસ્થાના કલાકારોએ જુલાઈમાં ભજવ્યું. રાજ્યની ઘણીબધી સંસ્થાઓએ પોતપોતાની રીતે નાનામોટા કાર્યક્રમો થકી દર્શકને યાદ કર્યા હોવાની નોંધો મળતી રહી છે. અમદાવાદ મહાનગરપાલિકાએ તેના રાષ્ટ્રીય પુસ્તકમેળા સાથે દર્શકના જીવનકાર્યને બહુ આકર્ષક રીતે જોડ્યાં હતાં. ‘દર્શક ફાઉન્ડેશન’ શતાબ્દી મહોત્સવ અન્વયે પુસ્તક-આસ્વાદ પ્રવચનો ગોઠવે છે. ગુજરાત સાહિત્યસભાએ નિબંધ સ્પર્ધા યોજી. વળી તેણે ગયા શનિવારે પ્રકાશ ન. શાહનું વ્યાખ્યાન ગોઠવ્યું. વિશ્વકોશમાં દર્શક વિશેનું આ ચોથું વ્યાખ્યાન હતું. વર્ષની પૂર્ણાહુતિને દિવસે એટલે કે આવતા બુધવારે ઓમ કમ્યુિનકેશને દર્શક વિશે પરિષદના ગોવર્ધન ભવનમાં પરિસંવાદ ગોઠવ્યો છે.
લોકભારતીએ દર્શકના સાહિત્ય પર યોજેલા કાર્યક્રમમાં દસેક અભ્યાસીઓને બોલાવ્યા હતા. વળી સંસ્થાએ શિક્ષણપ્રસાર અને સુધારણા માટે ‘દર્શક લોકગંગા’ ઉપક્રમ હાથ ધર્યો છે. તે હેઠળ નિષ્ણાત શિક્ષકોની એક ટુકડી એક વાહન અને પુસ્તકો તેમ જ ફિલ્મો સહિતની અભ્યાસ સામગ્રી લઈને ચૌદ ગામોની શાળાઓની મુલાકાત લેતી રહે છે. પાલીતાણા પાસેના માઇધારમાં આવેલું દર્શકના સ્વપ્નનું નાગરિક કેળવણી અને લોકશિક્ષણ માટેનું કેન્દ્ર લોકભારતીએ ફરીથી સક્રિય કર્યું છે.
જો કે શતાબ્દી વર્ષ દરમિયાન નાઝીવાદ-ફાસીવાદની અમાનુષતા વચ્ચે માનવતા વિશે ‘હેલન-સોદો-અંતિમ અધ્યાય’ નાટ્યત્રયી લખનારા દર્શક, આ નાટકો પર ભરત દવેએ બનાવેલી ટેલિફિલ્મો છતાં ય ન દેખાયા. ગાંધીવિચાર અને લોકશાહી સમાજવાદ વચ્ચે પ્રગતિશીલ માનવતાવાદી સુમેળ સાધનારા દર્શક ભાગ્યે જ દેખાયા. હજુ જાણવાના બાકી છે જાહેર જીવનમાં સામેલગીરી, હસ્તક્ષેપ, વિરોધ અને સંઘર્ષમાં ઊતરનારા દર્શક !
+++++++++
સૌજન્ય : ‘કદર અને કિતાબ’ નામે લેખકની સાપ્તાહિકી કટાર, “નવગુજરાત સમય”, 08 અૉક્ટોબર 2014