ત્રીસ વર્ષની કૃતિસાધનાનું આ ફળ રઘુવીરે ચુનીભાઈ વૈદ્ય અને કાન્તિભાઈ શાહને અર્પણ કર્યું છે. આ બંને ઉત્તુંગ કર્મશીલો છે
કર્મઠ સાહિત્યકાર અને સાપ્તાહિક ખેડૂત રઘુવીર ચૌધરીના અમૃત વર્ષ નિમિત્તે તેમના પરનો અધ્યયન ગ્રંથ ‘અમૃતાથી ધરાધામ’ નામે તાજેતરમાં પ્રસિદ્ધ થયો છે. કુલ નવસો સિત્તેર પાનાંનો બે ખંડનો આ ગ્રંથ રઘુવીરભાઈના ખુદના રંગદ્વાર પ્રકાશને બહાર પાડ્યો છે. આ ગ્રંથમાં રઘુવીરે સત્યાવીસ વર્ષની ઉંમરે લખેલી નવલકથા ‘અમૃતા’ થી લઈને થોડા મહિના પૂર્વે બહાર પડેલા ‘ધરાધામ’ કાવ્યસંચય સુધીની નેવુંથી વધુ કૃતિઓ વિશે અત્યાર સુધી લખાયેલાં અઢીસો જેટલાં એકંદરે આસ્વાદના અભિગમથી થયેલાં લખાણો વાંચવા મળે છે. લેખકનો વિવેક એ છે કે અમૃતપર્વ છતાં તેમણે ગૌરવ કે અભિનંદન ગ્રંથ થવા દીધો નથી. એવો ગ્રંથ ગુજરાતી સાહિત્યના એક કિન્ગ મેકર રઘુવીર બીજા પ્રકાશક પાસે ય કરાવી શક્યા હોત !
અધ્યયન ગ્રંથનાં સંપાદક દૃષ્ટિ પટેલ અને સુનીતા ચૌધરીએ સાહિત્યસ્વરૂપ મુજબ ગોઠવેલા છ વિભાગમાં કૃતિઓની મર્યાદા બતાવતાં લેખો પણ છે. માત્ર એંશી પાનાંના છેલ્લો વિભાગ ‘શબ્દ અને કર્મ : પ્રતિભાવ’ સહુથી વધુ રસપ્રદ છે. સાંપ્રત ગુજરાતી સાહિત્યના સાપેક્ષ સંદર્ભમાં વિરાટની નજીક પહોંચતું વ્યક્તિત્વ આ ગ્રંથમાંથી ઊભું થાય છે.
લેખકપત્ની પારુબહેનનો, દૃષ્ટિએ શબ્દાંકિત કરેલો, હૃદયસ્પર્શી લેખ છે. તેમાં જાણવા જેવી અનેક હકીકતો છે. જેમ કે, રઘુવીર ગુજરાત વિદ્યાપીઠમાં હિન્દીના અધ્યાપક હતા ત્યારે એ સંસ્થાનો નિયમ હતો કે લેખકે હસ્તપ્રત મંજૂર કરાવીને જ છપાવવી. તેના વિરોધમાં ‘અમૃતા’ની હસ્તપ્રતના ટેકીલા નવલકથાકારે નોકરી અને નિવાસસ્થાન બંને છોડ્યાં. ત્યાર પછી એ વખતની ઉત્તમ એચ.કે. કૉલેજની નોકરી એમનાથી નીચેના અધ્યાપકની નોકરી જળવાય એ માટે છોડી હતી.
‘નવલકથાકાર તરીકે મારી સ્પર્ધા એક માત્ર ગોવર્ધનરામ સાથે છે’ એવા, રઘુવીરના પ્રતીતિજનક લાગતા દાવાને ભોળાભાઈ પટેલ યાદ કરાવે છે. રઘુવીર એ જૂજ ગુજરાતી લેખકોમાં છે કે જેમણે નવલકથાઓમાં પંચોતેરની સાલની રાજકીય કટોકટી, અમદાવાદનો મિલઉદ્યોગ, અનામત આંદોલન, રથયાત્રાની સામાજિક સંકુલતા, વધતા જતા કોમી વૈમનસ્યના સંદર્ભમાં સોમનાથ મંદિરના ધ્વંસનો ઇતિહાસ, ભૂકંપ-વર્લ્ડ ટ્રેડ સેન્ટર-ગોધરાકાંડ જેવા બનાવોને આવરી લીધા હોય. ‘વતનની આત્મકથા’ એવી ‘ઉપરવાસ’ ત્રયી ઉપરાંત પાંચેક નવલકથાઓ વિસરાતાં જતાં ગ્રામ અને કૃષિજીવનની છે.
રઘુવીર માટે ગામ અને ખેતી જીવ છે. ‘વડવા મારા ખેતર થઈને જીવતા’ એવી જબરદસ્ત પંક્તિ એ લખે છે. અઠવાડિયું થયું નથી કે માણસા પાસેના બાપુપુરા ગામનું ટીંબાનું ખેતર સાંભર્યું નથી.
દર શનિવાર-રવિવાર ગામ જઈને ટૉલ્સ્ટૉય-ગાંધી ચીંધ્યા ઉત્પાદક શ્રમ તરીકે ખેતી કરે છે. ફૂટપાથ પર ઊભા રહેવાનો થાક ખેતરમાં કામ કરીને ઊતારે છે. સંખ્યાબંધ વૃક્ષો વાવે. [તેમના કારભાર હેઠળની સંસ્થાઓમાંની એક એવી ગ્રામભારતીમાં બસો પંચ્યાસી જાતનાં વૃક્ષો તેમણે વાવ્યાં છે.] મુનિકુમાર પંડ્યા નોંધે છે કે એક વાર સામાન્ય વાતચીતમાં રઘુવીર બોલી ઊઠેલા, ‘મારે આવતા જન્મમાં વૃક્ષ થવું છે.’ તેમને વૃક્ષોએ ધૂળ અને મૂળની દીક્ષા દીધી છે. [વડલા સહિત કેટલાં ય વૃક્ષો અને તેમની સાથેની વ્યક્તિ-સમષ્ટિ તેમના સર્જનમાં આવે છે. એ માને છે કે વૃક્ષ તૂટે છે મરતું નથી.] માટી અને આકાશ, કલમ અને કોદાળી, કીડી અને કુંજર, ગામ અને શહેર,પરંપરા અને પ્રતિભા, શ્રદ્ધા અને બુદ્ધિ, કળા અને વિજ્ઞાન, સાહિત્ય અને સમાજ વચ્ચે વાચકને સમજાય તેવી રીતે સુમેળ સાધવાની મથામણ રઘુવીરના લેખનમાં છે. તેમની શોધ છે માનવ સંસ્કૃિતને વેરણછેરણ કરનારા આ દિવસોમાં જીવનને તેમ જ સાહિત્યને ટકાવી રાખનારા મૂલ્યો અને તિલક કરવા જેવા માણસોની.
રઘુવીરનું નામ ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે અવિભાજ્ય રીતે સંકળાયેલું છે. સાહિત્ય પરિષદ ‘રઘુતાગ્રંથિથી પીડાય છે’ કે તેમાં ‘રઘુ કરે સો હોય’ એવું છે જેવી રમૂજો પછી પણ હકીકત એ રહે છે કે પરિષદ માટે તન-મન-ધનથી કામ કર્યું છે. [રમેશ પારેખ તેમની કવિતામાં લખે છે – ‘વહે આખી સાહિત્ય પરિષદનો /તો ય થાક જેવું નહીં, આઠે પહોર મોજ … અહીં અને પણે સદા ઘસાઈ છૂટે છે/ રઘુવીર ચંદનનું કાષ્ઠ –ક્યાં ખૂટે છે /’]
અધ્યયનગ્રંથ પરથી રઘુવીરના સર્જનનાં વ્યાપ, વૈવિધ્ય અને વૈશિષ્ટ્યનો બરાબર અંદાજ આવે છે. એ પણ જોવા મળે છે કે બહુ જ પ્રસ્તુત પદ્યકૃતિ ‘બચાવનામું’ (2011) વિશે તેની મહત્તાની સરખામણીએ બહુ ઓછું લખાયું છે. નવ સર્ગમાં લખાયેલ આ છાંદસ પ્રબંધકાવ્યમાં કવિ જળ-જંગલ-જમીન, વિસ્થાપન, નક્ષલવાદ, ગાંધીવિચાર, વિકાસના નામે વિનાશકારી નીતિઓનો અહિંસક પ્રતિકાર જેવી અનેક બાબતોને બહુ કલાત્મક રીતે સ્પર્શે છે. ‘દીનદલિતના પક્ષે રહેતો આતંકવાદ સર્વાશ્લેષી દૃષ્ટિથી વિચારવા વિવશ કરે છે’ એમ પણ લખે છે, જે અત્યારના ભાગ્યે જ કોઈ પ્રમુખ ગુજરાતી લેખકે લખ્યું હોય.
ત્રીસ વર્ષની કૃતિસાધનાનું આ ફળ રઘુવીરે ચુનીભાઈ વૈદ્ય અને કાન્તિભાઈ શાહને અર્પણ કર્યું છે. આ બંને ઉત્તુંગ કર્મશીલો છે.ચોરાણું વર્ષના ચુનીકાકાનો રાજ્ય સામેનો સંઘર્ષ ચાલતો જ રહે છે.
રાજ્યની ભૂમિકાની પ્રકટ સમીક્ષા (ક્રિટીક ઑફ ધ સ્ટેટ), જરૂર પડ્યે તેની સામેનો સંઘર્ષ, રઘુવીર માટે બહુ આદરણીય લેખકો દર્શક અને ઉમાશંકરમાં છે. મૂર્ધન્ય લેખક તરીકે રઘુવીર પાસેથી હંમેશાં એ અપેક્ષા રહી છે. તે ‘બચાવનામું’ માં ઊમેરાત તો કૃતિ વધુ તેજસ્વી બની હોત. જો કે અમૃતમહોત્સવે દિલીપ ઝવેરીની વાત યાદ રાખવા જેવી છે : ‘જે પંચોતેર પૂરાં કરે છે તે સો વર્ષથી ય ઝાઝું જીવશે અને એથી અધિક ટકશે.’
સૌજન્ય: 'કદર અને કિતાબ ', "નવગુજરાત સમય", 20 ઑગસ્ટ 2014
http://epaper.navgujaratsamay.com/details/1904-7099-1.html