‘कहते है कि प्यार अंधा होता है। यकिनन नहीं। ना कल था ना आज है।
प्यार नहीं, नफरत अंधी होती है।
अंधे तो वो है जो निर्दोष युवाओं को प्रेम की सजा देते है, पीडा देते है, अपमानित करते हैं, उनका बहिष्कार करते है, जिंदा जलाते है।
नफरत से घिरे वो लोग प्यार में उन्नत हों इस उम्मीद के साथ, …।
આ ચોટદાર શબ્દોથી, લવજિહાદના ઝનૂની માહોલમાં, ‘લોકનાદ’ના આ વર્ષના તારીખિયાની શરૂઆત થાય છે. કૅલેન્ડરનાં દર બે મહિનાનાં પાને પ્રેમ વિષય પર ભારતની ભાષાઓના ઐતિહાસિક કવિઓની પંક્તિઓ હિન્દી અને અંગ્રેજી અનુવાદ તેમ જ કર્તાઓના ટૂંકા પરિચય સાથે મૂકવામાં આવી છે. જેમ કે પહેલા બે મહિના માટે કબીર છે :
हमन हैं इश्क मस्ताना,
हमन को होशियारी क्या।
रहें आझाद या जग में,
हमन दुनियाँ से यारी क्या।।
અન્ય પાનાં પર છે પંજાબી કવિઓ બુલ્લે શાહ અને શાહ હુસેન, ગુજરાત-રાજસ્થાનનાં દાદુ દયાલ અને મીરાં, હિન્દી સહિત અનેક ભાષાઓમાં લખનાર રહીમ. આ પ્રકારનું અર્થપૂર્ણ અને સુરુચિસભર કૅલેન્ડર साँझी विरासत નામે ગયાં પંદર વર્ષથી બહાર પડે છે. તેમાં દર વર્ષે એક વિષય પસંદ કરવામાં આવે છે અને તેને લગતી કાવ્યપંક્તિઓ મૂકવામાં આવે છે. કવિઓ ભારતીય સંત કે સૂફી પરંપરાના હોય છે. અત્યાર સુધી શાંતિ,સાંસ્કૃિતક સમરસતા, જ્ઞાતિપ્રથા, માટી, પાણી અને હિંસા જેવા વિષયો પરનાં કૅલેન્ડર બન્યાં છે. આ વર્ષે જે કવિઓ છે તે ઉપરાંત પહેલાં અખો, તુકારામ, તુલસી, નરસિંહ, નાનક, બહિણાબાઈ જેવાં રચનાકારોનો સમાવેશ થઈ ચૂક્યો છે.
‘સાંઝી વિરાસત’ ગુજરાતના અનોખા લોકધર્મી કલાકાર તેમ જ સંશોધક ચારુલ અને વિનયના અનેક કામમાંનું એક છે. આ દંપતી સામાજિક નિસબત ધરાવતાં હૃદયસ્પર્શી મૌલિક ગીતોનો ‘ઇન્સાન હૈં હમ’ કાર્યક્રમ માટે સમાજકાર્યના ક્ષેત્રે જાણીતું છે. ગયા બે દાયકા દરમિયાન દેશભરનાં શહેરો અને અંતરિયાળ ગામોમાં તેની પાચસો જેટલી રજૂઆતોથી થઈ છે. વિનયે ડફલીના અને ચારુલે ઘૂંઘરુના તાલે ગાયેલાં ગીતોની આર્તતા હજારો દેશવાસીઓને ભાવવિભોર બનાવતી રહી છે. કાર્યક્રમમાં ઉત્કટતાપૂર્વક રજૂ થતાં દસેક ગીતો અદના આદમીને સમજાય તેવી અને સોંસરી ભાષામાં લખાયેલાં છે અને સહજ યાદ રહી જાય તેવી સ્વરરચના પામેલાં છે. ‘મંદિર મસ્જિદ ગિરજાઘરને બાંટ દિયા ભગવાન કો ….’ ગીત તો દેશના ‘સેક્યુલર ઍન્થેમ’ એટલે કે ‘બિનસાંપ્રદાયિકતાના રાષ્ટ્રગીત’ તરીકે જાણીતું થયું છે. તે ગુજરાતમાં 1985માં થયેલાં કોમી રમખાણોને પગલે લખાયું છે.
ત્યાર પછીનાં વર્ષોમાં વેદનાનાં અને સપનાનાં સુંદર ઊર્મિકાવ્યો સમાં ગીતો રચાતાં ગયાં, ‘લોકનાદ’ના ઉપક્રમે ગવાતાં રહ્યાં. ‘ઇન દિનોં …’ ગીતમાં સર્વત્ર ફેલાયેલી હિંસાની વાત છે. તેમાં એક પંક્તિ છે : ‘ચુપ રહેના હી હિંસા કી શુરૂઆત હૈ, કાતિલોં મેં ગિને જાનેકી બાત હૈ’. પૃથ્વી અને જિંદગીની સુંદરતાની વાત કરતાં ‘ઇન્સાન હૈં હમ …’ ગીતનો સંદેશ છે : ‘હિંદુ યા મુસલમાન, સિખ હૈં, ઈસાઈ હૈં યા પારસી હૈં હમ / પ્યાર સે એતબાર સે આજ સે કહે ઇન્સાન હૈં હમ …’ . ‘રબ્બા યાર’ ગીતમાં સહુને જોડતા,આવરી લેતા માણસાઈભર્યા પ્રેમનું ગાન છે. ‘આઓ લકીરેં મિટા દેં …’ રચના માણસોને લડાવતી-જલાવતી, લોકો પાસે દીવાલો ચણાવતી સરહદો વિશે છે. ‘જાનને કા હક’ ગીત માહિતી અધિકારની ચળવળમાં બધે ગવાય છે. તેમાંની એક પંક્તિ છે : ‘મેરે વોટોં કો યે જાનને કા હક રે / ક્યું એક દિન બડે બડે વાદે, ફિર પાંચ સાલ કામ નહીં.’ રોજગાર અધિકાર ચળવળ માટે 2005માં ‘હાથોં કો કામ’ ગીત લખાયું છે. આ ઉપરાંત વિનય-ચારુલના રચનાગુચ્છમાં બાળપણ અને બાળમજૂરી, શસ્ત્રવ્યાપાર અને વિશ્વશાંતિ, માનવનાં પ્રગતિ અને ગૌરવની વાત પણ ઝીલાય છે. દરેક ગીત પછીની કૉમેન્ટરીમાં જે તે સમયગાળાના બનાવો તેમ જ તેમની વંચિતવર્ગો પર પડતી અસર જેવા મુદ્દાઓને સમાવી લેવામાં આવે છે.
વિનય-ચારુલે ગુજરાતના માલધારી અને અગરિયાઓ પર કરેલું તલસ્પર્શી સમાજશાસ્ત્રીય સંશોધન માતબર પ્રકાશનોમાં પ્રસિદ્ધ થયું છે. તેના માટે તેઓ આ ઉપેક્ષિત સમુદાયો સાથે મહિનાઓ રહ્યાં અને માઈલો રખડ્યાં છે.વિનય મહાજન પંજાબમાંથી કૃષિ વિષયમાં એન્જિનિયર થયા પછી અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ(આઇ.આઇ.એમ.)માંથી અનુસ્નાતક થયા છે. તેમણે હાંસિયા બહારના લોકોના રોજીરોટીના સવાલો પર અભ્યાસ શરૂ કર્યો. સાથે તેમણે જુદી જુદી લોકચળવળો તેમ જ સંગઠનો માટે જળસિંચન, બાગાયત અને સજીવ ખેતીના પ્રોજેક્ટ કર્યા. તેમણે 1994માં લોકોના પ્રશ્નોને સમજવા માટે ગુજરાતના સાગરકિનારે 500 કિલોમિટરની સાઈકલ-યાત્રા કરી.
ચારુલ ભરવાડા મુંબઈમાં સ્થાપત્યશાસ્ત્રની પદવી મેળવ્યાં બાદ અમદાવાદના સેન્ટર ફૉર એનવાયર્નમેન્ટ ઍન્ડ પ્લાનિન્ગ ટેકનોલૉજી(સેપ્ટ)માંથી અનુસ્નાતક થયાં. કડિયાકામ કરતી મહિલાઓને બાંધકામની વૈકલ્પિક પદ્ધતિઓની તાલીમ આપવાની શરૂઆત કરી. પછી તેમણે વંચિત સમૂહોનાં વિસ્થાપન, પાણી અને ઝૂંપડપટ્ટીઓનાં પુનર્વસનનો અભ્યાસ શરૂ કર્યો. ચારુલ અને વિનય કૉર્પોરેટ કે ઉદ્યોગ ક્ષેત્રે દર વર્ષે લાખો રૂપિયાનાં પૅકેજ મેળવી શક્યાં હોત. છેવાડાના લોકો અંગેના સંશોધનના અનુભવો આ કલાકારોને ગીતરચનાઓ માટે સામગ્રી તેમ જ કાર્યક્રમને અનોખી સચ્ચાઈ આપે છે. દેશભરના શ્રમજીવીઓ, કાર્યકરો તેમ જ નિસબત ધરાવતા નાગરિકોએ આ ગીતોને હોંશભેર અપનાવ્યાં છે, હજારો કૅસેટ અને સી.ડી. લોકોએ વસાવી છે. તેમાં વિનય-ચારુલને તેમનાં કામની મોટામાં મોટી કદર જણાય છે.
પચાસે પહોંચેલા વિનય અને છેંતાળીસ વર્ષનાં ચારુલનાં કાર્યક્રમો ચાલુ છે. સાથે શ્રમજીવીઓ, ખોવાયેલાં સંતાનો, બંધારણના આમુખના સાર જેવા વિષયોને લગતાં ગીતોનાં એક નવા આલ્બમની તૈયારી છે. તેનું લોકાર્પણ પંદરમી માર્ચે દાંડીયાત્રાની જયંતીએ ‘લોકનાદ’એ ભારતના સંવિધાન વિશે યોજેલી ત્રણ દિવસની યુવાશિબિરના છેલ્લા દિવસે થશે.
[08 ફેબ્રુઆરી 2015]
+++++
સૌજન્ય : કદર અને કિતાબ’ નામે લેખકની કટાર, “નવગુજરાત સમય”, 13 ફેબ્રુઆરી 2015