ખાડે ગયેલી શિક્ષણપદ્ધતિ સુધારવાનો સમય
શિક્ષણની ક્ષમતા વૈચારિક ક્ષેત્રે છે, નૈતિક કે આર્થિક ક્ષેત્રે નહીં. નવા વિચારોને અમલમાં મૂકવાનું કામ તેનું નથી
આને કોઈ જ્યારે પત્રકાર કે કર્મશીલ કહે છે ત્યારે હું કહું છું કે હું શિક્ષક છું અને તેમ હોવાનું મને ગૌરવ છે. જો હું ઊંઝા જોડણીને અનુસર્યો હોત તો આજે હું દીન એટલે કે ગરીબડો કે બાપડો હોત. મોક્ષ કહેતા મુક્તિના ત્રણ માર્ગો છે – જ્ઞાન, કર્મ અને ભક્તિ. શિક્ષક જ્ઞાન માર્ગનો ઉપાસક છે. પરંતુ જ્ઞાન માર્ગ એ સ્વૈચ્છાએ વહોરેલી ગરીબીનો -સુદામાનો માર્ગ છે. અલબત્ત, કેટલાક શિક્ષકોને આ માર્ગ પસંદ ન પડતા તેઓ ધંધો બદલી કાઢી રાજકારણ કે અર્થકારણમાં જાય છે. પરંતુ કોઈ રાજકારણી કે ધંધાદારીને શિક્ષક બનવાનું સૂઝયું નથી. એટલે બ્રેડની કઈ બાજુ બટર છે તે સ્પષ્ટ છે.
એક શિક્ષકને પૈસાદાર થવાનું મન થયું. તેણે પોતાના સાથીદારને કહ્યું, 'જો હું મુકેશ અંબાણી બની જાઉં તો મુકેશ અંબાણી કરતાં વધુ પૈસાદાર બનું.’ સાથીએ પૂછ્યું, 'તે કઈ રીતે?’ શિક્ષકે જવાબ આપ્યો, 'પછી ટયૂશનની વધારાની કમાણી તો ચાલુ જ રહે ને’ ખેર, હળવી વાત જવા દઈએ. આજે શિક્ષક દિન. આપણા બીજા રાષ્ટ્રપતિ ડો. રાધાકૃષ્ણનનો જન્મ દિવસ. અન્ય રીતે ઉજવણીને બદલે તેમના સૂચન મુજબ જ આ દિવસને શિક્ષક દિન તરીકે ઉજવવાની પ્રથા આપણા દેશમાં ૧૯૬૨થી શરૂ થઈ. આ દિવસને બીજી રીતે સ્વયં શિક્ષણ દિન તરીકે પણ ઉજવાય છે. આ દિવસે કેટલાક વિદ્યાર્થીઓ શિક્ષકની ભૂમિકા ભજવી પોતાના વર્ગ મિત્રોને જ શિક્ષણના પાઠો આપવાનું કામ કરે છે.
આમાંથી કદાચ ભવિષ્યના શિક્ષકનું ઘડતર થાય છે. આ દિવસ અન્ય રીતે પણ દેશમાં ઉજવાય છે, જેમાં શિક્ષક સન્માન, ગુરુ વંદના (અલબત્ત ભારતીય પ્રણાલી મુજબ ગુરુ પૂર્ણિમા અલગ છે), વકતૃત્વ સ્પર્ધા (કોણ ચડે – કલમ કે તલવાર?), કાર્ડ અને પોસ્ટર સ્પર્ધા, શ્રેષ્ઠ શિક્ષક એર્વોડ મહાનુભાવોના પ્રવચનો વગેરે અનેક રીતે શિક્ષકોનું સન્માન થશે. પરંતુ વાસ્તવમાં આપણો સમાજ શિક્ષકને કેટલું માન આપે છે તે નીચેના પ્રસંગથી તાદ્રશ્ય થાય છે.
એક તાલુકા મથકે કેળવણી નિરીક્ષક, જમાદાર તથા કલેકટર કચેરીના ચીટનીસ પહોંચી ગયા. નિયમ મુજબ નિરીક્ષક સિનિયર ગણાય. ગેસ્ટ હાઉસમાં બે કમરા હતા. ચોકીદારે ચિટનીસને એક કમરો આપ્યો, જમાદારને બીજો કમરો આપ્યો અને કેળવણી નિરીક્ષકને કહ્યું, 'માસ્તર, તમે તો નિશાળમાં સૂઈ રહેશો ને?’ આ તો એક માત્ર દાખલો છે, પરંતુ ગામમાં કોઈ મહાનુભાવ આવે ત્યારે શિક્ષકે શાળાના વિદ્યાર્થીઓને લઈને જવું પડે નહીં તો સંખ્યા ન થાય. કોઈ પણ ખાતાના કોઈ પણ કાર્યક્રમમાં બંદોબસ્તનું કામ શાળાના શિક્ષકે કરવાનું હોય. કુટુંબ નિયોજનના કેમ્પમાં લોકોને લાવવાનું કામ શિક્ષકે કરવાનું હોય. શિક્ષકને શિક્ષણ સિવાય અન્ય કામો ન સોંપવાનો હુકમ હોવા છતાં આવું બને છે.
આ વાત ત્યાં સુધી લંબાય છે કે આપણા એક સનદી અધિકારીએ કોલેજના વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે અધ્યાપકોને વહીવટના કામો સોંપ્યા હતા. શિક્ષકો બાપડા ખરા કે આવા કામોમાંથી પણ આનંદ પ્રાપ્ત કરતા. એક બાજુ શિક્ષકનું આ વાસ્તવિક સ્થાન અને બીજી બાજુ આપણી શિક્ષણ વ્યવસ્થા અને શિક્ષક પાસેની ઉચ્ચ અપેક્ષા -બેનો મેળ કઈ રીતે પડે? શિક્ષણના દાર્શનિકો કહે છે કે રાજકારણ અને અર્થકારણ શિક્ષણને વધુ અસર કરે છે, જ્યારે તે બંને વ્યવસ્થાઓને અસર કરવાની શિક્ષણની ક્ષમતા મર્યાદિત છે.
શિક્ષણની ક્ષમતા માત્ર વૈચારિક ક્ષેત્રે છે, નૈતિક કે આર્થિક ક્ષેત્રે નથી. શિક્ષણ નવા વિચારો આપી શકે, સંશોધનો કરી શકે, પરંતુ આ નવા વિચારોને અમલમાં મૂકવાનું કામ શિક્ષણનું નથી. શિક્ષણ વિદ્યાર્થીનું ચારિત્ર્ય ઘડતર કરી શકે, પરંતુ જો રાજકારણ અને અર્થકારણ જુદા મૂલ્યો પર ચાલતા હોય તો આ ચારિત્ર્ય ઘડતરની અસર માર્યાદિત બની જાય છે. પરંતુ શિક્ષણ દ્વારા અપાતા વિચારો જો ઉચ્ચ કક્ષાના હશે તો તે અર્થકારણ અને રાજકારણને અસર કરી શકશે. આ અર્થમાં શિક્ષણ અને શિક્ષક સ્વાયત્ત છે.
જો વાસ્તવમાં શિક્ષણ અને શિક્ષકને સક્ષમ બનાવવા હોય તો રાજકારણ કે અર્થકારણ પાસે જે સત્તા છે એટલી સત્તા શિક્ષણને આપવી પડે. ઉદારીકરણના આ યુગમાં શિક્ષણ અંગેના નિર્ણયો રાજકારણ કે અર્થકારણ ન લે પરંતુ જો શિક્ષણના જ લોકો લે તો શિક્ષણ વાસ્તવમાં સ્વાયત્ત બને. બાકી જો દિવસ ઉજવવાની વાત હોય તો દરેક દેશ શિક્ષક દિન ઉજવે છે, આંતરરાષ્ટ્રીય શિક્ષક દિન પ ઓક્ટોબરે આવે છે. પરંતુ આવી ઉજવણીથી કોઈ ફર્ક પડતો નથી. યુનો દ્વારા એક વર્ષમાં કુલ ૧૮૨ દિવસો ઉજવાય છે, આ જગતમાં ૩૬પમાંથી ૨૦પ દિવસો ઉજવાય છે.
દા.ત. ૧ મેના દિવસે આંતરરાષ્ટ્રીય શ્રમિક દિન ઉજવાય છે, પરંતુ શ્રમિક કાનૂનો તો નબળા જ પડતા જાય છે. એટલે માત્ર સમારંભ ઉજવવાને બદલે વાસ્તવમાં શિક્ષણની સ્થિતિ સુધારવાનો પ્રયાસ વધુ સારું પરિણામ આપશે.
(સૌજન્ય : ‘ઘડતર’ નામે લેખકની કટાર, “દિવ્ય ભાસ્કર”, 05 સપ્ટેમ્બર 2014)