જય શ્રીકૃષ્ણ!
આજકાલ શ્રાવણ મહિનો ચાલે છે. કૃષ્ણના નામે ઉપદેશ આપવાની સીઝન!!
મને થયું હું કેમ રહી જાઉં, ઉપદેશ આપ્યા વગર? હવે આજે નોમ તો થઈ! માત્ર પાંચ-છ દિવસ બાકી રહ્યા શ્રાવણ ને પૂરો થવામાં. આવી તક છેક હવે વરસ પછી આવશે.
મને પણ બધા જ્ઞાનીમાં ગણે. મને પણ ફોરવર્ડ કરે. મને લાઈક કરે, તેથી થયું આ પ્લેટફોર્મ સારું છે. બધા મિત્રો જ છે. એટલે વાહ વાહ થશે અને નામ થશે! કહ્યું જ છે ને કે અહં બ્રહ્માસ્મિ ! હું જ બ્રહ્મ છું તો પછી બતાવી દઉં મારું જ્ઞાન આજે.
તો ચાલો, હું પણ કૃષ્ણ-જ્ઞાનીઓ શાહ સાહેબ, વસાવડા સાહેબ, ત્રિવેદી સાહેબ, વૈદ સાહેબ અને પેલા જોશી સાહેબની કોમ્પિટિશન કરું. સહેજ કોપી પણ કરું. ઓશોની થાય છે જ ને?
આ તો ભાઈ શ્રાવણ મહિનો છે! જે ફરાળી હોય તે બધું જ ચાલે!
લ્યો શરૂ કરું મારું લોક-ઉદ્ધારક જ્ઞાન પ્રવચન?
આ સાંભળ્યા પછી હવે તમે જ કહેશો કે “વિજયભાઈ, આ મોંઘા અને વ્યસ્ત સેલિબ્રિટી વક્તાઓને ફર્સ્ટ ક્લાસની ટિકિટ આપી અને બોલાવીએ તેને બદલે તમે એમ જ કરો ને …. તમે તો યુ.એસ.એ.માં જ છો તેથી તમને પોષાય. તમારી જાતે જ તમારી ટિકિટ લઇ ને આવી જાવ અમારા શહેરમાં. અમારામાંથી કોઈ એકના ઘરે પોતાનું સમજીને જ રહેજો, એર-બી-એન-બી કે હોટલમાં રહેવાની જરૂર નથી. અમારા ઘરે શુદ્ધ ગુજરાતી ભોજન અને સાંજે અમારી ક્લબમાં તમારું ભાષણ. ભાષણ પછી તાળીઓ અને ફોટા પડાવીશું. બીજે દિવસે તમને થોડું અમારા શહેરની આજુબાજુ ફેરવીશું. વળી લોકલ ન્યૂઝપેપર, ઇન્ડિયન ટી.વી., ઇન્ડિયન ન્યૂઝપેપર વગેરે જો છાપશે તો તમને એક્સપોઝર પણ મળશે. બીજે કોઈ ફરીથી તમને બોલાવશે, તે નફામાં!"
આમ લ્યો પ્રસ્તાવ મેં જ આપ્યો. આપજો આમન્ત્રણ મને.
ચાલો હવે મારી કૃષ્ણસભર, કૃષ્ણથી તરબોળ, કૃષ્ણ-પ્રેરિત વિદ્વતાનું પ્રદર્શન કરું. આ લ્યો કરું શરૂ? પણ હા એક રાધા-કૃષ્ણનો ફોટો પણ મૂકજો મારી પાછળ. હં! વળી હું તો હીંચકા ઉપર બેસીને જ બોલીશ, જેથી વીડિયો સારો લાગે. બાજુમાં સરસ કૃષ્ણની મૂર્તિ, સાથે એક મોર પીંછનો ફોટો રાખજો. પાછળ મોટા સાહિત્યિક વડીલોના ફોટા અને પેલા એવોર્ડ્સનું કાચનું કબાટ પણ સરસ લાગશે, કેમ?
ઓકે! તો આઈ એમ રેડી!
રમેશ, કેમેરા બરોબર સેટ કર આઈ-ફોન નો. અને હા, પેલો મારા ઝભ્ભા પરનો પિતામ્બર કલરનો ખેસ લાવો ને. સાહિત્ય કે સંગીતના કાર્યક્રમમાં ગાયકો અને સંચાલકો હંમેશાં સરસ અને પ્રસંગને અનુરૂપ ખેસ પહેરે છે એવો જ!
વળી, પેલા બીજા ભાઈ તો હવે કાનમાં નાનું કુંડળ પણ પહેરે છે. અને નાની ચોટલી પણ સરસ રાખે છે, પણ મારી પત્ની મને એ નહીં કરવા દે. જવા દો!
હા, તો આપણે ક્યાં હતા? હા, આઈફોનનો કેમેરા .. – હા એક જ સ્ટેન્ડ પર ના મુકીશ, રમેશ. થોડો આમ તેમ ફેરવજે. મારો ક્લોસ અપ પણ લેવાય ને. અને જો પિચ્ચર ઈન પિચ્ચર હોય તો તો કૃષ્ણનો ફોટો હંમેશાં મારા ચહેરાની ઉપરની બાજુ આવે એમ ગોઠવજે.
લ્યો, આ ખેસ પણ આવી ગયો! હવે શ્રીમતીજી એક કપ ચા આપે એટલે મારું ઐતિહાસિક ઉપદેશાત્મક કૃષ્ણ-સમર્પિત જ્ઞાન હું ઉચરીશ!
અરે એક વાત તો રહી ગયી, આ યુટ્યૂબ ઉપર મુકાશે ને? વધારે લોકોને લાભ મળે ને! બિચારાઓનું ભલું થાય એમ જ મારો ઉદ્દેશ છે!
ચાલો હવે શરૂ કરું? ઓકે! સાઇલન્સ, કેમેરા, એક્શન!
કૃષ્ણ એટલે કૃષ્ણ ! જે રાધા સમું કૃષ્ણમય તે બધું જ કૃષ્ણ ! હું, મારું અસ્તિત્વ, મારું હોવાપણું, મારાં શ્વાસ, મારું જીવન એટલે કૃષ્ણ જ! હું જે પાણી પીવું છું તેને હું જમનાનું જળ ગણું .બસ તમે પણ ધારો કે તમે રાધા છો, તમે ગોવાળ છો, તમે ગોપી છો … પછી કૃષ્ણ આપોઆપ તમારી સમક્ષ પ્રગટ થશે.
કટ! એ રમેશ, તું યાર કેમેરા ક્યારેનો ખાલી પકડી ને ઊભો છે, થોડો ક્લોસપ લે. મારા એક્સપ્રેશન આવે. આગળ ચાલવું? હા, ઓકે.
એક વાર તમે કૃષ્ણમય થયા પછી તમને સર્વત્ર વાંસળી જ સંભળાશે. બધે જ કૃષ્ણ સાથે રાસલીલા કરશો, અરે, હશો વઢવાણમાં પણ વૃંદાવનમાં છો એમ જ લાગશે! રણ લીલાં છમ લાગશે, વિચારોમાં વૃંદાવન આવશે, ગીતમાંથી ગોકુળ ગૂંજશે, ભૂલકાંઓનાં વાળમાં મોરપીંછ દેખાશે, અરે તમને તમારા પટાવાળા મગન ભાઈમાં માધવના દર્શન થશે! બધું જ કૃષ્ણપૂર્વક થશે.
તમને પેલા ગુજરાતી કવિઓ શ્રી સુરેશ દલાલ, પ્રિયકાન્ત મણિયાર થી માંડી ને આજકાલના બધા જ કવિઓના કૃષ્ણગીતો આત્મસાત થશે. પછી તો તમે પોતે જ રાધા અને તમે જ પોતે કૃષ્ણ એવી કૃષ્ણસભર લાગણી તદ્દન સહજ! દ્વૈત અને અદ્વૈત બધું જ તમારામાં ! જરા પ્રયત્ન તો કરો, મિત્રો, કૃષ્ણ તમને ગેંડીદડો રમવા બોલાવે છે … તમે ક્રિકેટનું બેટ લઇને ન જાવ પણ હૃદય નો દડો કૃષ્ણને ધારો!
પત્ની બોલી:
“કટ! .. કટ !.. કહું છું, ખરાબ ન લગાડતા, પણ મારે તો સાચું કહેવું જ પડે, નહીં તો બહારના લોકો હસશે.
તમારી એક પણ વાતમાં મને જરા પણ સમજણ ના પડી. વળી એમ થયું કે મારે ખરેખર કરવાનું શું? કેવી રીતે કૃષ્ણમય થવાય? કૃષ્ણપ્રેરિત એટલે? કૃષ્ણપૂર્વક એટલે શું? કૃષ્ણ સમર્પિત એટલે? મને તો મારાં ફુઆ કૃષ્ણકાન્ત ફુઆ જ યાદ આવ્યા. બધું જ ઉપરથી ગયું, પણ એમ લાગ્યું તમે બહુ સરસ શબ્દો બોલ્યા, પણ અર્થ કૈં જ ના સમજાયો. મારે કરવા નું શું? સમજવાનું શું? "
અરે ગાંડી! યાર! એ જ તો મઝા છે આ કૃષ્ણ-ફરાળી વાતોની! આ તો માત્ર વાણી વિલાસ છે.
કશો મતલબ કે સમજણની વાત હોત તો હું ભૂગોળ ઉપર ભાષણ ન કરત?
આ તો કૃષ્ણની વાત છે કૃષ્ણની. કહેવાતા જ્ઞાનીઓ એને અઘરી કરી કરીને આ રોતે લોકોને સમજાવ્યા કરે છે, પણ તેમાં સમજવાનું કે કરવાનું કશું હોતું જ નથી. કૃષ્ણની વાતોના રૂપકો અને શબ્દોનાં ગતકડાં, વિરોધાભાસવાળા શબ્દો એક બીજાની બાજુમાં મુકીએ એટલે કૈંક નવું, ન સમજણ પડે તેવું લાગે તેથી જે લોકો પોતાને ઇન્ટેલેક્ટયુઅલ ગણતા હોય તેમને થાય કે સાલી સમજણ નથી પડતી પણ કૈંકે સારું જ હોય તેમ લાગે છે, માટે હશે જ, અને આપણને ગમે છે એમ કહો. એટલે લોકો પણ ખુશ અને જ્ઞાનીઓ પોતે પણ ખુશ કે 'કેવી આધ્યાત્મિક, સાહિત્યિક અને કલાત્મક રજૂઆત! બતાવી આપ્યું કે જ્ઞાની છીએ! અધ્યાત્મનાં નામે મનોરંજન.
થોડી લાઈક મળે, થોડી વાહ વાહની કૉમેન્ટ્સ મળે, થોડા અંગત મિત્રો, કે જેમને મેં પહેલાં નવાજ્યા હોય, તેઓ થોડું સરસ લખે મારા માટે … એટલે આપણું કામ પત્યું! અહો રૂપમ્મ્ અહો ધ્વનિ!
મને આવડી ગયું છે હવે. દરેક વાર-તહેવાર અને ઉત્સવ આવે એટલે મોટી મોટી આદ્યાત્મિક વાત કરીને લોકોને આંજી નાંખીશ મારાં વાણીવિલાસથી. હિન્દુસ્તાનમાં કેટલા બધા બાવાઓ, એક્ટરો, સેલીબ્રીટીસ અને એન્ટરટ્રેનર છે? સાલું .. બધાનું ચાલે છે! તો મારું પણ ચાલશે!
કૃષ્ણના નામની બધી જ ફરાળી વાતો ચાલે, ભલે પચે નહીં!
જય શ્રીકૃષ્ણ!
e.mail : vijaybhatt01@gmail.com