“‘ગાંધીવાદ’ જો કોઈ ક્ષતિના પાયા પર ઊભો હોય તો એ ભલે નષ્ટ થઈ જાય. સત્ય અને અહિંસા કદી નષ્ટ નહીં થાય; પરંતુ જો ‘ગાંધીવાદ’ એ જો સાંપ્રદાયિકતાનું બીજું નામ હોય તો એ નાશ કરવાને પાત્ર છે. જો મારા મૃત્યુ બાદ મને જાણ થાય કે હું જે માન્યતાઓ ધરાવતો હતો તેનું સાંપ્રદાયિકતામાં અધઃપતન થઈ ગયું તો મને અત્યંત ખેદ થશે.”
− એમ.કે. ગાંધી
‘હરિજન’, માર્ચ 2, 1940
વિકિપીડિયામાં સાંપ્રદાયિકતાની વ્યાખ્યા આ મુજબ કરવામાં આવી છે : “… સમાજના બે જૂથો વચ્ચે રાજકીય અથવા સાંસ્કૃતિક ઘર્ષણ કે જે મહદ્દ અંશે તેઓ જે પ્રકારની સરકાર હેઠળ જીવતા હોય છે તેની સાથે સંબંધ ધરાવતું હોય છે.” કોઈ સંગઠનના સંદર્ભમાં એવો અર્થ હોઈ શકે કે કેવા વિચારો ધરાવતી વ્યક્તિ કે સમૂહ તેની આગેવાની કરતા હોય અને તેમાં અંદરોઅંદર કેવી પક્ષાપક્ષીની અથડામણ હોય તેના પર સાંપ્રદાયિકતાનો આધાર રહે.
બાપુએ ઘણાં સંગઠનો અને સંસ્થાઓની સ્થાપના કરેલી, અને તેમના આદર્શોના ઘણા પાસાઓ તેમાં પાંગર્યા અને અમલમાં મુકાયેલા. બાપુએ ડર્બન – દક્ષિણ આફિકાની કોલોની નતાલ નજીક તેમના સૌ પ્રથમ ફિનિક્સ આશ્રમની સ્થાપના કરી તેમાંથી આ બધાંની શરૂઆત થઇ. આ સ્થળે તેમના ટકાઉ, સ્વાશ્રયી, કરકસર ભર્યા અને સાદું સમૂહ જીવન જીવવાના વિચારો વિકસ્યા અને પોતાની અસહકારની પદ્ધતિને આખરી ઓપ આપ્યો. સત્યાગ્રહની વિભાવનાનો જન્મ અહીં થયો. આ એ જ સ્થળ છે જ્યાં તેમણે જે સમાજ માટે તેઓ કાર્ય કરી રહ્યા હતા, તેની સાથે સંવાદ રચવા પ્રથમ સાપ્તાહિક ‘ઇન્ડિયન ઓપિનિયન’નું સંપાદન અને પ્રકાશન શરૂ કર્યું.
થોડા સમય બાદ જોહાનિસબર્ગ પાસે તેમના મિત્ર હર્મન કેલનબેકની માલિકીની જમીન પર એક કામચલાઉ આશ્રમની સ્થાપના કરી. એ વિશેષ કરીને સત્યાગ્રહની છાવણી હતી, તેથી સત્યાગ્રહ પૂરો થવાથી તેનું વિસર્જન કરવામાં આવેલું.
જ્યારે કસ્તૂરબા અને બાપુ 1914માં દક્ષિણ આફ્રિકા છોડીને ભારત આવવા રવાનાં થયાં ત્યારે તેમનો પ્રથમ આશ્રમ કે જે ફિનિક્સ આશ્રમ તરીકે ઓળખાય છે તે ચાલુ રહ્યો અને એ સમુદાયના લોકો ત્યાં રહીને કાર્યરત રહ્યા. આશ્રમનું સંચાલન કરવા અને તેમાં રહેનારા આશ્રમવાસીઓ માટે વહીવટ પૂરો પાડવા માટે વ્યક્તિની નિમણૂંક કરવામાં તથા ‘ઇન્ડિયન ઓપિનિયન’નું સંપાદન કરીને છાપવાની જવાબદારી સંભાળી શકે તેવા લોકોની નિયુક્તિ કરવાના પ્રયાસોમાં નિષ્ફળ ગયા પછી બાપુએ પોતાના પુત્ર રામદાસ અને બાદમાં મારા દાદાજી મણિલાલને એ તમામ વહીવટ કરવા મોકલ્યા. મણિલાલ તેમનાં પત્ની સુશીલાને સાથે લઇ ગયા અને તેમના ત્રણ સંતાનોનો જન્મ અને ઉછેર ત્યાં થયો. મણિલાલે ફિનિક્સ અને ‘ઇન્ડિયન ઓપિનિયન’નું સંચાલન 1955માં અંતિમ શ્વાસ લીધા ત્યાં સુધી સંભાળ્યું. ત્યાર બાદ તેમનાં પત્ની, મારાં દાદીજી સુશીલાએ ફિનિક્સનો વહીવટ સંભાળ્યો અને ‘ઇન્ડિયન ઓપિનિયન’નું પ્રકાશન પાંચ વર્ષ સુધી ચાલુ રાખ્યું.
ફિનિક્સ એક ટ્રસ્ટના નેજા હેઠળ કાર્યરત રહેતું, પરંતુ મણિલાલ અને સુશીલા કાયમ તેના સુકાની રહ્યાં. તેઓએ એ કાર્ય અગાધ પ્રેમ અને નિષ્ઠાથી કર્યું. જ્યારે રંગભેદની નીતિ અનુસરતા રાજ્યતંત્રએ જાતીય રમખાણોને પ્રોત્સાહન આપ્યું અને આશ્રમનો કબજો લઈને ખેદાનમેદાન કરી નાખ્યો, ત્યારે મારાં દાદીજી ભારતમાં હતાં. તે વખતે મારાં દાદીજીએ જીવન જીવવાની આશા છોડી દીધી તેનો હું સાક્ષી બન્યો, તેમની આંખોનું નૂર ઉડી ગયું. થોડા સમય પછી ફિનિક્સનો કેટલોક ભાગ ફરી બાંધવામાં આવ્યો, પરંતુ ત્યારે મારાં દાદીજી આ દુનિયા છોડી ગયેલાં.
પહેલાં મારાં ફોઈ ઇલાબહેનના પતિ મેવાલાલે ટ્રસ્ટની આગેવાની સંભાળી, અને ત્યાર બાદ ખુદ ઇલાબહેને સુકાન સંભાળ્યું. આજે અન્ય ટ્રસ્ટીઓ સાથે મળીને તેઓ હાલમાં ઘણો નાનો રહ્યો છે તેવા આશ્રમમાં તેની આસપાસના ખૂબ ગરીબ લોકોના લાભાર્થે અદ્દભુત કાર્યો કરી રહ્યાં છે.
બાપુએ ખરીદેલી મોટા ભાગની જમીન અમે ગુમાવી, પરંતુ એ સંસ્થા ટકી રહી છે, અને પૂરેપૂરી કાર્યરત છે. ત્યાં કોઈ પ્રકારની લડાઈ નથી, કોઈ સ્પર્ધા નથી, કે ફિનિક્સમાં કોઈ સંપ્રદાયિક વલણ અસ્તિત્વ નથી ધરાવતું.
સંસ્થાઓનો વારસો
ભારત પરત થયા બાદ બાપુએ અમદાવાદ ખાતે કોચરબમાં એક ભાડાના બંગલામાં પ્રથમ આશ્રમ સ્થાપ્યો, જ્યાં ફિનિક્સથી પોતાની સાથે આવેલા સાથીઓ અને અને અન્ય જેઓ તેમની જીવન રીતિ સાથે સહમત થયા તેમની એક વસાહત ઊભી કરી. તેમના પરિવારના કેટલાક સભ્યો પણ તેમાં જોડાયા. જ્યારે તેઓએ અછૂત ગણાતા પરિવારને આશ્રમમાં દાખલ કર્યા ત્યારે મુશ્કેલી ઊભી થઈ, આશ્રમમાં ઘણા લોકોએ બળવો પણ કર્યો. તેઓને પાસ પાડોશીઓ તરફથી બહિષ્કાર પણ સહેવો પડ્યો.
બાપુને અહેસાસ થયો કે તેઓ શહેરમાં રહીને પોતાના સર્વેને સમાવીને કરુણા ભર્યા જીવન જીવવાના પ્રયોગો નહીં કરી શકે; તેથી તેમણે શહેરની સામી બાજુએ સાબરમતીને કાંઠે જમીન ખરીદી. અહીં તેમણે સાબરમતી આશ્રમની સ્થાપના કરી. જુદા જુદા તબક્કે એ વિવિધ નામથી ઓળખાતો : હરિજન આશ્રમ, સત્યાગ્રહ આશ્રમ, અને હવે ગાંધી આશ્રમ. બાપુએ તેના વહીવટ માટે એક ટ્રસ્ટ બનાવ્યું અને અહીંથી જ તેમણે ‘નવજીવન’ની શરૂઆત કરી, કે જે મૂળથી એક સામાયિક હતું, પરંતુ સમય જતાં પ્રકાશન કેન્દ્ર બન્યું જેમાં બાપુ લેખો લખતા. તેમણે ગ્રામસેવકો અને સત્યાગ્રહીઓને તાલીમ આપવા માટે રાષ્ટ્રીય શિક્ષણ આપતી ગૂજરાત વિદ્યાપીઠની પણ સ્થાપના કરી. ઉપરાંત આશ્રમ અને તેની આસપાસ રહેતા લોકોનાં સંતાનો માટે પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણની શાળાઓ પણ સ્થાપી. તેમણે એ શાળાઓમાં અછૂતોને પણ પ્રવેશ આપ્યો, ફરી બહિષ્કારનો સામનો કરવો પડ્યો, પણ તેઓએ મચક ન આપી.
આમાંની મોટા ભાગની સંસ્થાઓ બચવા પામી છે. બાપુ 1930માં ઐતિહાસિક દાંડી માર્ચ સમયે ભારતની પ્રજા માટે સ્વતંત્રતા લીધા વિના પાછો નહીં આવું, એવી પ્રતિજ્ઞા લઈને આશ્રમ છોડી ગયા, ત્યાર બાદ પણ સાબરમતી આશ્રમ ચાલુ રહ્યો.
અમદાવાદમાં બાપુએ ભારતના સૌ પ્રથમ મજદૂર સંઘ મજૂર મહાજનની પણ સ્થાપના કરી, જે પ્રારંભે તો કાપડ ઉદ્યોગના મજૂરો માટે હતી, પણ પછી બધા કામદારોનું પ્રતિનિધિત્વ કરનાર બન્યું. હજુ તેની હસ્તી છે ખરી, પણ તે હવે કાર્યરત નથી. એક ટ્રસ્ટ એ જાહેર સંસ્થાની અસ્કયામતોની માત્ર એક રખેવાળ તરીકે જાળવણી કરે છે.
સાબરમતી આશ્રમ છોડ્યા બાદ બાપુએ વર્ધામાં પોતાના આદર્શોના મૂર્તિમંત સ્વરૂપ સમું તેમનું અને બાનું છેલ્લું ઘર બનાવ્યું. બાપુએ એમના સ્વપ્નનું ગ્રામ સ્વરાજ કે જે સ્વ નિર્ભર, સ્વાશ્રયી, અને ઉત્પાદક ઉદ્યોગો ધરાવતા ગામડાંઓનું બનેલું હોય એવા સેવાગ્રામ આશ્રમની સ્થાપના કરતા પહેલાં ઘણા વર્ષો બ્રિટિશ રાજના કેદી તરીકે જેલમાં વિતાવ્યા. તેમના પાયાની કેળવણી, બુનિયાદી તાલીમ અથવા નઈ તાલીમના વિચારો આ સ્થળે આકાર પામ્યા અને વિશિષ્ટ કાર્યો કરતાં સંલગ્ન આશ્રમોની પણ અહીંથી શરૂઆત થઇ. તેમણે રાષ્ટ્રભાષા પ્રચાર, હરિજન સેવક સંઘ અને સર્વ સેવા સંઘનાં પણ અહીં જ મંડાણ કર્યાં.
આંતરિક સડો
વર્તમાન સમયમાં બાપુ દ્વારા સ્થપાયેલી સંસ્થાઓની જે હાલત છે તે જોતા એ સંસ્થાઓનો ઇતિહાસ હું ભારે હૃદય અને અત્યંત નિરાશાની લાગણીથી લખી રહ્યો છું.
બાપુ સાબરમતી આશ્રમ છોડીને ગયા ત્યાર બાદ પણ સક્રિય રીતે ચાલતો રહ્યો. 1930 પછી અલગ અલગ સંસ્થાઓ સ્થપાઈ અને આશ્રમની જવાબદારી જુદા જુદા સમયે તે સંસ્થાઓને સોંપાતી રહી; પરિણામે એ સમગ્ર આશ્રમના ખરા રખેવાળ કોણ હતા એ વિષે અસ્પષ્ટતા રહી. બાપુએ એ આશ્રમ હરિજન સેવક સંઘને સોંપી દીધેલો અને તેઓ જ તેના કાયદેસરના રખેવાળ રહેવા જોઈતા હતા. પરંતુ હરિજન સેવક સંઘ તો અસ્તવ્યસ્ત થઇ ગયો છે, તેમાં તડાં પડ્યાં, મોટા ભાગના પક્ષો નિષ્ક્રિય થઈ ગયા, અથવા અંદરોઅંદર લડવા લાગ્યા. હાલની સરકારે આનો લાભ લીધો અને સાબરમતી આશ્રમનો કબજો લઇ લેવાની અણી પર છે. ટ્રસ્ટ અને ટ્રસ્ટીઓ એક્ય સાધવા અને સરકારી હસ્તક્ષેપનો સામનો કરવા જેવી બાબતો પર તકરાર કરવામાં વ્યસ્ત છે.
નવજીવન જ્યારે વંશ પરંપરાગત ચાલતી આવેલી પારિવારિક વારસાની મિલકત બની ત્યારથી આપણે તેને ગુમાવ્યું. જીતેન્દ્ર દેસાઈએ ઘણાં વર્ષો સુધી નવજીવનનો કાર્યભાર સંભાળ્યો, પરંતુ તેમના અંતિમ વર્ષોમાં તેમણે ખાતરી કરી કે તેમના પુત્રની એમની જગ્યાએ નિમણૂંક થાય. બહુ થોડા સમયમાં બાપુએ સ્થાપેલી બીજી સંસ્થા ખાનગી જાગીર બની ગઈ. આજે એ નફો ઉપજાવે તેવી જંગમ મિલકત બની ગઇ છે જેનો હાલના ઉપરી પૂરેપૂરો લાભ ઉઠાવે છે. બાપુએ નવજીવનની સ્થાપના સહુને પરવડે તેવું સાહિત્ય છાપવા અને પ્રકાશિત કરવા કરેલી, પણ આજે એ મોંઘુ અને કોફી ટેબલ પર શોભે તેવું સાહિત્ય છાપે છે જેને બાપુ જે વારસો આપી ગયા છે તેની સાથે કશો સંબંધ નથી.
હવે સાબરમતી આપણા હાથમાંથી જવા બેઠું છે.
આપણે ગૂજરાત વિદ્યાપીઠ ગુમાવી તે પક્ષાપક્ષી અને ટ્રસ્ટીઓના લોભ અને લાલસાને લીધે. હવે તેનું નેતૃત્વ રાષ્ટ્રીય સેવક સંઘના આદર્શોને અનુસરનારા પાસે છે અને ધીમે ધીમે સંઘી અને તેમના મળતિયાઓ તેમાં પેસવા લાગ્યા છે.
ગાંધી સ્મારક નિધિ પક્ષાપક્ષીથી ભરપૂર છે. મોટા ભાગના રાજ્યોની સ્થાનિક સંસ્થાઓ કે જે વિકેન્દ્રિત સંગઠન બની રહીને ગાંધીજીની દેણગીનો પ્રચાર કરી શકે તે હેતુથી મૂળ સંસ્થાથી અલગ કરવામાં આવી હતી, તેની સામે ગાંધી સ્મારક નિધિને અથડામણ ચાલ્યા કરે છે. રાજઘાટ અને ગાંધી સ્મારક નિધિ હાલની સરકારના મજબૂત કબજા હેઠળ છે અને ગાંધીના વારસાને ગુમાવી બેઠા છે.
દિલ્હી સ્થિત ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન પણ પક્ષાપક્ષીમાં ગૂંચવાયેલ છે.
સેવાગ્રામની દુઃખદ ઘટના :
સેવાગ્રામ સ્પર્ધાત્મક વલણથી ધમધમે છે. થોડા અઠવાડિયા પહેલાં તેની 75માં સ્થાપના દિન નિમિત્તે મને ત્યાં જવાનું આમંત્રણ મળેલું. એ ઉજવણીના દિવસની આગલી સાંજે હું ત્યાં પહોંચ્યો ત્યારે ‘ગાંધીયન’ લોકોથી એ આશ્રમ ઉભરાતો હતો. મને જે પ્રકારનો આવકાર મળ્યો તેનાથી મને આઘાત લાગ્યો; થોડી જ મિનિટોમાં ગાંધીવાદી લોકો મને ઘેરી વળ્યા, જેમાંના દરેક પોતે જ સેવાગ્રામના ખરા રખેવાળ અને વારસ છે તેવો દાવો કરતા હતા. દરેક જૂથ એક વિભાગ પર અંકુશ ધરાવતો હતો અને એ દરેક જૂથ પોતે જ સેવાગ્રામના કાયદેસરના હકદાર છે તેવો દાવો કરતા હતા. દરેક જૂથે આગ્રહ રાખ્યો કે બીજે દિવસે તેમણે પોતે આયોજિત કરેલા ઉત્સવમાં હું ભાગ લઉં. બીજે દિવસે વહેલી સવારથી મને આશ્રમના એક ખૂણાથી બીજા ખૂણા સુધી ઘસડાવામાં આવ્યો. આશ્રમના દરેક વિભાગ સાથે સ્થાપના દિનની ઉજવણી કરવા મને ખેંચી જવામાં આવ્યો. દરેક સ્થળે ત્યાંનું સંચાલન કરતો પક્ષ બીજાની બદબોઈ કરતો હતો અને અન્ય પક્ષ છેતરપિંડી કરનારા અને જબરદસ્તીથી સત્તા અને મિલકત ઝુંટવી લેનારા છે એવો આક્ષેપ કરતા હતા. મને આવા આઠેક સ્થાનોએ ઘસડી જવામાં આવ્યો.
એકબીજા પ્રત્યેની નફરત અને ઝેર ભય પમાડે તેવા અને ઘૃણાસ્પદ હતા. તે સાંજે મેં એકઠા થયેલા લોકોને કહ્યું, એ હકીકત શરમજનક છે કે અહીં એકઠા થયેલા લોકોને જો કોઈ શસ્ત્રો વહેંચે તો અહીં રક્તપાત થાય. મેં જે કહ્યું તે કોઈને પસંદ ન આવ્યું, પણ મને તેની કોઈ પરવા નહોતી. એ લોકોએ સત્ય સંભાળવું જ પડે તેમ હતું.
આજે સેવગ્રામને શરમજનક ઘટનાઓના સાક્ષી થવું પડ્યું છે; એક મિટિંગ હિંસક વળાંક લઇ લે તેવી હાલત ઊભી થવાથી પોલીસે તેમાં હસ્તક્ષેપ કરવો પડ્યો. દરેક પક્ષે એકબીજા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી. હવે તો ટ્રસ્ટ વિધિવત્ બે ભાગમાં વહેંચાઈ ગયું – હવે બે પ્રેસિડેન્ટ અને બે બોર્ડ છે, એક સેવાગ્રામથી કામ કરે છે, બીજું વારાણસીથી.
ગાંધીવાદી સંગઠનોમાં રાજકારણ ઘણું વિષાક્ત છે. તેમાં એક પણ સંગઠન સાંપ્રદાયિક ઝઘડાથી બચવા નથી પામ્યું. બાપુ આ સ્થિતિથી અત્યંત દુઃખ પામ્યા હોત. બાપુની નિર્વાણ તિથિ નજદીક આવી રહી છે, ત્યારે મને વિચાર આવ્યા વિના નથી રહેતો કે નાથુરામ ગોડસેની ત્રણ ગોળીથી તેમને એટલું દર્દ ન થયું હોત જેટલું કહેવાતા ગાંધીવાદી લોકો દ્વારા રોજ ઊઠીને તેમના આદર્શોનો થતો દ્રોહ અને તેમની વિચારસરણીમાં પેઠેલા ભ્રષ્ટાચારથી વેદના થાત. બાપુ, તમે એ લોકોને ક્ષમા આપો, કેમ કે તેઓ જાણે છે પોતે શું કરે છે – તમારા વારસાનું ખૂન કરે છે.
[પ્રગટ : જાન્યુઆરી 23, 2023 – “All India Matters”]
e.mail : 71abuch@gmail.com