“ક્યાંક પ્રવર્તતો અન્યાય સમગ્ર ન્યાય માટે જોખમ છે.” — આ માર્ટિન લૂથર કિંગના શબ્દો છે. દર વર્ષે ૨૦ ફેબ્રુઆરીના દિવસને વિશ્વ સામાજિક ન્યાય દિવસ તરીકે ઠેરવેલો છે. સામાજિક અન્યાય સામે અવાજ ઉઠાવવાની હાકલ કરતો આ દિવસ આજના વિશ્વ માટે કેટલો મહત્ત્વનો છે, તેનો ખ્યાલ રોજ બ રોજ આપણી આસપાસ બનતી ઘટનાઓ પર ધ્યાન આપવાથી આવી જશે. સી.એન.બી.સી. મુજબ “સાંપ્રત સમયમાં દેશોમાં અને દેશો વચ્ચે ગરીબી અને અસમાનતા વધી રહ્યાં છે. કોવિડ-૧૯ મહામારી, કુદરતી હોનારતો, ઋતુ પરિવર્તન અને સશસ્ત્ર સંઘર્ષોને કારણે આર્થિક અને સામાજિક કટોકટી વધવા પામી છે.”
આ વર્ષે સંયુક્ત રાષ્ટ્ર સંઘની વિશ્વ સામાજિક ન્યાય દિવસની થીમ છે, ‘સામાજિક ન્યાય માટે અવરોધો ઓળંગવા અને તકોની ભરમાર કરવી’. ૨૦ ફેબ્રુઆરીના દિવસે યોજાયેલી સંયુક્ત રાષ્ટ્ર સંઘ આયોજીત એક બેઠક માટેના ફ્લાયર મુજબ, “… આપણા મોટા ભાગના કામદારોને મહામારી પૂર્વે મળતા વેતન અપાતા નથી. કામના કલાકો સંદર્ભે જાતિ-લિંગના ભેદભાવો વધ્યાં છે. ખાદ્ય પદાર્થો અને ઘર વપરાશની ચીજોના ધરખમ ભાવ વધારાએ કેટલાં ય ઘરો અને નાના ઉદ્યોગોને માઠી અસર કરી છે. વિશ્વની લગભગ અડધી વસ્તી સામાજિક સુરક્ષાથી વંચિત છે. ઘણી બઘી જગ્યાઓએ નોકરી ગરીબીમાંથી છૂટકારો આપતી નથી. ઘણા દેશોમાં માનભેર નોકરી કરવાની તકો, સામાજિક નીતિઓમાં અપૂરતું રોકાણ, અને કુદરતી સંસાધનોના અતિશય વપરાશને કારણે વિશ્વાસ ભંગ અને નબળા સામાજિક કરારનું પરિણામ આવ્યું છે. મહામારી પૂર્વે પણ અસમાનતાના ઊંચા અને વૃદ્ધિ પામતા દર અંગે ચિંતા હતી અને તેને ઓછી કરવા તાત્કાલિક અને નિર્ણાયક પગલાં લેવાની લાગણી પણ હતી જેથી વધુ સર્વસમાવેશક વિકાસ સધાય, જેમાં દરેક માટે માનભેર કામ કરવાની તકોનું નિર્માણ કરવામાં આવે. હાલ, અસમાનતા અને ગરીબીમાં વધારો કરવામાં ડિજીટલ વિભાજન અને વૈશ્વિક વેપારમાં અંતરાયોની મોટી ભૂમિકા છે. ખાસ કરીને સ્ત્રીઓ અને યુવાનો આ બેવડાતી કટોકટી, બેરોજગારી અને સામાજજિક-આર્થિક અસુરક્ષાથી અસરગ્રસ્ત થયાં છે અને માનભેર કામ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે.”
સમસ્યાના ઉકેલ અંગે સંયુક્ત રાષ્ટ્ર સંઘ માને છે કે ‘ગ્રીન, ડિજીટલ અને કૅર ઇકૉનૉમીમાં મહત્તમ તકોનું નિર્માણ કરી શકાય એમ છે. ઝડપી તકનીકી વિકાસના યુગમાં યુવાનો અસમાનતા ખાળવાની તકો મેળવી શકે છે. યુવાન ઉદ્યોગ-સાહસિકોની સંખ્યા વધી રહી છે અને તેમને ટેકો આપીને આ વલણને પ્રોત્સાહન આપી શકાય છે. ટેક આગેવાનો તરીકે આ યુવાન ઉદ્યોગ-સાહસિકો વિવિધતા, ન્યાયસંગતતા અને સમાવેશને પ્રોતસાહન આપતી નીતિઓ અને વ્યવહારો અમલી બનાવવા માટે તેમનો પ્રભાવ વાપરી શકે છે.’
ગઈકાલે યોજાઈ બેઠક દરમ્યાન ચર્ચા માટેના પ્રશ્નો હતાં :
– વધતી અસમાનતા, માનભેર કામની ઊણપ, સામાજિક સુરક્ષા સુધી પહોંચનો અભાવ, ડિજીટલ નિષેધ અને વેપારમાં ભંગાણ સંદર્ભે મુખ્ય મુશ્કેલીઓ અને પડકારો કયાં છે?
– અસમાનતા ઘટાડવા અને સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપવા, ખાસ કરીને યુવાનો માટે ગ્રીન અને ડિજીટલ ઈકૉનૉમીમાં કેવી અને કેટલી તકો છે?
– સામાજિક ન્યાય માટે રોકાણ વધારી શકાય તે દિશામાં સરકારો, સંયુક્ત રાષ્ટ્રનું તંત્ર, આંતર-રાષ્ટ્રીય નાણાંકીય સંસ્થાઓ, નિયોજક અને કામદાર સંગઠનો, નાગરિક સમાજ અને અન્ય હિસ્સેદારો તરફથી કેવાં કર્મની જરૂર છે?
ઉપરોક્ત સંદર્ભે આદર્શ અને વાસ્તવ વચ્ચે બહુ મોટો તફાવત દેખાય છે. અલગ અલગ દેશો, સમાજો, સંસ્કૃતિઓમાં ભિન્ન પ્રકારના ભેદભાવો પ્રવર્તે છે. ક્યાંક વંશીય તો ક્યાંક વર્ગીય, ક્યાંક જ્ઞાતિ તો ક્યાંક જાતિ / જાતિ-લિંગ / લૈંગિક સંબંધી, ક્યાંક ધાર્મિક તો ક્યાંક ભાષાકીય, ક્યાંક શિક્ષણ તો ક્યાંક કલા સંબંધી … યાદી લાંબી છે. આ મહા યોજના છે અને જે રીતે દુનિયામાં સ્વકેન્દ્રિતાની મહામારી પ્રસરી છે આ ઉદ્દેશો સિદ્ધ કરવાનું માનવીય ધોરણે અશક્ય છે. પરસ્પર માનવીય સંબંધો સામે એ.આઈ., મેટાવર્સ, વગેરે કંઈ કેટલું જોખમ ખડું કરી રહ્યું તેવામાં સામાજિક ન્યાયના આદર્શ ધોરણો લાગુ કરી શકાય એમ છે? સોશ્યલ મીડિયા અને વર્ચ્યુઅલ વિશ્વમાં રાચતા માણસો એક બીજાથી દૂર થઈ રહ્યાં છે. પ્રતિદિન એવી ઘટનાઓ ઘટે છે કે સામાજિક માળખું જ હચમચી જાય છે. હાલમાં જ ઈલોન મસ્કે પોતાના પાલતું શ્વાન ફ્લૉકીને ટ્વિટરના સી.ઈ. પદે નિયુક્ત કરી વિધાન કર્યું કે માણસ કરતાં વધુ સક્ષમ છે આ શ્વાન!
તદ્દન ખોટા કારણોસર નિર્દોષ વ્યક્તિઓની હત્યા થતી હોય, માનસિક રીતે બિમાર સ્ત્રીઓની સંસ્થા દ્વારા જ અમાનવીય અત્યાચાર ગુજારવામાં આવતો હોય, માનવ તસ્કરી થતી હોય, ત્રણ મહિના સુધી વેતન ચુકવાતા ના હોય, — માત્ર દૈનિકોનાં પાનાઓમાં જ વાંચીએ તો અરેરાટી વ્યાપી જાય તો પછી પોલીસના ચોપડે અને વણનોંધાયેલા ગુનાઓનો સરવાળો કરવા જઈએ તો પાર ન આવે એવામાં આવો દિવસ ઠેરવવો અને વર્ષદીઠ થીમ રાખવાથી કેટલો ફરક પાડી શકાશે તે મોટો પ્રશ્ન છે. શું આપણે સામાજિક અન્યાય સામે અવાજ ઉઠાવીએ છીએ? વાત અહીંથી શરૂ થાય છે…
e.mail : rupaleeburke@yahoo.co.in