
રૂપાલી બર્ક
યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની ‘હરિવલ્લભ ચુનિલાલ ભાષાણી સ્વાધ્યાયપીઠ’ના અંગ્રેજી લેખિકા જેઇન ઑસ્ટિનની અઢીસોમી જયંતી પ્રસંગે યોજાયેલા આજના કાર્યક્રમનું સંચાલન કરવાની તક માટે ખૂબ આનંદ અનુભવું છું. બ્રિટિશ ભૂમિ પર સ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ ગુજરાતી ભાષા-સાહિત્યનું સંવર્ધન કરીને માતૃભાષાનું ગૌરવ કરે છે, એ રીતે બ્રિટિશ મહિલા નવલકથાકાર જેઇન ઑસ્ટિનની ૨૫૦મી જયંતી ઉજવીને અંગ્રેજી ભાષાનું ગૌરવ કરે છે. ૨૦૧૨માં સાહિત્યના નોબેલ પારિતોષિક વિજેતા ચીની સાહિત્યકાર મો યૅન મુજબ લેખકની રાષ્ટ્રિયતા હોય છે, સાહિત્યને ભૌગોલિક સીમાઓ નડતી નથી. આથી આજનો કાર્યક્રમ ખૂબ આવકાર્ય અને બીરદાવવા યોગ્ય, અભિનંદનને પાત્ર છે. આ કાર્યક્રમ યોજીને એક મિસાલ ઊભી કરવામાં આવી છે અને આવા ક્રૉસ-કલચરલ કાર્યક્રમો વધુ યોજાય એવી પ્રેરણા પૂરી પાડવામાં આવી છે.
અંગત ધોરણે હું ખૂબ આનંદિત છું કારણ કે અંગ્રેજી સાહિત્યમાં સ્નાતક-અનુસ્નાતક થઈ છું અને બ્રિટિશ પોઅટ્રીમાં એમ. ફિલ. અને પીએચ.ડી. કરેલું છે. દોઢ દસકો અંગ્રેજી સાહિત્યના ગાઢ સાનિધ્યમાં મેં ગાળ્યા છે. પરંતુ બાદમાં અન્ય સાહિત્યોનાં વાચન, અભ્યાસ અને અનુવાદ તરફ વળી જવાનું બન્યું. આ નિમિત્તે લગભગ ચાર દાયકા બાદ બ્રિટિશ સાહિત્યના વિશ્વમાં ફરીથી પ્રવાસ કરવાનો થયો એથી પુલકિત છું.
૮૦ના દાયકાની શરૂઆતમાં જ્યારે હું બી.એ. ઇંગ્લિશ ભણતી હતી, ત્યારે તમામ પેપર બ્રિટિશ સાહિત્યનાં વિવિધ સ્વરૂપો અને બ્રિટિશ વિવેચન આધારિત હતાં. અમે નખશિખ બ્રિટિશ સાહિત્યિક જગતમાં ઓતપ્રોત રહેતા. તે ગાળામાં ગુજરાત યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાએ અમેરિકન, ઇન્ડિયન રાઈટિંગ ઈન ઇંગ્લિશ, ટેકસ્ટ્સ ઈન ટ્રાન્સલેશન, કોમનવેલ્થ-આફ્રિકન-કેનેડિયન કે પછી દલિત, વગેરે હાંસિયાકૃત સાહિત્ય અભ્યાસક્રમમાં હોતું નહીં. એમ.એ.માં આમાં ફેરફાર થતો અને સાહિત્યનું ફલક સહેજ વિસ્તરતું. તરુણાવસ્થામાં સ્વાભાવિકપણે બ્રોન્ટે બહેનો, જેઇન ઑસ્ટિન, ટોમસ હાર્ડીની નાયક-નાયિકા કેન્દ્રિત નવલકથાઓ વાંચવી ખૂબ ગમતી.
બાદમાં નારીવાદના અભ્યાસ દરમ્યાન ખ્યાલ આવતો ગયો કે એ સદીઓમાં લેખિકા હોવું એ કેટલી મોટી સિદ્ધિ હતી. કેટલો સંઘર્ષ, કેટલી અવહેલનાનો સામનો કરવો પડતો. ૨૦૨૪માં રેમી ટારગૉફ લિખિત પુસ્તક ‘શેક્સપિયર્ઝ સિસ્ટર્ઝ’ પ્રકાશિત થયું છે. વર્જિનિયા વુલ્ફે પોતાના પુસ્તક ‘અ રૂમ ઑવ વન્ઝ ઓઉન’માં વિલિયમ શેક્સપિયરની કાલ્પનિક બહેન ‘જ્યુડિથ’ વિશે લખાયું છે અને પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો શેક્સપિયર જેટલી જ પ્રતિભા ધરાવતી એમની બહેન લેખિકા બનવા ચાહતી તો શું થાત? અને અનુમાન કરે છે કે એને ડાકણ ગણવામાં આવી હોત, પાગલ કહેવામાં આવી હોત અને એટલી હદે સતામણી કરવામા આવી હોત કે એણે આત્મહત્યા કરી લીધી હોત. રેમી કહે છે કે વુલ્ફે ૧૯૨૦માં આમ લખ્યું કારણ કે ત્યાં સુધી એમ જ માનવામાં આતું હતું કે તે કાળમાં કોઈ લેખિકાઓ હતી જ નહીં અને વુલ્ફે રેર બુક્સ લાઈબ્રરીમાં જઈને જૂની હસ્તપ્રતો જોઈ નહોતી. રેમીએ સંશોધન કરી ને ચાર લેખિકાઓ વિશે દુનિયાને ઉજાગર કરી. એમના મુજબ રાણી એલીઝાબેથ પહેલા પોતે વિદ્વાન હતાં, ઘણી ભાષાઓ જાણતાં હતાં, અનુવાદક અને લેખિકા હતાં પરંતુ ૧૬મી સદીના ઇંગ્લેન્ડમાં સ્ત્રીઓ માટે અભ્યાસની સુવિધાઓ નહોતી. ખૂબ ઓછી છોકરીઓને પ્રાથમિક શિક્ષણની તક હતી. છોકરીઓ માટે માધ્યમિક શાળાઓ કે કૉલૅજોની તો વાત જ નહીં. રેમી લખે છે કે જે છોકરીઓ વધુ અભ્યાસ કરતી તે પરિવારની દરકારને લીધે, ઘરે રહીને માતાપિતા કે ટ્યુટરને કારણે કરી શક્તી. કોઈ પણ પ્રકારના સામાજિક-સાંસ્કૃતિક હક કે લાભથી સ્ત્રીઓને વંચિત રાખવામાં આવતી. પ્રકાશન અને પ્રસિદ્ધિના લાભાર્થીઓ માત્ર પુરુષો હતા. પરંતુ રેમી નોંધે છે તેમ સ્ત્રીઓની કલ્પના અને એમની કલમ કોઈ છીનવી શકતું નહીં. આ સ્ત્રીઓએ એમના લખાણમાં એમને ગૂંચવતા પ્રશ્નો પુછ્યા જેવા કે કેમ પુરુષ ડાઈવોર્સ માગી શકે અને સ્ત્રી નહીં? કેમ પુરુષ યુનિવર્સિટીમાં ભણી શકે અને સ્ત્રીએ ઘરે રહીને બાળકો ઉછેરવાના? પરંતુ આ બાબતો હસ્તપ્રતોમાં જ કેદ રહી. સૅન્ડ્રા ગિલબર્ટ અને સુસન ગુબારે ૧૯૭૯માં એક પુસ્તક લખ્યું જેનું શિર્ષક હતું The Mad Woman in the Attic: The Woman Writer and the Nineteenth-Century Literary Imagination. આ પુસ્તકમાં એમનો ચર્ચાનો વિષય છે કે કેવી રીતે પુરુષ પ્રધાન સાહિત્યિક જગતમાં લેખિકાઓને સામાજિક ધોરણે ગેરલાયક ઠેરવીને એમની પર અંકુશ રાખવામાં આવતો. જેઇન ઑસ્ટિનની નવલકથાઓ રોમેન્ટીક ઍજમાં (બ્રિટિશ સાહિત્યના ઇતિહાસના વર્ગીકરણ મુજબ) અજ્ઞાત તરીકે પ્રકાશન પામતી. ત્યારબાદના વિક્ટૉરિયન ઍજમાં પણ લેખિકાઓની કૃતિઓ પ્રકાશકો છાપવા તૈયાર ન થતાં. બ્રોન્ટે બહેનો, શાર્લટ, ઍમીલી અને ઍન અનુક્રમે ક્યુરર, ઍલિસ અને ઍક્ટન બૅલના ઉપનામથી પોતાની હસ્તપ્રતો પ્રકાશકોને મોકલતાં. મૅરી ઍન ઍવન્ઝે (૧૮૧૯-૧૮૮૦) પોતાનું સમગ્ર લેખન જ્યોર્જ ઍલિયટના ઉપનામથી કર્યું. જેઇન ઑસ્ટિન લખતાં એ રોમૅન્ટિક ઍજ પૂર્વેની ઑગસ્ટન અથવા ઍનલાઈટનમૅન્ટ ઍજમાં બ્રિટિશ નવલકથાનો જન્મ થયો. તે ગાળામાં પણ અજ્ઞાત તરીકે ઘણી સ્ત્રીઓ સારું લખતી પરંતુ એમની ક્યાં ય નોંધ લેવાતી નહીં. અંગ્રેજીમાં સાહિત્યમાં મુખ્ય લેખકો અને એમની કૃતિઓ માટે અનુક્રમે સંજ્ઞા canon અને વિશેષણ canonical વાપરવામાં આવે છે. તે સદીની canonમાં આફ્રા બૅન અને ઍલાઈઝા હેવૂડ, વગેરેની વ્યવસ્થિત રીતે બાદબાકી કરવામાં આવતી.
ત્યારબાદ મોડર્ન ઍજ દરમ્યાન (૧૮૯૧થી) પરિસ્થિતિમાં થોડો ઘણો સુધાર થવા લાગ્યો. ૧૯૧૧માં કૅથરીન મૅન્ઝફીલ્ડની ટૂંકી વાર્તાનો સંગ્રહ In a German Pension બહાર પડ્યો. વર્જીનિયા વુલ્ફનું દીવાદાંડી સમાન પુસ્તક A Room of One’s Own ૧૯૨૯માં બહાર પડ્યું અને સ્ત્રીલેખનમાં ક્રાંતિ સર્જાઈ. આમ છતાં, વર્જિનિયા વુલ્ફ જણાવે છે તેમ એમના સમયમાં સ્ત્રીઓને લખવાની મનાઈ નહોતી, પરંતુ લેખન કરવા સ્ત્રીએ ‘angel in the house’ની હત્યા કરી રાતના પોતાના આરામના સમયમાં લખવું પડતું. વુલ્ફે કહ્યું છે કે જેટલી કૃતિઓ અજ્ઞાતના નામે વંચાતી તે બધી સ્ત્રીઓ દ્વારા લખાયેલી હતી. આમ, અસંખ્ય અજ્ઞાત લેખિકાઓનાં બલિદાન અને તપથી કંડારેલી કેડી લેખિકાઓ નિશ્ચિંતપણે આગેકૂચ કરવા લાગી.

જેઇન ઑસ્ટિન
જેઇન ઑસ્ટિનની નવલકથાઓ પણ ‘By a lady’ નામે પ્રકાશિત થયેલી કારણ કે એમના સમયમાં સ્ત્રી માટે નવલકથા લખવી એ યોગ્ય પ્રવૃતિ ગણાતી નહીં અને સામાજિક નિંદાનું કારણ બનતું. એ તો ઠીક એમનાં ચરિત્ર પર શંકા કરવામાં આવતી અને એમને સંસ્કારવિહિન ગણવામાં આવતી. પિતૃસત્તાનો આવો સિતમ એ જમાનામાં સ્ત્રીઓ વેઠતી એ વિચાર માત્ર કમકમાટી ઉપજાવે છે.
જીવતા જીવ નહીં પરંતુ છેક ઑસ્ટિનના મૃત્યુ બાદ એમની નવલકથાઓનો શ્રેય એમને મળ્યો. એમના ભાઈ હેનરી ઑસ્ટિને એમની છેલ્લી બે નવલકથાઓ Northanger Abbey અને Persuasion ૩ ડિસેમ્બર, ૧૮૧૭માં પોતાની બહેનના વિગતવાર પરિચય ‘Biographical Notice of the Author’ સાથે પ્રકાશિત કરી. આ પરિચય વાંચવો એક લાહવો છે. 1833માં રિચર્ડ બેન્ટલીએ જેઇન ઑસ્ટિનની નવલકથા ‘Sense and Sensibility’ પ્રકાશિત કરી એમાં હેનરી લિખિત ‘Memoir of Jane Austen’નો સમાવેશ કરવામાં આવેલો. જેઇન ઑસ્ટિનના જીવન-કવનની માહિતી માત્ર આ બે દુર્લભ સ્રોતમાંથી મળે છે, એ આપણું સૌભાગ્ય છે. Tributeની શરૂઆત કરતા હેનરી લખે છે, “The following pages are the production of a pen which has already contributed in no small degree to the entertainment of the public. And when the public, which has not been insensible to the merits of Sense and Sensibility, Pride and Prejudice, Mansfield Park, and Emma, shall be informed that the hand which guided that pen is now mouldering in the grave, perhaps a brief account of Jane Austen will be read with a kindlier sentiment than simple curiosity.” હેનરી નોંધે છે કે ૧૮૦૯માં એમના પિતાના મૃત્યુ બાદ જેઇન એમનાં માતા અને બહેન સાથે ચૉટન રહેવા ગયાં. “From this place she sent her novels into the world.” અજ્ઞાત રહી સર્જન કર્યાનું આથી ઉતકૃષ્ટ દાખલો ક્યાં મળે? તે વખતના વિખ્યાત નવલકથાકાર સર વૉલ્ટર સ્કૉટે માર્ચ ૧૮૧૬માં જેઇન ઑસ્ટિનની Emmaનો રિવ્યુ ‘Quarterly Review’માં કરેલો : He hailed this ‘nameless author’ as a masterful exponent of the ‘modern novel’ in the realist tradition. એમને સર્જકનું નામ જાણવાની જિજ્ઞાસા નહીં થઈ હોય? તે વખતના પ્રિન્સ રિજન્ટ, બાદમાં કિંગ જ્યોર્જ IVએ ખાનગી રાહે રાજવી આદેશ મોકલી Emma એમને અર્પણ કરવાનું કહેલું. પ્રશ્ન એ થાય કે આદેશ કોને મોકલ્યો હશે? આદેશનું પાલન કરવામાં આવ્યું. To His Royal Highness / The Prince Regent, / This work is, / By His Royal Highness’s Permission, / Most respectfully / Dedicated, /By His Royal Highness’s / Dutiful / And Obedient / Humble Servant, /The Author.
હેનરી એમની બહેનની તેજસ્વીતાનું વર્ણન કરતાં લખે છે, “In the present age it is hazardous to mention accomplishments; our authoress would probably have been inferior to few in such acquirements, had she not been so superior to most, in higher things … She became an authoress entirely from taste and inclination. Neither the hope of fame nor profit mixed with her early motives.” એ સમયમાં ઉપર દર્શાવેલા કારણોને લીધે અતિ પ્રતિભાશાળી અને વિદ્વાન હોવા છતાં જેઇન ઑસ્ટિન પ્રસિદ્ધિ કે નફો એ ચાહતા તો ય પ્રાપ્ત થઈ શકે એમ નહોતા. પરંતુ એમની ક્ષમતા પર ગ્રહણ ન લાગી શક્યું અને એટલે જ ૨૫૦મી જયંતી આટલા રંગેચંગે સમગ્ર બ્રિટનમાં ઉજવાઈ રહી છે.
ડેવિડ ગિલસન ‘Henry Austen’s Memoir of Jane Austen’ પર એમની ટિપ્પણીમાં નોંધે છે કે ‘જેઇન ઑસ્ટિનના ઘણા સમકાલિન નવલકથાકારો એમનાથી પ્રભાવિત થયેલા અને એમાં પુરુષો નવલકથાકારો પણ હતા. પરંતુ જેઇન ઑસ્ટિન “the undisputed mistress” હતાં એવા તારણ પર ગિલસન આવે છે. જેઇન ઑસ્ટિનના ંસર્જનને સમજવા માટે પ્રસ્તુત સામાજિક-સાંસ્કૃતિક ઇતિહાસની ભૂમિકા ખૂબ ઉપયોગી છે. જેઇન ઑસ્ટિન માટે “The novel was a weapon to reform humanity.” એમની નવલકથાઓના અમુક લક્ષણ અગાઉના નવલકથાના પ્રણેતા યુગમાંથી લીધેલા હતા જેવાં કે સંવેદનશીલતા, નૈતિકતા, શિષ્ટાચારનું આલેખન. આ ઉપરાંત એમના સમયમાં પ્રચલિત રોમૅન્ટિક મૅલોડ્રામાનું તત્ત્વ હતું, જેનાથી દૂર જઈને એમણે તાજગીભરી ઘરેલું વાસ્તવિક્તાનું આલેખન કર્યું, જેનાં કારણે એમની નવલકથાઓ લોકપ્રિયતા પામી હતી. જેઇન ઑસ્ટિન બળકટ સાહિત્યિક વ્યંગ, પાત્રો અને સમાજનું રમૂજી આલેખન કરી વાચકોને મનોરંજન પૂરું પાડતાં. ઑસ્કર વાઈલ્ડે The Picture of Dorian Gray (1891)માં કહ્યું છે, “If you want to tell people the truth, make them laugh, otherwise they’ll kill you.” જેઇન ઑસ્ટિનની નવલકથાઓ નાયિકાપ્રધાન છે અને એમની આગળ થઈ ગયેલા નવલકથાકારો હેનરી ફીલડીંગ અને ફ્રૅન્સીસ બર્નીમાંથી અપનાવેલી free indirect speechની લેખન શૈલી જેમાં લેખક અને પાત્રોના વિચારો, મંતવ્યોનો તાણોવાણો વણાતો જાય એમ નવલકથાનું પોત તૈયાર થાય. એમના બાળપણમાં સ્ટીવનટન હાઉસમાં ભજવેલા હાઉઝ પ્લેઝની ઊંડી અસર એમની નવલકથાઓમાં પમાય છે. પાત્રો અને ઘટનાઓ નાટકમાં હોય એવા જીવંત. સંવાદોની વિપુલ માત્રા પણ એટલે જ જણાય છે. Mansfield Parkમાં એક સંવાદ આ બાબતની શાહેદી પૂરે છે : “A love of the theatre is so general, an itch for acting so strong among young people.” જેઇન ઑસ્ટિન ખૂબ સારું નૃત્ય પણ કરતાં. એમની ૬ નવલકથાઓ પર ફિલ્મો બનેલી છે. નામાંકિત દિગ્દશર્ક ઍંગ લીએ બનાવેલી Sense and Sensibility જેઇન ઑસ્ટિનનો વિકટ જમાનો તાદૃશ્ય રજૂ કરે છે.
નિજાનંદ માટે અને પરિવારજનો અને મિત્રો સુધી સિમિત જેઇન ઑસ્ટિને ૩ નોટબૂકમાં લખેલા ૧૩ કાવ્યો, ૩ નાટકો : The Visit, The Mystery અને The First Act of a Comedy છે. આ ઉપરાંત, એમની કલમથી શૅક્સપિયરનાં નાટકોનો આધાર લઈ લખેલી A History of England મળે છે જેમાં પોતાના નામની જગ્યાએ એ By a partial, prejudiced and ignorant Historian લખેલું છે. એમની સાતમી નવલકથા Sanditon અધૂરી મૂકીને ૧૮ જુલાઈ, ૧૮૧૭માં ૪૧ વર્ષની ઉંમરે જેઇન ઑસ્ટિન મૃત્યુ પામ્યાં. એમના ભાઈ શ્રદ્ધાંજલિ લેખમાં લખે છે, “She wrote whilst she could hold a pen, and with a pencil when a pen became too laborious. The day preceding her death she composed some stanzas replete with fancy and vigour.
આવાં મહાન, આમર્ણાંત લેખિકાની સ્મૃતિને શત શત વંદન સાથે વિરમું. Long live the memory of Jane Austen!
07 જૂન 2025
[યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના ‘હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી સ્વાધ્યાયપીઠ’ને ઉપક્રમે, અંગ્રેજી લેખિકા જેઇન ઑસ્ટિનની અઢીસોમી જયંતી અવસર નિમિત્ત, શનિવાર, 07 જૂન 2025ના રોજ, સભાસંચાલન કરતાં કરતાં, આપેલું વર્ચ્યુઅલ પ્રવચન]
e.mail : rupaleeburke@yahoo.co.in