સૌંદર્ય અને ઉત્તમોત્તમના ઉપાસક અને ભાવક જયંતભાઈએ ફરી પુસ્તકોના પ્રસારની અભ્યાસુ અને વાંચન પ્રેમથી ભરપૂર યાત્રા આરંભી હશે તેવું અનુભવાય છે. અનેક પ્રકાશકો, કવિ-લેખકો, કટાર લેખકો, ગ્રંથપાલો અને પુસ્તક પ્રેમીઓના મિત્ર, સ્વજન-પ્રિયજન એવા જયંતભાઈ મેઘાણી આજે સદેહે નથી છતાં આપણી આસપાસ તેઓ ખેવના અને દરકારથી વહેતી કાર્યશક્તિ અને સ્ફૂર્તિ સ્વરૂપે જાણે કોઈ બૌદ્ધ સાધક માફક વિહાર કરી રહ્યા હોય એવું અનુભવાય છે. તેમનું આવું હોવું એટલું cosmic છે કે તેઓ સદા ય આપણામાં, આપણી સાથે ચાલશે અને કોઈ જાદુઇ સ્મિત આપતાં-આપતાં ધીમા સ્વરે આપણી સાથે કવિવર ટાગોરના પત્રોની વાતો કરશે.
મને હંમેશાં એવું લાગ્યું છે કે જયંતભાઈ સાથે બેસીને વાતો કરવી એટલે તેઓના મિતભાષી સ્મિતની મીઠાસમાં ઝબોળાઈને આવતા તેમના realized સત્યો અને તથ્યો સાથે વાતો કરવી. જયંતભાઈના વાંચન અને વિચારના નિચોડરૂપ અભ્યાસુ વિચાર ગોષ્ઠી એ તેમની સાથેની વાતોનું એક એવું essence હતું કે જેમાં કશું ઉધાર ન હોય અને જેમાં reflect થતો હોય તેમનો સંવેદનશીલ સ્વભાવ.
આવા સંવેદનશીલ જયંતભાઈને ચાલવું બહુ ગમતું હશે એવું માનું છું. એક સમય હતો જ્યારે જયંતભાઈ સવારે વિકટોરિયા પાર્કમાં ચાલવા આવતા. અનેક વખત હિલડ્રાઈવના તેઓના ઘરેથી ‘પ્રસાર’ સુધીની તેઓની મક્કમ પગલાંની ટટ્ટાર વૉક આપણામાંના ઘણાએ જોઈ છે. ખાદીની લાંબી કફની અને આપણને ખરીદવાનું મન થાય તેવો બગલ થેલો લઈ ચાલતા જયંતભાઈ મને હંમેશાં શાંતિ નિકેતનના પરિસરમાં ચાલતા કોઈ કલાકાર અને રવીન્દ્ર ભાવક લાગ્યા છે.
આ સમયે આપણામાંના અનેકોને યાદ આવે છે જયંતભાઈએ પૂર્ણ પ્રેમથી મોટી કરેલી પુસ્તકોની નાનકડી દુનિયા, ‘પ્રસાર’ કે જેનું એક ખાસ character હતું. વર્ષો પછી ‘પ્રસાર’માં પગ મુકતા જ ઊંડા શ્વાસ સાથે nostalgiaની લાગણી થઈ આવવી અને બાળપણના દિવસોમાં પહોંચી જઇ પપ્પાની આંગળીએ સચિત્ર બોથકથાઓના પંચતંત્રીય જગતને સ્મરી લેવું એ કેટલું મૂલ્યવાન હતું એ આજે ફરી આપણને સૌને યાદ આવે છે. એ સાથે એ પણ યાદ આવે છે કે કોલેજના દિવસોમાં જ્યારે પ્રિય મિત્રને ભેટ આપવા પુસ્તક ખરીદવું હોય અને તે પુસ્તકનું સરસ મજાનું ગિફ્ટ પેક કરાવી ઉપર મૂકવી હોય ઓરોવીલાની અગરબત્તી જેથી મૈત્રીની સાદગીથી ભરેલી કોઈ જુદી જ સુવાસના બીજ રોપાય અને એ મૈત્રી કાયમ અખંડ રહે તો એવી અખંડતામાં પણ ‘પ્રસાર’ને કેમ ભૂલી શકાય. ‘પ્રસાર’ની આવી ન ભૂલાય તેવી યાદોએ ભાવનગરની અનેક પેઢીઓનાં બાળકોમાં વાંચન રસ કેળવ્યો છે અને એ પુસ્તક મૈત્રીની કેળવણી પેઢી દર પેઢી કેળવાતી રહી છે.
પુસ્તકોની આવી મૈત્રીપૂર્ણ બારાક્ષરી જેવા ‘પ્રસાર’માં પ્રવેશતા ડાબા હાથે હતો એક વાંસ જે આપણને પુસ્તકોની વાંસવન જેવી વિશાળ દુનિયામાં લઈ જતો. આ દુનિયામાં અંદર પ્રવેશતા જ જ્ઞાન-વિજ્ઞાન, જીવન ચરિત્રો, નવલકથાઓ-વાર્તાઓ, કાવ્યો અને વિચાર કણિકાઓનું એક સરસ્વતી મંદિર ખુલ્લી જતું. આ પુસ્તક મંદિરના ગવાક્ષમાંથી કયું પુસ્તક ખરીદીને વાંચી લઇએ તેની ઉતાવળ હંમેશ રહેતી અને ઉતાવળ રહેતી ‘પ્રસારે’ બનાવેલા બુકમાર્ક લઈને જ ઘરે જવાની. વળી ‘પ્રસાર’માં વાગતું ધીમું સંગીત અને ઓરોવીલાની અગરબત્તીનું સુવાસિત વાતાવરણ કોઈ music concert પહેલાનો માહોલ ઘડતું અને એ classical ambiance વચ્ચે નજર પડતી જયંતભાઈની cosy working place પર જેમાં જયંતભાઈ તેઓનાં ગમતાં કામમાં ઓતપ્રોત હોય અને ક્યારેક કોઈ મુલાકાતી સાથે વાતો કરતાં હોય. એમાં વળી કેટલાક મિત્રો તો એટલા સદ્દભાગી હતા કે જેઓને જયંતભાઈ સ્ટીલના ક્યૂટ ડબ્બામાં ઘરેથી જે નાસ્તો કે મીઠાઇ લાવ્યા હોય તેમાંથી ભાગ પણ મળ્યો હોય.
આવો ભાગ જયંતભાઈનું caring sharing હતું જે ગાંધી સ્મૃતિના ગ્રંથપાલ પુનાભાઇ સાગઠિયા સહિતના તેમના ચહીતા વર્તુળોમાં વહેતું રહેતું હતું. આ વર્તુળનો વિસ્તાર વ્યાપક હતો. એ વિસ્તાર માત્ર પુસ્તકો પૂરતો મર્યાદિત પણ ન હતો. એ વિસ્તાર ગુજરાતી ભાષાની પ્રિત-રીતને પોષક પણ હતો અને ગુજરાતમાં જ નહીં પરંતુ ભારત બહાર રહેતા ગુજરાતીઓને પણ ભાવનગર આવી જયંતભાઈને મળવા મજબૂર કરી માતૃભાષાના પ્રેમ માફક સ્પર્શતો રહેતો હતો. પુસ્તક પ્રેમમાંથી વિસ્તરતા રહેલા જયંતભાઈ સાથેની વાંચન મૈત્રીના અને વિચાર ગોષ્ઠીના આવા અનેક પૂરાવાઓ આપણને મળતા રહેતા. કારણ કે ભાવનગરમાં યોજાતા સાહિત્યિક કાર્યક્રમોમાં આવતા કવિ-લેખકો અને પુસ્તક પ્રેમીઓની મુલાકાત યાદીમાં જયંતભાઈ હોય. આથી અનેક વખત એવું બનતું કે ‘પ્રસાર’ના આંગણે ભાવનગર બહારની ગાડીઓ પડી હોય અને એ જોતાં ખ્યાલ આવે કે ‘પ્રસાર’ના મંદિર જેવા ગર્ભગૃહમાં ધૂપ-દીપ વગરની કોઈ સાહિત્ય પૂજાનો દૌર ચાલી રહ્યો છે કે ચાલી રહી છે વિશ્વના ખ્યાતનામ લેખકોનાં પુસ્તકો, ઉત્તમ ફિલ્મો, પ્રવાસો અને ચિત્ર શૈલીઓની genuine વાતો.
આ દૌર છેલ્લાં વર્ષોમાં પણ અખંડ રહ્યો. ’પ્રસાર’ નિવૃત્તિ પછી તો જયંતભાઈ તેઓને ગમતા કાર્યક્રમોમાં હાજરી પણ આપતા. તેઓની સાત્વિક હાજરી સૌને ગમતી અને જયંતભાઈને આવેલા જોઈને તેમનો નાનકડો એવો ચાહક વર્ગ તેમની આસપાસ ગોઠવાઈ જતો.
આવા ચાહકો વચ્ચે જયંતભાઈની ભાઈ મહેન્દ્રસિંહ પરમાર જેવી એક નાનકડી રખડું ટોળકી પણ હતી, જેમની સાથે જયંતભાઈ નાના-મોટા outings કરતાં. એ outingsમાં હું માનું છું ત્યાં સુધી ભોજનને પણ એટલું જ પ્રાધાન્ય અપાતું હશે કારણ કે જયંતભાઈને સ્વાદની દુનિયામાં પણ તેમની પસંદગીની વાનગી અને વ્યંજનોમાં રસ પડતો.
આજે થાય છે કે એ રસ જીવન રસ હતો. જીવનની નાની-નાની વસ્તુઓમાં જે સૌંદર્ય છે તેને પીંછાણવાનો એ રસ હતો. જયંતભાઈને પરદેશની પાનખરના રંગો પસંદ હતા. તેઓને વોટર કલર paintingsના impressionismની વહેતી પીંછીના લસરકામાં વાનગોઘ કે વિલિયમ બ્લેકને શોધી લેવા ગમતા. તેઓ મૂળ તો પ્રકૃતિ અને લલિત કળાઓમાં અભિવ્યકત સૌંદર્યના ચાહક અને ભાવક હતા અને આથી જ, કદાચ, તેઓ ગુરુદેવ રવીન્દ્રનાથની ખૂબ નિકટ હતા. તેમની પસંદગીઓ બોન્સાઈના છોડ પરના અપાર પ્રેમની હતી અને તેઓ ‘એકલો જાને રે’ની કોઈ ગમતી યાત્રાના સંવેદનશીલ પ્રિય જન પણ હતા કે જેને ઘોંઘાટથી દૂર રહી બનારસના કોઈ નિરવ ઘાટ પર બેસી વહેતી ગંગા પર સરકતી હોડીનું સૌદર્ય માણવું છે. તેઓ બોધિ વૃક્ષની આસપાસની સાધના હતા કે જેના મૂળ ક્યારેક લાઓત્સુની કોઈ વિચાર કણિકાને તો ક્યારેક સપ્તપર્ણીના સાત સૂરોની સુસંવાદિતતાને સ્પર્શતા હતા.
તેઓની જીવન સાથેની આવી જીવંત નિસ્બતે તેમને જીવનની છેલ્લી ક્ષણ સુધી ગમતાં કાર્યોમાં ઓતપ્રોત રાખ્યા. તેઓ છેક સુધી અભ્યાસુ રહી શક્યા અને રહી શક્યા એક ખોજી જેને જીવનને કલાત્મક રીતે એક્સપ્લોર કરવું છે અને એ કરવામાં કોઈ ઉતાવળ નથી કે નથી કોઈ ભાગંભાગ પણ. આવી નિતાંત નિરાંતના માલિકને મૃત્યુએ પણ જે સ્પર્શ કર્યો છે તે તેમના સ્વભાવ જેટલો જ ઋજુ છે. તેમની અંતિમ ક્ષણોની આભાએ તેમના જીવનના અરીસાને જાણે વધુ ઉજળો કર્યો છે. પોતાનાં વાંચન-લેખન દરમિયાન માથું ઝુકાવી દઈ બ્રહ્માંડના લયમાં વિલીન થવાની તેમની યાત્રાનો આરંભ પણ કેવો સ્થિર, શાંત અને કેટલો લયબદ્ધ અને ગતિશીલ પણ છે !!
જયંતભાઈના જીવનનો અને જીવનની અંતિમ ક્ષણો સુધીનો આવો લય મેં મારી રીતે અવલોકયો છે અને જ્યારે આજે લખું છું ત્યારે એવું અનુભવાય છે કે કવિવર રવીન્દ્રનાથ ટાગોરના શબ્દોમાં જાણે જયંતભાઈ આપણને સૌને તેમની વિદાય વેળાએ એવું કહે છે કે,
‘જ્યારે હું અહીંથી વિદાય લઉં છું ત્યારે મારા વિદાય વેળાના એ શબ્દો હોય કે મેં આ પૃથ્વી પર જે જોયું છે તે સર્વોત્તકૃષ્ટ છે, unsurpassable છે.
મેં અહીં પ્રકાશના દરિયા પર વિસ્તરતા કમળમાં છૂપાયેલા મધનો સ્વાદ ચાખ્યો છે અને આથી જ [મને થાય છે કે ] હું આશીર્વાદ પામેલો છું. આ જ મારા વિદાયના શબ્દો હજો.
અનંત સ્વરૂપોના આ પ્લેહાઉસમાં મારી પાસે મારી ખુદની રમત છે અને અહીં જ મને આટલા બધા સ્વરૂપો વચ્ચે જે નિરાકાર છે તેનું દર્શન પણ થયું છે.
મારું આખું ય શરીર અને તેના દરેક અંગ તે નિરાકારના સ્પર્શે રોમાંચિત થયેલા છે કે જે નિરાકાર પોતે સ્પર્શની પેલે પાર છે; અને જો અહીં જ મારો અંત આવે તો તેને આવવા દો. આ જ મારા વિદાય વેળાના શબ્દો હજો.’
મને એવું લાગે છે કે જયંતભાઈની વિદાયમાં જીવન જીવવાની રીત સમાયેલી છે. તેમાં કવિવરનું સાનિધ્ય છે અને છે વિનસેન્ટ વાનગોઘના intense અને bold જીવન રંગોના બળવાન strokes પણ. તેમાં સમષ્ટીને સમીપ લાવવાની પ્રેરણા છે અને છે પૂર્ણમાં પૂર્ણને સમાવી પૂર્ણને વૃદ્ધિ પામવાનો અવકાશ આપતી spaceનો અહેસાસ પણ. જયંતભાઈની વિદાય વેળાએ આવા શુદ્ધ-સાત્વિક અહેસાસને હ્રદયે ધરી એટલું કહેવું છે કે જયંતભાઈ, તમે પણ ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર જેવા જ વિધાત્રીના પનોતા પુત્ર છો અને અમે સૌ તમને ખૂબ ચાહીએ છીએ …
આ સાથે, લતાબહેન અને સમગ્ર પરિવારને વંદન અને પરમ આદરણીય જયંતભાઈના પરમ આત્માને પણ વંદન ….
સૌજન્ય : https://www.facebook.com/raksha.bhatt
છવિ સૌજન્ય : અપૂર્વભાઈ આશર