‘રક્ષા, તું પણ મારી જેમ અંગ્રેજી સાહિત્યમાં અભ્યાસ કર, અને પછી, એમ.એ. કરી બી.એડ. પણ કર.’ એવું કહી જેણે મારા જીવનને જીવનની અને જીવન નિર્વાહની વીરપસલી આપી એ મારો ભાઈ સુભાષ મારી સમૃદ્ધિ.
નાની હતી ત્યારે એક વખત, ગાંધી સ્મૃિત અને બાર્ટન ગ્રંથાલયમાં સભ્ય થવા લઈ ગયેલો ને ગ્રંથપાલ સાથે મારી ઓળખાણ કરાવી કહ્યું કે આ મારી નાનીબહેન રક્ષાને તેને જોવે તે પુસ્તકો શોધી આપવામાં મદદ કરજો. એ પછીનાં આ પચ્ચીસથી વધુ વર્ષોમાં ભાવનગરના ગ્રંથાયલોના ગ્રંથપાલો બદલાયા, પરંતુ મારો પરિચય સુભાષભાઈની નાનીબહેન તરીકેનો કાયમ રહ્યો.
અંગ્રેજી સાહિત્યના પ્રથમ વર્ષે ને સત્તર-અઢારની મારી વયે, સુભાષે જે. કૃષ્ણમૂર્તિનું દળદાર પુસ્તક ‘The Awakening Of The Intelligence’ આપ્યું અને એ પછી પસાર થયેલાં વર્ષો, કેટલાંક વર્ષોની પીડા, દુ:ખ અને પ્રિયજન સાથેનાં કોઈ નમણાં સંબંધની તૂટેલી દોરીના તાણાવાણા સુભાષે સ્થાપેલી મારી જે. કૃષ્ણમૂર્તિ, ઓશો ને રમણ મહર્ષિ સાથેની અતૂટ અને દિવ્ય સંભાળથી સ્વસ્થ થતા રહ્યા.
આજની તારીખે સુભાષ મને મારા જન્મ દિવસ અને વીરપસલીમાં આપતો રહે છે નરસિંહ મહેતાનું ‘શબ્દવેદ’, સુરેશ જોશીનું સાહિત્ય વિશ્વ, ઓશોની અષ્ટાવક્ર મહાગીતા, ઓશપેંશ્કીનું ‘The Forth Way’, ‘Krishnamoorti To Himself, કબીર અને Outlook Travellerના genuine પ્રકાશનો. વર્ષપર્યંત પુસ્તકોની નદી મારા અભ્યાસ ખંડ તરફ વહ્યાં કરે, અને એમાં મોટા ભાઈની સંભાળ અને દરકાર પણ એટલી જ વહે.
હીચકે બેઠા-બેઠા સુભાષે ભણાવેલા હરમન હેશનું ‘સિદ્ધાર્થ’ કે કોલરિજ અને મેથ્યુ આર્નોલ્ડની સાહિત્યની વ્યાખ્યાઓની સમજનાં સ્મરણો આજે પણ ટોળે વળી આંખમાં સજળ થાય છે. રસ્કિન બોન્ડની હિમાલય પ્રેમની વાતો, Seven Years In Tibet કે પોલો કોયેલોના The Alchemistના અર્થઘટનોની અઢળક વાતો અને ચર્ચાઓ મારી આંખોમાં સુભાષે આપેલા ચમકારા છે અને છે આધ્યાત્મના આત્મવાન ઓટલા, જેના પર બેસી હવે અનેક વખત હું મારી નિસ્ફળતાઓ અને સંબંધોના આખાય illusory જગતે મને આપેલી એકાંતની ભેટને, નામ વગરના gift packમાં વિંટાળીને મારી જાત સાથે બેસું છું ને લગભગ રોજ કશુંક લખું છું અને સરાયની અગાસીમાં ચાલું છું.
‘રક્ષા, ક્યાં જવું છે આ ઉનાળાની રજાઓમાં?’-થી પ્રારંભાતો સુભાષનો પ્રશ્ન છેલ્લાં ત્રીસ વર્ષના ઉનાળા અને શિયાળાના લાંબા પ્રવાસો અને નાની-મોટી ઉજાણીઓના આનંદમાં સુભાષનો સાથ લઈને હજી પણ અકબંધ બેઠો છે. કેરલ-કર્ણાટકના ઘટાટોપ જંગલો, ઘૂઘવતા દરિયા અને મને અતિ પ્રિય પુરાતત્વિય પ્રાચીન મંદિરો સુભાષ ન હોત તો મેં આ જન્મે ન જોયાં હોત. બૃહદ્દ હિમાલયના બરફાચ્છાદિત પર્વતો અને અલકનંદા, મંદાકિની, બીયાસ, સતલજ અને સિંધુનાં દર્શન અને હિમાલયન કેડીઓ પરના અગણિત પડાવોની આખી ય મૂડી સુભાષ ન હોત તો આ જન્મે મને ન મળી હોત.
પ્રવાસોમાં સુભાષ પાસે અનેકો દિક્ષિત થયા હશે, થાય છે અને થશે પરંતુ મને મળેલા initiationને પકડ્યો છે કોઈ ઠોસ રંગ જીવનનો અને તે છે મારી છબિકલા જે કોઈ અર્થોપાર્જનની ગુલામ નહીં પરંતુ નિજાનંદનું બીજું નામ અને મારી identity પણ. આ identity કે જાતને ક્યાંક સાબિત કરવાનું બળ અને સંસ્કાર આપતા-આપતા સુભાષે આપ્યું મને એનું મિત્ર વર્તુળ. કેટલાક મિત્રો સાથે અનેક પ્રવાસો, તો કેટલાક મિત્રો સાથે આખી રાત ચાલેલા અમારા ડાયરા, સત્સંગ, ગીતો અને અલગારી રખડપટ્ટીનાં તોફાની સ્મરણો.
જૂના ઘરના હીચકે, દાદરે ને ઓસરીમાં ચાલેલા શિશુવિહારથી શામળદાસ અને શામળદાસથી સરાય સુધીના, ચાલીસથી વધુ વર્ષોમાં એક માત્ર અવિરત અખંડ એવું bond જે ક્યારેક ક્યારેક થપ્પાની રમત માફક સંતાઈને ફરી એ જ સ્થળે થપ્પો કરવા પાછું આવે છે તે છે સુભાષનું, સુભાષ સાથેના genuine પ્રવાસો, વાતો-વિચારોનું, સુભાષની મારા માટેની સંભાળનું, સુભાષે આપેલાં પુસ્તકો, પ્રવાસો અને એક સરખી રીતે ઉછરેલી કોઈ સમજ, હું ક્યારે ય કેળવી શકી ન હોત એવી મૈત્રીનું અને એકાંતને સ્મૃદ્ધ કરવાના સંસ્કારનું.
આ જબરદસ્ત ને જીવન બક્ષતી કેટલીક સમજના ચમકારાને આજે સલામો કરું છું ને સુભાષને પણ ..
સૌજન્ય : https://www.facebook.com/raksha.bhatt/posts/2901859013173006