એક સમયે પોતાના અંગત મંત્રીને કોઈ પુસ્તક વાંચતાં જોઈ તે અંગે પૂછપરછ કરી ગાંધીજીએ કહ્યું હતું કે તેમણે એ પુસ્તકનાં વખાણ સાંભળ્યાં હતાં અને તે વાંચવાની ઇચ્છા પણ ધરાવતા હતા. એ પછી તેમણે ઉમેર્યું કે, આપણને આવી સાહ્યબી માટે સમય આપવાનો અધિકાર જ નથી. આપણી ક્ષણેક્ષણ ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવા જરૂરી લોકજાગૃતિ લાવવાના કાર્ય માટે ખર્ચવાની છે.
હાલમાં જ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બનેલા નિરીક્ષકના તંત્રીની સ્થિતિ પણ ઉપર્યુક્ત વાતને સમાંતર કહી શકાય તેવી છે. મને લાગતું રહ્યું છે કે દેશ અને સમાજની પરિસ્થિતિ ઉપરાંત વ્યાવહારિક મર્યાદાઓને કારણે રસ અને સમજ ધરાવતા હોવા છતાં તંત્રીએ સાહિત્ય તથા અન્ય લલિતકળાઓને પરાણે ‘સાહ્યબી’ માનવી પડે છે. (વડોદરાના એક સ્મશાનની ભીંત પર દુર્યોધનના મોઢે બોલાયેલા શબ્દો લખેલા જોવા મળેલા : ધર્મ શું છે તે જાણતો હોવા છતાં મારાથી તેનું આચરણ થઈ શકતું નથી.)
જો કે કળા તો નહીં પણ કળાસર્જકો અંગે ક્યારેક, મુખ્યત્વે તેમના નિધન અંગેની નોંધ લેવાતી રહી છે ખરી.
સાહિત્ય પરિષદના સ્થાપક સ્વ. રણજિતરામ વાવાભાઈ મહેતા ભર્તૃહરિએ નીતિશતકમાં કહેલી વાત-સાહિત્ય, સંગીત અને કળામાં રસ ન ધરાવનાર, પૂંછડી અને શિંગડાં વિનાનો પશુ છે – તે જાણતા હતા તથા તેની સાથે સહમત હતા તેમ માની શકાય. એકસોથી વધુ વર્ષ પહેલા તેમણે ધ્યાન દોરેલું કે, આપણે સાહિત્યને પોષવા, ઉછેરવામાં મશગૂલ છીએ પરંતુ સંગીત આદિ સાહિત્યના સહોદરો પ્રત્યે લક્ષ પણ આપતા નથી.
વીસમી સદીના પૂર્વાર્ધ સુધી-સાચી-નિસબત, ધરાવતા લોકોએ પણ સમયની આવી કટોકટી અનુભવવી પડેલી નહોતી. પોતાની વ્યાવસાયિક, કૌટુંબિક તથા લૌકિક જવાબદારીઓ નિભાવવા છતાં વિવિધ કળાઓથી તેઓ માહિતગાર રહી શકતા હતા અને રહેતા પણ હતા. વ્યાવહારિક તેમ જ આર્થિક કારણોસર કે તે બહાને, ઘણાં સામયિકો તથા અખબારોમાં હવે કળા સંબંધી લખાણો માટે પહેલાં ફાળવાતી જગ્યામાં કટૌતી થઈ છે અથવા સદંતર બંધ કરાઈ છે. જો કે, સદ્ભાગ્યે તેના વિકલ્પે, ઇન્ટરનેટ જેવી સગવડોને લીધે કળાઓમાં કે પોતાને મનગમતા વિષયોમાં રસ લેવા તથા તેને સમજવા ઇચ્છતા લોકો માટે ઉપયોગી ઢગલાબંધ સામગ્રી ઉપલબ્ધ પણ થઈ છે અને મેળવવી સરળ પણ બની છે. વળી, છાપકામની મર્યાદાઓ તો જરાયે નડતી ન હોવાથી રંગીન, દૃશ્ય-શ્રાવ્ય સ્વરૂપે મળે છે. આનો લાભ લેવા માટે આપણે વૉટ્સએપ્પ, ફેસબૂક તથા અન્ય પોપ્યુલર મીડિયા જેવી અનેક વ્યસન જેવી સુવિધાઓમાંથી થોડો સમય આપવા સિવાય અન્ય કશું જ ગુમાવવાનું હોતું નથી.
૧૯૫૪માં તત્કાલીન કેન્દ્રસરકારે રાષ્ટ્રીય સ્તરે ‘સાહિત્ય, સંગીત નાટક તથા લલિતકલા અકાદમી’ નામે ત્રણ સંસ્થાઓ સ્થાપી હતી. આ ત્રણેય સંસ્થાઓ પરસ્પર સંકલિત રીતે સક્રિય રહી શકે તે માટે, ત્રણ પાંખો ધરાવતી એક મોટી ત્રણમાળી ઇમારત પણ તૈયાર કરાવી આપેલી. અને તેને, ત્રણેય કળાપ્રકારોમાં મહત્ત્વનું પ્રદાન કરનાર રવીન્દ્રનાથ ટાગોરની યાદમાં રવીન્દ્રભવન નામ અપાયું. ત્યાર બાદ ગુજરાત સહિત ઘણાં રાજ્યોમાં પણ અકાદમીઓ સ્થપાઈ. કોવિદ-૧૯, કોરોનાકાળમાં જેમ એકાદ-બે સ્થળ તેની અસરથી મુક્ત રહી શક્યાં તેમ આ બધી અકાદમીઓમાંથી ચંડીગઢ લ. ક. અકાદમી જ મૂળ ઉદ્દેશ તથા કાર્યક્ષેત્રને અનુરૂપ કાર્ય કરતી રહી શકી છે. વળી, માત્ર રાજ્ય ધોરણે અને મર્યાદિત શ્રોતા – પ્રેક્ષકોની હાજરીમાં પ્રયોજાયેલા, સચિત્ર વ્યાક્યોની લાભ કળાપ્રત્યે અભિરુચિ ધરાવતા બધા લોકોને મળી શકે તે માટે ‘યુટ્યૂબ’ પર ઉપલબ્ધ કરાયાં છે.
આધુનિક તેમ જ સાંપ્રત અનુઆધુનિક કળા પ્રકારો સાથે સંકળાયેલા અનેક પ્રમુખ કળાકારોના વાર્તાલાપો તેમ જ કળા-આલોચકો સાથેના, પ્રશ્નોત્તરી પ્રકારના, ૪૫થી ૬૦ મિનિટના અનેક વીડિયો તેમાં જોઈ શકાય છે. વળી, એનું ધોરણ પણ ઉત્તમ અને પૂરેપૂરું ‘પ્રોફેશનલ’ હોય છે.
૧૯૬૮માં રાષ્ટ્રીય લ. ક. અકાદમીએ આંતરરાષ્ટ્રીય ત્રિવાર્ષિકી કળા પ્રદર્શન આરંભેલ. અગિયાર પ્રદર્શનો યોજ્યાં પણ પછી, તે બંધ થઈ ગયાં. મોટા ભાગે રવીન્દ્રનાથના એક કાવ્યમાં, પોતે આથમી જાય પછી રાત્રે લોકોને પ્રકાશ કોણ આપશે તેની ચિંતા કરતા સૂર્યને એક નાનકડું કોડિયું કહે છે : મહારાજ! તે માટે મારાથી શક્ય તેટલું હું જરૂર કરીશ.
ભારતીય કળાક્ષેત્રે ખૂબ સરસ અને ઉપયોગી પુરવાર થયેલ એક પ્રદર્શન બલકે મહોત્સવ છેલ્લાં ૧૨ વરસથી દેશના દક્ષિણ ખૂણે આવેલ નાનકડા રાજ્ય કેરળમાં જીવિત કરાતો છે. રાજ્ય સરકારની તેમ જ સહૃદયી કળા પ્રેમીઓની સહાયથી ‘કોચિ આંતરરાષ્ટ્રીય દ્વિ-વાર્ષિકી’ કળાપ્રદર્શન યોજાવા લાગ્યાં છે. આ દ્વિ-વાર્ષિકી અંગેની વિવિધ દૃશ્યમાહિતી પણ ગૂગલ અને યુટ્યૂબ પર જોઈ-સાંભળી શકાશે.
આના સંદર્ભે મારા મનમાં એક પ્રશ્ન તરવાર્યા કરે છે : ગયા વરસે ભયંકર વરસાદી પૂરપ્રકોપથી તારાજ થઈ ગયેલા કેરળવાસીઓને સહાય-રૂપ થવા દેશભરના કળાકારોએ સહર્ષ આપેલી કળાકૃતિઓના વેચાણાર્થે યોજાનાર પ્રદર્શન માટે દિલ્લીની રાષ્ટ્રીય લ. ક. અકાદેમીએ પોતાની વિથિ (ગૅલેરી) આપવા કરેલ ઇન્કારનું કારણ એ તો નહીં હોય કે પોતે જેને જિવાડી ન શક્યા અને પડતું મૂક્યું તે કાર્ય કેરળમાં ફિનિક્સ પંખી જેમ બલકે વધુ સારી અને સફળ રીતે જીવિત થયું? જો કે કળાકારો અન્ય સ્થળે પ્રદર્શન યોજીને પણ ત્રણ કરોડ રૂપિયા એકઠા કરી ધારેલી મદદ કરી શકવા સફળ રહ્યા હતા.
મુખ્યત્વે સાહિત્યને સમર્પિત સામાયિકમાં દૃશ્ય તેમ જ અન્ય કળાઓની ‘ઑનલાઇન’ રજૂઆત માટે મારા મનમાં એક ઉપાય બલકે તે માટેનો વિચાર ઘૂમરાયા કરે છે. દરેક અંકમાં બેત્રણ સારા કાર્યક્રમોનો માત્ર થોડી પંક્તિઓમાં પરિચય આપી તેની સાથે લિંક જોડવી.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2020; પૃ. 11