એક એક ડગ માંડવાથી કેટલી લાંબી સફર ખેડાઈ શકે છે, તે ઇલાબહેનનાં કાર્યો થકી જોઈ શકાય છે. સ્થાનિક સ્તરે એક નાનકડા સમૂહ અને નાનકડી પહેલથી આરંભાયેલી ‘સેવા’નાં કાર્યોથી આજે વિશ્વની લાખો બહેનો પોતાનાં જીવન તારી રહી છે. એક છત્ર હેઠળ એકવીસ લાખ જેટલી અસંગઠિત બહેનો સંગઠિત થઈને એકબીજાંની તારણહાર બને તેવું વિશ્વભરનું એકમાત્ર ઉદાહરણ ‘સેવા’ છે.
આ માતબર કાર્ય આજે અશક્ય લાગે છે, હવે તો નેટવર્કિંગ અર્થે ટૅક્નૉલૉજીની સહાય છે છતાં ય. કારણ કે આ બહેનો જોડાવવાના અર્થે જ માત્ર ‘સેવા’માં નહોતી જોડાઈ. ગરીબ, વંચિત વર્ગની બહેનોના પ્રશ્નો જીવનમરણના હતા, રોજગારીના હતા, જે બહેનો રાતદિવસ મજૂરી કરતી હતી તેમની બચતના હતા, અમદાવાદની મિલો બંધ પડી ગયા પછી પરિવારના ગુજરાનના હતા, બાળકોનાં શિક્ષણના, ઘરમાં આવતા પ્રસંગોના અને અણધારી આવતી બીમારીના સુધ્ધાં. આ ઉપરાંત કેટલા ય પ્રશ્નો એવા ય ખરા જે અંગે બહેનો મુખરે ય નહોતી. જ્યારે પરિવારની કરોડરજ્જુ બહેનો હોય અને બધી જવાબદારી એમના માથે હોય તેમ છતાં આર્થિક મુદ્દે મહદંશે તેમની અવગણના થતી રહેતી. બહેનોના આ બધા સવાલોના ઉત્તરમાં ‘સેવા’ ઊભરી આવી અને તેનું કાર્ય પછી તો વિસ્તરતું જ ગયું અને તેની સાથે સાથે ઇલાબહેનનું વ્યક્તિત્વ પણ. અને એટલે જ તેઓ તેમના ‘ગરીબ, પણ છૈયે કેટલાં બધાં’ પુસ્તકમાં એવું લખી શક્યાં કે, “ગામડાંની સ્ત્રીઓમાં મને ભારતનું હૃદય સાંપડ્યું છે.”
આઝાદી મળ્યા પછી રાષ્ટ્રનિર્માણનો જે ઉત્સાહ જાગ્યો તેમાં ઇલાબહેન પહેલી પેઢીનાં ગણાય. તે વખતે અગ્રિમ પ્રશ્ન રોજગારીનો હતો, તેમાં પણ પરંપરાગત રીતે પુરુષોને કામ આપવાનો. બહેનો અને તેમાં પણ શ્રમજીવી, સ્વાશ્રયી, ગરીબ અને વંચિત વર્ગની બહેનોની ગણના તો દૂરદૂર સુધી નહોતી. પરંપરાગત રીતે બહેનોના ભાગે ખેતી, મજદૂરી ઉપરાંત ઘણાંયે કામો હતાં જ, પણ આર્થિક ઉપાર્જનમાં તેમની ગણતરી થાય તેવો અવકાશ નહોતો. ઇલાબહેન કહેતાં તેમ મુદ્દો બહેનોને માત્ર પગભર કરી દેવાનો નહોતો; બલકે તેમના તરફનાં વલણને બદલવાનો સુધ્ધાંનો હતો. એકવીસમી સદીમાં પણ આ કાર્ય જોજનો દૂર લાગે છે ત્યારે તેમણે તો 1972માં શરૂઆત કરી હતી. તે વખતે સ્વાભાવિક રીતે પડકાર મોટો હતો, અને તેમાં માનસિકતા અને વલણ બદલવા અર્થે ઘણી વાર ઇલાબહેનને સંઘર્ષમાં ય ઊતરવું પડ્યું. અમદાવાદના માણેકચોકમાં તેમણે શાકભાજી વેચતી મહિલા ફેરિયાઓ માટે તંત્ર સામે કરેલો વિરોધ જાણીતો છે.
આ નાનકડા સંગઠનથી અમદાવાદ શહેરની મહિલાઓને મધદરિયે જાણે તરાપો મળ્યો હોય તેવો અહેસાસ થયો. તેની મદદથી બહેનો સુખરૂપ કિનારે પહોંચવા માંડી. જીવનની હાલાકીઓનો ઉકેલ જેમ જેમ બહેનોને ‘સેવા’ના નેટવર્કથી દેખાતો ગયો તેમ તેનો વ્યાપ પ્રસર્યો. અને આ વ્યાપને સતત બદલાઈ રહેલા જમાના સાથેની દૃષ્ટિ આપવાનું કાર્ય ઇલાબહેન દ્વારા થતું રહ્યું. તેમણે ૧૯૯૬માં સેવાનિવૃત્તિ લીધા પછી ય તેઓ માર્ગદર્શન માટે સતત ઉપલબ્ધ રહ્યાં અને તેથી ‘સેવા’નો વિચાર નિરંતર વિકસતો રહ્યો, કટોકટીમાંથી પાર પડતો રહ્યો અને આવનારાં પચાસ વર્ષોમાં ‘સેવા’નાં વિઝનથી હજુ જરૂરિયાતમંદ બહેનો તેમાં સમાવિષ્ટ થતી રહેશે. ‘સેવા’નાં કાર્યોને આટલે સુધી પહોંચાડીને ઇલાબહેને 89 વર્ષે વિદાય લીધી અને તેમના જીવનના ચાર દાયકા સંપૂર્ણ રીતે બહેનો માટે અવિરત સેવા માટેના રહ્યા. યોગ્ય સમયે નિવૃત્તિ લઈને માર્ગદર્શકની ભૂમિકામાં આવ્યાં.
ઇલાબહેનનું કાર્ય રચનાત્મક રહ્યું અને એટલે સ્થાનિકથી વિશ્વવ્યાપી બનવા છતાં તેમનું જીવન વિવાદ રહિત રહ્યું. ગાંધીજીના જીવનના રચનાત્મક કાર્યનાં પાસાંને તેઓ સારી પેઠે સમજ્યાં હતાં અને અમલી પણ બનાવી શક્યાં. આવું વલણ મહદંશે મહત્ત્વની ઘટનામાં તેમનું રહ્યું છે. ઇલાબહેનનું સેવામય જીવનકાર્ય એટલું પોંખાયું કે માન-ઇલકાબો ખૂબ મળ્યાં, પણ છતાં તેમની સાદગી આંખે ઊડીને વળગતી. સાદગી માત્ર વસ્ત્રોની નહોતી, સુવિધા બાબતે ય તેમણે અવરજવર માટે પોતાની એક રિક્ષા રાખી હતી. અમદાવાદમાં કાળા રંગની રિક્ષામાં ઇલાબહેનને જોવાં સામાન્ય બાબત હતી. ઉપરાંત, નાના નાના કાર્યક્રમોમાં ય અગ્રહરોળમાં કોઈ આડંબર વિના બેસેલાં ઇલાબહેનને અનેક લોકોએ જોયાં હશે. તેમની અતિવ્યસ્તતા વચ્ચે પણ વિદ્યાર્થીઓ, ‘સેવા’ની બહેનો અને અન્ય કોઈ માટે પણ તેમના ઘરનાં દ્વાર હંમેશાં ખુલ્લાં રહેતાં.
ઇલાબહેનની સિદ્ધિઓ એટલી બુલંદ છે કે તેમાં સદ્દગુણોનું આવરણ ન ચઢાવીએ તો ય ચાલે. જૂજ વ્યક્તિઓ પોતાના આટલા મોટા એક સમૂહમાં પ્રભાવ છતાં જમીની સ્તરે રહી શકે છે. ઇલાબહેન એ રીતે જીવ્યાં અને તેથી જ નવા કેટલાક ઉમદા વિચારે ય આપી શક્યાં. તેમાંથી એક એટલે ‘અનુબંધ : સો માઈલનો સંબંધ’. આ નામે પુસ્તકેય થયું. આ વિચારને ટૂંકમાં ઇલાબહેને આ રીતે રજૂ કર્યો છે : “હું માનું છું કે જો રોજિંદા જીવનની છ પ્રાથમિક જરૂરિયાતો — ખોરાક, કપડાં, મકાન, તથા સ્વાસ્થ્ય, શિક્ષણ અને બૅંકિંગ સેવાઓને સ્થાનિક રીતે, ઘણે અંશે સો માઈલના ફરતા વિસ્તારમાંથી જ, મેળવી શકાય તો લોકોની વિવિધ નવી નવી શોધો દ્વારા ગરીબી, શોષણ અને પર્યાવરણ — અવનતિનો આપણે ઉકેલ લાવી શકીએ … પ્રત્યેક સો માઈલના સંબંધો આપણને એક દિવસ ભૂખ, ગરીબાઈ, શોષણ અને પર્યાવરણીય અવનતિ વગરના વિશ્વ ભણી લઈ જશે તેવી મારી શ્રદ્ધા છે.”
ઇલાબહેનલિખિત અને અન્ય ઠેકાણે ય તેમના જીવન વિશેની માહિતી અને વિચાર વિશે લખાણો ઉપલબ્ધ છે. એવા કેટલાક લેખોનો સંચય આ અંકમાં કર્યો છે. તેમની વિદાય વેળાએ જે કંઈ લખાયું તેમાંનું કેટલુંક અહીં સમાવિષ્ટ કર્યું છે. પુનરાવર્તન ન થાય તેનું ખાસ ધ્યાન રાખ્યું છે તેથી કેટલાક લેખોમાં સંપાદન કર્યું છે. તેમના જીવનમાં કેટલાક અતિ નજદીક રહેલાં અને પરિવારનાં સભ્યો પણ આ અંકમાં ઇલાબહેન વિશે અભિવ્યક્ત થયાં છે. ઇલાબહેનનું જીવનકાર્ય અને તેમનું વિચારભાથું વાચકને મળી રહે તેવો આ અંકનો ઉદ્દેશ છે. નવજીવન ટ્રસ્ટનો ઇલાબહેનને આ અંક થકી અંજલિ આપવાનો પ્રયાસ છે. આખરે તેમનાં કાર્યોએ ગાંધીજીનાં રચનાત્મક કાર્યોને દીપાવ્યાં છે.
e.mail : kirankapure@gmail.com
પ્રગટ : ‘સંપાસદકીય’, “नवजीवनનો અક્ષરદેહ”, ડિસેમ્બર 2022 – જાન્યુઆરી 2023; પૃ. 383-384