આપણા પાડોશી રાજ્ય મધ્ય પ્રદેશનું એક ક્ષેત્ર બુંદેલખંડમાં આજકાલ એક પ્રોજેક્ટનો જોરશોરથી વિરોધ થઈ રહ્યો છે અને તેમ છતાં તે વિરોધની નોંધ ગણીગાંઠી ન્યૂઝ ચેનલ લઈ રહી છે. આ પ્રોજેકટ એટલે કેન અને બેતવા નામની બે નદીઓને જોડવાનો પ્રોજેક્ટ. આ અતિ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ છે અને તેને લઈને સરકારના ઘણાં બધા દાવા છે. એક તો તેનો ઉદ્દેશ બુંદેલખંડના મસમોટા વિસ્તારને પાણીની આપૂર્તિ કરાવવાનો છે; જેથી અહીંની ખેતી સમૃદ્ધ થઈ શકે. ઉપરાંત, તેનાથી વીજળી પણ ઉત્પન્ન થવાની છે. અને 62 લાખ લોકોને પીવાનું શુદ્ધ પાણી મળશે – તેવો દાવો પણ આ પ્રોજેક્ટને લઈને થઈ રહ્યો છે.

કેન-બેતવા પ્રોજેક્ટની અનેક વર્ષોથી વાત થઈ રહી હતી, આખરે 25 ડિસેમ્બર 2024ના રોજ તેનું ખાતમૂહુર્ત વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા થયું. સરકારી પ્રોજેક્ટ હોય ત્યારે તેના લાભ જ ગણાવવામાં આવે અને તેમાં ઘણી બધી અતિશોયક્તિ પણ થાય છે. પરંતુ કેન-બેતવા પ્રોજેક્ટથી નુકસાને ય ઘણું છે. આ નુકસાનમાં સૌથી પહેલાં તો અતિ સમૃદ્ધ પન્ના અભિયારણ્યનો મસમોટો ભાગ પાણીમાં ગરકાવ થઈ જશે. પન્ના અભિયારણ્યમાં હાલમાં પણ એંસી જેટલાં વાઘ છે અને અનેક અન્ય પ્રાણી-પંખીની પ્રજાતિઓ વસે છે. પ્રોજેક્ટથી તેમના પર જોખમ આવશે તે અંગે અનેક પ્રાણીપ્રેમી અને નિષ્ણાતો ચેતવી ચૂક્યા છે. બીજું કે આ વિસ્તારમાં વૃક્ષોની સંખ્યા પચાસ લાખની આસપાસ છે. બંને નદીઓને જોડવાથી અહીંયાના દસ લાખથી વધુ વૃક્ષો કાપી નાંખવામાં આવશે અથવા તો તે ડૂબમાં જશે. અને હાલમાં આ પ્રોજેક્ટનો વિરોધ કરનારાઓ 32થી વધુ ગામો પાણીમાં સમાઈ જશે – જે કારણે જ સ્થાનિક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. કુદરતના સાંનિધ્યમાં અને પાયાના સગવડથી અભાવમાં રહેનારા આ ગ્રામવાસીઓનો પ્રોજેક્ટથી છે. તેઓને ખ્યાલ છે કે તેમનું જીવન હવે અનિશ્ચિતતામાં પ્રવશશે. અત્યાર સુધી તેઓ જંગલમાં પરંપરાગત રીતભાતથી પોતાના જીવનનું નિર્વાહ કરતા હતા. તેમાં વીજળી કે પાયાની સુવિધા પણ નહોતી. હવે તેઓને વિસ્થાપિત કરવામાં આવશે અને તેનું વળતર પણ નજીવું ચૂકવવામાં આવી રહ્યું છે. આમ આ પ્રોજેક્ટની સીધી કોઈ અસર આપણા રાજ્યમાં ન હોવા છતાં એક કેસ સ્ટડી તરીકે કેન-બેતવા પ્રોજેક્ટ વિશે જાણવું જોઈએ, જેનાથી એક આખો ક્ષેત્રની ભૂગોળ કાયમ માટે બદલાઈ જશે.

આ પ્રોજેક્ટમાં એક ડેમ બની રહ્યો છે અને તેનો પણ વિરોધ થઈ રહ્યો છે. પરંતુ આ વિરોધની જગ્યા કેમ મુખ્યધારાના મીડિયામાં બની રહી નથી? તેનું એક કારણ આ વિસ્તારમાં આદિવાસી વસે છે અને સાથે-સાથે મહંદશે અહીંના લોકો ગરીબી રેખાની નીચે જીવે છે. બીજું કે તેમાં કોઈ શહેર ડૂબી રહ્યું નથી; કોઈ બોલકા વર્ગનું કશું ય છીનવાઈ રહ્યું નથી. આ પ્રોજેક્ટથી અસર પામેલા લોકો પોતાની રજૂઆત કરી શકતા નથી, તેમની પાસે કાયદાનું પૂરતું જ્ઞાન નથી અને તેથી આ ગાજ તેમના પર પડી છે. શાસકો દ્વારા આ પ્રકારની રમત હંમેશથી ચાલે છે, પરંતુ તે વિશે અવાજ ઉઠતો નથી.

આ પ્રોજેક્ટ રીવર્સ ઇન્ટરલિકિંગ પ્રોજેક્ટ અંતર્ગત થઈ રહ્યો છે. દેશભરની જુદી જુદી નદીઓને તેમાં જોડવાની છે. ગુજરાતમાં પણ તાપી-નર્મદાને જોડવાનો તેમાં ખ્યાલ છે. રીવર્સ ઇન્ટરલિકિંગ પ્રોજેક્ટ અંગે મસમોટા દાવા થયા છે. બેશક તેનાથી દેશના શહેરોને, ખેતીને અને પીવાના પાણીનો પ્રશ્ન કેટલેક અંશે ઉકેલાય પણ ખરો. પરંતુ નદીઓને જોડવાથી જ ઉકેલ આવે છે તેવું પણ નથી. રાજસ્થાનમાં નાના-નાના ડેમ બાંધીને પણ પાણીના પ્રશ્નો હલ થયા છે. દેશમાં અન્ય રાજ્યોમાં પણ આવાં દાખલા મળી આવશે – જેનાથી પાણીનો અતિમુશ્કેલ પ્રશ્ન હલ થયો હોય. તો પછી આ પ્રોજેક્ટ કેમ? મોટા પ્રોજેક્ટથી મસમોટાં સપનાં દાખવવાનો એક કીમિયો ચાલે છે અને તેના દ્વારા અનેક લોકો તેમાં ફસાય છે. શાસકો આવા પ્રોજેક્ટ થકી પોતાના કામને મોટું દાખવીને તેના પ્રચારથી પોતાની એક છબિ ઊભી કરી શકે છે.

પરંતુ આવા પ્રોજેક્ટ નિર્માણમાં જે કંઈ જમીની સ્તરે થાય છે તેની વિગત સૌ સુધી પહોંચતી નથી. હાલમાં કેન-બેતવા પ્રોજેક્ટમાં જે ગામો ડૂબમાં જઈ રહ્યા છે – તે માટે સ્થાનિક લોકો નદીમાં કલાકો ઊભા રહીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ ગામોમાંથી હજારોની સંખ્યા બહેનો વિરોધ કરી રહી છે. એક તો તેમને આ પ્રોજેક્ટ પોતાની જમીન-ઘર જઈ રહ્યા છે તેનાથી વાંધો છે અને બીજુ પ્રોજેક્ટ હેઠળ તેમને મળેલા વળતરને લઈને પણ તેઓ વિરોધ કરી રહ્યા છે. હવે જ્યારે આ પ્રોજ્કટનો ખર્ચ 44,000 કરોડ રૂપિયા હોય તો તેમાં વિસ્થાપિત માટે નજીવી ફાળવણી કેમ કરવામાં આવી છે ?
આ પ્રોજેક્ટ જ્યારે લોન્ચ થયો ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જે કંઈ બોલ્યા છે તે પણ ધ્યાને લેવું જોઈએ. તેમણે કહ્યું હતું કે, ‘અટલજી[અટલ બિહારી વાજપેયી]એ નદીઓને જોડવાનું વિઝન રાખ્યું હતું. તેનો ઉદ્દેશ એ જ હતો કે જે નદીઓમાં જરૂરિયાત કરતાં વધુ પાણી છે, તે નદીઓને દુકાળગ્રસ્ત વિસ્તાર સુધી પહોંચાડવી જોઈએ. તેનાથી પૂરની સમસ્યા અને બીજી તરફ દુકાળની સમસ્યા બંનેનું સમાધાન શક્ય છે.’ હવે એક તરફ સરકારના દાવા છે તો બીજી તરફ હાલમાં ચાલી રહેલું અહીંનું આંદોલન છે, જેમાં હજારોની સંખ્યા લોકો પાણીમાં સતત ઉભા રહીને વિરોધ દર્શાવી રહ્યા છે. તેઓ પોતાના પૂરા શરીર પર માટી ઘસીને લગાવે છે અને અહિંસક વિરોધ કરી રહ્યા છે.

કેન-બેતવા નદી જોડો પરિયોજનાથી જે કંઈ ઉથલપાથલ થઈ રહી છે તે અંગે વધુ વિસ્તારથી સમજવું હોય તો અનુપમ મિશ્રા આ અંગે શું માનતા હતા તે જાણવું જોઈએ. અનુપમ મિશ્રા પર્યાવરણવાદી હતા અને તેમણે પાણીના અછત વિસ્તારમાં ઘણું કાર્ય કર્યુ હતું. તેઓ હવે હયાત નથી પરંતુ તેમણે જે કંઈ લખ્યું છે તેમાંથી આજે પણ અનેક બાબતોનું માર્ગદર્શન મેળવી શકાય છે. જેમ કે તેમણે નદી જોડો પરિયોજના વિશે લખ્યું છે કે, ‘દેશના જે ભૂગોળે લાખો વર્ષની મહેનતથી ખૂણેખૂણે સુધી જુદી જુદી નાની-મોટી નદીઓ કાઢી, હવે આપણે તેને દોષ આપી રહ્યા છીએ કે એક નદી કાશ્મીરથી કન્યાકુમારી સુધી કેમ વહેતી નથી? હજુ પણ કરવાયોગ્ય નાના-નાના કામોના અવેજમાં આપણે અરબો રૂપિયાની યોજનાઓની વાત કરીએ છીએ. આ દેશના ખોળે થોડા જ સમય અગાઉ હજારો નદીઓ વહેતી હતી. તેને સુકીભઠ્ઠ કરીને હવે આપણે ચાર-પાંચ મોટી મોટી નદીઓને જોડીને તેનું પાણી જ્યાં-ત્યાં લઈ જવા માંગીએ છીએ.’ તેઓ એમ પણ કહે છે કે, ‘તળાવ અને વાવ જેવી જૂની પદ્ધતિનો વિકાસની નવી યોજનાઓમાં ખૂબ ઉપેક્ષા થઈ છે. ન માત્ર શહેરોમાં જ, બલકે ગામોમાં પણ તળાવને સમથળ કરીને મકાન, દુકાન, મેદાન, બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે. જે પાણી આવી વોટરબોડીઝમાં અટકીને વર્ષ સુધી રહેતું હતું, અને તે ક્ષેત્રનું ભૂજળ ઉપર આવતું હતું. તેને આપણે નાશ કરી દીધો છે. તેના સ્થાને આપણે આધુનિક ટ્યૂબવેલ, નળ, હેન્ડપંપ લગાવીને પાણી કાઢીએ છીએ. આપણે જમીનને આપવાનું ઓછું કરી દીધું અને લેવાનું રાક્ષસી ગતિએ શરૂ કર્યું છે. અને એટલું જ નહીં આપણે એવું માનીએ છીએ કે આ બધું જ આપણી અનુકૂળતા મુજબ ચાલશે. પરંતુ હવે દર વર્ષે પ્રકૃતિ આપણને પત્ર પાઠવીને એવું કહી રહી છે કે આપણે ભૂલ કરી રહ્યા છે.’

તેઓ એમ પણ કહે છે કે, ‘ભૌગોલિક રીતે નદીઓને જોડવું યોગ્ય પણ નથી. નદીનો પોતાનો સ્વભાવ હોય છે અને તે તમારા આયોજન મુજબ ન વહી શકે. શાસકો આવા પ્રોજેક્ટ નિર્દોષતાથી લાગુ કરી દે છે. સત્તામાં આવવાથી આ પ્રકારનો રાજરોગ થાય છે.’ રાજકીય રીતે પણ અનુપમજીએ નદી સંદર્ભે એક નિવેદન આપ્યું હતું. તેમનું કહેવું હતું કે, એક જ પક્ષની સરકાર એકબીજાને જો પાણી નથી આપતી તો પછી સિંચાઈનું પાણી એકબીજા સાથે કેવી રીતે વહેંચશે. આપણા દેશમાં હજુ પણ ઘણા પાડોશી રાજ્યો નદીનાં પાણી માટે એકબીજાની સામે છે. કેન-બેતવા અને નદી જોડવાની પરિયોજના વિશે હજુ તો ઘણું લખી શકાય એવું છે. પરંતુ હાલમાં તો કેન-બેતવાથી નુકસાનનું આકલન કેટલું થશે તે જાણવું જરૂરી છે.
e.mail : kirankapure@gmail.com
![]()


ઇરાન-ઇઝરાયલ ફરી સામસામે આવીને મરણિયા થયા છે. ઇઝરાયલ સાથે અમેરિકા છે અને તેથી હવે ઇરાન સાથે કોઈ દેખાઈ રહ્યું નથી. છેલ્લે જે ખબર આવ્યા તે પ્રમાણે ઇઝરાયલ-અમેરિકાના હૂમલાથી ઇરાનના શહેરો તહસનહસ થઈ રહ્યા છે. આ યુદ્ધ થવાનાં અનેક કારણો છે; પરંતુ મૂળે તો આ ગજગ્રાહ સામ્રાજ્યવાદ, કુદરતી સંપદા મેળવવાનો અને અહંકારનો છે. વિશ્વમાં આ સ્થિતિ આજે ડોનાલ્ડ ટ્રમ્પ, બ્લાદિમિર પુતિન કે નેતન્યાહૂના શાસનમાં નથી આવી; તે અગાઉ પણ વિશ્વ આવી દોજખભરી સ્થિતિમાં આવ્યું છે અને તેનો ઉલ્લેખ વિગતે આપણા દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ તેમના પુસ્તક ‘જગતના ઇતિહાસના રેખાદર્શન’માં કર્યો છે. મૂળે આ પુસ્તક અંગ્રેજીમાં ‘ગ્લીમ્પ્સિસ ઑફ વર્લ્ડ હિસ્ટરી’ નામે લખાયું છે અને તે પછી તેનો અનુવાદ મણિભાઈ ભ. દેસાઈએ કર્યો છે. આ પુસ્તકમાં અનેક એવાં પ્રકરણ છે- જે વાંચીએ તો ખ્યાલ આવે કે આજે ય પા-સદી-સદી પહેલાંની સ્થિતિ છે. માણસ તેના ભૂલથી કશું ય શીખ્યો નથી તેવું જવાહરલાલ નેહરુના કલમે વાંચીને આપણે કહી શકીએ. ‘યુદ્ધની છાયા’ના પ્રકરણ અંતર્ગત તેઓ લખે છે : ‘રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેની આ હરીફાઈ એ ખરેખર મૂડીવાદી ઉદ્યોગોનું અનિવાર્ય પરિણામ હતું. બજારોની તેમ જ કાચા માલની દિનપ્રતિદિન વધતી જતી માગણીએ મૂડીવાદી સત્તાઓ પાસે સામ્રાજ્ય માટે દુનિયાની ફરતે દોડાદોડની કેવી હરીફાઈ કરાવી તે આપણે જોયું. એ સત્તાઓ એશિયા તથા આફ્રિકામાં જ્યાં-ત્યાં દોડી વળી અને તેમનું શોષણ કરવાને હાથમાં આવે એટલો બધો મુલક પચાવી પાડ્યો. આ રીતે આખી દુનિયા ખૂંદી વળ્યા પછી પગ પસારવાનું એકે સ્થાન બાકી ન રહ્યું એટલે સામ્રાજ્યવાદી સત્તાઓ એકબીજાની સામે ઘુરકિયાં કરવા તથા એકબીજાના તાબાના મુલકો તરફ લોભી નજરે જોવા લાગતી. એશિયા, આફ્રિકા તથા યુરોપમાં આ મહાન સત્તાઓ વચ્ચે વારંવાર અથડામણો થવા પામી અને ક્રોધની લાગણી ભભૂકી ઊઠી તથા યુદ્ધ ફાટી નીકળશે કે શું, એમ ભાસવા લાગ્યું.’ જ્યારે પોતાના સ્વાર્થની વાત આવે છે ત્યારે કોઈ દેશ માનવતાવાદી વલણ લેતું નથી તે હાલમાં ઇરાન પર થયેલાં હૂમલામાં જોઈ શકાય છે. યુરોપ અને પશ્ચિમી દુનિયા હંમેશાં માનવતાવાદી અને ઉદાર વલણ દેખાય તે રીતે નિવેદન આપે છે; પરંતુ ઇરાનના વડા આયતુલ્લાહ અલી ખામેનીની હૂમલામાં થયેલા હૂમલા બાદ યુરોપના દેશોએ કોઈ નિંદા ન કરી. એ ચોક્કસ છે કે ખામેનીનું શાસન ઇરાનમાં સરમુખત્યારશાહીભર્યું હતું, પરંતુ તેનો ન્યાય અમેરિકા કે ઇઝરાયલ ન તોળી શકે.



હવે ‘જીવનનું પરોઢ’ વિશે. આ પુસ્તક પ્રથમ વાર 1948માં નવજીવન દ્વારા પ્રકાશિત થયું હતું. જો કે પુસ્તક પ્રકાશિત થયું તે અગાઉ 25 વર્ષ અગાઉ સાબરમતી આશ્રમ અંતર્ગત ચાલતી રાષ્ટ્રીય શાળાના વિદ્યાર્થીઓનું ‘મધપૂડો’ નામનું એક હસ્તલિખિત માસિક ચાલતું હતું – તેમાં સૌથી પહેલાં ‘જીવનનું પરોઢ’ના પ્રકરણ પ્રકાશિત થયા હતા. તે વખતે તેના વાચકોમાં મહદંશે સાબરમતી આશ્રમના નિવાસીઓ હતા; પરંતુ આ પ્રકરણો એટલાં રસાળ શૈલીમાં લખાયા કે તે પછી તેને પુસ્તક તરીકે પ્રકાશિત કરવાનો વિચાર સાકાર થયો. પ્રભુદાસ ગાંધીએ જ્યારે આ પ્રકરણો લખ્યાં ત્યારે તેમની ઉંમર 12 વર્ષની હતી. તેમણે આમાં દક્ષિણ આફ્રિકાના ફિનિક્સ આશ્રમના અનુભવો અને આફ્રિકામાં સત્યાગ્રહ ચાલતાં ત્યારે તેની ચહલપહલ આશ્રમમાં કેવી હતી તે પણ આલેખ્યું છે. આ પ્રકરણો ‘મધપૂડો’માં લખાયા ત્યારે ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ લખ્યો નહોતો, તેથી સાબરમતી આશ્રમના નિવાસીઓ અને દક્ષિણ આફ્રિકાથી ગાંધી સાથે પાછા ફરનારા ફિનિક્સવાસીઓને પણ પ્રભુદાસ ગાંધીનું આ લખાણ વાંચવું ખૂબ ગમ્યું.
કાકાસાહેબે પ્રભુદાસ ગાંધીના વ્યક્તિત્વ વિશે પ્રસ્તાવનામાં ઘણી વાતો લખી છે. સાહિત્યની દૃષ્ટિએ આટલું ઉત્તમ પુસ્તક લખનારા પ્રભુદાસ ગાંધી વિશે કાકા લખે છે : ‘છેક નાનપણથી પ્રભુદાસને કહેવામાં આવ્યું હતું કે ‘એ ઠોઠ છે. જરા ય કશી હોશિયારી એનામાં નથી? દેવદાસ જેટલી હોશિયારી પ્રભુદાસમાં, ભલે ન હોય, નાના કચા (કૃષ્ણદાસ) [પ્રભુદાસના ભાઈ] જેટલી ચતુરાઈ પણ એનામાં ન હોય, પણ મેં તો એને બુદ્ધિ વગરનો જોયો કે માન્યો નથી. પણ ઘરના મુરબ્બીઓએ, ભલે અત્યંત સદ્બુદ્ધિથી પણ એનામાં જે आत्मनि अप्रत्यय ઠોકી બેસાડ્યો તે એના સ્વભાવનું એક અંગ જ બની ગયું અને વિદ્યાનિષ્ઠા, કર્મનિષ્ઠા, ધ્યેયનિષ્ઠા ઇ. સમર્થ સદ્દગુણો એની પાસે હોવા છતાં એક આત્મવિશ્વાસને અભાવે એની આખી કારકિર્દી જાણે કરમાઈ ગઈ.’
‘જીવનનું પરોઢ’ ચાર ભાગમાં લખાયેલું છે. તેના ત્રણ ભાગમાં 21 પ્રકરણ છે અને આખરના ભાગમાં 20 પ્રકરણ છે. પુસ્તકના પરિશિષ્ટોમાં ગાંધીજીના પોરબંદરના ઘરનું આલેખન છે. સંભવત્ ગાંધીજીના પોરબંદરના ઘરનું આવું શબ્દચિત્ર ક્યાં ય મળતું નથી. પુસ્તકમાંથી પસાર થઈએ ત્યારે આફ્રિકાનો એ હિસ્સો જ્યાં ગાંધીજીનો ફિનિક્સ આશ્રમ હતો તે ધીરે ધીરે પ્રભુદાસ ગાંધીના શબ્દ થકી આપણી આંખ સમક્ષ ખડો થાય છે. ફિનિક્સની અસંખ્ય ઘટનાઓ એવી છે – જેની નોંધ આ પુસ્તકમાં જ મળે છે. ગાંધીજીએ પણ ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’માં ત્યાંની ભૌગોલિક સ્થિતિ અને લોકોનું વર્ણન બખૂબી કર્યું છે, પરંતુ પ્રભુદાસ ગાંધીએ તે વર્ણન વધુ વિસ્તારથી અને રસપૂર્વક કર્યું છે. અહીં પ્રભુદાસ ગાંધીના થોડાંક શબ્દો ન મૂકીએ તો આ લેખની અધૂરપ છતિ થશે. ‘કુદરતના ખોળે’ પ્રકરણમાં પ્રભુદાસ લખે છે : ‘કુદરત અને માતાનો એ સ્વભાવ જ છે કે તમે ભલે એની કિંમત ન સમજતા હો પણ એ તો તમને પોતાના અમીરસથી નવડાવ્યે જ રાખે. ફીનિક્સમાં જ્યારે અમે એકલા પડ્યા. અમારાં માબાપ ને બાપુજી જેલ ગયાં અને મગનકાકા છાપખાનામાં ગોંધાઈ ગયા ત્યારે એ સૂના જંગલમાં કુદરત સાથેની અમારી દોસ્તી વધી ગઈ. કોઈ કોઈ વાર તો એ અમને ખૂબ રમાડતી. અનેરાં પંખીઓના ટહુકા ભેગો સાદ પુરવવામાં ને તેમની સાથે એકલાં એકલાં ગપ્પાં મારવામાં મને એટલી બધી મજા આવતી કે કલાકોના કલાકો સુધી હું પંખીગીત સાંભળતો અને કોઈક વાર એમાં ઝીણો સાદ પુરાવતો બેસી રહેતો.’