પુસ્તક પરિચય
દેશ-વિદેશના ગુજરાતી વાચકોમાં જાણીતા લેખક રજનીકુમાર પંડ્યા ‘અનોખાં જીવનચિત્રો’ પુસ્તકમાં ધૂળમાં પડેલા રતન સમા કેટલાક મનેખને ઉપસાવે છે.
એટલે જિંદગીના એક મકામ પર કામગીરી-કસબ-કામિયાબીને કારણે પોંખાયેલા, પછી ગુમનામ થઈ ગયેલા અને લેખક સાથેની મુલાકાતના સમયે વિપદાગ્રસ્ત વિષણ્ણ વયવૃદ્ધનું જીવન વીતાવતાં ઉપેક્ષિતો અહીં છે.
દયાનંદ દેવગાંધર્વે 1960માં આકાશવાણીની અખિલ ભારતીય શાસ્ત્રીય સંગીત હરીફાઈમાં રાષ્ટ્રપતિ સન્માન મેળવ્યું છે. પગે પદ્મ લઈને સંગીતકળાને લગતાં અનેક મોભાદાર કામ કરતાં દેશ આખામાં ભમ્યા.
ઉદેપુરમાં 1942માં જન્મેલા દયાનંદને લેખક જૂનાગઢમાં મળે છે ત્યારે તેઓ દયાદાન પર જીવતાં ચરસ-ગાંજાના બંધાણી હોય છે, ‘જાગા શરાબખાનેમેં’ એ તેમની પોતાની પંક્તિ તેમને ખુદને હરહંમેશ લાગુ પડે છે.
લૅન્ડસ્કેપ અને પોર્ટ્રેટમાં રંગોની લીલા બતાવનાર જમનાદાસ પુરોહિતે દામોદરકુંડે ગોરપદાનો બાપીકો ધંધો ધરાર ન કર્યો. મુંબઈની જે.જે. સ્કૂલ ઑફ આર્ટસમાં પ્રવેશ મેળવ્યો, નાગપુરમાં નાટકના પડદા ચીતરવાનું કામ કર્યું, કલકત્તાનું કલાજગત ગજાવ્યું, જૂનાગઢના નવાબના ચિત્રકાર બન્યા.
કલામાં ઊંચાઈ અને જિંદગીમાં ઉમદાઇના કિસ્સા તેમને ખાતે જમા બોલતા હતા. આખરે જૂનાગઢની હવેલીમાં વીસ રૂપિયા પગારે રસોઇઆની નોકરી કરે છે.
છોંતેર વર્ષે આંતરડાના કૅન્સરનો ભોગ બનનારા આ ચિતારા મરણપથારીએથી એક ચબરખીમાં માંડ લખે છે : ‘આવતા ભવે રોમમાં જનમ લેવો છે’.
‘નામશેષ થઈ ગયેલી બહુરૂપી કલાના મહર્ષિ’ સમા નાનુભાઈ પર રાજસ્થાનના પ્રતાપગઢ સ્ટેટે 1943માં ટપાલ ટિકિટ બહાર પાડી હતી. તેમના અચંબાભર્યા અનેક રૂપોથી ‘છેતરાયેલા’ રાજા તેમની પર રાજી હતા.
આઝાદ ભારતમાં પછી પોલીસને વેશપલટાની તાલીમ માટે ચન્દ્રકો મેળવેલાં. પણ સમય જતાં સિનેમા નાટકના ધોધમાંથી આ બહુરૂપીનું મોતી ફેંકાઈ ગયું.
છોંતેર વર્ષના નાનુભાઈ વતન વલસાડ જિલ્લાના વતન અમલસાડમાં એક મંદિરના પૂજારી તરીકે પચીસ રૂપિયે મહિના પગારની નોકરી કરે છે અને કલાકાર-પેન્શન માટે સરકારી કચેરીએ ધક્કા ખાય છે.
ભાવનગરના હાસ્યકલાકાર શ્યામસુંદર પુરોહિતને કાલેલકર, જ્યોતિન્દ્ર, પેટલીકરે વખાણેલા, દેશવિદેશમાં કાર્યક્રમો કરીને કમાયેલા. પાસા અવળા પડતા રહ્યા ને પૈસા ગુમાવતા રહ્યા.
દીકરા અને દીકરીના ભાંગેલાં ઘર સંભાળતા રહ્યા. સિત્તેરમા વર્ષે ય ભાડાના જીર્ણ ઘરમાં રહેતા અને કલાકાર તરીકે મળતા છસ્સો રૂપિયાના પેન્શન પર રોડવતા.
‘જનમદુખિયા’ લાભશંકર દવેએ બાળપણથી ખૂબ કષ્ટ વેઠ્યા બાદ મુંબઈના લાયબંબા ખાતામાં નોકરી દરમિયાન માઝગાવ ડૉકમાં એપ્રિલ 1944માં લાગેલી સદીની સહુથી ભીષણ આગમાં બચાવકાર્ય કર્યું હતું.
રાજકોટ ફાયરબ્રિગેડના સુપરિન્ટેડન્ટ લાભશંકરે 1955માં મોરબીમાં લાગેલી એક ભીષણ આગમાં ઓગણીસ કલાકની જહેમતથી પચાસ જીવ બચાવ્યા હતા. તે બદલ તેમને રાષ્ટ્રપતિ ચન્દ્રક એનાયત થયો હતો.
પણ પછી મોરબી હોનારત, ઘરમાં ચોરી અને થાપામાં ઇજાની લાંબી મોંઘી સારવારે તેમને કફલ્લક બનાવી દીધા. મિડવાઇફની નોકરી કરતાં પત્ની નિવૃત્ત થયાં. તેમને શબ્દશ: છાલિયું લઈને મંદિરે ઊભાં રહેવાનો અને નિરાધારોના કેન્દ્રમાં રહેવાનો વારો આવ્યો.
ભૂલાઈ ગયેલા સિદ્ધિવંતો પરના લેખોમાં સર્વોત્કૃષ્ટ તે ‘વનેચર’ અર્થાત વ્યાયામવીર, અધ્યાપક વહીવટકર્તા, જ્ઞાનવ્યાસંગી સંશોધક-લેખક, પ્રકૃતિવિદ હરિનારાયણ આચાર્યનો ચરિત્રલેખ.
એવા જ વંદનીય સાક્ષર ભગવદ્દગોમંડલ શબ્દકોશના કર્તા ચંદુલાલ બહેચરદાસ પટેલ. તેમનું ચરિત્ર સમાવેશક થાય એવી અપેક્ષા પૂરી થતી નથી.
‘શબ્દયોગી’ લેખ ચંદુલાલ પર કેન્દ્રિત થવાને બદલે કોશના રાજા ભગવતસિંહનું મહિમાગાન, કોશના પ્રકાશનની વિગતો તેમ જ વિનેશ, કે.સી.પટેલ, ગોપાલ પટેલ જેવા પાત્રોમાં વિખરાઈ જાય છે.
વિખ્યાત ગાયક-સંગીતકાર મહેન્દ્ર કપૂર પરના 36 પાનાંમાં કલાકાર માહિતીના ખડકલા વચ્ચે અને પછી મર્યાદિત વાચકોને રસ પડે તેવી દીર્ઘ મુલાકાતમાં અટવાય છે.
કવિ પ્રદીપ પરના લેખમાં જીવનચિત્ર કરતાં ‘ઐ મેરે વતન કે લોગોં’ અને બીજા એક ગીતની કથા કહેવાઈ છે. મુબારક બેગમની જિંદગીની દુ:ખની અને ‘મંગેશકર બહેનોના દબાણ’ હેઠળ થયેલી તેની ઉપેક્ષાની કથની મળે છે.
‘જૂના બૂરજનો છેલ્લો કાંગરોમાં’ લેખકે મીરાણી ખતુબાઈ અને તેનાં સાસુ નૂરબાઈનું વ્યક્તિચિત્ર આલેખવા ધાર્યું છે જે મહદંશે સામંતશાહી માહોલનું ચિત્ર બને છે. અહીં લેખકની વર્ણનકળાની જે ઊંચાઈ છે તે અદ્દભુત માત્રામાં ‘ભગવાનની ભલામણચિઠ્ઠી’માં પણ મળે છે.
દીર્ઘ ચરિત્રો તરીકે લેખકના પિતા દેવશંકરભાઈ અને વડનગરના સેવાસમર્પિત ડૉક્ટર વસંત મિસ્ત્રી સરસ રીતે આલેખાયા છે.
શબ્દવૈભવ, ઉપમાઓ, ઝીણવટભર્યાં નિરીક્ષણો, ચિત્તાકર્ષક વર્ણનો લેખકની ખાસિયતો છે. રજનીકુમારની રજૂઆત સુરેખ રેખાચિત્ર કે પૂરા કદના ચરિત્રલેખ કરતાં કોલાજ પ્રકારની છે. તેઓ મુલાકાતના હિસ્સા, સંભારણાં, કલ્પનો અને પ્રતીમાઓ (ઇમેજેસ અને ઇમ્પ્રેશન્સ) પોતાની ડિઝાઈન મુજબ ગોઠવે છે.
અલબત્ત, આ ચિત્રોમાં વાચક અનુભવી શકે એવો લાગણી તેમ જ માનવતાનો સતત અને સહજ સ્પર્શ શિરમોર છે. પુસ્તકની પ્રસ્તાવના તરીકે પર વિવેચક જશવંત શેખડીવાળાનો વિસ્તૃત આસ્વાદલેખ મળ્યો છે. પુસ્તકના સોળ ‘જીવનચિત્રો’ અહીં સંપાદક રતિલાલ બોરીસાગરે અહીં લેખકના આઠ પુસ્તકોમાંના 114 ‘ચરિત્રનિબંધો’માંથી પસંદ કર્યાં છે.
—————————–
‘અનોખાં જીવનચિત્રો’(ઑક્ટોબર 2023) – આદર્શ પ્રકાશન, 1760, ગાંધી માર્ગ, બાલા હનુમાન સામે, અમદાવાદ 380 001 – રૂ. 250/-
પ્રાપ્તિસ્થાન : ગ્રંથવિહાર પુસ્તક ભંડાર, સંપર્ક : 79-6587949, 98797-62263
[625 શબ્દો]
પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમની સંવર્ધિત અને વિસ્તૃત આવૃત્તિ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 07 જાન્યુઆરી 2024
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર