નેતાજી સુભાષચંદ્ર બોઝને ગાંધીજી સાથે ઘણા મતભેદ હતા. મુખ્ય મતભેદ એમની કાર્યપદ્ધતિ અંગે હતો, દેશને સ્વતંત્ર કરવા બીજા દેશની મદદ મળે તો તે લેવી જાઈએ એમ સુભાષ બાબુ માનતા હતા. ગાંધીજી એમ માનતા હતા કે બીજા દેશની મદદથી જો સ્વતંત્રતા આવે તો એક દેશની ગુલામીને બદલે બીજા દેશની ગુલામી આવી શકે. હિંસા-અહિંસાના મુખ્ય મતભેદ ઉપરાંત આ બીજો મતભેદ હતો. ગાંધીજી અને સુભાષ બાબુ વચ્ચે બીજાયે મતભેદો હતા પણ તે છતાં ય તેમણે ગાંધીજીને ‘રાષ્ટ્રપિતા’ કેમ કહ્યા હશે? કારણ તેઓ રાષ્ટ્રભક્ત હતા અને ગાંધીજીને તેમણે રાષ્ટ્રને ઘડતા જોયા જાણ્યા હતા. ગાંધીજી રાષ્ટ્રના ઘડવૈયા હતા.
દેશ એની ભૌગોલિક કે રાજનૈતિક સીમાથી બને છે. રાષ્ટ્ર માત્ર એના ઇતિહાસથી નહીં, પણ એની ભાવનાત્મક એકતાથી બને છે. કેટલાક દેશોને એની ભાવનાત્મક એકતા એની ભાષા આપે છે. બાંગ્લાદેશનું ઉદાહરણ આપણી પડોશમાં જ છે. કેટલાક દેશો ધર્મની એકતાને પોતાના રાષ્ટ્રનો પાયો બનાવે છે. પાકિસ્તાન એનું ઉદાહરણ છે. કેટલાક દેશોને રાષ્ટ્રત્વ ત્યાંના રાજવીને લીધે મળે છે. નેપાળ એનો દાખલો છે. આપણા દેશમાં અનેક ભાષાઓ હતી. આપણા દેશને રાષ્ટ્રત્વ સાંપડ્યું એની ભાવનાત્મક એકતાથી. આ દેશ ગુલામ છે, એને સ્વતંત્રતા મળવી જોઈએ એ વાત કહેનાર ગાંધીજી કોઈ પહેલા માણસ નહોતા. ગાંધીજીના જેટલો જ સ્વતંત્રતાનો પ્રેમ એમના પહેલાંયે ઘણાઓને હતો અને ગાંધીજીની હયાતી દરમિયાન પણ ઘણાને હતો. તો ગાંધીજીની એવી તે કઈ વિશેષતા હતી કે જેને લીધે સ્વતંત્ર દેશની સંસદે તેમને જ રાષ્ટ્રપિતા કહ્યા?
તે વિશેષતા એ હતી કે એમણે આવડા મોટા અને આટલી બધી વિવિધતાવાળા દેશને રાષ્ટ્રીયતાની એક ભાવનાથી જોડ્યો કે ઘડ્યો. એમણે અલગ અલગ પુષ્પો એક સૂત્રમાં બાંધી માત્ર એક માળા જ ન બનાવી પણ તેનો એક ગુલદસ્તો રચ્યો. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે એ રાષ્ટ્રને માનવોનો મહાસાગર કહ્યો હતો. સાગર-જલમાં જેમ બધી નદીઓ એકરૂપ થઈ જાય છે, તેમ અહીં બધી વિભિન્નતાઓ, એકતામાં સમાઈ જાય છે.
ગાંધીજીનો પુરુષાર્થ આ દેશને આવી એકતા આપવાનો હતો. તેથી તેમને સુભાષ બાબુએ ‘રાષ્ટ્રપિતા’ કહ્યા. એમના એ શબ્દે આખા દેશના અવાજનો પડઘો પાડ્યો હતો.
[સૌના ગાંધી-9]
Pradyot Priyadarshiની વોલ પરથી આભાર સહ.
03 મે 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 303