Faith Network 4 Manchester દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓમાં સામેલ થવાનું બને છે અને ગમે પણ છે.
તેની ભગિની સંસ્થા છે Women of Faith. તેમના નેજા હેઠળ થયેલ એક-બે ચર્ચાઓ અને વકતવ્યોમાં હાજર રહી, વધુ રસ પડ્યો અને ઘણું જાણવા મળ્યું. તાજેતરમાં Peace Mala બનવા માટે આમંત્રણ મળ્યું એટલે જિજ્ઞાસા ખાતર ગઈ. એ અનુભવ સહુ સમક્ષ રજૂ કરવા માગું છું.
9મી સપ્ટેમ્બરના ગોજારા દિવસે, અમેરિકાના બે ટાવર પર વિનાશક હુમલો થયો, અને માત્ર ઈમારત નહીં, માનવતા પણ ધરાશાયી થઈ. તેના પરિણામ સ્વરૂપ એક શાળાનાં કેટલાંક બાળકોને તેમની ધાર્મિક માન્યતાઓને કારણે અન્ય વિદ્યાર્થીઓ તરફથી નફરત અને હેરાનગતિના ભોગ બનવું પડેલું. તેના પ્રતિસાદ રૂપે એ શાળાની એક શિક્ષિકા બહેન આ ‘શાંતિ માળા’નો પ્રકલ્પ લઈને આવી. આ એક એવી માળા છે જે બે પ્રતીકાત્મક મેઘધનુષ જોડીને બનાવાતું બ્રેસલેટ બનાવી આપે છે. એ દરેક ધર્મના સુવર્ણ નિયમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે વિવિધ ધર્મના અનુયાયીઓ, ધર્મમાં શ્રદ્ધા ન ધરાવનારાઓ, વિવિધ સંસ્કૃિત અને જીવન પદ્ધતિ અનુસરનારાઓ વચ્ચે પરસ્પર આદર, મૈત્રી અને શાંતિનો પ્રચાર-પ્રસાર કરે છે. તેનો હેતુ છે દરેક માનવને યાદ કરાવવાનો અને ભાન કરાવવાનો કે આ સુવર્ણ નિયમ ઘણા વિદ્વાનો, શિક્ષકો અને તત્ત્વજ્ઞાનીઓએ માન્ય કર્યો છે. સાવ સાદી સરળ ભાષામાં કહીએ તો “તમે જેવો વર્તાવ ઈચ્છો તેવો બીજા સાથે કરો” એ સંદેશ અહીં આપવાનો ઈરાદો છે.
આ માળા બનાવવાની પ્રક્રિયા દરમ્યાન થતી વાતો દ્વારા દરેક પ્રકારના પૂર્વગ્રહો અને અન્યને હાની પહોંચાડવાની વૃત્તિને દૂર કરવાની નેમ છે. ‘શાંતિ માળા’ દ્વારા આપણે વિવિધ ધર્મો અને સંસ્કૃિતઓ વચ્ચે શું સામ્ય છે તે જોઈ શકીએ છીએ અને તેમાંના તફાવતને ઉદારતાથી સ્વીકારીને એ હકીકતને ઉજવીએ છીએ. 14 અલગ અલગ આધ્યાત્મિક પરંપરાઓ તેના મુખ્ય સંદેશ સાથેના મણકાઓ આ માળામાં પરોવવામાં આવે છે. એટલે કે આ પ્રવૃત્તિ માત્ર પ્લાસ્ટીકના રંગબેરંગી મણકાઓ પરોવીને નાનું બ્રેસલેટ બનાવીને પહેરવા જેવી બાલીશ પ્રવૃત્તિ ન રહેતાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃિતક મૂલ્યોની જાણકારી મેળવી, તેમાંનું સામ્ય નોંધીને બધાને એકસૂત્રે બંધાવની પ્રક્રિયા છે.
આ રહી આ માળાના મણકાઓની ક્રમવાર માહિતી. પહેલી ગાંઠ વ્યક્તિને પોતાને માટે છે. કોઈ પણ જાતિ, રંગ, વર્ણ, ધર્મ, જ્ઞાતિ, ઉંમર કે કદના હોઈએ આપણે સહુ એક મહત્ત્વના, અને ખાસ વ્યક્તિ છીએ એ સ્વીકારવું રહ્યું. પહેલો લાલ રંગનો મણકો ક્રીશ્ચિયાનિટી કે જે જ્યુડાઈઝમમાંથી પાંગરી તેનું પ્રતિનિધિત્વ લઈને આવે છે. જીસસે કહેલું, “આપણે ઈશ્વરના દરબારમાં પ્રવેશવું હોય તો આપણા શત્રુઓને માત્ર માફ કરવા, એટલું જ નહીં, તેમને પ્રેમ કરવો જોઈએ.” તેનો મુખ્ય સંદેશ : “તમે જેવો વર્તાવ ઈચ્છો, તેવો બીજા સાથે કરો.”
બીજો મણકો નારંગી રંગનો તે બૌદ્ધ ધર્મનો સંદેશ આપે. બુદ્ધ-શાકય મુનિનો બોધ હતો : “આપણે આપણા વિચાર, વાણી અને કર્મ વિષે સજાગ રહેવું અને સહુ પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ અને કરુણા દાખવવી કેમ કે સૃષ્ટિની તમામ રચના એક સમાન છે.” તેનો મુખ્ય સંદેશ : હું મારી સાથે કરીશ તેવો જ વર્તાવ અન્ય સાથે કરીશ.”
ત્રીજો પીળા રંગનો મણકો ગુરુ નાનક દ્વારા સ્થાપિત સીખ ધર્મની શીખ ધરે છે. તે માનવ માત્ર વચ્ચે સમાનતા, સહિષ્ણુતા અને પ્રેમનો આદેશ આપે છે. તેનો મુખ્ય સંદેશ : જે પોતાને માટે ઈચ્છો તે અન્યને માટે ઈચ્છો.”
ચોથા ક્રમમાં લીલો મણકો ઇસ્લામનો પ્રતિનિધિ થઈને આવે. મુહંમદ પયગંબરે કહેલું કે “અલ્લાએ સારી ય માનવ જાત એક આત્મામાંથી ઉપજાવી છે, અને તેની વચ્ચેના તફાવતોમાં તેનો શુભ હેતુ સમાયેલો છે.” જેનો મુખ્ય સંદેશ : “જ્યાં સુધી તમે જે જાત માટે ઈચ્છો તે તમારા ભાઈ-બહેનો માટે ન ઈચ્છો, ત્યાં સુધી અલ્લાહના સાચા અનુયાયી ન કહેવાઓ.”
પાંચમો બ્લ્યુ મણકો જ્યુડાઈઝમની વાત કરવા પ્રેરે. ભૂમધ્ય પ્રદેશમાં જન્મેલ જૂનામાં જૂના ધર્મમાંનો એક એવો એ ધર્મ ઈશ્વરનો પ્રથમ સંદેશ લાવ્યો : “જે તમારે માટે હાનિકર્તા છે તે બીજા બીજા પર ન આચરો.”
છઠ્ઠે મણકે ઈન્ડીગો બ્લ્યુ રંગ ધરીને બહાઈ પંથ પધાર્યો. તેણે દુનિયામાં શાંતિ અને અમન સ્થપાશે ત્યારે આખી ય માનવ જાતમાં એકતા બની રહેશે તેમ કહ્યું છે. તેનો મુખ્ય સંદેશ : જે વ્યક્તિ પોતાના કરતાં પોતાના ભાઈ અને બહેનને વધુ ચાહે છે તેને ભગવાનના આશીર્વાદ મળેલ છે.”
જાંબલી રંગના મણકાને ઇસ્કોન પંથ સાથે સાંકળવામાં આવ્યો. એ પંથના અનુયાયીઓ માને છે કે આપણે બધા આધ્યાત્મિક આત્માના અંશ છીએ અને પ્રેમ, કરુણા તથા અધ્યાત્મિક ભક્તિ વિશ્વમાં શાંતિ અને સુખ લાવશે. તેમનો મુખ્ય સંદેશ : ઈશ્વરે રચેલ સૃષ્ટિ સાથે પ્રેમભર્યા સંવાદથી જીવો.”
અહીં એક સફેદ મણકો જે તે વ્યક્તિના પોતાના પથ માટે પરોવવાનું સૂચન છે.
હવે મેઘધનુષના રંગોને અવળા ક્રમમાં લેવામાં આવ્યા. આઠમો મણકો જાંબલી રંગનો તે ઝોરોઆસ્ટ્રીઅન – પર્શિયાના જૂના પંથનું પ્રતિનિધિત્વ કરે છે. તેમનો આદર્શ છે, “સારા વિચારો, સારી વાણી અને સારા કર્મ.” મુખ્ય સંદેશ : “પોતાને માટે જે સારું ન હોય તે બીજા માટે ન કરવું.”
નવમે સ્થાને ફરી ઈન્ડીગો બ્લ્યુ મણકો લીધો જે આદિવાસી-વનવાસી લોકની સંસ્કૃિતનો દ્યોતક રહ્યો. તેઓ માને છે કે કુદરતની રચેલ તમામ સૃષ્ટિ પવિત્ર છે અને આખી માનવ જાત એક હૃદયના ધબકારની ભાગીદાર છે – જો કે એવા અનેક માનવો છે. તેમનો સંદેશ : “માનવે આ જીવનનું જાળું નથી રચ્યું, એ માત્ર તેમાંનો એક સૂત્ર છે. તે જીવન જાળ માટે જે કંઈ કરે તે પોતાને માટે કર્યા બરાબર છે.”
દસમો મણકો બ્લ્યુ રંગનો અને તે જૈન શાખાનો પ્રણિત છે. જૈન ધર્મ અહિંસામાં અપૂર્વ શ્રદ્ધા ધરાવે છે અને તેમનો મુખ્ય સંદેશ : પૃથ્વી પરના તમામ જીવો એક સમાન છે. તેમાંના એકને પણ હાનિ થાય તે પોતાને હાનિ થવા બરાબર છે.”
અહીં Earth Religion કે જે મુખ્ય પ્રવાહમાં બહુ જાણીતો નથી તેને પણ લીલા મણકા દ્વારા સ્થાન આપ્યું છે. આ માન્યતાના મૂળ ઘણા ઊંડા છે અને તેના અનુયાયીઓને ગેરસમજ અને સામૂહિક હત્યાનો ભોગ પણ બનવું પડ્યું છે. તેઓ દરેક પ્રકારની સજીવ સૃષ્ટિનો આદર કરે છે તેથી કોઈ પણ સ્વરૂપમાં હાનિ કરવાથી દૂર રહે છે. તેમનો મુખ્ય સંદેશ : “કશાને હાનિ ન પહોંચાડો.”
બારમે પગલે પીળા રંગધારી મણકાનો ચીનમાં ઉદ્દભવેલ તાઓ ધર્મના ઉપદેશથી પ્રવેશ થયો. તેમના યીન યાંગ પ્રતિક એકબીજાથી વિરોધી તત્ત્વો એકબીજાની સાથે મળીને કેવો સુમેળ સાધી શકે તે બતાવે છે. તેમનો મુખ્ય સંદેશ : કરુણા, નમ્રતા અને મધ્યમ માર્ગી વિચારધારા અપનાવો.”
તેરમે સ્થાને વારો આવ્યો નારંગી રંગના મણકાનો, જે હિંદુ ધર્મનું પ્રતીક કહેવાયું. આ પુરાતન ધર્મ આપણે સહુ એક પિતાના સંતાન છીએ એવું શીખવે છે. ‘એકમ સત, વિપ્રા બહુધા વદન્તિ’. તેમનો મુખ્ય સંદેશ : બીજા સાથે એવો વ્યવહાર ન કરવો જે તમારી પોતાની સાથે કરવાથી દુ:ખ પહોંચે.”
છેલ્લે ચૌદમો મણકો તે લાલ રંગનો લેવાયો જે Yungdrung Bon પંથની વાત કરવા આવ્યો. આ પંથ તિબેટમાં પ્રચલિત છે. તેઓ દુનિયાની માનવ સહિતની તમામ હસ્તી પ્રત્યે ભેદભાવ વિના પ્રેમ અને કરુણા સભર વ્યવહાર કરવાનો બોધ આપે છે. તેમનો મુખ્ય સંદેશ : દરેક સજીવ સૃષ્ટિ સાથે એ તમારી પોતાની માતા હોય તેવો વ્યવહાર કરો.”
છેલ્લી ગાંઠ મારતાં યાદ દેવડાવવામાં આવ્યું કે આપણે પોતાને વિષે અને બીજાને વિષે જેવું વિચારીએ અને અનુભવીએ તેવું વર્તન કરીએ છીએ અને તેની અસર અન્ય પર થાય. મૈત્રી અને શાંતિપૂર્ણ માર્ગે ચાલવાથી જ દુનિયા સારી બની રહેશે. આમ જુઓ તો મેઘધનુષ મોટા ભાગની સંસ્કૃિતમાં પૃથ્વી અને સ્વર્ગ વચ્ચે જોડાણ કરતું પ્રતીક માનવામાં આવે છે. અને હા, માળા સંસ્કૃત ભાષાનો શબ્દ છે. તેમાંનો દોરો દરેક મણકા માટે એક સામાન્ય છતાં અનિવાર્ય તંતુ ગણાય. વળી દરેક મણકામાં છેદ જરૂરી છે તે વિના પરોવાવું શક્ય ન બને, જે સૂચવે છે કે વ્યક્તિ અને વિચારમાં થોડી જગ્યા, ઉદારતા અને સહિષ્ણુતા હોવી જરૂરી છે કેમ કે તે વિના એક બીજા સાથે અનુબંધ શક્ય નથી. મોટા ભાગના ધર્મમાં માળા મહત્ત્વની હોય છે. એ વર્તુળ રચે છે જેનો અર્થ છે, દરેકનો સમાવેશ કરવો, કોઈ પહેલું-છેલ્લું કે ઉચ્ચ-નીચ નથી.
આ શાંતિ માળા બનાવવા કેથલિક, હિંદુ, મુસ્લિમ, બહાઈ, જુઇશ, નાસ્તિક અને બૌદ્ધ ધર્મની બહેનો આવેલી. બે મહિલા પોલિસ કોન્સ્ટેબલ પણ હોંશે હોંશે ભળી. બે કલાક મેઘધનુશી મહિલા મિલન દરમ્યાન જે ચર્ચા થઈ તેનો સાર એવો નીકળ્યો કે તમામ ધર્મ અને પંથનો મુખ્ય સંદેશ ઘણું સામ્ય ધરાવે છે. કોઈ ધર્મ કે સંસ્કૃિત ભેદભાવ કે ઉચ્ચ નીચનો બોધ નથી કરતી. અહિંસા, પ્રેમ, કરુણા અને સમાનતારૂપી દોરો દરેક મણકામાંથી પસાર થતો ભાળી શક્યાં. જે ધર્મના ફિરકાઓમાં સહિષ્ણુતા અને ખુલ્લા વિચારો રૂપી છેદ છે તેઓ એક બીજા સાથે સામંજસ્ય સાધીને પોતે શાંતિથી જીવે છે અને બીજાને જીવવા દે છે. જો કે હાજર રહેલી બે-ત્રણ બહેનોએ આંસુ સાથે પોતાને અનુભવવા પડતા અન્યાયો, અણછાજતું વર્તન, દુર્વ્યવહાર, આક્રમક વર્તન વગેરેની વાત કરી અને સહુએ સાથે મળીને આવા ગેર વર્તનનો કેવી રીતે હિંમતથી સામનો કરવો એ વિષે ચર્ચા કરી.
‘શાંતિ માળા’ બનાવવાની આ પ્રવૃત્તિનો પ્રચાર દરેક શાળા-મહાશાળા અને કાર્યના સ્થળ પર કરવા જેવો છે. ભારતની શાળાઓમાં પણ આ પ્રવૃત્તિ દ્વારા નવી પેઢીના દિલ-દિમાગમાં કોમી એખલાસનો સંદેશ બહુ ઓછા પ્રયાસે આપી શકાય. આનાથી વધુ રચનાત્મક અને ક્રિયાશીલ હથિયાર સાંપ્રત સમસ્યાઓના ઉકેલ માટે મળવું મુશ્કેલ. વાચકોને ‘શાંતિ માળા’ બનાવવાનું આમંત્રણ આપીને વિરમું.
e.mail : 71abuch@gmail.com