ધર્મનો તમારા જીવન પર શો પ્રભાવ છે? આવો પ્રશ્ન થોડાં વર્ષો પહેલાં કોઈ પૂછી શકે તેવી કલ્પના પણ નહોતી. ખરું પૂછો તો ભારતથી યુનાઇટેડ કિંગ્ડમ આવ્યાને ચાલીસ વર્ષ થવાં આવ્યાં, પણ તે પહેલાં વતનમાં આવો સવાલ કોઈએ પૂછ્યાનો કે એવી ચર્ચા થયાની સ્મૃિત જ નથી. સંભવ છે કે ભારતમાં સ્વધર્મી પ્રજાની એવડી મોટી સંખ્યા છે કે એ પ્રશ્ન અસ્થાને હતો. જો કે આજકાલ ભારતમાં ધર્મ અથવા ખરું કહો તો સંપ્રદાય ડગલે ને પગલે જીવનનાં તમામ પાસાંને અસરકર્તા બની રહ્યાંનું જાણવા મળે છે.
તાજેતરમાં એક અમેરિકન મહાવિદ્યાલયના પ્રોફેસરર્સ દ્વારા હાથ ધરવામાં આવેલ અભ્યાસમાં ભાગ લેવાની તક મળી જેનો વિષય હતો, યુનાઇટેડ કિંગ્ડમમાં રહેતા લોકોના પરિવાર પર તેમના ધર્મની પ્રભાવક અસર. મુલાકાત લેનારે કેટલાક પ્રશ્નો પૂછ્યા્, જેના ઉત્તર રૂપે વાતચીત દરમ્યાન જે વાતો ઉભરી આવી તે અહીં ટપકાવું છું.
આપણો જન્મ કોઈ એક ધર્મનું પાલન કરનારના ઘરમાં થાય, જેમાં એ વ્યક્તિની પોતાની કોઈ પસંદગી નથી હોતી. ત્યાર બાદ, પાસ પડોશ અને મિત્રો પણ ઘણે ભાગે સંયોગો અને તકને આધારે મળતા હોય છે. અહીં જો કે જ્ઞાતિ અને વર્ગ વ્યવસ્થા એક નિર્ણાયક પરિબળ હોય છે ખરું. પુખ્ત વય સુધીની આપણી જીવન યાત્રા દરમ્યાન કેટલાંક રીત-રિવાજો, સમાજના ધારા-ધોરણો અને નિયમોનું સિંચન જાણ્યે અજાણ્યે માતા-પિતા, બૃહદ્દ્ કુટુંબ અને સમાજના સભ્યો દ્વારા કરવામાં આવે છે. એ મૂલ્યોની જાળવણીની ખરી કસોટી કયા પ્રકારનો વ્યવસાય કરવો, ક્યાં સ્થાઈ થવું, લગ્ન કોની સાથે કરી શકાય, કઈ પદ્ધતિથી કરવાં, સંતાનો કેટલાં અને ક્યારે પેદા કરવાં વગેરે જેવી અંગત લાગતી છતાં કુટુંબને સ્પર્શતી બાબતો પર ધર્મ અને સંસ્કૃિતનો ઘણો પ્રભાવ રહેતો હોય છે. મા-બાપ દ્વારા ગોઠવાયેલાં લગ્ન સામાન્ય રીતે એક જ જ્ઞાતિ અથવા કહો કે પેટા જ્ઞાતિમાં થતાં હોય છે એટલે એવાં ગોઠવેલાં લગ્ન આંતર ધર્મી હોવાનો સંભવ હોતો જ નથી. આધુનિક સમાજોમાં લગ્ન કરનાર સ્ત્રી અને પુરુષ જાતે જ પોતાના જીવન સાથી શોધે એ હવે માન્ય ગણાવા લાગ્યું છે. ભારતમાં રહેનાર યુવકો અને યુવતીઓને પોતાને સ્વધર્મી સાથીદાર શોધવામાં અડચણ નથી પડતી હોતી અને તેમના વડીલોનો પણ એમ કરવાનો જ આગ્રહ હોય તે સમજાય તેવી વાત છે. જો કે હવે શિક્ષણનો પ્રસાર અને રોજગારીની વિવિધ તકોને પરિણામે ગામડાં અને શહેરો વચ્ચે તેમ જ પ્રાંતો વચ્ચે અવર જવર વધી હોવાને લીધે જીવન સાથીની પસંદગીની બાબતમાં જ્ઞાતિનાં બંધનો થોડાં ઢીલાં પડવા માંડ્યાં છે. લગ્નસાથી પસંદ કરવા માટે મને મુક્તિ હતી, પણ બધાને એવી સ્વતંત્રતા ન પણ હોય.
મૂળ ભારતના અને વિદેશ જઈને વસેલ પહેલી પેઢીના કેટલાક સંતાનો પોતાના જીવન સાથીની પસંદગીમાં એ વ્યક્તિ સમાન જ્ઞાતિની તો શું, સમાન ધર્મની હોવી જ જોઈએ એવી માન્યતા નથી ધરાવતા. અહીં કુટુંબ જીવન પર ધર્મની અસર ખૂબ નબળી હોવાનો અહેસાસ થાય છે. તેની પાછળ એક કરતાં વધુ પરિબળો જવાબદાર ગણાવી શકાય. એક તો વિદેશ વસનારા લોકો પોતે કહેવાતા ધર્મના બધા આચાર વિચારો ચુસ્તપણે પાળવામાં માનતા નથી હોતા અથવા બદલાયેલ જીવન પદ્ધતિને કારણે કેટલાક ક્રિયાકાંડ અને વિધિ-વિધાનો છૂટી જાય તો ભારે હૃદયે સ્વીકારી પણ લે છે. આથી તેમનાં સંતાનો પોતાના જન્મ સમયે મળેલ ધર્મને જુદી રીતે સમજતા થાય તેમાં નવાઈ નથી. બીજું, સારી ય દુનિયામાં શિક્ષણ અને રોજગારી અર્થે અનેક દેશમાંથી આવેલા લોકો એકમેક સાથે મળે-ભળે રહે અને કામ કરે તેથી મોટા ભાગના લોકો વિવિધ પ્રકારના ધર્મ, સંસ્કૃિત, ભાષા, પોષાક અને જીવન પદ્ધતિ અનુસરનારા લોકો વચ્ચે રહેતા હોય છે. આથી પોતાના સંતાનોના અન્ય ધર્મી વ્યક્તિ સાથેના લગ્ન અને તેમના પછીની પેઢીમાંથી અદ્રશ્ય થતી માતૃભાષાની થાપણને કેટલાક લોકો ‘મારો ધર્મ ન રહ્યો’ એ શબ્દોમાં વ્યક્ત કરે તે નવાઈ નથી.
એવી જ એક બીજી મોટી બાબત છે સંતાનો કઈ ઉંમરે અને કેટલી સંખ્યામાં પેદા કરવાં એ વિશે ધર્મ કહો કે સંસ્કૃિતનો સારો એવો પ્રભાવ જણાય છે. હિન્દુ ફિલસૂફી પ્રમાણે જીવન ચાર આશ્રમોમાં વહેંચાયેલું મનાય છે, જેમાં ગૃહસ્થાશ્રમનો તબક્કો અતિ મહત્ત્વનો ગણાય છે કેમ કે તેના પર બીજા ત્રણેય – બ્રહ્મચર્યાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સન્યસ્તાશ્રમ ટકી શકે એથી સંતાનોત્પત્તિ એ માત્ર પતિ-પત્નીની કામુક ભાવનાને સંતોષવાનું પરિણામ ન બનતાં તેને એક કૌટુંબિક અને સામાજિક ફરજ પણ ગણવામાં આવે છે, જે સમાજના દરેક જવાબદાર સભ્ય બજાવે તેવી અપેક્ષા રખાય છે. જ્યારે સ્ત્રી માત્ર ઘરની સંભાળ રાખવાનું અને બાળકો તથા વડીલોની સેવા કરવાનું જ કામ કરતી અને મર્યાદિત શિક્ષણ મેળવતી ત્યારે લગ્નની ઉંમર નાની હતી અને સંતાનો પેદા કરવાની સંખ્યા વિશે તેનો કોઈ અભિપ્રાય માન્ય નહોતો ગણાતો, જે હવે સ્ત્રી શિક્ષણનું વધતું પ્રમાણ અને રોજગારીની દુનિયામાં તેની સમકક્ષ ભાગીદારીને પરિણામે બાળકો ઓછાં પેદા કરવા તરફ વલણ વિકસ્યું છે અને એ બાબતમાં દુનિયાના બીજા કેટલાક ધર્મો કરતાં હિન્દુ ધર્મે થોડી વધુ ઉદારતા દાખવી છે તેની સહર્ષ નોંધ લેવી રહી.
કઈ જગ્યાએ રહેવું અને કયા પ્રકારની કારકિર્દી ઘડવી એ થોડા દસકાઓ પહેલાં જ્ઞાતિ નિર્ધારિત હતું. જે જ્ઞાતિમાં તમારો જન્મ થાય તે જ્ઞાતિને ભાગે આવતા વ્યવસાયમાં તમારા પિતા જોડાયેલા હોય તેથી તમારે કશું પસંદ કરવા પણું હોતું નથી અને તમારા નામ અને અટક સાથે તમારી રોજી-રોટીના સ્ત્રોત પણ તમને જન્મ સમયે ભેટમાં મળતા હતા. વળી હિન્દુ માન્યતા પ્રમાણે સમુન્દર પાર જઈને વેપાર કરવાની અનુમતિ હતી, પરંતુ સપરિવાર અન્ય દેશ્માં જઈને સ્થાયી થવું અમાન્ય ગણાતું કેમ કે તેમ કરવાથી પોતાના ધર્મના સિદ્ધાંતો, સમાજના રિવાજો વગેરેનું પાલન ચુસ્ત પણે કરી ન શકાય અને તેમ થવાથી સમગ્ર વ્યવસ્થા પડી ભાંગે, નવી પેઢી પોતાનાં મૂળિયાં ગુમાવી બેસે એ ભીતિ હતી. એટલી હદે આ નિષેધ પાળવામાં આવતો હતો કે વિદેશ અભ્યાસાર્થે અથવા કમાણી અર્થે જનારને જ્ઞાતિમાંથી બહિષ્કૃત કરવામાં આવતા. પરંતુ સંસ્થાનવાદી રાજ્ય પ્રણાલી, ઔદ્યોગિક ક્રાંતિ અને શહેરીકરણ વગેરે જેવા ધરખમ પરિવર્તનોને પરિણામે લોકોને આજીવિકા મેળવવા તેમ જ વ્યક્તિગત જ્ઞાન પિપાસા સંતોષવા અને પ્રગતિ કરવા માટે પોતાનું ગામ, શહેર કે પ્રાંત જ માત્ર નહીં પણ દેશ સુધ્ધાં છોડવાં ફરજ પડવા લાગી કે માનોને કે જરૂરી બનવા લાગ્યું જેથી કરીને વિદેશ ગમન માટેનો વિરોધ શમવા લાગ્યો.
પરંતુ તેનો અર્થ એ નથી કે વિદેશ વસવાના નિર્ણયથી ઊભી થતી પરિસ્થિતિ નિવારી શકાય છે જેમ કે માતૃભાષાના ઉપયોગનો લોપ થવો, પોતાનાં સામાજિક મૂલ્યો છાંડીને અપનાવેલ દેશના મૂલ્યોને ન છૂટકે સ્વીકારવા, પોતાના ધાર્મિક સંસ્કારોનું ધોવાણ થતું જોવું વગેરે અનિચ્છનીય બદલાવ અનાયાસ આવે જ. અને તેવે સમયે કોઈ ભલેને સ્વદેશમાં રહેતા હોય ત્યારે ધાર્મિક વૃત્તિના ન હોય પણ વિદેશ આવ્યા બાદ જ્યારે પોતાની બીજી-ત્રીજી પેઢીને પોતાની સંસ્કૃિતથી દૂર હડસેલાતા જુએ ત્યારે પોતાના ધર્મના નિષેધમાં કશુંક તથ્ય જણાવા લાગે છે, પણ ત્યારે બહુ મોડું થઈ ચૂકેલું હોય છે. ઉત્તમ રસ્તો તો એ છે કે જે કોઈ કારણસર વિદેશ જવાનું અને સ્થાયી વસવાટ કરવાનું નક્કી કર્યું હોય, અને જે કોઈ પ્રકારનો વ્યવસાય કરવાની તક મળી હોય તેને ધ્યાનમાં લઈને પોતાની સમજણ પ્રમાણે વારસામાં મળેલ ઉત્તમ સાંસ્કૃિતક અને સામાજિક પ્રણાલીઓને શક્ય તેટલા માન-આદર સાથે અનુસરવા અને સંતાનોને તેમ કરવા સમજાવવા.
હું પોતે ધાર્મિક ક્રિયાકાંડમાં શ્રદ્ધા ધરાવતી ન હોવાને કારણે ધર્મ ટકાવવા કોઈ ખાસ વિધિવિધાનો કરવા કે સંતાનો પાસે કરાવવાનો આગ્રહ કદી સેવ્યો નથી. પરિણામે હિન્દુ ધર્મની માન્યતાઓને ટકાવવા અને અમારા પછીની પેઢીને આપવા કોઈ ખાસ વિધિ કરી નથી. મારે મન ધર્મને અનુસરવા કોઈ મૂર્તિ પૂજાની જરૂર નથી. હું હિન્દુ ધર્મની સહુથી મોટી દેણ જેમ કે અધ્યાત્મ, તત્ત્વજ્ઞાન અને ભારતીય સમાજનાં મૂલ્યો વગેરે વાર્તાઓ, પૂરાણ કથાઓ અને મહાપુરુષોના જીવન કથનમાંથી શીખી. ઘરમાં શ્રદ્ધા દીપ કરું છું. આથી જ તો ખુદનાં સંતાનોને પણ એ રીતે જ સંસ્કાર આપ્યા, તેઓ દીપ ન કરે, પણ કુદરતી તત્ત્વો અને માનવીની સારપ માટે વિશ્વાસ ધરાવે છે તે મારા માટે પૂરતું છે.
ઘણા લોકો પુખ્તવયના થતાં પોતાની ધાર્મિક માન્યતા બદલે કે બીજા ધર્મને અંગીકાર કરે જેની પાછળ અનેક કારણો હોઈ શકે. અંગત વાત કરું તો મારાં માતા-પિતા ધાર્મિક વૃત્તિના નહીં, એનો અર્થ એવો નહીં કે ઈશ્વરના અસ્તિત્વમાં ન માને, પણ માનવ સેવા એ જ પ્રભુ સેવા એવી માન્યતા ધરાવે અને એ મૂલ્ય જાળવવાં પોતે સેવામય જીવન જીવી બતાવ્યું, એટલે મારે માટે એ માર્ગ સુગમ નીવડ્યો. આથી જ સ્તો મારે મન ધર્મનો અર્થ કુદરત પર શ્રદ્ધા અને માનવી માત્રમાં ઈશ્વરનું દર્શન કરવું એવો હોવાથી જન્મ સમયની ધર્મ પરની શ્રદ્ધા હજુ ટકી રહી છે. મારી ધાર્મિક માન્યતા બદલવાની કશી જરૂર જણાઈ નથી કેમ કે તેના માર્ગદર્શનથી મારું ઈચ્છા મુજબનું જીવન હું જીવી શકું છું. હા, અન્ય ધર્મો વિષે વધુ માહિતી મેળવતી થઈ છું અને નિજના ધર્મના અન્યોએ કરેલા અર્થઘટનને જુદી રીતે ઘટાવતી થઈ છું.
અમારા માતા-પિતાએ અમારું વ્યક્તિત્વ ખૂબ મજબૂત કેળવ્યું એ કદાચ ધર્મના મૂળભૂત સિદ્ધાંતોને અનુસરવાનું પરિણામ હોઈ શકે. કોઈ પણ ધર્મમાં અધ્યાત્મ અને તત્ત્વજ્ઞાન નિહિત હોવાનાં, જેને વહન કરતાં પુસ્તકો પણ જરૂર હોવાનાં અને એ જરૂરી પણ છે, કેમ કે તેનાથી માનવ જીવનને ચોક્કસ દિશા મળે અને તેના વિચારો ઉર્ધ્વ ગમન કરે. એટલે કેટલાંક અધિકૃત પુસ્તકો દ્વારા અને વિષવિભૂતિઓનાં જીવન કાર્ય દ્વારા અધ્યાત્મ અને તત્ત્વજ્ઞાનનું સામાન્ય જ્ઞાન મેળવી શકી. રહી વાત પવિત્ર ધાર્મિક સ્થાનોની, જે કેટલાક માટે અતિ મહત્ત્વનાં હોય છે, મારે માટે તેવાં સ્થળો એક સામૂહિક મેળાવડાનું સ્થળ છે, જ્યાં ભક્તિ સંગીત અને સુંદર વાર્તાલાપો યોજવાથી સરખી વિચારધારાઓ વાળા સમુદાયના લોકોને મળવાનું શક્ય બને. કોઈ પણ ધર્મના ક્રિયાકાંડ મારે મન ઉપરછલ્લા શોભાના વસ્ત્ર સમાન છે જેની મારા મતે કોઈ ખાસ મહત્તા નથી જણાતી. પ્રાર્થના, કે જેમાં કુદરતી તત્ત્વોની મહાનતાનો સ્વીકાર, તેના સર્વવ્યાપી હોવાનો અહેસાસ અને માનવ માનવ વચ્ચેની સમાનતાની વાત હોય તે ગમે, આથી જ તો સૂફી સંગીત, સીખ શબદ, તુલસી, મીરાં, સૂરદાસ અને કબીરનાં ભજનો મનને તૃપ્ત કરે. અને મારા ધાર્મિક વિચારોને વ્યક્ત કરવા પ્રાર્થના પૂરતી થઈ પડે એટલે બીજા કશા ક્રિયાકાંડને અનુસરતી નથી અને તેથી મારાં સંતાનો પાસેથી એવી અપેક્ષા ન રહી, પરિણામે તેમને પણ મારા ધર્મને અનુસરવો સરળ બન્યું, કેમ કે તેમાં માત્ર આધ્યાત્મિક અને તત્ત્વજ્ઞાનને સમાવે તેવા આચાર-વિચારનો જ સમાવેશ થાય છે. એટલું જરૂર કે વ્યક્તિગત ધાર્મિક માન્યતાઓ જેટલી ક્રિયાકાંડ અને પારંપરિક રિવાજોથી મુક્ત તેટલું એ અન્યને માટે સમજવાનું અને અનુસરવાનું સરળ બને એ હકીકત છે.
સંસ્કૃિત એ ધર્મની ઉપજ છે તેમ કેટલાક માને છે, તો કેટલાકને મતે સંસ્કૃત માનવના દિમાગની ઉપજ વ્યવસ્થિત સંસ્થાકીય ધર્મના રૂપે પ્રગટ થઈ. ગમે તેમ પણ ધર્મ અને સંસ્કૃિત એકબીજાની અંતર્ગત જોડાયેલી બે અભિન્ન વિભાવનાઓ છે. આથી જ સાંસ્કૃિતક પ્રવૃત્તિઓ અને વલણો કુટુંબમાં ધર્મ ટકાવવામાં ઘણા અસરકારક થતા હોય છે. જે પરિવારમાં ધાર્મિક અનુષ્ઠાનો કે ક્રિયાકાંડને બદલે સાંસ્કૃિતક પ્રવૃત્તિઓમાં જોડાવા માટે પ્રોત્સાહન આપવામાં આવે તે પરિવારના સંતાનોને પોતાના ધર્મને ટકાવવા જેવી બાબતો પડકાર સમી ન લાગે. કદાચ તેથી જ તો અમને અમારાં ધાર્મિક ખ્યાલો અને મૂલ્યો જાળવવામાં કોઈ અડચણો કે પડકારો નહોતા આવેલાં. મારાં વલણો મારા કુટુંબના અને હું જે સમાજમાં ઉછરી તેનાં મૂલ્યો પરથી ઘડાયાં, જેમ કે ભૌતિકવાદની પાછળ દોડવાને બદલે ઉચ્ચ વિચારો કેળવવા અને સમાજોપયોગી કર્મો કરવા પાછળ જિંદગી ખર્ચવી, બીજાને મદદરૂપ જીવન જીવવું, નિ:સ્વાર્થ અને પ્રામાણિક રહેવું અને તેને અનુસરીને જીવન ન જીવનારાને તેમના સ્વાર્થી અને અપ્રમાણિક કાર્યમાં સાથ ન આપવો એવું શીખી અને તે પ્રમાણે જીવન જીવવા પ્રયત્નશીલ રહી. આમ માનવ મૂલ્યોની જાળવણી એ જ સાચું ધર્મ પાલન છે એમ મા બાપે શીખવ્યું, જે મેં મારાં સંતાનોને જાણ્યે અજાણ્યે વારસામાં આપ્યું તેથી ‘મારો ધર્મ તેમની પાસે નિભાવવામાં’ મને કશી મુશ્કેલી પડી હોય તેવું હું નથી માનતી.
મારી મુલાકાતને સમેટતાં એક છેલ્લો પ્રશ્ન પૂછવામાં આવેલો: ‘શું વધુ મહત્ત્વનું – ધર્મના પારંપારિક વિચારોની જાળવણી કે તેના મૂળભૂત સિદ્ધાંતોને બદલતા સમયને તાલે સંકોરવા?’ આ સવાલનો જવાબ ઘણી મથામણ કરાવી ગયો. આગળ કહ્યું છે તેમ બાહ્યાચારો અને ધર્મના પારંપારિક રૂઢિગત રીતરસમોમાં મૂળે રુચિ ન ધરાવતી હોવાને કારણે તેની જાળવણીનો સવાલ રહેતો જ નહોતો, પરંતુ જેનું મારે મન અતિ મૂલ્ય છે તેવાં મૂલ્યો જેમ કે પારિવારિક એકતા, વડીલોનું સન્માન, અતિથિની આવભગત, નિખાલસતા અને અન્યના સુખ માટે સ્વની ઈચ્છાઓ જતી કરવી વગેરે જેવાં મૂલ્યો કે જેને હું ભારતીય સંસ્કૃિતના મહત્ત્વના પાયા સમાન ગણું છું તેને ‘બદલાતા સમય’ કે ‘જુદા દેશમાં, જુદા સમાજમાં રહેવા’ને કારણે જતા કરવા ઇચ્છતી નથી. હિન્દુ ધર્મના મૂળભૂત સિદ્ધાંતો જેવા કે અહિંસા પરમોધર્મ, સત્યમેવ જયતે, અપરિગ્રહમાં નિજનું અને સારા ય વિશ્વનું સુખ સમાયેલું છે, વસુધૈવ કુટુંબક્મ્, સર્વ પ્રત્યે સમભાવ વગેરેનું બદલાતા સમયના સંદર્ભમાં નવીન અર્થઘટન જાત માટે અને સંતાનોને સમજાવવા માટે કર્યું જ છે. એ કદાચ મારા ધર્મનો મારા પર અને અમારા પરિવાર પરનો પ્રભાવ છે તેમ માનુ છું.
ભારતીય સંસ્કૃિતના આવા અમૂલ્ય વારસાનું યથાશક્તિ પાલન કરી શકું અને મારા પછીની પેઢી તેને સમજીને જીવનમાં ઉતારે તો જીવન ધન્ય થયું માનીશ.
e.mail : 71abuch@gmail.com