ફેઈથ નેટ વર્ક ફોર માન્ચેસ્ટર એક એવું સંગઠન છે જે સર્વ ધર્મ સમભાવ અને કોમી એખલાસ માટે વિવિધ વાર્તાલાપો, શાળાઓમાં જઈને અવેરનેસ સેશન્સ અને વિચાર શિબિરો યોજીને એક સરાહનીય કાર્ય કરી રહી છે. આ સંગઠનમાં સક્રિય થઈને ઉપર ઉલ્લેખ કર્યો છે તે તમામ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો મોકો મળ્યો તેને મારુ સદ્ભાગ્ય લેખું છું. માન્ચેસ્ટરને અલવિદા કરી તેના થોડા સમય પહેલાં, fn4m દ્વારા, એક ટચુકડી ફિલ્મ બનાવવાનો પ્રકલ્પ હાથ ધરાયો; જેમાં હિન્દુ ધર્મના પ્રતિનિધિ તરીકે બોલવાનું કહેવામાં આવ્યું. એ પ્રશ્નોત્તરી અહીં જેમની તેમ રજૂ કરું છું.
સવાલ: હિન્દુ ધર્મ પાળતા સમાજના એક સભ્ય તરીકે માન્ચેસ્ટરમાં રહો છો, તો આ શહેર પાસે તમારી શી આશાઓ છે? તમારા ધર્મના બીજા લોકો પણ આવી જ આશાઓ સેવતા હશે તેમ તમે કહી શકો?
જવાબ: હું મારાં મૂલ્યો વિના રોક ટોક અમલમાં મૂકી શકું તેવું મુક્ત જીવન આ શહેરમાં જીવી શકું તેવી મારી આશા છે. એ મૂલ્યો મારા ધર્મના આધ્યાત્મિક અને તત્ત્વજ્ઞાનના વારસાનો પરિપાક છે. અલબત્ત, હું આ મૂલ્યોની જાળવણી અન્યના અધિકારોનું ખંડન કર્યા વિના કરી શકું તેમ ઈચ્છું છું. મને વિશ્વાસ છે કે મોટાભાગના હિન્દુ ધર્મના અનુયાયીઓ કે જેઓ માન્ચેસ્ટરમાં વસે છે અથવા કહોને કે યુનાઇટેડ કિંગ્ડમમાં અથવા સારા ય વિશ્વમાં જ્યાં ક્યાં ય પણ વસે છે તેઓની પણ આવી જ આશા રહે.
સવાલ: તમારા ધર્મનાં મૂળભૂત મૂલ્યો કયા ગણાવી શકો? તમારા ધર્મના અન્ય અનુયાયીઓ એમાં બીજાં કોઈ મૂલ્યોનો ઉમેરો કરી શકે તેમ તમે માનો છો?
જવાબ: જે રીતે હું હિન્દુ ધર્મ સમજી છું અને તેનું અર્થઘટન કરી શકી છું તેના પરથી ત્રણ મુખ્ય મૂલ્યોની તારવણી કરી છે: અ) માનવ તરીકે આપણે બધા જન્મથી સમાન છીએ અને તે સ્વીકારવું. બ) જેવી રીતે સૃષ્ટિની બીજી બધી રચનાઓ વૈવિધ્યથી ભરપૂર છે તેવી જ રીતે માનવ જાત પણ અગણિત વિવિધતાથી સભર છે. એ હકીકતનો આદર કરવો અને તેનો જશમ મનાવવો. ક) અન્યના દ્રષ્ટિકોણને સમજવાની કોશિશ કરો. જો તમે તેને અનુસરી ન શકો તો કમસે કમ પરસ્પર માટેના સમજણપૂર્વકનું સહઅસ્તિત્વ નિભાવવા તેનો સાદર સ્વીકાર કરો. સત્ય, અહિંસા અને શાંતિમય સહઅસ્તિત્વનાં મૂલ્યો આ વિચારમાંથી જ પ્રગટ થયા છે. મારા ધર્મના અન્ય સભ્યો કદાચ પોતપોતાના કૌટુંબિક અને સામાજિક ધારાધોરણનાં મૂલ્યોને કેવી રીતે પાળવા તેની રીતોને તેમાં ઉમેરવા ઈચ્છે.
સવાલ: હિન્દુ ધર્મના એક સભ્ય તરીકે માન્ચેસ્ટરમાં રહેવામાં તમને કઈ બાબત ખાસ ચિંતનીય લાગે છે? હિન્દુ ધર્મના બીજા અનુયાયીઓને અન્ય બાબતો ચિંતીત કરતી હોય તેવું બને?
જવાબ: મારો અંગત અભિપ્રાય છે કે આજકાલ હિન્દુ ધર્મ વિષેની સમજણ યુવાન પેઢીને અપાય છે તેમાં જરા સંકુચિત દ્રષ્ટિકોણ ભાગ ભજવે છે. હિન્દુ ધર્મ જાણે કે હવે ક્રિયાકાંડ અને રીત રસમો, મૂર્તિ પૂજા અને કુટુંબના પ્રસંગોની અતિ ભવ્ય ઉજવણીઓમાં સંકોડાઇને બંધિયાર થઇ ગયો છે. આપણે આ પુરાતન ધર્મ અને સંસ્કૃિતના આધ્યાત્મિક અને તત્ત્વજ્ઞાનના ખજાનાને સમજી, સમજાવીને અમારા પછીની પેઢીને એ મૂલ્યો અને સંસ્કારોને આધુનિક પશ્ચિમી જગતમાં કઈ રીતે અમલમાં મૂકી શકાય તેના વિષે ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ.
સવાલ: તમને કે અન્યોને બ્રિટનમાં હિન્દુ ધર્મના સભ્ય તરીકે રહેવામાં કોઈ પ્રકારનો ભય સતાવે છે?
જવાબ: બધા ધર્મોમાં ઉગ્ર અને જુનવાણી વિચારો તરફની કૂચનું વલણ વધી રહ્યું છે તે ચિંતા જનક છે. પોતાના ધર્મની માન્યતાઓ અને શ્રદ્ધાને ટકાવી રાખવા લોકો વધુ એકાકીપણું પસંદ કરે, જેથી કરીને બીજા સાથે વાર્તાલાપના માર્ગો બંધ કરી દે અને તેનાથી દરેક કોમ વચ્ચે પરસ્પર અંતર વધે, જે પૂર્વગ્રહને જન્મ આપે અને છેવટ બીજા ધર્મ પ્રત્યે પરાયાપણાની દ્રષ્ટિ કેળવે તેવો આજકાલનો માહોલ રચાયો છે. મને પોતાને કે હિન્દુ ધર્મના અન્ય સભ્યોને હિન્દુ ધર્મ પર જોખમ હોય તેવું નથી લાગતું, પણ અમારા તેમ જ સહુના ધર્મની રક્ષા સુરક્ષિત વાતાવરણમાં કરવાની ઇચ્છ સહજે રહે.
સવાલ: તમારા ધર્મના મુખ્ય આદર્શો કે માન્યતાઓ શી છે?
જવાબ: વસુધૈવ કુટુંબકમ. અનેકતામાં એકતા એ અમારો આદર્શ છે. બીજો સિદ્ધાંત છે, ‘ઈશા વાસ્યમ ઈદમ સર્વમ, યત કિંચ જગત્યામ જગત, તેન ત્યક્તેન ભુંજીથા, મા ગૃધ કસ્યચિત ધનમ’ એટલે જ તો આ જગતમાં જે કંઈ દ્રશ્ય કે અદ્રશ્ય ભાસે છે તે કુદરતનું પેદા કરેલું છે, તેથી તેનો ત્યાગ કરીને અથવા બીજાને આપીને ભોગ કરવો, બધું જ જાત માટે ભોગવવું નહીં અને અન્યની દોલતની કદી ઝંખના પણ ન કરવી એ ઉપદેશ નજર સામે રાખીને જીવન જીવવા સહુ પ્રયત્નશીલ રહે તે જ હિન્દુ ધર્મનું ખરું પાલન થયું ગણાય.
સવાલ: તમારા અને અન્ય ધર્મો વચ્ચે શું સામ્ય છે?
જવાબ: દુનિયાના બધા મુખ્ય ધર્મો માનવતાનાં મૂળભૂત સિદ્ધાંતો પર રચાયેલા છે. તમામ જીવોની પ્રેમ અને કરુણા દર્શાવી સેવા કરો, કોઈ પણ જીવને હાનિ ન પહોંચાડો, તમારાથી ઓછા ભાગ્યશાળી માટે કરુણા અને અનુકંપા ધરાવો અને આપણને બધાને સર્જનહારે મૂળે સમાન ઘડયા છે; આ અને આવા અનેક ઉપદેશાત્મક કથાનક સર્વે મુખ્ય ધર્મોમાં લખેલા-કહેવાયેલા જણાય છે.
સવાલ: હિન્દુ ધર્મ અને અન્ય ધર્મો વચ્ચે પાયાના કયા તફાવતો છે?
જવાબ: હિન્દુ ધર્મ વિષે હંમેશ એમ માનવામાં આવ્યું છે કે તે અનેકેશ્વરવાદમાં માનનારો અને મૂર્તિપૂજક ધર્મ છે, જે સત્ય હકીકત છે. અને એ તફાવત સામાન્ય લોકોની નજરે વધુ પડે છે, જ્યારે તેના આધ્યાત્મિક અને તત્ત્વજ્ઞાનના આદર્શો અન્ય ધર્મો સાથે કેટલા મળતા આવે છે તે ભાગ્યે જ કોઈ નોંધે છે. અમારો ધર્મ વિવિધ પ્રતીકોથી ભરપૂર છે. એક ઈશ્વર કે અનેક ઈશ્વરની કલ્પનાની વિભાવનાને સમજવાની જરૂર છે. એ માન્યતાઓ વિષેનું અર્થઘટન એ છે કે એક ઈશ્વર એક છે પરંતુ તેનામાં અનેક ગુણો અને લાક્ષણિકતાઓ હોય છે. દરેક વ્યક્તિ કોઈ ચોક્કસ ખૂબી કે શક્તિને કોઈ એક દેવ કે દેવીમાં આરોપે છે અને એ રીતે તે એક ખાસ દેવ કે દેવી પોતાનામાં એ વિશિષ્ટ ગુણો કેળવવામાં પ્રેરણા રૂપ બને તેવું પ્રાર્થે છે, જેથી કરીને પોતાનામાં રહેલ ખામીઓ દૂર કરી શકે અને તેના પ્રત્યેની શ્રદ્ધાથી જીવનમાં આવતાં વિઘ્નો હિંમતથી પાર પાડી શકે. મને લોકો આવી વિભાવના ધરાવે તેમાં કશું અયોગ્ય નથી લાગતું. જ્યારે લોકો એવા પ્રતીકોને જ ઈશ્વર સ્વરૂપ માની તેના પૂજન-અર્ચનના બાહ્યાચારમાં અટવાઈ જાય અને ધર્મનો મૂળભૂત સિદ્ધાંત વિસારે પડી જાય ત્યારે એ વિષે ચિંતા સેવવી ઘટે. બાકી હિન્દુ ધર્મમાં તો નાસ્તિકનો પણ સ્વીકાર કરવામાં આવે છે. જે ધર્મો મૂર્તિપૂજાના વિરોધી છે અને એક જ ઈશ્વર છે તેમ માને છે તેમાંના કેટલાક લોકોએ હિન્દુ ધર્મના પૂજાગૃહોનો ધ્વંસ પણ કર્યો છે. જો તમે કોઈની શ્રદ્ધાના પ્રતીકોનો નાશ કરો તો તમે તેમના વિશ્વાસનો ભંગ કરો છો. કેટલાક મિશનરીઓ અને ધર્મના આગેવાનોએ હિન્દુ ધર્મના અનુયાયીઓને બળ અથવા ધમકીનો ઉપયોગ કરીને ધર્મ પરિવર્તન કરવાની ફરજ પણ પાડી છે. અને આ એક મોટો તફાવત છે હિન્દુ ધર્મ અને અન્ય ધર્મો વચ્ચે. હિન્દુ ધર્મના ઇતિહાસમાં ક્યાં ય તેણે બીજા ધર્મના લોકોને પોતાનો ધર્મ છોડીને હિન્દુ ધર્મ અપનાવવા માટે લલચાવ્યા કે બળજબરી કર્યાના ઉદાહરણ નહીં સાંપડે કે તેઓએ ધર્મને નામે અન્ય દેશો પર ચડાઈ કરી તેને ગુલામ બનાવ્યા હોય તેવું કદી બન્યું નથી તેની પણ તવારીખમાં નોંધ થઇ છે.
મારી એવી પાકી સમજ છે કે બધા ધર્મોના પાયાના સિદ્ધાંતો અને ઉદ્દેશ્યો સમાન છે, પરંતુ પૂજા-પ્રાર્થના કરવાની રીત અને કેટલાક ક્રિયાકાંડને અનુસરવાની પદ્ધતિમાં તફાવત હોય છે. એ તફાવતો પાછળના તર્ક અને કારણોને સમજવાની આપણી ક્ષમતાના અભાવ અને વૈવિધ્ય માટેની અસહિષ્ણુતાને પરિણામે સમાજમાં ખુન્નસ અને હિંસાનું વાતાવરણ પ્રવર્તે છે.
અહીં મને કહેતાં આનંદ થાય છે કે સીખ, જુઇશ, ક્રિશ્ચિયન અને મુસ્લિમ ધર્મના પ્રતિનિધિઓને આ જ સવાલો પૂછવામાં આવ્યા અને જો તેમના ઉત્તરોની આગળ જે તે ધર્મનો ઉલ્લેખ કરવામાં ન આવે તો વાચકો કે શ્રોતાઓને એ જવાબોમાં એટલું સામ્ય લાગે કે કયો જવાબ કયા ધર્મના પ્રવક્તાએ આપ્યો છે તે કળી ન શકે.
e.mail : 71abuch@gmail.com