21મી સદીના પ્રારંભે, આતંકવાદે નવા વેશમાં દુનિયાભરમાં વિનાશના વાવેતર કરવાની શરૂઆત કરેલી, એ વાવણી હજુ પૂરી નથી થઈ તેમ ઉત્તર કોરિયાના ફૂંફાડા અને અમેરિકાના વિચાર વિનાના ધમપછાડા પરથી પ્રતીત થાય છે. વિશ્વ આખીની આમ જનતાને તો માત્ર અને માત્ર શાંતિ ખપે છે. જાણે એ શાંતિ નામની કોઈ રમણીનું અપહરણ થઇ ગયું છે, તો શાંતિને ફરી માનવ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપવા સામે પડકારો કયા છે એ વિચારીએ. આજે નિર્દોષો પર થતા જુલમ, તેમને સહેવી પડતી પીડા અને વૈરભાવનાથી થતી હિંસા સામે લોકો પોતાને લાચાર અને સત્તા વિહોણાં અનુભવે તે સ્વાભાવિક છે. પરંતુ આંતરધર્મીય અને આંતરરાષ્ટ્રીય શાંતિમય સહઅસ્તિત્વમાં શ્રદ્ધા ધરાવનારોએ હતાશા અને લાચારીના ભાવને શરણે ન જવું જોઈએ, પણ દુઃખી પ્રજાને મલમપટ્ટા લગાવવા અને આખી દુનિયાને સાચો રાહ બતાવવા કટિબદ્ધ થવું રહ્યું. ભલે આપણે કોઈ મોટા રાજકીય પગલાં ન ભરી શકીએ, પણ નાનાં નાનાં અનેક પગલાંઓ દ્વારા સમાજને દર્દમાંથી રાહત આપી શકીએ. આપણે જરૂર દુનિયાને બદલવા રાહ બતાવી શકીએ.
આ રહી એવી એક આશા ઉપજાવે તેવી સત્ય કહાણી. શાંતિ પ્રિય અને પ્રવાસના શોખીન એવા એક કર્મશીલ જ્હોન એન્ડ્રુઝ કોસ્ટા રીકાની સફરે ગયેલા, જ્યાં તેમણે જે જોયું અને અનુભવ્યું તેના પરથી શીખેલ પાઠ વિષે જાણવા જોગ છે જે અહીં ધરું છું.
શ્રીમાન જ્હોને કોસ્ટા રીકામાં બે ટી શર્ટ ખરીદ્યાં. એક પર ઓટોમેટિક રાઇફલના નાળચામાંથી ફૂલ નીકળેલ હતું જેના પર રક્ત રંગે ‘No Army’ લખેલ અને બીજા પર શસ્ત્ર પર ‘No Army since 1948’ એવું ચિત્રણ કરેલું. વાત એમ છે કે 1948ની ક્રાંતિ બાદ, કોસ્ટા રીકાના આર્ષદ્રષ્ટા નેતા જોસે ફિગરેસ ફરેરે એક મોટું કામ કર્યું – પોતાના દેશના લશ્કરને વિખેરી નાખ્યું! જ્યારે દુનિયા આખીમાં સૈન્ય અને લશ્કરી સરંજામ દરેક દેશમાં ખડકાતા જતા હતા, ત્યારે આ દેશની સલામતી જોખમાઈ હશે તેમ જ સહુ માને તેમાં નવાઈ નથી, પણ બધાની એ માન્યતાને જૂઠી પાડે તેવી હકીકત તો એ છે કે 1948માં લેવાયેલ એ નિર્ણય બાદ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહી હોય તેવો એ એકમાત્ર દેશ છે! કેવી કરુણતા કે ભારત તેનાથી બિલકુલ વિપરીત દિશામાં ગતિ કરી રહ્યું છે!
લશ્કરને વિખેરી નાખવાને પરિણામે કોસ્ટા રીકા આરોગ્ય અને સ્વાસ્થ્ય, શિક્ષણ અને દેશના તમામ નાગરિકો માટે પેન્શનની જોગવાઈ કરી શક્યું કે જે દુનિયાના એ ભાગોમાં તદ્દન અજાણ્યો વિચાર છે. આ પગલાંને કારણે તેઓ લગભગ કાર્બન ન્યુટ્ર્લ એનર્જી પૂરી પડી શકે છે અને મહાકાય મિલકતો ઊભી કરનારી બાંધકામની કંપનીઓ દ્વારા થતા વિનાશથી પ્રાકૃતિક જળ, જંગલ અને જમીનની રક્ષા કરી શક્યા છે. આમાનું મોટા ભાગનું નાણું તેઓને લશ્કર પાછળ ન કરવા પડતા ખર્ચમાંથી મળી રહે છે. આપણે જાણીએ છીએ કે સ્વીત્ઝર્લેન્ડ પાસે પણ કાયમી ધોરણે કોઈ લશ્કર નથી, અને છતાં તેની આસપાસના યુદ્ધગ્રસ્ત દેશોથી ઘેરાયેલું હોવા છતાં તે પોતે લગભગ છેલ્લાં બસો વર્ષથી સલામત રહ્યું છે.
આ હકીકત શું સૂચવે છે? શાંતિ અને સમૃદ્ધિ લશ્કર અને શસ્ત્રોના ખડકલા કરવાથી જળવાય? કે શસ્ત્રોના ભરાવાથી ભય અને શીત યુદ્ધ કાયમ રહે અને તેના વપરાશથી બંને પક્ષોની તારાજી થાય? દુનિયાને લશ્કરની જરૂર નથી; ખાસ કરીને આજના યુગમાં. એ તો એક શાપ છે, વરદાન નહીં. જેમ મોટા ભાગના લોકોની જીવન પદ્ધતિ બદલી છે, તેમને થતા રોગો અને માંદગીઓના પ્રકાર બદલ્યા છે, તેમ મરવા અને મારવાની રીતો પણ બદલાયાં છે. લશ્કર રાખવાનો મૂળ હેતુ હંમેશ સામા પક્ષને લૂંટવાનો રહ્યો છે અને હજુ આજે પણ તેનો એ જ ઉપયોગ છે. જો કે માનવજાતના ઇતિહાસમાં એવું પણ નોંધાયું છે કે લશ્કરથી સલામતી પણ પૂરી પાડી શકાય છે. પરંતુ 1948માં યુનાઇટેડ નેશન્સની રચના કર્યા બાદ, લશ્કરની સતત હાજરી અને જરૂરિયાતને નકારવામાં આવી હતી. યુ.એન. દ્વારા આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને કોર્ટની રચના થવાથી લશ્કર રાખવાનું જરૂરી ન રહ્યું કેમ કે અન્ય દેશ પર હુમલો કરવો એ તો ગેરકાયદેસર ગણાવા લાગ્યું.
કોસ્ટા રીકાએ એ વાતનું મહત્ત્વ સમજીને પોતાના દેશના લશ્કરને વિદાય આપી દીધી, તો જુઓ, એ દેશ શાંતિમાં આળોટ્યો અને જે દેશોએ શસ્ત્રો વધાર્યાં એ બધા પાયમાલ થયા! યુ.એન. તેના સભ્ય દેશો પાસે આ કાયદાઓનું પાલન કરાવવામાં નિષ્ફળ રહ્યું તેમાં માત્ર તેની જ ત્રુટિ નથી, એ તો શસ્ત્રો બનાવનાર મોટી મોટી કંપનીઓ એ કાયદાઓનું પાલન કરવા જે તે દેશોની સરકારોને ટેકો આપવા મંજુર નથી હોતા તે છે. શા માટે તેઓ યુ.એન.ના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે? કેમ કે યુદ્ધ એ એક વેપાર છે – મોતનો વેપાર. તેનાથી અમેરિકાના અને તેના જેવા બીજા અતિ ધનાઢ્ય લોકોને પુષ્કળ કમાણી થાય, ભલે ને કરોડો નિર્દોષ લોકોના જાન લેવાય અને પર્યાવરણનો દાટ વળે.
આમ તો કોસ્ટા રીકાની માફક બ્રિટનને પણ 1948 બાદ લશ્કરની જરૂર નથી. જરા કલ્પના કરો, જે અબજો પાઉન્ડ લશ્કર અને યુદ્ધને લગતી સેવાઓ જેવી કે જાસૂસી સેવા, અણુ સબમરીનો અને અન્ય શસ્ત્ર સરંજામ પાછળ ખર્ચાયા, તે પ્રજાનાં સ્વાસ્થ્ય, શિક્ષણ, આવાસ, વાહન વ્યવહાર અને renewable ઊર્જા પાછળ વાપરી શકાયા હોત, અને તો બ્રિટનની પ્રજાને કેટલો લાભ થયો હોત? આંતરરાષ્ટ્રીય ફલક પર માનવતા વિરુદ્ધ યુદ્ધ છેડનારા ગુનેગારોના સાગરીત થવાને બદલે બ્રિટન શાંતિના ખરા દૂત તરીકે પંકાયું હોત – કોસ્ટા રીકાની માફક.
શસ્ત્ર વિહીન રાજ્ય વહીવટનો ઉપર ઉલ્લેખ કર્યો તેના અનુસંધાનમાં એ પણ જાણી લઈએ કે યુનાઇટેડ નેશન્સનો અણુશસ્ત્રો પરનો પ્રતિબંધ લાવતો ખરડો 7 જુલાઈ 2017ને દિવસે પસાર થયો જેમાં દુનિયાના 122 દેશોએ અણુશસ્ત્રો પરના પ્રતિબંધના કરાર પર સહી સિક્કા કર્યા. નોંધ લેવા જેવી બાબત એ છે કે અણુશસ્ત્રો ધરાવનાર નવ દેશોએ તે કરાર પર સહી કરવાનો વિરોધ કર્યો. અને ભારત તેમાંનું એક રાષ્ટ્ર હતું. તે બેઠકના પ્રેસિડન્ટ કોસ્ટા રીકાના Elayne Whyte Gomez કહેલું, “આપણે અણુશસ્ત્રોથી મુક્ત જગત બનાવવા માટેનાં પહેલાં બીજ વાવી દીધાં છે. આપણે આપણી આવનારી પેઢીને આ દ્વારા કહીએ છીએ કે અણુશસ્રોથી મુક્ત એવું વિશ્વ વારસામાં મૂકી જવું શક્ય છે.” સવાલ એ છે કે ભારતે આ કરાર પર સહી કેમ ન કરી? જે દેશોએ આ સમજૂતી પર સહી નથી કરી તે દેશની પ્રજાની ફરજ બને છે કે તે પોતાની સરકારોને માનવે શોધેલા આવા વિનાશક શસ્ત્રોને અને તેવી ઘાતક વિચારધારાને ખતમ કરે. વધુ રસ ધરાવનાર આ કરાર www.un.org/disarmament/ptnw પર વાંચી શકશે.
અહિંસાના છેલ્લા મસીહા જેવા ગાંધીજીના શસ્ત્રો – ખાસ કરીને અણુશસ્ત્રો વિશેના વિચારો જાણવા રસપ્રદ થઈ પડશે. ગાંધીજીના જીવનના લગભગ અંત સમયે અણુશસ્રોની શોધ થઈ જેના વિષે તેઓએ કહેલું, “જ્યાં સુધી મને દેખાય છે ત્યાં સુધી કહી શકું કે એટમ બોમ્બે માનવીની ઉત્તમોત્તમ લાગણીઓને મૃતપ્રાયઃ કરી નાખી છે જેના પર માનવતા યુગોથી ટકી છે. પહેલાં યુદ્ધના કેટલાક નિયમો હતા, જેને કારણે તે સહ્ય બનતું. હવે આપણી નજર સામે યુદ્ધનું નગ્ન સત્ય ઉઘાડું પડ્યું. લડાઈ એક પણ કાયદો કે નિયમ નથી જાણતી, સિવાય કે પાશવી તાકાત.” તેમણે એમ પણ કહ્યું કે, “બોમ્બની અંતિમ કરુણાંતિકામાંથી એક શીખ પ્રામાણિક પણે લેવા જેવી છે કે એવા સંહારનો જવાબ બીજા બોમ્બથી નહીં વાળી શકાય. જેમ હિંસાને વળતી હિંસાથી ન ખાળી શકાય. માનવજાતે હિંસાના વિષ ચક્રમાંથી માત્ર અહિંસાથી જ બહાર નીકળવાનું રહેશે. હું માનું છું કે જેઓએ એટોમિક બોમ્બની શોધ કરી છે તેઓએ વૈજ્ઞાનિક જગત સામે ભયાનક પાપ કર્યું છે. દુનિયાને બચાવવા માટે જો કોઈ એક માત્ર શસ્ત્ર હોય તો તે અહિંસા જ છે. દુનિયાની હાલની સ્થિતિ જોતાં કોઈને હું મૂર્ખ ભાસું. પણ મને તે વિષે જરા પણ દિલગીરી નથી. હું તો ભગવાનનો પાડ માનું છું કે તેણે મને એટોમિક બૉમ્બ બનવવાની ક્ષમતા ન આપી.”
30 જાન્યુઆરી 1948 – ગાંધીજીના અંતિમ દિવસે અમેરિકાના પ્રખ્યાત ફોટોગ્રાફર માર્ગારેટ બ્યોર્ક વ્હાઇટે તેમને પૂછ્યું, “તમે અમેરિકાને એટોમિક બૉમ્બ બનાવવાનું છોડી દેવાની સલાહ આપો ખરા?” ગાંધીનો ઉત્તર હતો, “નિશ્ચિત પણે. હાલ જે પરિસ્થિતિ છે તે જુઓ. યુદ્ધનો અંત બહુ ખરાબ રીતે આવ્યો અને વિજેતાઓ ઈર્ષા અને સત્તા લોલુપતામાં વિલુપ્ત થઈ ગયા. ત્રીજા વિશ્વ યુદ્ધના પ્રચારનો પ્રારંભ થઈ ચુક્યો છે. અહિંસા એટોમિક બૉમ્બ કરતાં અનેકગણું વધુ શક્તિશાળી શસ્ત્ર છે.” ગાંધીજીનાં આ વિધાનો પર વિશ્વાસ ન બેસતો હોય તો છેલ્લાં 75 વર્ષનો દુનિયાનો ઇતિહાસ જોઈને કહો કે કયા યુદ્ધથી કાયમી શાંતિ અને પરસ્પર વિશ્વાસની લાગણી સ્થપાઈ છે?
ગાંધી નિર્વાણને 70 વર્ષ થવા આવ્યાં અને આજે વિશ્વ શાંતિ ખરેખર જોખમાઈ રહી છે ત્યારે કોસ્ટા રીકાને વિનંતી કરીએ કે તે દુનિયાના બીજા દેશોને શસ્ત્રો બનવવાની અને તેના ઉપયોગની વિફળતા વિષે સમજ આપવામાં આગેવાની કરે અને માનવ જાતને મહા વિનાશ તરફ ધસી જતી અટકાવે.
e.mail : 71abuch@gmail.com