આ ચાર માર્ચના રોજ બે સમાચાર એક જ દિવસમાં મળ્યા. તે નેશનલ ફિલ્મ આર્કાઇવ્સના પૂર્વનિયામક (ડાયરેક્ટકર) પી.કે. નાયરસાહેબના અવસાનના અને અન્ય તે દાદાસાહેબ ફાળકે પારિતોષિકની જાહેરાત.
આજ અહીં થોડી વાત આ એક જ દિવસે આવેલા આ સમાચારોની કરવી છે. પી.કે. નાયરસાહેબ ભારતીય ફિલ્મ આર્કાઇવ્સના પહેલા ડાયરેક્ટર હતા. એટલું જ નહીં, એમના પ્રયત્નોના પરિણામે જ આપણું આર્કાઇવ્સ સ્થપાયું હતું. એઓએ નિવૃત્તિ સુધી આ પદ પર રહીને ભારતીય સિનેમાનું અમૂલ્ય કાર્ય કર્યું. આર્કાઇવ્સ દ્વારા અનેક પ્રકારના ફિલ્મ-સંરક્ષણનાં કાર્યો એમણે કર્યાં. એમના કાર્યોને ધ્યાનમાં રાખીને એમના ઉપર બે-ત્રણ જેટલી ડૉક્યુમેન્ટ્સ ફિલ્મો પણ સર્જાઈ હતી, જે ઇટલીના ફિલ્મ-ફેસ્ટીવલમાં રજૂઆત પામી હતી અને નેશનલ ઍવૉર્ડ પણ મળેલો. એમને ‘સત્યજિત રાય મેમોરિયલ ઍવૉર્ડ’થી પણ સન્માનિત કરવામાં આવેલા. એમનાં કાર્યોને ધ્યાનમાં લઈને આ વર્ષે ભારતીય સિનેમાના ક્ષેત્રે અનેરું કાર્ય કરનાર પ્રતિભાને અપાતું પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે પારિતોષિક એમને આપવાનું સૂચવવામાં આવેલું. આ સૂચન કરનારાઓની યાદીમાં ફિલ્મ જગતના અનેક માનવીય લોકોના પણ નામ હતા. નાયરસાહેબ છેલ્લાં કેટલાંક વર્ષોથી અત્યંત બીમાર હતા અને આ ચોથી માર્ચના રોજ એમનું અવસાન થયું. મરાઠી ‘લોકનેતા’ તથા અન્ય કેટલાંક અંગ્રેજી અખબારોએ એમની વિશેષ નોંધ લીધી. તેમાં ‘લોકસત્તા’નો અંજલિલેખ અત્યંત મહત્ત્વનો હતો. આજે ફિલ્મસમીક્ષા લખતા અનેક વિવેચકોને ફિલ્મ એપ્રીશિયેશન કોર્સ દ્વારા તૈયાર કરવાનું માન પણ એમને જાય છે. ભારતીય સિનેમાના ઇતિહાસને સંરક્ષવાનું તેમનું કાર્ય સદા સરાહનીય રહેશે.
એમને દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ તો ન મળ્યો પણ એ પારિતોષિકની જાહેરાત એ જ દિવસે થઈ. આજના સમયમાં પારિતોષિક પામવું હોય, તો અમુક પ્રકારની વિચારસરણી ધરાવવી જરૂરી છે કે પછી શાસકપક્ષને અનુકૂળ હોવું એ જ મહત્ત્વની યોગ્યતા (ક્વૉલિફિકેશન) ગણાય છે. આપણી આ વર્ષની નેશનલ ફિલ્મ ઍવૉર્ડની જુરીમાં પણ એ જ ધોરણે નિમણુકો થઈ હતી. અને એવા પણ જુરી-મેમ્બરો હતા, જેમને સિનેમા સાથે કોઈ લેવા દેવા કે સમજ પણ નહોતી. ફાળકે પારિતોષિક માટે આ વર્ષે જે નામ સૂચવાયાં હતાં તેમાં નાયર સાહેબની સાથે પ્રસિદ્ધ અભિનેત્રી વહીદા રહેમાનનું પણ નામ હતું.
ભારતીય સિનેમાને માટે અમૂલ્ય કાર્ય કરનાર નાયરસાહેબનું યોગ્ય સન્માન ન થયું, પણ એમના અનેક ચાહકોના દિલમાં એઓ હંમેશાં સન્માનનીય રહેશે જ. તેમ ભારતીય ફિલ્મ પર સંશોધન કરનાર અનેક અભ્યાસુઓ પણ એના કાર્યને લઈને જ આગળ આવી શકશે.
e.mail : abhijitsvyas@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2016; પૃ. 17