Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9375703
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સુબ્રત રોય: ઝાકઝમાળ જિંદગીનો કલંકિત અંત

રાજ ગોસ્વામી|Opinion - Opinion|20 November 2023

રાજ ગોસ્વામી

નવા વર્ષના પહેલા દિવસે, સહારા ઇન્ડિયા પરિવાર નામના બિઝનેસ સમૂહના સ્થાપક, સુબ્રત રોયનું, 75 વર્ષની વયે અવસાન થયું, ત્યારે સુન્દીપ ખન્ના નામના બિઝનેસ પત્રકારે લખ્યું હતું, “સુબ્રત રોય યુવાન હતા ત્યારે કોઈ તેમને કહેવાનું ભૂલી ગયું કે ગમે તેટલી સાદગીપૂર્ણ શરૂઆત હોય, તમે આન્ત્રપ્રેન્યોર છો એનો અર્થ એ નથી કે કાયદાની ચુંગલમાંથી આજીવન બાકાત રહી શકો. તેમને જો આ સલાહ મળી હોત, તો તે એક અપમાનજનક અંત કરતાં વધુ સાર્થક જીવન જીવી શક્યા હોત. હજુ વર્ષની શરૂઆતમાં જ સરકારે તેમની કંપનીઓએ એક કરોડથી વધુ રોકાણકારો પાસેથી છેતરપિંડી દ્વારા એકત્ર કરેલા નાણાં પરત કરવાના પ્રયાસરૂપે સહકારી મંડળીઓના કેન્દ્રીય રજિસ્ટ્રાર (સી.આર.સી.એસ.) સહારા રિફંડ પોર્ટલ શરૂ કર્યું હતું. દુર્ભાગ્યે, તેમને આ સમાચારથી યાદ રાખવામાં આવશે.”

કોઈ બિઝનેસમેનનું અવસાન થાય, ત્યારે તે નવી પેઢીએ પ્રગતિ માટે શું કરવું જોઈએ તેનો મૂલ્યવાન બોધપાઠ મૂકીને જાય છે. સુબ્રત રોયનું બદનસીબ કેવું કે તે ગયા ત્યારે શું ન કરવું જોઈએ તેનો ‘મૂલ્યવાન’ વારસો મૂકીને ગયા છે. 1978માં 20,000 રૂપિયાની નાનકડી મૂડી સાથે સહારા સમૂહની શરૂઆત કર્યા પછી, તેમની સફર હાઉસિંગથી લઈને ઉડ્ડયન અને મીડિયાથી લઈને ફાયનાન્સ સુધીના બહુવિધ વ્યવસાયો સુધી ફેલાઈ હતી. રોયનો અંત આવ્યો ત્યારે, સહારા સમૂહની વેબ સાઈટ અનુસાર, તેમના સમૂહની સંપત્તિ 2 લાખ કરોડ 59 હજાર કરોડ હતી.

તેમની વાર્તા ફર્શ સે અર્શ તકને ચરિતાર્થ કરે તેવી હતી, પરંતુ એમાં ઘણાં પ્રકરણો એવાં હતાં જે તેમની ટ્રેજેડીને પણ ચરિતાર્થ કરતાં હતાં. જેમ કે, નાના રોકાણકારોના 20 હજાર કરોડ પાછા આપવામાં નિષ્ફળ ગયેલા રોય કોર્ટનું અવમાન કરવાના કેસમાં સુપ્રીમ કોર્ટમાં હાજર ન થયા, તો 2014માં તેમને તિહાડ જેલમાં પુરવામાં આવ્યા હતા. જેલની એ આકરી અને એકલવાયી જિંદગીને આસાન બનાવવા માટે રોયે જિંદગીના બોધપાઠ પર “લાઈફ મંત્ર” નામનું પુસ્તક લખ્યું હતું.

“સહારાશ્રી”થી જાણીતા સુબ્રત રોય કરિશ્માવાળી વ્યક્તિ હતા. તેઓ ભારતના પ્રથમ સુપરસ્ટાર બિઝનેસમેન હતા. એક સમય હતો જ્યારે તેમની પ્રસિદ્ધિનો સૂરજ ચારેબાજુ ઝગમગ થતો હતો. રાજકરણીઓ તેમની આગળ-પાછળ ફરતા હતા. બોલિવૂડના કલાકારો તેમનું મનોરંજન કરતા હતા. પત્રકારો તેમના પર લેખ લખતા હતા. રોયના હાથમાં “જાદૂ” હતો; એ જ્યાં પણ હાથ મૂકે ત્યાંથી સંપત્તિ અને સત્તા નીકળતી હતી.

પર ક્યારે ય સૂર્ય અસ્ત થતો ન હતો. વરિષ્ઠ નેતાઓ કતારમાં ઊભા હતા. બોલિવૂડ સુપરસ્ટાર પોતાના ઘરે ચા વહેંચતા હતા. આ ઉદ્યોગ સુબ્રત રોય સામે ઝૂક્યો હતો. પત્રકારોએ તેમનું સમર્થન કરીને ગર્વ અનુભવ્યો હતો. રોયે જે પણ હાથ મૂક્યો તે સંપત્તિ, ખ્યાતિ અને સત્તાની ટોચ પર હતો. તેઓ ચિટ ફંડથી માંડીને એરલાઇન્સ સુધી બધું જ કરતા હતા.

લખનઉમાં તેમના પુત્રોનાં લગ્નોમાં ભારતના પ્રધાન મંત્રી, એક ડઝનથી વધુ કેન્દ્રીય મંત્રીઓ, મુખ્ય મંત્રીઓ, રાજ્યપાલો અને સમગ્ર ઉદ્યોગ જગત રોયનું મહેમાન હતું. ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડીઓએ ત્યાં મહેમાનોને ભોજન પીરસ્યું હતું. વિશ્વ કપ વિજેતા ટીમના તમામ સભ્યોને સહારાએ બનાવેલા આધુનિક શહેર એમ્બી વેલીમાં ઘર ભેટમાં આપવામાં આવ્યા હતા. 

રોયની પાસે બિનહિસાબી સંપત્તિ અને અપાર શક્તિ હતી. કહે છે કે સંપત્તિ અને સત્તા સાપના ઝેર જેવી હોય છે. તેને જીરવવાની તાકાત ન હોય તો તે ખુદ એ ખતમ કરી નાખે. રોયના કિસ્સામાં એ કદાચ અતિ-આત્મવિશ્વાસનો શિકાર થઇ ગયા હતા, અને એકવાર તેમનો સમય બદલાયો, તે સાથે શક્તિશાળી લોકોએ તેમને પીઠ બતાવવાની શરૂ કરી દીધી હતી.

હકીકતમાં, સપ્ટેમ્બર 2009માં સહારા સમૂહે સહારા પ્રાઇમ સિટીનો આઈ.પી.ઓ. લાવવા માટે સેબીને અરજી કરી હતી. બીજા મહીને સહારા જૂથની વધુ બે કંપનીઓ-સહારા ઇન્ડિયા રિયલ એસ્ટેટ કોર્પોરેશન લિમિટેડ અને સહારા હાઉસિંગ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લિમિટેડ-એ આઈ.પી.ઓ. માટે અરજી કરી હતી. સહારા સમૂહ એક સાથે 3 આઈ.પી.ઓ. દ્વારા શેરબજારમાં પ્રવેશવા માંગતું હતું, પરંતુ કોઈને ખબર નહોતી કે આ નિર્ણય જૂથના પતનની વાર્તા લખશે.

જ્યારે સેબી આ દસ્તાવેજોની તપાસ કરી રહ્યું હતું, ત્યારે બે સહારા કંપનીઓની ફરિયાદો નિગરાની હેઠળ આવી હતી. તેમાં ખબર પડી હતી કે સહારા સમૂહે સેબીની પરવાનગી વગર રોકાણકારો પાસેથી નાણાં એકત્ર કર્યાં હતાં. સેબીએ બે સહારા કંપનીઓને ભંડોળને પરત કરવા જણાવ્યું હતું. આ કારણે સહારા અને સેબી વચ્ચે વિવાદ થયો હતો. આ મામલો જુદી જુદી અદાલતોમાં ગયો હતો, પરંતુ આખરે સુપ્રીમ કોર્ટે સહારાને રોકાણકારોના 24,000 કરોડ રૂપિયા સેબીમાં જમા કરાવવાનો આદેશ આપ્યો હતો. ત્યાંથી સહારાના ખરાબ દિવસો શરૂ થયા હતા.

એ રાતોરાત થયું નહોતું. તેમનું જેલમાં જવું અનેક ઘટનાઓની પરાકાષ્ઠા હતી. રોય તેમના જીવનની અલગ-અલગ ઘટનાઓ(કે ભૂલો)ને એક સાથે જોડીને તે કઈ દિશામાં જઈ રહ્યા છે તે સમજવા જેટલા સતર્ક કે સમજદાર નહોતા. અથવા તેમને તેમની અમાપ ધન-શક્તિ પર વિશ્વાસ હતો. તેમનામાં અગમચેતી હોત, તો ઘણા અકસ્માતોને અટકાવી શક્યા હોત.

અગણિત લોકોએ સુબ્રત રોય પર વિશ્વાસ મૂક્યો અને તેમની જીવનભરની કમાણી સહારામાં રોકી દીધી હતી. તેમને આશા હતી કે સહારાશ્રી તેમની સંપત્તિને વધારવામાં મદદ કરશે. એવું કશું ના થયું. રોય કોઈ પારદર્શકતા વિના વ્યવસાય કરતા હતા અને લોકોના પરેસેવાની કમાણી પર શાનો-શૌકતભરી જિંદગી જીવતા હતા.

વ્યક્તિગત રીતે સુબ્રત રોય છવાઈ જવામાં પાવધરા હતા, પરંતુ વ્યવસાયિક પરફોર્મન્સ માટે એવું કહી શકાય તેમ નહોતું. તે અનેક ક્ષેત્રોમાં વ્યવસાય કરતા હતા, પણ એમાં નફો થતો નહોતો. ખોટ અને દેવાનો ઢગલો થઈ રહ્યો હતો અને કામદારોને પગાર મળતો ન હતો.  કામદારોનું કલ્યાણ તેમની પ્રાથમિકતામાં નહોતું.

ઘણા લોકોને એ જાણીને આઘાત લાગ્યો હતો કે રોયે તેની કાનૂની મુસીબતોના ખર્ચા કાઢવા માટે અથવા દંડની ભરપાઈ કરવા માટે તેમની સંપત્તિ અને અન્ય ઇમારતો વેચી હતી. એક અતિ-સમૃદ્ધ અબજોપતિ હોવા છતાં, રોય પાસે સ્થિર નાણાંકીય પીઠબળ નહોતું. એક સશક્ત બિઝનેસ હંમેશાં ખરાબ દિવસો માટે અગમચેતીરૂપે વ્યૂહરચનાઓ ઘડી રાખે છે, પરંતુ રોય પાસે કોઈ વ્યૂહરચના નહોતી. તેમને કદાચ લાગ્યું હશે કે એવા દિવસ ક્યારે ય નહીં આવે.

2014માં, રોય સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા, ત્યારે પોતાને વકીલ તરીકે ઓળખાવતા એક માણસે તેમની પર કાળી શાહી ફેંકી હતી. શાહી ફેંક્યા પછી, મનોજ શર્મા નામના એ માણસે પોતાની શર્ટ ઉતારીને લહેરાવી હતી અને બૂમો પાડવા લાગ્યો કે તે (સુબ્રત રોય) ચોર છે અને ગરીબો પાસેથી પૈસા ચોર્યા છે.

સુબ્રત રોય કાળી શાહીથી રંગાયેલી શર્ટ પહેરીને ન્યાયાધીશો સમક્ષ હાજર થયા હતા. તે એક ફિલ્મી દૃશ્ય હતું. તેમણે આત્મવિશ્વાસથી સાથે જાતે જ દલીલો કરતાં કોર્ટને કહ્યું હતું કે તેઓ કોર્ટના આદેશનું સન્માન કરવા માટે વધુ એક તક ઈચ્છે છે. તેણે કહ્યું હતું કે જો તે આ છેલ્લા પ્રયાસમાં નિષ્ફળ જશે તો તે અદાલત સમક્ષ ઊભા રહેશે અને સજા સ્વીકારશે. જો કે, ન્યાયમૂર્તિ કે.એસ. રાધાકૃષ્ણન અને ન્યાયમૂર્તિ જે.એસ. ખેહરની ખંડપીઠ તેમના આત્મવિશ્વાસથી પ્રભાવિત થઇ નહોતી અને રોકાણકારોના પૈસા પાછા આપવા માટેની નક્કર દરખાસ્ત ન આવે ત્યાં સુધી તિહાર મોકલી દીધા હતા. 2017માં, રોય પેરોલ પર બહાર આવ્યા હતા, પરંતુ શક્તિશાળી લોકોની જેમ, તેમના સ્વાસ્થ્યએ પણ તે પછી તેમનો સાથ છોડી દીધો હતો. તેઓ જેટલી શોમેનશીપ સાથે જીવન જીવ્યા હતા, તેટલી જ શાંતિમાં ચાલ્યા ગયા. 

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર”; 19 નવેમ્બર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

20 November 2023 રાજ ગોસ્વામી
← સરકાર કોઈનું સાંભળતી નથી અને કોઈ સરકારનું સાંભળતું નથી …
રમતો: સંસ્કૃતિ બને છે ધંધાકીય બજારુ રાષ્ટ્રવાદ! →

Search by

Opinion

  • બિઈંગ નોર્મલ ઈઝ બોરિંગ : મેરેલિન મનરો
  • અર્થ-અનર્થ – આંકડાની માયાજાળમાં ઢાંકપિછોડા
  • ચૂંટણી પંચની તટસ્થતાનો કસોટી કાળ ચાલી રહ્યો છે.
  • હે ભક્તો! બુદ્ધિનાશે વિનાશ છે!
  • પ્રમુખ કેનેડી : અમેરિકા તો ‘પરદેશી નાગરિકોનો દેશ’ છે

Diaspora

  • આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’
  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા

Gandhiana

  • કર્મ સમોવડ
  • સ્વતંત્રતાનાં પગરણ સમયે
  • આપણે વેંતિયાઓ મહાત્માને માપવા નીકળ્યા છીએ!
  • ગાંધીજી જીવતા હોત તો
  • બે પાવન પ્રસંગો

Poetry

  • વચ્ચે એક તળાવ હતું
  • ઓલવાયેલો સિતારો
  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …
  • તારવણ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved