ત્રીસમી માર્ચે સર્વોચ્ચ અદાલતમાં ટ્રિપલ તલાક અંગેની અરજીઓની સુનાવણી થવાની છે
સતીની કુપ્રથા, સ્ત્રીભ્રૂણહત્યા,બળાત્કાર, ઘરેલુ હિંસા અને દહેજ ગુના બને છે. બુરખો, ઘુમટો, ડાકણની કુરૂઢિ, મહિલા સુન્નત પછાતપણા તરીકે ધિક્કાર પામે છે. મહિલાઓ પર આ પ્રકારના જુલમો સ્થાપિત ધર્મ લાદે છે. તેનો અમલ મોટે ભાગે ધર્મગુરુઓ થકી થાય છે. ધર્મગુરુઓનો મોટો વર્ગ ધર્મગ્રંથોના પુરુષસત્તાક અર્થઘટનો થકી મહિલાઓની બાબતમાં પોતાની મનમાની કરે છે. જેમ કે, ‘મનુસ્મૃિત’ના કેટલાક હિસ્સા અને સ્થાપિત ધર્મ થકી તેના દુરુપયોગને હિંદુ સ્ત્રીઓની દુર્દશા માટે જવાબદાર ગણવામાં આવે છે. મુસ્લિમોમાં પ્રવર્તતી ટ્રિપલ તલાક, બહુપત્નીત્વ અને હલાલા નામની લગ્નપદ્ધતિની બદીઓની બાબતમાં પણ આમ બન્યું છે.
આ ત્રણેય પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી અરજીઓ પર ત્રીસમી માર્ચે ભારતની સર્વોચ્ચ અદાલત સુનાવણી હાથ ધરવાની છે. ટ્રિપલ તલાકનો ભોગ બનનાર મુખ્ય અરજદાર ઉત્તરાખંડના શાયરા બાનુ છે. સમાજશાસ્ત્રમાં એમ.એ. થયેલાં પાંત્રીસ વર્ષનાં શાયરાએ અલાહબાદમાં પતિની મારઝૂડ ઉપરાંત દસ ગર્ભપાત વેઠ્યાં છે. ભારત સરકારે ટ્રિપલ તલાકને અયોગ્ય ગણતું સોગંધનામું કર્યું છે. ભારતીય મુસ્લિમ મહિલા આંદોલન નામના ખૂબ નોંધપાત્ર મહિલા સંગઠને ટ્રિપલ તલાકની સામે ઝુંબેશ ચલાવી છે. કપરી કર્મશીલતાનો દાયકો પૂરો કરીને આ આંદોલન દસ જાન્યુઆરીએ અગિયારમાં વર્ષમાં પ્રવેશ્યું છે. આંદોલન ઉપરાંત દેશના પ્રગતિશીલ મુસ્લિમ અને બિનમુસ્લિમ નાગરિકો વ્યક્તિગત કે સામૂહિક સ્વરૂપે ટ્રિપલ તલાક નાબૂદીને ટેકો આપી રહ્યા છે.
સામે પક્ષે જૂનવાણી અને પ્રતિગામી સંગઠન ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ ટ્રિપલ તલાકની તરફેણ કરીને તેની નાબૂદીની માગણીને ધાર્મિક સ્વાતંત્ર્યના મૂળભૂત અધિકાર પર તરાપ ગણાવી રહ્યું છે. જો કે રફિક ઝકરિયા ‘ધ વાઇડનિંગ ડિવાઈડ’ પુસ્તકમાં નોંધે છે : ‘ મુસ્લિમ પર્સનલ લૉ પૂરેપૂરો કુરાન પર આધારિત નથી. એ તો મૌલવીઓના એક જૂથે લૉર્ડ મેકૉલેના કહેવા મુજબ રચેલા અર્થઘટનો અને શિરસ્તાઓનું એક ઝુમખું છે.’ અસગર અલી ઇન્જિનિયર ‘ધ ઇન્ડિયન મુસ્લિમ’ પુસ્તકમાં એ મતલબની વાત કરે છે કે મુસ્લિમ પર્સનલ લૉ એ દૈવી ગણાતો હોવાથી અપરિવર્તનશીલ બની જતો નથી. એ પણ કહેવું જોઈએ કે સમાન નાગરિક ધારો (યુનિફૉર્મ સિવિલ કોડ) અને ટ્રિપલ તલાક પરના પ્રતિબંધ વચ્ચેના સંબંધની તપાસ અલગ લેખનો વિષય બને છે.
મુસ્લિમ દંડવિધાનના એક હિસ્સા એવા શરિયાની બાબતમાં સ્વામીનાથન અંકલેસરિયા ઐયર લખે છે : ‘શરિયાનો કાનૂન વ્યાભિચારી સ્ત્રીને પથ્થર મારીને મારી નાખવાની મંજૂરી આપે છે, પણ આપણા સેક્યુલર કાયદા મુજબ આ પ્રતિબંધિત છે. શરિયાનો કાનૂન ચોરની આંગળીઓ કે તેના હાથ કાપી નાખવાનું ભલે કહેતો હોય, આપણો સેક્યુલર કાયદો તેને મંજૂરી આપતો નથી …’ વર્લ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇસ્લામિક સ્ટડીઝ ફૉર ડાયલૉગ, પીસ અૅન્ડ જેન્ડર જસ્ટીસના ડિરેક્ટર જનરલ ઝીનત શૌકત લખે છે : ‘એ બિલકુલ સ્પષ્ટ રીતે કહી દેવું જોઈએ કે તલાક-ઇ-બિદાતને કુરાનમાં કોઈ મંજૂરી નથી. તે એક જ બેઠકમાં છૂટાછેડાને મંજૂરી આપતું નથી, પયગંબર પણ તેને કાયદેસરના ગણતા નથી. પયગંબરે તો છૂટાછેડા આપવાના નિરંકુશ અધિકાર પતિને આપતી ઇસ્લામપૂર્વ કાળની પિતૃસત્તાક રૂઢિને સહુથી ભયંકર બાબત ગણીને વખોડી છે.’ ઑલ ઇન્ડિયા મુસ્લિમ વિમેન્સ પર્સનલ લૉ બોર્ડ પણ આ ટ્રિપલ તલાકને ‘અનઇસ્લામિક’ ગણે છે. ભારતીય મુસ્લિમ મહિલા આંદોલનના સ્થાપક ઝકિયા સોમણ કહે છે, ‘જ્યાં સુધી કુરાનને સંબંધ છે ત્યાં સુધી તેમાં ટ્રિપલ તલાકનો ઉલ્લેખ નથી. એ પછીના તબક્કે થયેલો ઉમેરો છે. પયગંબરના અવસાન પછી ઇમામોમાંથી એકે તેને ફક્ત હંગામી ધોરણે દાખલ કર્યો હતો. છૂટાછેડાનો સ્ત્રી અને પુરુષ બંનેને સમાન અધિકાર છે.’
ભારતીય મુસ્લિમ મહિલા આંદોલને ઑગસ્ટ 2015માં કરેલું સર્વેક્ષણ જાણીતું છે. તે મુજબ દસ રાજ્યોની પાંચ હજાર જેટલી મુસ્લિમ મહિલાઓમાંથી 92.1% મહિલાઓએ ટ્રિપલ તલાક અને 91.7 % મહિલાઓએ બહુપત્નીત્વ બંને પરના પ્રતિબંધને ટેકો આપ્યો છે. વળી 88.5% મહિલાઓ મૌખિક રીતે અપાયેલા તલાક પછી મહિલાઓને નોટિસ આપનાર કાઝીને સજા કરવાની માગણીને ટેકો આપ્યો હતો ! આંદોલનના અગ્રણી ઝકિયા અને ડૉ. નૂરજહાં સફિયા નિયાઝે 2015માં તૈયાર કરેલો પ્રસિદ્ધ કરેલો સાઠ પાનાંનો એક અહેવાલ શબ્દશ: વાંચવા જેવો છે. આ નક્કર દસ્તાવેજનું નામ છે ‘નો મોર તલાક તલાક તલાક : મુસ્લિમ વિમેન કૉલ ફૉર અ બૅન ઑન અૅન અનઇસ્લામિક પ્રૅક્ટિસ’. તેના પહેલા જ પાને પયગંબરનું અવતરણ ટાંકવામાં આવ્યું છે : ‘અલ્લા જે કાનૂની બાબતને સહુથી વધુ ધિક્કારે છે તે છે તલાક’. તેમાં ટ્રિપલ તલાકને કારણે જેમની જિંદગી તબાહ થઈ હોય એવી સો મહિલાઓના કેસ સ્ટડીઝ આપવામાં આવ્યા છે. આઠ રાજ્યોની આ મહિલાઓની તબાહીની દુર્દશાની રૂપરેખા પણ હચમચાવી દેનારી છે. પુરોવચનમાં જાણીતા અભ્યાસી તાહિર મહમૂદ કહે છે કે ‘આ અહેવાલ વાંચતાં હૉરર સ્ટોરિ વાંચતાં હોઈએ તેવું લાગે છે. છૂટાછેડા અંગેના ઉમદા ઇસ્લામિક કાયદાના બેફામ દુરુપયોગે સમાજમાં જે વિનાશ વેર્યો છે તેનો પણ આ અહેવાલ પર્દાફાશ કરે છે.’ અહેવાલની પ્રસ્તાવના આ વિષય પરનો એક અત્યંત મહત્ત્વનો લેખ બને છે. તેમાં લેખકો કહે છે કે ટ્રિપલ તલાકને કારણે નિરાધાર બનતી હજારો સ્ત્રીઓના કિસ્સામાં પતિ છૂટાછેડા આપવા એ ‘ઇસ્લામે તેને આપેલો અધિકાર’ ગણે છે. લોકોમાં કુરાનની આજ્ઞા અને ટ્રિપલ તલાકના અર્થ અંગે ભાગ્યે જ કોઈ સમજ છે. મૌલવી અને કાઝી ઉપરાંત ખુદને ભારતીય મુસ્લિમોના પ્રતિનિધિ ગણાવનાર પણ તલાકના કાયદાના દુરુપયોગ માટે જવાબદાર છે. ઇસ્લામના નામે ચલાવવામાં આવતું સ્ત્રીના તિરસ્કારથી ભરેલા પુરુષપ્રધાન માનસને લેખકો દોષિત ગણે છે. અહેવાલ કહે છે કે ઘણા અભ્યાસીઓએ બતાવ્યા મુજબ ભારતમાં પ્રવર્તમાન મુસ્લિમ પર્સનલ લૉ એ, કોડિફાય ન થયેલા એટલે કે લેખિત કાયદાનું સ્વરૂપ ન અપાયેલા નિયમોનો એવો જથ્થો છે કે જે વસાહતવાદી બ્રિટિશ શાસન દરમિયાન તૈયાર થયો હતો. એટલા માટે તેની સમજ અને તેના અમલમાં સુધારો એ કુરાનપ્રણિત ન્યાયની દિશાનું એક પગલું હશે.’
આંદોલનના આ અહેવાલમાં એવા અનેક મુસ્લિમ દેશોનો હવાલો આપવામાં આવ્યો છે કે જેમણે તલાક સંબંધિત કાયદાઓને સુધાર્યા હોય. તેમાં તુર્કી, ટ્યુનિશિયા, સિરિયા, ઇજિપ્ત, મોરોક્કો, ઇરાન, ઇરાક, મલેશિયા અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. ભારતની સરકારે તેના સોગંધનામામાં પણ આ મુદ્દો મૂક્યો છે. પણ તેમાં બહુપત્નીત્વ અને ટ્રિપલ તલાક અંગે જણાવેલી બહુ મહત્ત્વની બાબતો આ મુજબ છે : આ રિવાજોને કારણે મુસ્લિમ સ્ત્રીઓ સામાજિક અને આર્થિક રીતે જોખમ નીચે જીવે છે; જેન્ડર જસ્ટીસ, ભેદભાવ નિર્મુલન, માનવગૌરવ અને સમાનતાના સંદર્ભમાં આ રિવાજોની પુનર્વિચારણા કરવી જોઈએ ; ધર્મ-સંસ્કૃિતની બહુલતા અને વૈવિધ્યની જાળવણીના ખ્યાલો સ્ત્રીઓને સમાન અધિકારો ન આપવા માટેનું બહાનું ન બની શકે; સ્ત્રીઓને સામાજિક, આર્થિક અથવા લાગણીના સ્તરે અરક્ષિત રાખતી અથવા પુરુષોના તુક્કાને આધીન રાખતા કોઈ પણ રિવાજો બંધારણના લેટર અને સ્પિરિટ સાથે બંધબેસતા નથી. તેમને ધર્મના આવશ્યક કે અંતર્ગત ભાગ ગણી શકાય નહીં.
++++
23 માર્ચ 2017
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 24 માર્ચ 2017