તેમણે સંસદમાં મહિલાઓ માટે 33 ટકા આરક્ષણની જોગવાઈ કરતા ખરડાનો પક્ષના વ્હીપની વિરુદ્ધ જઈ વિરોધ કર્યો હતો
ઉત્તર પ્રદેશમાં લોકોએ ભાજપને જંગી બહુમતીથી જીતાડીને શાસક પક્ષ વિરુદ્ધ સ્પષ્ટ આદેશ આપ્યો છે. ‘સૌનો સાથ અને સૌનો વિકાસ’ની અપીલ કોને ન ગમે? ગુજરાત જેવા ચાર લેનવાળા સીધાસપાટ રસ્તા અને 24 કલાક મળતી વીજળીની સુવિધા દરેક રાજ્યને પહોંચવી જોઈએ, એવી અપેક્ષાની નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા પાછળ ભૂમિકા ખરી. ઉત્તર પ્રદેશમાં નરેન્દ્ર મોદી સ્ટાર પ્રચારક બનીને આવ્યા અને એ જ અપેક્ષાએ ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં પણ પોતાનો ભાગ ભજવ્યો.
યોગી આદિત્યનાથની મુખ્યમંત્રી તરીકે વરણી થતાં ઘણાને આઘાત લાગ્યો એ ચોક્કસ. એની પાછળ બે કારણો છે. એક, યોગી આદિત્યનાથ કટ્ટર હિન્દુત્વનો ચહેરો છે. એટલે વિકાસની વાત કરતાં હિંદુ રાષ્ટ્રના મુદ્દાને વધુ અગત્યતા અપાશે એવો સંદેશ મળી રહ્યો છે. ભલે ને સંસદના તેમના સંબોધનમાં તેમણે રાજ્યના વિકાસ અંગે જ વાત કરી. તેનાથી તેમનો મૂળ એજન્ડા બદલાવાનો નથી. બે, 44 વર્ષના યુવાન યોગી આદિત્યનાથ સામે એક નહિ અનેક ક્રિમીનલ કેસ છે, જેમાં કોમી રમખાણ કરાવવા, ખૂનનો પ્રયત્ન, હથિયાર રાખવાં, અન્ય લોકોની સલામતી પર ખતરો પેદા કરવો જેવા અનેક ગંભીર ફોજદારી ગુના સમાવેશ થાય છે. ભલેને યુ.પી માં, ખાસ કરીને ગોરખપુરમાં, તેઓ ખૂબ પ્રખ્યાત છે. 26 વર્ષની યુવાન વયથી તેઓ ગોરખપુરના સાંસદ તરીકે ચૂંટાતા આવ્યા છે. પાંચ વખત ગોરખપુરનું પ્રતિનિધત્વ સંસદમાં કરી ચૂક્યા છે. 2014માં 1,42,309 મતની જંગી સરસાઈથી જીત્યા છે, પણ તેઓ હંમેશાં કોમી દ્વેષ ઓકતાં વિવાદાસ્પદ વિધાનો માટે જ જાણીતા રહ્યા છે.
સ્ત્રીઓના સામાજિક દરજ્જા અંગે પણ આદિત્યનાથની એક ચોક્કસ સમજ છે, જે તેમણે રાજકીય કારકિર્દી દરમ્યાન કરેલાં અનેક વિધાનો અને ટિપ્પણીઓ પરથી આપણે સમજી શકીએ છીએ. એમની વેબસાઇટ પર લખાયેલા કેટલાક લેખોથી પણ તેમના વિચારો આપણે જાણી શકીએ છીએ. તેઓ સ્પષ્ટ માને છે કે સ્ત્રીઓનું પ્રાથમિક કર્તવ્ય પત્ની અને માતા તરીકેનું છે. સ્ત્રીશિક્ષણની તેઓ હિમાયત કરે છે અને સ્ત્રીઓ સમાજમાં ગર્વભેર જીવી શકે એ માટે પણ તેઓ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી ચૂક્યા છે.
સ્ત્રી-પુરુષો સમાન નહિ, પણ પુરુષોથી અધિક છે અને તેમનું સમાજના વિકાસમાં વિશેષ યોગદાન રહ્યું છે, એ કહેવા માટે કુંતી, સીતા, પદ્મિની, લક્ષ્મીબાઈ જેવા સંદર્ભ તે ટાંકે છે. સાથે સ્ત્રીની પારંપરિક ભૂમિકા પર અવળી અસર ન પડે એવી ચેતવણી પણ આપે છે. 2010માં તેમણે સંસદમાં મહિલાઓ માટે 33 ટકા આરક્ષણની જોગવાઈ કરતા ખરડાનો પક્ષના વ્હીપની વિરુદ્ધ જઈ વિરોધ કર્યો હતો. કારણ કે ‘સ્ત્રી ઊર્જાશક્તિ છે અને ઊર્જાને કાબૂમાં રાખવી જોઈએ. નહીંતર એ વિસ્ફોટ સર્જી શકે છે.’ એવું ઉત્તર પ્રદેશના આ મુખ્યમંત્રી માને છે.
‘સ્ત્રીની રક્ષા બાળપણમાં પિતા કરે છે, યુવાનીમાં પતિ કરે છે અને ઘડપણમાં પુત્ર કરે છે. એટલે કોઈ પણ અવસ્થામાં સ્ત્રીને મુક્ત છોડવી યોગ્ય નથી.’ આ શાસ્ત્રોક્તિ ટાંકીને તેઓ લખે છે કે વાતનું તાત્પર્ય સ્ત્રીને પરાધીન બનાવવાનું નહિ, પણ ઊર્જાના સ્વરૂપમાં એનું સંરક્ષણ અને નિયંત્રણ કરવાનું છે. આ રીતે સંરક્ષિત સ્ત્રીશક્તિ જ ‘મહાપુરુષ’ની જન્મદાત્રી અને પાલક બની શકે.
સ્ત્રીઓએ પણ ભાજપને મોટા પ્રમાણમાં મત આપ્યા છે. વધતી જતી હિંસાના સમયમાં ‘બેટી બચાવો’ની વાત મોટો દિલાસો આપી ગઈ. પણ કોઈએ સવાલ ન પૂછ્યો કે દીકરીઓને કોનાથી બચાવવાની વાત થઈ રહી છે. એવું સમજીને બેસી રહ્યાં કે આ સ્ત્રીભ્રૂણ હત્યા અટકાવવાની વાત છે. સાથે શેરીઓમાં થતી મશ્કરી, છેડછાડ અને બળાત્કારથી બેટી બચાવવાની વાત છે. ચૂંટણી પહેલાં એન્ટી-રોમિયો સ્ક્વૉડ બનાવવાની વાત ઢંઢેરામાં હતી. સત્તા સંભાળતાની સાથે જ યોગી આદિત્યનાથની સરકારે ‘રોમિયોગીરી’ રોકવા 11 જિલ્લામાં સ્ક્વૉડની રચના કરવા પોલીસને આદેશ આપી દીધો છે. આ સ્ક્વૉડ સ્કૂલો અને કૉલેજોની બહાર પહેરો ભરશે અને છોકરીઓને કનડગત રોકશે.
આનાથી ચોક્કસ જે-તે વિસ્તારમાં છેડતી પર અંકુશ આવવો જોઈએ. તાત્કાલિક પગલાં તરીકે એ ચોક્કસ આવકાર્ય છે, પણ એનાથી પ્રશ્નનો જડમૂળથી નિકાલ થાય છે ખરો? સ્ત્રી સામે હિંસા કેમ થાય છે એ સવાલ આપણે પૂછ્યો? પ્રશ્નના નિદાન વગર એનો ઇલાજ કરીએ તો એ કેટલો અસરકારક રહેવાનો? સ્ત્રીઓ સામે થતી હિંસા અંગે થયેલા વિવિધ અભ્યાસોમાંથી આપણને હિંસા આચરનારાની માનસિકતા વિશે જાણવા મળે છે. આવા લોકો માનતા હોય છે કે, સ્ત્રીઓનો દરજ્જો પુરુષો કરતાં નીચો જ હોવો જોઈએ, સ્ત્રીઓને કાબૂમાં રાખવી જોઈએ, સ્ત્રીઓનું સ્થાન ઘરમાં જ છે, એટલે જ્યારે સ્ત્રી જ્યારે ઘરની બહાર પગ મૂકે ત્યારે તેના પર નિયંત્રણ મૂકવામાં – એને ‘પાઠ ભણાવવા’માં એમને કશું ખોટું નથી લાગતું.
આ મોટા ભાગે એ પુરુષો હોય છે કે જેઓ સ્ત્રી-પુરુષને સમાન દરજ્જાના માનવ ગણતી આધુનિક વિચારધારામાં નથી માનતા. તેમને આ વિચાર પાશ્ચાત્ય લાગે છે. સ્ત્રીઓનું બહાર નીકળવું, કામ કરવું, હરવુંફરવું, અગત્યના નિર્ણયો લેવામાં સહભાગી થવું વગેરે તેમને પાશ્ચાત્ય સંસ્કૃિતનું આંધળું અનુકરણ લાગે છે. તેનો તેઓ જોરશોરથી વિરોધ કરે છે. હવે સત્તાધારી નેતા પણ આવા જ વિચારો ધરાવતા હોય ત્યારે નીતિવિષયક નિર્ણયો કઈ દિશામાં જશે એ અંગે ચિંતા થવી સ્વભાવિક છે. સ્ત્રીઓ માટે સલામત સમાજ બનાવવા માટે ભયમુક્ત વાતાવરણની જરૂર છે. બોડીગાર્ડ પૂરા પાડવા એ કામચલાઉ ઉપાય છે.
‘લવજેહાદ’ સામે યોગીની પોતાની ‘જેહાદ’ છે. એમને એવું કહેતાં ટાંકવામાં આવ્યાં છે કે જો કોઈ એક મુસ્લિમ પુરુષ હિંદુ સ્ત્રી સાથે લગ્ન કરી તેને વટલાવશે, તો સામે એક હિંદુ પુરુષ 100 મુસ્લિમ સ્ત્રીને વટલાવશે. સ્ત્રી એમને માટે બદલો લેવાનું એક સાધન હોય એવું આ વિધાન પરથી લાગે છે. જાણે પરધર્મી સ્ત્રી એટલે ‘માણસ’ની વ્યાખ્યામાંથી બાકાત. આ અભિગમ દરેક ધર્મના ‘રક્ષકો’માં જોવા મળે છે. એટલે સ્ત્રીઓએ તો બીજાથી ડરીને જ ચાલવાનું. તો પછી ‘બેટી બચાવો’નું શું થશે?
નીતિના ઘડવૈયાની પાયાની જે સમજણ હોય તે એમની નીતિઓમાં દેખાવાની તેની સ્ત્રીઓ પર અવળી અસર નહીં દેખાય? આ સંદર્ભે ચોક્કસ સવાલ થાય કે ‘સૌનો સાથ’માં ‘સૌ’ની વ્યાખ્યા કેટલી વિસ્તૃત છે? એમાં કોનો સમાવેશ થાય છે? ‘વિકાસ’ની વ્યાખ્યા શું? એની કલ્પના શું? વિકાસ અંગે દરેક વર્ગની સ્ત્રીઓના અભિપ્રાયને મહત્ત્વ ખરું કે નહિ? આદિત્યનાથે પોતાની કેબિનેટમાં ત્રણ સ્ત્રીઓને સ્થાન આપ્યું તો છે, પણ સ્ત્રીઓના વિકાસને તેઓ પોતાની નીતિઓમાં કઈ રીતે સંકલિત કરે છે એ સમય કહેશે.
નેહા શાહ, લેખિકા અર્થશાસ્ત્રનાં અધ્યાપક છે.
e.mail : nehakabir00@gmail.com
સૌજન્ય : ‘હકીકત’, “દિવ્ય ભાસ્કર”, 24 માર્ચ 2017