પાકિસ્તાન દાયકાઓથી કાશ્મીરના પ્રશ્નને આંતરરાષ્ટ્રીય કરવા માગે છે, પણ અત્યાર સુધી એને ધારી સફળતા નથી મળી. હવે અમેરિકા, યુરોપના બીજા દેશો અને ચીને પણ રસ લેવાનું બંધ કરી દીધું છે એટલે પાકિસ્તાને ટર્કી પર નજર દોડાવી હોય. મુસ્લિમ વિશ્વના બીજા કેટલાક દેશોનો પાકિસ્તાન કરતાં ભારત સાથે વધારે મોટો સ્વાર્થ છે એટલે એ પણ આમાં પડવા નથી માગતા
સૌ ચૂહે ખાકર બિલ્લી હજ કો ચલી એમ ટર્કીના પ્રમુખ રેસેપ તાઇલીપ એર્ડવાને ભારત સરકારને સલાહ આપી હતી કે ભારત અને પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરનો પ્રશ્ન અન્ય દેશોની હાજરીમાં બહુરાષ્ટ્રીય મંચ પર ઉકેલવો જોઈએ. તેઓ બે દિવસ માટે ભારતની મુલાકાતે આવ્યા એના આગલા દિવસે તેમણે આવું સૂચન કર્યું હતું અને ઉમેર્યું હતું કે તેમણે આ વિશે પાકિસ્તાનના વડા પ્રધાન સાથે વાતચીત કરી છે. તેમનું આવું સૂચન આશ્ચર્યજનક છે અને ગંભીર પણ છે. છેલ્લા ઘણા સમયથી અમેરિકા સહિત જગતનો કોઈ દેશ કાશ્મીરના પ્રશ્ને મધ્યસ્થી કરવાનું સૂચવતો નથી કે નથી એને આંતરરાષ્ટ્રીય મંચ પર લઈ જવાની સલાહ આપતો.
પહેલી વાત તો એ કે ટર્કી મધ્યસ્થી કરવાની કોઈ નૈતિક લાયકાત ધરાવતું નથી કે નથી એવી કોઈ રાજકીય વગ ધરાવતું. ટર્કી દાયકાઓથી ઉત્તર ટર્કીમાં વસતા કુર્દોને સતાવે છે. કુર્દોને નાગરિક અધિકારો આપવામાં નથી આવતા અને તેમની સાથે એટલા અત્યાચાર થઈ રહ્યા છે કે આપણે કલ્પના પણ ન કરી શકીએ. લગભગ ત્રણ કરોડ જેટલી વસ્તી ધરાવતી કુદર્ પ્રજા ટર્કી, ઈરાન, ઇરાક, સિરિયા, અને મધ્ય એશિયાના બીજા દેશોમાં વહેંચાયેલી પ્રજા છે. આ પ્રજાનો વાંક એટલો છે કે એ કબીલાઈ પ્રજા છે અને કહેવાતા સભ્ય મુસલમાનોને એમ લાગે છે કે તેઓ અધૂરા મુસલમાનો છે. માત્ર ટર્કી નહીં, ઉપર ગણાવ્યા એમાંનો કોઈ દેશ કુર્દોને ન્યાય નથી આપતો. આમ કુદર્ સમસ્યા પોતે જ એક બહુરાષ્ટ્રીય સમસ્યા છે, પરંતુ ટર્કીને એમ નથી લાગતું કે કુર્દોનો પ્રશ્ન બહુરાષ્ટ્રીય ધોરણે વાતચીત દ્વારા ઉકેલવો જોઈએ.
આ લેખના પ્રારંભમાં સૌ ચૂહે ખાકર બિલ્લી હજ કો ચલી એવી કહેવત વાપરી છે એનું બીજું કારણ સાયપ્રસ છે. સાયપ્રસ ભૂમધ્ય સમુદ્રનો એક ટાપુ છે અને ઉત્તર સાયપ્રસ પર ટર્કીએ ચાર દાયકાથી કબજો જમાવ્યો છે. સાયપ્રસમાં ગ્રીક સિપ્રિયોટ અને ટર્કી સિપ્રિયોટ એમ બે વંશની પ્રજા છે અને તેમની વચ્ચે દાયકાઓથી સંઘર્ષ ચાલી રહ્યો છે. ટર્કીએ ઉત્તર સાયપ્રસ પર કબજો જમાવ્યા પછી લગભગ દોઢ લાખ ગ્રીક સિપ્રિયટોને ત્રાસ આપીને તગેડી મૂક્યા છે. નૈતિકતા અને સભ્યતા અનુસરવા માટેનાં મૂલ્યો છે, સલાહ આપવા માટેનાં નથી.
ટર્કીમાં પ્રમુખ એર્ડવાને લોકમત લેવાનું નાટક ભજવ્યું હતું એ તાજી ઘટના છે એટલે વાચકોને યાદ હશે. એ લોકમત બ્રિટનમાં બ્રેક્ઝિટના મુદ્દે લેવામાં આવેલા લોકમત જેવો લોકતાંત્રિક નહોતો. લોકમત પહેલાં અને એ પછીથી એર્ડવાનની સરકારે નિષ્ફળ નીવડેલા બળવામાં ભાગ લેનારા કે સહાનુભૂતિ ધરાવનારા લગભગ એક લાખ વિરોધીઓને જેલમાં નાખ્યા હતા અને બીજી અનેક રીતે સતાવ્યા હતા અને હજી આજે પણ સતાવી રહી છે. લોકમત તો સરકાર દ્વારા કરવામાં આવતા અત્યાચારોને પ્રજાકીય સમર્થન છે એમ બતાવવા માટેનું એક નાટક હતું. ૫૦ કરતા વધુ પત્રકારોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે અને અનેક મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એક આમ ટર્કી કાશ્મીરની સમસ્યા બહુરાષ્ટ્રીય ધોરણે ઉકેલવાની ભારતને સલાહ આપવાની કોઈ નૈતિક લાયકાત ધરાવતો નથી.
ટર્કી એવી કોઈ રાજકીય વગ પણ ધરાવતું નથી. જે દેશો રાજકીય વગ ધરાવે છે એ દેશો પણ હવે કાશ્મીરની સમસ્યા બહુરાષ્ટ્રીય ધોરણે ઉકેલવાની સલાહ આપતા નથી. ૧૯૯૦ના દાયકામાં કાશ્મીરની સમસ્યા વકરેલી હતી ત્યારે પાકિસ્તાને અમેરિકાને અને બીજા દેશોને મધ્યસ્થી કરવાની વિનંતી કરી હતી. અમેરિકાએ કહ્યું હતું કે જો બન્ને દેશોને અમેરિકાની મધ્યસ્થી કબૂલ હોય તો જ એ મધ્યસ્થી કરશે. ભારત સરકારે કોઈ ત્રીજા દેશની મધ્યસ્થીની ના પાડી દીધી હતી અને કહ્યું હતું કે કાશ્મીરની સમસ્યા ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષી પ્રશ્ન છે અને દ્વિપક્ષી રીતે ઉકેલવામાં આવશે. અમેરિકાના પ્રમુખ જ્યૉર્જ બુશે તો સાફ શબ્દોમાં પાકિસ્તાનને સલાહ આપી હતી કે એ ભારત સાથે ચર્ચા કરે અને કાશ્મીર સહિતના જે કોઈ પ્રશ્ન હોય એ દ્વિપક્ષી ધોરણે ઉકેલે. બીજા તો ઠીક, પાકિસ્તાનની જેની સાથે ગાઢ દોસ્તી છે એ ચીન પણ માને છે કે ભારત અને પાકિસ્તાને કાશ્મીરનો પ્રશ્ન દ્વિપક્ષી ધોરણે વાતચીત દ્વારા ઉકેલવો જોઈએ.
તો પછી ટર્કીએ કૂદી પડવાની શી જરૂર પડી? જરૂર આમાં કોઈ એજન્ડા છે. પાકિસ્તાન દાયકાઓથી કાશ્મીરનો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય કરવા માગે છે, પણ અત્યાર સુધી તેને ધારી સફળતા મળી નથી. હવે અમેરિકા, યુરોપના બીજા દેશો અને ચીને પણ રસ લેવાનું બંધ કરી દીધું છે એટલે પાકિસ્તાને ટર્કી પર નજર દોડાવી હોય. મુસ્લિમ વિશ્વના બીજા કેટલાક દેશોનો પાકિસ્તાન કરતાં ભારત સાથે વધારે મોટો સ્વાર્થ છે એટલે એ પણ આમાં પડવા નથી માગતા. ઘણું કરીને એર્ડવાનનું દોઢડહાપણ પાકિસ્તાનની ચડામણીનું પરિણામ છે. કદાચ બીજો કોઈ દેશ ટર્કીના સૂરમાં સૂર પુરાવે તો કાશ્મીરનું આંતરરાષ્ટ્રીયકરણ થઈ શકે.
ભારત સરકારે ભારતની મુલાકાતે આવેલા ટર્કીના પ્રમુખને સાફ શબ્દોમાં કહી દીધું છે કે કાશ્મીર અને બીજા જે કોઈ પ્રશ્નો છે એ ભારત અને પાકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષી પ્રશ્નો છે અને ભારત પાકિસ્તાન સાથે વાતચીત કરવા તૈયાર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે થયેલી વાતચીતના અંતે એર્ડવાને જે નિવેદન બહાર પાડ્યું છે એમાં કાશ્મીરનો અને મધ્યસ્થીનો કોઈ ઉલ્લેખ નથી. ત્રાસવાદનો ઉલ્લેખ છે, પણ એ નક્સલવાદીઓની હિંસાના સંદર્ભમાં છે. તેમણે તેમના નિવેદનમાં પાકિસ્તાનમાં રહીને ભારતમાં ત્રાસવાદી પ્રવૃત્તિ કરનારાઓનો કોઈ ઉલ્લેખ નથી કર્યો. એર્ડવાનની ભારતની મુલાકાતથી કોઈ મોટી ફળશ્રુતિ હોય તો એટલી છે કે તેમણે ભારતના યુનાઇટેડ નેશન્સની સલામતી સમિતિમાં ભારતના કાયમી સભ્યપદના દાવાને સમર્થન આપ્યું છે. આટલું પણ ઘણું છે, બાકી તેમના દોઢડહાપણને ભારત સરકારે ઠેકાણે લાવી દીધું છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 03 મે 2017