રસીકરણ જ માત્ર એવો મુદ્દો છે જ્યાં સરકાર અને વિપક્ષ, આસ્તિક અને નાસ્તિક, ઇઝરાયેલ અને હમાસ, અમલદાર કે કર્મશીલ, મીડિયા કે વિદ્વાનો, સંશોધકો ને વેપારીઓ બધા એક સૂરમાં વાત કરે છે. બસ, એક વાર રસીકરણ થઈ જાય! પછી આપણા કાયમના દાવપેચ (business as usual) ચાલુ! આ ઉતાવળ કેમ? Business as usual ઘણી હકીકતો, સત્ય અને પ્રશ્નો ઢાંકેલા રાખે છે, જે આ મહામારીમાં ખુલ્લાં થયાં છે. રૂમમાં ઊભેલો હાથી એ છે કે રસીકરણને રામબાણ ઇલાજ (panacea) ગણવો એ અંધશ્રદ્ધા તો નથીને? રસીકરણ સામેના વાંધા આડઅસરો (unintednded) વિશે નહીં પણ મુખ્ય (intended) અસર અને તેના લાંબા ગાળાનાં પરિણામો વિશે છે.
વિકસિત દેશોના સંશોધકોને એક કોયડો સતાવે છે. તેઓ સગવડો/સંસાધનો, સ્વચ્છતા/હાઇજીન, પ્રદૂષણનો અભાવ, આહાર/પોષણ વગેરે દરેક રીતે આગળ હોવા છતાં તેમનો કોવિડ મૃત્યુદર (પ્રતિ દસ લાખ વસ્તી) ભારત, પાકિસ્તાન કે બાંગ્લાદેશ જેવા વિકાસશીલ દેશ કરતાં ઘણો અને સબસહારન આફ્રિકા કરતાં ઘણો-ઘણો વધારે કેમ? વિવિધ પેરામીટર બદલીને ઘણાં કમ્પ્યૂટરમૉડલ દોડાવે છે, પણ વૈજ્ઞાનિક રીતે સુસંગત, તર્કબદ્ધ અને માની શકાય એવો (plausible) ઉત્તર મળતો નથી.
મેડિકલ વિજ્ઞાન પૅથૉલૉજિકલ પ્રક્રિયાઓ અને એ પ્રમાણે રોગોને વ્યાપક રીતે બે ભાગમાં વહેંચે છે – એક્યુટ અને ક્રોનિક. એક્યુટ રોગ થોડા સમય માટે હુમલો કરી પસાર થઈ જાય, જ્યારે ક્રોનિક રોગ એક વાર લાગુ પડ્યા પછી ચોંટેલા રહે છે અને તેમની તીવ્રતામાં ઉત્તરોત્તર વધારો પણ થઈ શકે. ટાઇફૉઇડ, મૅલેરિયા, ચિકનગુનિયા, ડૅન્ગ્યુ કે કોવિડ જેવા જાણીતા ચેપ એક્યુટ રોગ છે, જ્યારે ડાયાબિટિસ, કૅન્સર કે સંધિવા વગેરે ક્રોનિક. ઝાડા, ઊલટી, શરદી, ઉધરસ, તાવ વગેરે ક્રોનિક રોગનાં લક્ષણો હોઈ શકે, પણ સામાન્ય રીતે તે એક્યુટ સ્વરૂપે જ હોય છે. એક્યુટ કે ક્રોનિક બધી પ્રક્રિયાઓ ઇમ્યુન સિસ્ટીમની બચાવપ્રવૃત્તિ જ છે.
ઇમ્યુન સિસ્ટમ શરીરની એક્યુટ અને ક્રૉનિક પ્રક્રિયાઓનું એક સાથે સંતુલિત અને માપસર (optimal) નિયમન કરે છે. સિદ્ધાંત એ છે કે જેમજેમ શરીરમાં એક્યુટ-પ્રવૃત્તિઓ દબાતી કે ગાયબ થતી જાય છે, એમએમ ક્રોનિકપ્રવૃત્તિ વધતી જાય છે. એક્યુટ-ક્રોનિક એક્સિસ પરની આ યાત્રા ઇમ્યુન સિસ્ટમની ગતિશીલ તાસીર છે, અને અમુક અંશે વધતી ઉંમર સાથે કુદરતી રીતે પણ થાય છે. દવાઓ દ્વારા વખતોવખત એક્યુટ-પ્રક્રિયાઓ પર થતું આક્રમણ આ રૂપાંતરને ઝડપી બનાવે છે. આ અતિ મહત્ત્વનો સિદ્ધાંત, જે અનુભવ અને અવલોકનની દૃષ્ટિએ સો ટકા સાચો નીકળે છે, તેનો સ્થાપિત મેડિકલ વિજ્ઞાનમાં ઉલ્લેખ થતો નથી.
રસી જે-તે ચેપના જીવાણુ માટે આપણા ઇમ્યુન રિસ્પોન્સને સલામત અને નિયંત્રિત માત્રામાં ઉત્તેજિત કરે છે, જે શરીરમાં એ ચેપ સામે લડવા જરૂરી ઍન્ટિબોડીઝ પેદા કરે છે. હવે જ્યારે ખરેખરો ચેપ લાગે ત્યારે, હાજર ઍન્ટિબોડીઝને કારણે રોગ (લક્ષણો) પેદા થતો નથી, ક્યાં તો હળવા સ્વરૂપે જ થાય છે. જીવનું જોખમ કે હૉસ્પિટલમાં દાખલ થવાની શક્યતાઓ ઘટી જાય છે. રસી ચેપ લાગતાં કે તેનું પ્રસારણ થતાં અટકાવતી નથી. કોઈ રસી-ઉત્પાદક એવો દાવો કરતા પણ નથી.
રસી-ઉત્પાદક ત્રણ અભ્યાસનાં પરિણામો જણાવવા બાધ્ય હોય છે. Safety (આડઅસરો અને તેમની ગંભીરતા), Immunogenicity (રસી ખરેખર ઈમ્યુન સિસ્ટમને ઉત્તેજિત કરી ઍન્ટિબોડીઝ પેદા કરે છે) અને efficacy (રસી મૂક્યા પછી કેટલા ટકા લોકોમાં રોગની તીવ્રતા ઘટી). ત્રણેય ટૂંકા ગાળાના અભ્યાસ છે.
રસીકરણનું જોખમ ક્યાંથી આવે છે? ઉપર જોયેલા સિદ્ધાંત મુજબ જ્યારે એક્યુટ પ્રક્રિયા ગાયબ થાય તેટલા પ્રમાણમાં ક્રોનિક અવસ્થા બગડતી જાય. રસીકરણ એક્યુટ પ્રક્રિયાને થતાં પહેલાં જ (efficacy) દબાવે/ગાયબ કરે છે માટે તેટલા પ્રમાણમાં શરીરની ક્રોનિક સ્થિતિને નબળી કરે છે. ક્રોનિક સ્થિતિ જેનેટિક કોડમાં અંકિત થતી હોવાથી જો બાળકો પેદા થવાનાં બાકી હોય, તો આવનારી બધી પેઢીઓનું ક્રોનિક સ્વાસ્થ્ય જોખમાવે છે. પેઢી દર પેઢી બાળકો અને યુવાનોનું રસીકરણ આવા નુકસાનનો સરવાળો કરતું જાય છે. વધુ ને વધુ રસીકરણ વ્યક્તિને અને લાંબા ગાળે સમાજને ગંભીર અને ઊંડા ક્રોનિક રોગો તરફ ધકેલે છે.
ક્રોનિક સ્વાસ્થ્ય બગડવું એટલે શું? શરીરનું ક્રોનિક સ્ટેટસ અમુક અંશે ઇન્ફ્લેમેટરી માર્કર્સ પરથી જાણી શકાય છે. એની સંપૂર્ણ સમજ ઘણી દૂર છે. પણ એ બગડવાનાં પરિણામ ખતરનાક છે. કૅન્સર કે આલ્ઝાઈમર જેવા રોગોને નોતરુ છે. કોવિડ એક્યુટ રોગ છે, પણ મોટા ભાગનાં મૃત્યુ માટે કારણભૂત ગણાતી comorbidities બધી જ ક્રોનિક પ્રક્રિયાઓ છે. માટે જ વિકસિત દેશોમાં કોવિડ મૃત્યુદર સબસહારન આફ્રિકા કરતાં ઘણો ઘણો વધુ છે. કોવિડમાં પાંચ-સાત દિવસ પછી ક્યારેક રોગ જે ગંભીર સ્વરૂપ ધારણ કરે છે અને cytokine storm, ARDS (Acute Respiratory distress syndrome) કે cytokine storm, ARDS (Acute Respiratory distress syndrome) જેવી જીવલેણ cytokine storm, ARDS (Acute Respiratory distress syndrome) પરિસ્થિતિઓ સર્જાય છે, તે ક્રોનિકનો એક્યુટ ભડકો (Acute exacerbation of chronic) જ છે. આ સ્થિતિ માટે સ્ટીરોઇડ થૅરપી, અને પછી આપણે ત્યાં મ્યુકરમાયકોસિસ! મજબૂત ક્રોનિક સ્ટેટસવાળાને આમાંથી કશું જ થયું નથી.
શું રસી બનાવનાર કે એ વિશે સંશોધન કરનાર કોઈને તેની લાંબા ગાળે વ્યક્તિના ક્રોનિક સ્ટેટસ પર શું અસર થશે એ ખબર છે? એ જાણવાની કોઈ રીત એમની પાસે છે? કોઈ નકારાત્મક અસર નહીં જ થાય એની ખાતરી આપી શકે છે? ઈમાનદાર સંશોધક આ સવાલોના જવાબ સ્પષ્ટ નકારમાં જ આપે છે. રસીકરણથી ક્રોનિક સ્થિતિનો બગાડ લાંબા ગાળે થતો હોવાથી ચોક્કસ કાર્યકારણસંબંધ સ્થાપિત કરી શકાતો નથી. પુરાવા સાંયોગિક પણ નકારી ન શકાય એવા છે. વિકસિત દેશોમાં છેલ્લા થોડા દાયકાઓમાં મોટા ભાગના એક્યુટ ચેપીરોગો ગાયબ થયા/કર્યા છે અને સામે સંસાધનો, પ્રદૂષણ, પોષણ વગેરે બધું સાનુકૂળ હોવા છતાં ક્રોનિક રોગોનો પ્રચંડ ફેલાવો છે.
રસીકરણ ભયપ્રેરિત મંદબુદ્ધિ પ્રવૃત્તિ છે. કોઇ પણ ચેપી રોગની (દા.ત. કોવિડ) સારવારમાં દરદીઓ વચ્ચે ઘણું વૈવિધ્ય હોય છે. સાચો ક્લિનીશિયન દરદીનાં લક્ષણો પ્રમાણે જો અને જેટલી જરૂરી હોય તેટલી જ દવા આપશે. મોટા ભાગનાને તો દવાની જરૂર જ નહીં પડે. આની સામે રસીકરણની one size fits all પ્રવૃત્તિ કેવી રીતે સ્માર્ટ ગણી શકાય? મોટા ભાગના ડોકટરો રસીકરણનું સમર્થન કરે છે એ સૌથી મોટું અચરજ છે.
આપણી ઇમ્યુનિટી લાખો કરોડો વર્ષોની ઉત્ક્રાંતિથી કેળવાયેલી અને ઊંડે સ્થપાયેલી બુદ્ધિ (Embedded Intelligence) છે જે બહારથી આવતાં વ્યવધાનો સામે/સાથે અનુકૂલન (adaptation) સાધવાની અને માપસરનો (optimum) પ્રતિભાવ પેદા કરવાની જબરદસ્ત ક્ષમતા ધરાવે છે. એ સતત શીખતી (learning) પ્રણાલી છે. અનુભવથી જાતે શીખવાની (unsupervised learning) ક્ષમતા આપણી ઇમ્યુનિટીની ચાવીરૂપ શક્તિ છે, જે ઉત્ક્રાન્તિના ક્રમમાં કેળવાતી/કેળવાઈ રહી છે. લાખો યોનિઓમાંથી પસાર થયા પછી મનુષ્યજન્મ મળે છે! બડે ભાગ માનુષ તન પાયા …
Artificial Intelligence and Machine Learning (AIML)માં deep learningનો ખ્યાલ ખાસ મહત્ત્વનો ગણાય છે. જે પ્રણાલી આપણે માનવસર્જિત કૃત્રિમ વસ્તુઓની બુદ્ધિ વધારવા માટે ખૂબ ઉપયોગી માનીએ છીએ, તે જ ખ્યાલ જ્યારે આપણી કુદરતી ઇમ્યુન સિસ્ટમમાં કામ કરે, ત્યારે તેનું મહત્ત્વ કેમ સમજતા/સ્વીકારતા નથી? સભાનબુદ્ધિ કરતાં ધરબાયેલી ઊંડી બુદ્ધિ ઘણી વ્યાપક છે, જેનો ઘણો મોટો ભાગ અસભાન રીતે પોતાનું કામ ખૂબ ચોકસાઈથી કર્યા કરે છે. હૃદયના નિયમિત ધબકાર માટે જે વિદ્યુતસિગ્નલ દોડાવવા પડે તે માટે આપણે કોઈ આયોજન કરવું પડતું નથી. અરે, વિચાર કરવા કે ઊંઘવા માટે પણ વિદ્યુતપ્રવાહ દોડે છે … આ પ્રણાલીને ઈશ્વરનિર્મિત કહો કે ઉત્ક્રાંતિનો પ્રસાદ!
ઉપનિષદનો પંચકોશ સિદ્ધાંત ઊંડી બુદ્ધિને સમજવા ઉપયોગી છે. અન્નમય કોશ ભૌતિક શરીર છે, પ્રાણમય કોશ શ્વાસોચ્છ્વાસ અને અન્ય ગતિઓ સાથે સબંધિત છે, મનોમય કોશ મનોવૈજ્ઞાનિક દેહ છે, વિજ્ઞાનમય કોશ બુદ્ધિ, ચિત્ત કે ચૈતન્યનું સ્તર છે, અને અંતિમ આનંદમયકોશ નિર્વિકલ્પ સમાધિ કે ઊંડી અસ્વપ્ન ઊંઘ જેવી અવસ્થા છે. આપણી ઇમ્યુનિટીની ઊંડી બુદ્ધિ વિજ્ઞાનમય કોશના સ્તરે પ્રવર્તે છે, જ્યાં સમસ્ત જીવસૃષ્ટિનાં લાખો કરોડો વર્ષોની ઉત્ક્રાંતિના અનુભવો અને અનુકૂલનનો નિચોડ જેનેટિક કોડમાં સતત પોતાને એડિટ કરતા સિદ્ધાંત તરીકે જીવંત છે.
ઇમ્યુનિટીની બુદ્ધિ શરીર જે રીતે નવા વાઇરસ સાથે કામ પાડે છે, તેમાં જોઈ શકાય છે. વાઇરસ અને શરીર એકબીજાં સાથે લડતા નથી, અનુકૂલન સાધે છે. વાઇરસ સતત બદલાતો રહે છે. શરીર આપણી જેમ દરેક સ્વરૂપનું અલગ નામકરણ કે જીન સિક્વન્સિંગ કરતું નથી. એ ફક્ત આગળ મળી ચૂકેલા વાઇરસ અને નવા મહેમાનમાં શું ફરક છે, એટલી જ માહિતી તારવી, અગાઉના વાઇરસ માટે શીખેલી પ્રતિક્રિયાઓમાં જો અને જેટલો જરૂરી હોય એટલો જ ફેરફાર કરે છે. આ deep learningમાં રત પ્રણાલીનું સાતત્ય છે. આને સંશોધકો ક્રૉસ ઇમ્યુનિટી કહે છે. બુદ્ધિમંત વિદ્યાર્થી વિષયના મૂળભૂત ખ્યાલોને સમજીને દાખલા ગણે છે, માટે નવો દાખલો ગણતાં એને આગળ ગણેલા દાખલાઓનો અનુભવ કામ લાગે છે.
રસીકરણ તાલીમ છે, ઇલાજ નથી. ઇલાજ રોગ થયા પછી, જ્યારે તાલીમ તે પહેલાં અપાય છે. આ સારું નથી? ‘Prevention is better than cure!’ પણ તાલીમ કયા પ્રકારની છે? રસી ઇમ્યુન સિસ્ટમને નિયંત્રિત માત્રામાં ઉત્તેજિત કરી જે-તે રોગના ઍન્ટિબોડીઝ ડિઝાઇનર પ્રક્રિયાથી પેદા કરાવે છે. શરીરની પોતાની રીતે શીખીને, અનુકૂલન સાધીને માપસર રીતે તે કામ કરવાની તક ઝૂંટવી લે છે. કોચિંગ ક્લાસ એપ્રોચ છે, જે સવાલ પરીક્ષામાં પુછાવાની શક્યતા હોય તેનો જવાબ તૈયાર કરાવી દેવો. અચાનક નવો સવાલ આવે કે જાણીતા સવાલને અલગ રીતે પૂછવામાં આવે તો?
નવા વાઇરસ સામે રસીકરણથી કેળવાયેલી ઇમ્યુનિટી ઘાંઘી (Hyperimmune કે Autoimmune) બને છે, અને મૃત્યુ માટે વાઇરસ જવાબદાર મનાય છે. વિવિધ રોગો માટે વારંવાર થતું રસીકરણ જન્મજાત બુદ્ધિમંત ઇમ્યુનિટીને ગોખણપટ્ટી કરાવીને ડફોળ બનાવી દે છે. વિકસિત દેશોમાં આ વધુ બન્યું છે અને આપણે એમની પાછળ દોડીએ છીએ. ઍન્ટિબોડીઝ ઇમ્યુનિટી નથી, જે ઊંડી બુદ્ધિ જરૂર પ્રમાણે માપસર ઍન્ટિબોડીઝ પેદા કરે છે, તે ઇમ્યુનિટી છે.
ઇમ્યુનિટીનું રસીકરણથી થતું નુકસાન કાયમી/અફર (irreversible) છે. જો કોઈ બુદ્ધિમંત વિદ્યાર્થી ખોટી તાલીમથી પાછો પડ્યો હોય, તો તાલીમની પદ્ધતિ બદલી એની મૂળ ક્ષમતા પર લાવી શકાય છે. પણ ઇમ્યુનિટીને થતું નુકસાન જેનેટિક કોડમાં જ છપાય છે. એને થયા પછી બદલવાની કોઈ પ્રયુક્તિ નથી. બાળકો પેદા કરવાનાં બાકી હોય, તો આવનારી બધી પેઢીઓ સુધી એ નુકસાન પહોંચે છે. બાળકો અને યુવાનોનું રસીકરણ આખી માણસજાતના ભવિષ્ય માટે ખતરનાક બને છે. સૌથી વધુ રસીકરણ બાળકોનું જ થાય છે.
આપણા પૂર્વજો ચેપીરોગોથી ઘણી વાર યુવાન વયમાં કે બાળપણમાં જ ગુજરી જતા. આ કુદરતી ગળણી/ચારણી નબળા જેનેટિક મટીરિયલને આગળ વધતા અટકાવતી હતી, ત્યારે પેઢી દર પેઢી મજબૂત ઇમ્યુન સિસ્ટમ ટકેલી હતી. આજે આપણે રસીકરણ અને દવાઓથી પહેલાં એક-બે બાળકોને જ ટકાવી રાખીએ છીએ. મો.ક. ગાંધી કે રવીન્દ્રનાથ ટાગોરનો નંબર કદી આવે જ નહીં!
વધેલું સરેરાશ આયુષ્ય અને ઓછો બાળમૃત્યુ દર શું પ્રગતિ જ દર્શાવે છે? Business as usual આવા કઠિન પ્રશ્નો ઢાંકેલા રાખે છે. ઇમ્યુનિટી ફક્ત વ્યક્તિ (individual) માટે નહીં પણ પ્રજાતિ (species) અને સમષ્ટિ માટે પણ આપમેળે વિચારે છે. વ્યક્તિ અને પ્રજાતિ બંનેમાં પસંદગી કરવાની હોય, ત્યારે એ વ્યક્તિને સહજ રીતે છોડી દે છે. રસીકરણ પ્રજાતિના ભોગે વ્યક્તિને જ બચાવે છે. ‘એક-એક જીવન કીમતી છે’ એ રાજકારણીઓનું રેટરિક માત્ર છે.
રસીકરણ સાથે જોખમ(risk analysis)નો ખ્યાલ સીધો જોડાયેલો છે. પણ આ વીમો લેવા જેવી સરળ વાત નથી. ટૂંકા ગાળા અને લાંબા ગાળાનાં જોખમો એકબીજાંથી વિરુદ્ધ દિશાનાં છે. ટૂંકા અને લાંબા ગાળાના trade offમાં માણસ હંમેશાં થાપ ખાતો આવ્યો છે. લાંબા ગાળાનાં જોખમો તોતિંગ (Himalayan) છે, પણ અત્યારે દેખાતાં નથી. રસી જે-તે ચેપ પૂરતી રોગની તીવ્રતા જરૂર ઘટાડે છે, પણ જો લાંબા ગાળે ગંભીર ક્રોનિક રોગોની શક્યતા વધવાની હોય અને અચાનક નવો ચેપ આવી પડે, ત્યારે ઇમ્યુનિટી અધ્ધર થઈ જવાની હોય તો શું એમ કરવું સ્માર્ટ પસંદગી છે? આવનારી પેઢીઓ પર જતું જોખમ તો આખી મનુષ્યજાતના ભવિષ્યને કુંઠિત કરે છે. એ અત્યારે દેખાતું અને ગણી શકાતું નથી, માટે એને ભૂલી જવું?
આ મહામારી રસીકરણથી પેદા થતાં લાંબા ગાળાનાં જોખમોનું નાનકડું નિદર્શન (ટ્રેલર) માત્ર છે. Business as usual ખતરનાક છે. તમે ડાબેરી છો કે જમણેરી, ભક્ત છો કે ભડકેલા, મૂડીવાદી છો કે શોષિત, રોકડે રમો છો કે વાયદે, મિષ્ટાન્ન ભાવે કે ફરસાણ, લેખક છો કે વિવેચક, સ્માર્ટ છો કે બબૂચક, એ બધું દ્રશ્યશ્રાવ્યભાવ્ય નાટક આવતાં બસો ત્રણસો વર્ષ ચલાવવા માંગો છો કે થોડાં હજાર વર્ષ, એટલું જ નક્કી કરવાનું છે! બાકી રસીકરણ ભવિષ્યનો ઇતિહાસ અને ઇતિહાસનું ભવિષ્ય બહુ ઝડપથી ટુંકાવશે એવું દેખાય છે.
શૅરબજારમાં જાણીતો contrarian સિદ્ધાંત છે. જ્યારે બધાને બજાર ઉપર જશે એની ખાતરી હોય અને લિફ્ટમેન કે ચાની લારીવાળો શૅર ખરીદવાની ટિપ્સ આપતો થઈ જાય ત્યારે સમજી લેવું કે માલ વેચવાનો સમય પાકી ગયો છે. પણ આખું ગામ ખરીદતું હોય, ત્યારે વેચવું લગભગ અશક્ય બની જાય છે. બધા રસી લેવા નીકળ્યા હોય, ત્યારે આ લેખ લખવો એનાથી હજાર ગણું વધુ કઠિન છે. Herd immunity તો ખબર નહીં, પણ Herd mentality જરૂર કેળવાઈ છે. શૅરબજારનો ફુગ્ગો તરત ફૂટે છે, પણ માણસજાતના ફુગ્ગાની હવા રસીકરણથી બસો-ચારસો વર્ષે ધીમે-ધીમે નીકળશે.
એક વિચારપ્રયોગ : બાપુને રસી લેવાનું કહીએ તો? એમની ગટ સેન્સ ખૂબ પાવરફુલ હતી. તેઓ રસી લેવાની તો કદાચ ના જ પાડે. એમને કાયરતાનો ભાસ જરૂર થાય. રસી લેવામાં કાયરતા છે જ. ‘મરદને આવું ન શોભે’ પ્રકારનાં બાપુશાહી વિધાનો એમનાં લખાણોમાં ઘણી વાર દેખાય છે. એ કદાચ એવું બોલે પણ ખરા. તેઓ કદાચ એમ પણ કહે કે ‘જો ઉપરવાળાએ મને ઉઠાવી લેવાનું નક્કી કર્યું હોય, તો અને ત્યારે વિદાય થવાનો કોઈ વાંધો નથી. એની ઇચ્છા વગર આમે ય ક્યાં કંઈ થવાનું છે? મારા મૃત્યુની ચિંતા કરવાવાળો હું કોણ?’ આ વાત અવૈજ્ઞાનિક અને ભાવનાત્મક લાગી શકે. પણ બાપુની ભાષા છોડો. એમની ગટ સેન્સ પાછળની પેલી અસભાન ઊંડી બુદ્ધિને જુઓ! એ પણ બાપુની!
૫, આનંદવિલા, બંસલ મૉલની સામે, ગોત્રી, વડોદરા – ૩૯૦ ૦૨૧
e.mail : agrut.gadit@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2021; પૃ. 12-14