એમાં ભારતની ૩૦ યુનિવર્સિટીઓને એન્ટ્રી મળી છે જેના સંચાલકો એમ માને છે કે તેઓ વિશ્વકક્ષાનું ઉત્તમ શિક્ષણ આપે છે. હવે પરિણામ જુઓ – ઊતરતા ક્રમે વિશ્વની શ્રેષ્ઠ ૨૫૦ યુનિવર્સિટીઓમાં ભારતની એક પણ યુનિવર્સિટી નથી. બીજું, ભારતની જે ૩૦ યુનિવર્સિટીઓને (ભલે પાછળના ડબ્બાઓમાં) સ્થાન મળ્યું છે એમાં એક પણ યુનિવર્સિટી પ્રાઇવેટ માલિકોની નથી. તમામ ૩૦ યુનિવર્સિટી સરકારી છે તો પછી મેરિટની ચિંતા કરનારાઓ અને દાવા કરનારાઓ છે ક્યાં?
….. કેરળના એક ગામમાં ગરીબ વિદ્યાર્થીઓને ઘરઆંગણે શિક્ષણ ન મળે અને ફરજિયાત ગામથી સાત કિલોમીટર દૂર પ્રાઇવેટ સ્કૂલમાં ભણવા જવું પડે એ માટે પ્રાઇવેટ સ્કૂલના માલિકો છેક સર્વોચ્ચ અદાલત સુધી પહોંચ્યા હતા. બહાનું મેરિટનું હતું. મેરિટમાં સમાધાન કેમ કરાય? જો પ્રાથમિક સ્તરે નબળું શિક્ષણ આપવામાં આવશે તો તેઓ ઉચ્ચ શિક્ષણમાં ટકી નહીં શકે અને અત્યારના હરીફાઈના યુગમાં પાછળ રહી જશે વગેરે. તેઓ અપીલ કરતાં-કરતાં છેક સર્વોચ્ચ અદાલત સુધી પહોંચ્યા, કારણ કે તેઓ સ્કૂલના માલિક નથી, સ્કૂલોની ચેઇન ધરાવે છે. તેમના માટે વિદ્યાર્થી ગ્રાહક છે.
સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે શિક્ષણ, આરોગ્ય, પાણી. રહેઠાણ એ માનવીની મૂળભૂત જરૂરિયાત છે અને એમાં શિક્ષણ તો બાળકોનો મૂળભૂત અધિકાર છે. શાસકો એમ ન કહી શકે કે ગામથી દસ કિલોમીટર દૂર અત્યાધુનિક હૉસ્પિટલ છે, ૨૫ કિલોમીટર દૂર રહેઠાણની ઉત્તમ વ્યવસ્થા કરી છે, પ્રોસેસ કરેલા શુદ્ધ ફિલ્ટર્ડ પાણીની આઠ કિલોમીટર દૂર વ્યવસ્થા કરી છે અને ઉત્તમ શિક્ષણ માટે માત્ર પાંચ કિલોમીટર દૂર જવું પડે એમ છે. મૂળભૂત જરૂરિયાતની પુરવણી એને કહેવાય જ્યાં માણસ રહેતો હોય ત્યાં તેને એ મળી રહે. શિક્ષણ જરૂરિયાત નથી, બાળકોનો અધિકાર છે. સર્વોચ્ચ અદાલતે પ્રાઇવેટ સ્કૂલના માલિકોની મેરિટની દલીલ ફગાવી દીધી હતી. બાળકનો સર્વોચ્ચ અદાલતમાં વિજય થયો એ આનંદની વાત છે, પરંતુ વિચારવા જેવી વાત એ છે કે કેળવણીનો ધંધો કરનારા લક્ષ્મીદાસો કેટલા નીચ છે અને કેટલા શક્તિશાળી છે. આરોગ્ય અને શિક્ષણને એક જમાનામાં માનવસેવાનું ઉમદા કાર્ય સમજવામાં આવતું હતું જેનું આજે વ્યવસાયીકરણ થઈ ગયું છે.
બીજી બાજુ ઉચ્ચ શિક્ષણની હાલત કેવી છે જ્યાં મેરિટનું રટણ કરનારા લક્ષ્મીદાસોએ મોટા પ્રમાણમાં રોકાણ કર્યું છે એનું ચિત્ર ટાઇમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં જોવા મળે છે. એમ કહેવાય છે કે ભારતમાં ૭૦૦ જેટલી યુનિવર્સિટીઓ અને ૩૫ હજાર જેટલી કૉલેજો છે. અહીં એમ કહેવાય છે એમ એટલા માટે લખ્યું છે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનને અને ભારત સરકારના શિક્ષણ ખાતાને જ ખબર નથી કે ચોક્કસ કેટલી યુનિવર્સિટીઓ અને કૉલેજો આ દેશમાં છે. વિદ્વાન સમાજશાસ્ત્રી પ્રતાપ ભાનુ મહેતા અને દેવેશ કપૂરે ‘નેવિગેટિંગ ધ લૅબિરિન્થ: પસ્ર્પેક્ટિવ્ઝ ઑન ઇન્ડિયાઝ હાયર એજ્યુકેશન’ નામના પુસ્તકમાં યુનિવર્સિટી અને કૉલેજોની સંખ્યાના વિરોધાભાસી આંકડા સરકાર પોતે જ આપી રહી છે એમ કહ્યું છે. લેખકોએ પ્રસ્તાવનામાં લખ્યું છે કે આ દેશમાં બીજા કોઈ પણ કામ કરતાં સૌથી સહેલું કામ સ્કૂલ-કૉલેજ શરૂ કરવાનું છે અને સૌથી અઘરું કામ શિક્ષણમાં સુધારા કરવાનું છે. ભારતમાં બીજા મોરચે સુધારાઓ કરવા કદાચ સહેલા છે, કેળવણીની સ્થિતિમાં સુધારાઓ કરવા એ કપરું કામ છે. એટલે તો લેખકોએ પુસ્તકનું ર્શીષક ‘નેવિગેટિંગ ધ લૅબિરિન્થ…’ આપ્યું છે. લૅબિરિન્થનો અર્થ ભૂલભુલૈયા થાય છે.
તો ભારતમાં સરકારી, અર્ધસરકારી, પ્રાઇવેટ, વિદેશની યુનિવર્સિટીનું નામ વાપરવાનું લાઇસન્સ ધરાવનારી એમ કુલ મળીને અંદાજે ૭૦૦ યુનિવર્સિટીઓ છે. છત્તીસગઢની સરકારે ૨૦૦૨ની સાલમાં છત્તીસગઢ પ્રાઇવેટ યુનિવર્સિટીઝ ઍક્ટ ઘડીને બે વરસમાં સો કરતાં વધુ પ્રાઇવેટ યુનિવર્સિટીઓને મંજૂરી આપી હતી. નાનકડા છત્તીસગઢ રાજ્યમાં માત્ર બે વરસમાં સો કરતાં વધુ પ્રાઇવેટ યુનિવર્સિટીઓ સ્થપાઈ હતી જેમાંથી ૯૭ યુનિવર્સિટીઓની માન્યતા સર્વોચ્ચ અદાલતે ૨૦૦૫માં રદ કરી હતી. અદાલતે છત્તીસગઢ પ્રાઇવેટ યુનિવર્સિટીઝ ઍક્ટને જ ગેરબંધારણીય ઠરાવ્યો હતો. એટલે તો પ્રતાપ ભાનુ મહેતા અને દેવેશ કપૂરે તેમના પુસ્તકમાં કહ્યું છે કે આ દેશમાં બીજા કોઈ પણ કામ કરતાં સ્કૂલ-કૉલેજ અને હવે તો યુનિવર્સિટી સ્થાપવી એ સહેલું છે. ૭૦૦માંથી અંદાજે ૫૦૦ યુનિવર્સિટીઓમાં રાજકારણીઓ કાં માલિક છે અથવા ભાગીદાર છે.
ટાઇમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રૅન્કિંગ માટે વિશ્વની કુલ ૯૮૧ યુનિવર્સિટીઓનો સર્વે કરવામાં આવ્યો હતો. એમાં ભારતની ૩૦ યુનિવર્સિટીઓએ એન્ટ્રી મળી છે જેના સંચાલકો એમ માને છે કે તેઓ વિશ્વકક્ષાનું ઉત્તમ શિક્ષણ આપે છે. હવે પરિણામ જુઓ – ઊતરતા ક્રમે વિશ્વની શ્રેષ્ઠ ૨૫૦ યુનિવર્સિટીઓમાં ભારતની એક પણ યુનિવર્સિટી નથી. બીજું, ભારતની જે ૩૦ યુનિવર્સિટીઓને (ભલે પાછળના ડબ્બાઓમાં) સ્થાન મળ્યું છે એમાં એક પણ યુનિવર્સિટી પ્રાઇવેટ માલિકોની નથી. તમામ ૩૦ યુનિવર્સિટી સરકારી છે તો પછી મેરિટની ચિંતા કરનારાઓ અને દાવા કરનારાઓ છે ક્યાં?
પ્રતાપ ભાનુ મહેતા અને દેવેશ કપૂર કહે છે એમ ભારતમાં શિક્ષણમાં સુધારા કરવા એ વિકટ કામ છે. એક સમસ્યા ડિમાન્ડ ઍન્ડ સપ્લાયની છે જેનો લક્ષ્મીદાસો લાભ લે છે. શાસકો કેળવણી માટે નાણાંની ફાળવણીમાં વધારો કરતા નથી, કારણ કે તેઓ પોતે પ્રાઇવેટ શિક્ષણસંસ્થાઓના માલિક છે અથવા એમાં ભાગીદાર છે. બીજી સમસ્યા જીવનમાં સફળ થઈ જવાની હરીફાઈની છે. દરેકને સફળ પ્રોફેશનલ બનવું છે એટલે લક્ષ્મીદાસો પ્રોફેશનલ કોર્સિસની કૉલેજો અને યુનિવર્સિટીઓ સ્થાપે છે, પછી ભલે સુવિધા ન હોય અને સારા પ્રોફેસરો ન હોય.
ત્રીજી અને સૌથી મોટી સમસ્યા રાજકીય હસ્તક્ષેપ છે. ભારતમાં બહુમતી હિન્દુઓનું પ્રતિનિધિત્વ કરતા શાસકોને એમ લાગે છે કે તેઓ કેટલા મહાન છે, તેઓ કેટલા પરાક્રમી છે, હિન્દુઓના શાસનમાં ભારત કેવો મહાન દેશ હતો, જગતનું પ્રત્યેક જ્ઞાન કઈ રીતે ભારતમાં વિકસ્યું હતું એની કીર્તિગાથાઓની વાત સ્કૂલ-કૉલેજો અને યુનિવર્સિટીઓમાં કહેવાવી જોઈએ. આવી જ સ્થિતિ રાજ્યોની છે. દરેક રાજ્યના શાસકોને એમ લાગે છે કે તેમના પ્રાંત જેવો મહાન કોઈ પ્રાંત નથી અને ત્યાંની બહુમતી પ્રજાને એમ લાગે છે કે તેમના જેવી બીજી કોઈ પરાક્રમી પ્રજા નથી. તેઓ તેમના કીર્તિગાનનો આગ્રહ રાખે છે. આમ કેન્દ્રમાં અને પ્રાંતોમાં શાસકો કેળવણી ઉપર ચડી બેઠા છે. એક તો તેઓ પ્રાઇવેટ શિક્ષણસંસ્થાઓ સ્થાપીને ધંધો કરે છે અને ઉપરથી અસ્મિતાના નામે કેળવણી સાથે ચેડાં કરે છે.
ભારતીય શિક્ષણસંસ્થાઓ સામે અત્યારે જે સંકટ પેદા થયું છે એ અભૂતપૂર્વ છે. યુનિવર્સિટીઓના ઉપકુલપતિઓની નિમણૂક સીધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓમાંથી થાય છે. મુંબઈ યુનિવર્સિટીના ઉપકુલપતિએ યુનિવર્સિટીની જે હાલત કરી છે એ આપણી સામે છે. ભારતમાં ૭૦૦માંથી અંદાજે ૫૦૦ યુનિવર્સિટીઓમાં એવા ઉપકુલપતિઓ છે જેમણે જ્ઞાનના ઘૂંટડા સંઘની શાખાઓમાં ધરાઈ-ધરાઈને પીધા છે. એક વાત ગૅરન્ટી સાથે કહું છું જે નોંધી લેજો. આજે ટાઇમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રૅન્કિંગમાં ભારતની જે ૩૦ યુનિવર્સિટીઓએ પાછળના ડબ્બાઓમાં સ્થાન મેળવ્યું છે એ સ્થાન આવનારાં વર્ષોમાં ભારતની યુનિવર્સિટીઓ ગુમાવી દેશે. કારણ? કારણ કે ત્યાં દીનાનાથ બત્રાઓ અને ગજેન્દ્ર ચૌહાણો જેવા શાખાઓમાં તૈયાર થયેલા વિરલાઓએ સ્થાન મેળવ્યું છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 13 સપ્ટેમ્બર 2017