વૈશ્ચિક કક્ષાએ ભ્રષ્ટાચાર સામે ઝુંબેશ ચલાવતું ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ (Transparency International) મથક જર્મનીમાં આવેલું છે. વિવિધ દેશોમાં વ્યાપેલા ભ્રષ્ટાચારની આંકણી કરવી, ભ્રષ્ટાચાર નાબૂદીના ઉપાયો સૂચવવા અને તે માટેનાં જરૂરી કાયદાઓ અને વ્યવસ્થાતંત્રો ઊભાં કરવા માટેનો ઊહાપોહ આ સંસ્થા સતત ચલાવતી રહે છે. તે માટેના સર્વેક્ષણો કરીને તેના હેવાલો સંસ્થા દ્વારા અવારનવાર બહાર પાડવામાં આવે છે.
દક્ષિણ અને પૂર્વ એશિયા, પાકિસ્તાનથી માંડીને જાપાન સુધીના 22 દેશોમાં ફેલાયેલા ભ્રષ્ટાચાર અંગેના તેના છેલ્લા હેવાલમાં ચીનનો સમાવેશ કરવામાં આવ્યો નથી, કારણ કે ચીનમાં સ્વતંત્ર અને તટસ્થ સર્વેક્ષણ કરવાનું શક્ય નથી. ચીની નાગરિકો સત્ય જાણવા છતાં બોલી શકતા નથી અને પરદેશી સંસ્થાઓને કશી ભરોસાલાયક માહિતી મળતી નથી.
આ બાવીસ દેશોના વીસ હજાર કરતાં વધારે નાગરિકોના અનુભવો અને મંતવ્યોની છણાવટ કરીને ટ્રાન્સપરન્સી સંસ્થાએ પોતાનો હેવાલ તૈયાર કર્યો છે. નાગરિકોને જીવન માટે જરૂરી સગવડો મેળવવા માટે કેટલા જણને કેટલો વખત અને કેટલી લાંચ આપવી પડે છે તેના આધારે ભ્રષ્ટાચારનું માપ ઠરાવવામાં આવ્યું છે અને તેમાં એકથી સો સુધીના માર્ક અપાયા છે. ભ્રષ્ટાચાર વધારે હોય તેને વધારે માર્ક અપાય છે, તેથી આ પરીક્ષામાં ઓછા માર્ક મળે તે સફળ થયો ગણાય છે.
ભ્રષ્ટાચાર તમામ દેશોમાં છે, પણ તેનું પ્રમાણ વધતું-ઓછું હોય છે. પૂર્વ એશિયાના દેશોમાં જાપાનમાં ઓછામાં ઓછો ભ્રષ્ટાચાર છે, કારણ કે તેમાં દર હજાર માણસે માત્ર બે માણસોએ લાંચ આપવી પડે છે. ભારતમાં ભ્રષ્ટાચાર સૌથી વધારે ફેલાયેલો છે, કારણ કે ભારતમાં દર સો માણસે 69 માણસોએ લાંચ આપ્યાનું કબૂલ કર્યું છે. વિયેતનામ બીજા નંબરે છે, કારણ કે વિયેતનામમાં 65 ટકા લોકો રુશવત આપે છે. આપણી સરખામણીએ પાકિસ્તાનમાં માત્ર 40 ટકા લોકોએ રુશવત આપવી પડે છે.
ટ્રાન્સપરન્સીના આ હેવાલમાં વ્યાપારી સોદા માટે કે રાજકારણનો લાભ લેવા માટે આપવામાં આવતા લાંચ રુશવતનો સમાવેશ કરવામાં આવ્યો નથી, પણ સરકારી અસ્પતાલો કે સ્વાસ્થ્ય સેવાનો લાભ લેવા માટે, શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે અથવા ગુનાખોરી સામે પોલીસ રક્ષણ મેળવવા માટે આપવી પડતી લાંચ રુશવતનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી રીતે કહીએ તો આ હેવાલમાં ભ્રષ્ટાચારના આખા સ્વરૂપની અથવા તેના વ્યાપકપણાની ચર્ચા નથી, પણ આમ જનતાને પોતાની રોજબરોજની જિંદગીમાં સરકારી સંસ્થાઓ અને સેવાઓનો લાભ લેવા માટે સરકારી અસ્પતાલો, દવાખાનાંઓ, સરકારી શિક્ષણ સંસ્થાઓ અને પોલીસ રક્ષણની જ ચકાસણી કરવામાં આવી છે.
ભારતમાં પ્રવર્તતા ભ્રષ્ટાચારની વધારે વિગત પણ આ હેવાલમાં રજૂ થઈ છે. આવા ભ્રષ્ટાચારનો સૌથી મોટો બોજો ગરીબ અને નિરક્ષર લોકોએ વધારે ઉપાડવો પડે છે, કારણ કે ભારત સરકાર અને રાજ્ય સરકારોની સંસ્થાઓમાં ગરીબોએ ભોગવવી પડતી હાલાકીનો ઊહાપોહ અખબારોમાં અથવા મીડિયામાં ઓછા પ્રમાણમાં થાય છે. ટ્રાન્સપરન્સીના હેવાલ પ્રમાણે ગરીબોએ સૌથી વધારે રુશવત આરોગ્ય સેવા માટે આપવી પડે છે. સરકારી દવાખાનાંઓ, અસ્પતાલો અને આરોગ્ય કેન્દ્રોની મદદ અને સેવા જોઈતી હોય તો ગરીબોએ સૌથી વધારે વખત અને સૌથી વધારે મોટી રકમ રુશવતખોરી માટે ચૂકવવી પડે છે. ભ્રષ્ટાચારની બાબતમાં બીજો નંબર પોલીસખાતાનો આવે છે અને પોલીસોની મદદ મેળવવા માટે, પોતાની ફરિયાદો નોંધાવવા માટે અથવા પોલીસોની દખલગીરી અને ત્રાસમાંથી બચવા માટે લાંચ રુશવત આપ્યા સિવાય કામ થતું નથી.
આવી જ પરિસ્થિતિ સરકારી શાળા, કોલેજોની છે. શિક્ષણ લેવા માટે, શૈક્ષણિક સહાય મેળવવા માટે ભારતવાસીઓએ નાણાં ચૂકવવાં પડે છે.
ભ્રષ્ટાચાર ઘટાડવા અથવા નાબૂદ કરવાની કામગીરીની બાબતમાં 48 ટકા નાગરિકોએ ભાજપી સરકાર પ્રયાસો કરતી હોવાનું જણાવ્યું છે. સરકારની મહેનતનું હજી કશું નક્કર પરિણામ આવ્યું નથી એવું પણ હેવાલમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે, પણ લોકો ભ્રષ્ટાચાર નાબૂદી માટે ઘણા આતુર છે, કારણ કે લાંચ-રુશવતમાં તેમની મૂડીનો ઘણો મોટો ભાગ નાહક ખર્ચાઈ જાય છે. આ નાણાં બચે તો ગરીબો મોટી રાહત અનુભવી શકશે તેવું પણ હેવાલે નોંધ્યું છે. ભારતમાં ફેલાયેલો ભ્રષ્ટાચાર વિશિષ્ઠ પ્રકારનો છે અને તદ્દન અલગ કારણસર વધારે ફેલાયેલો છે. ભ્રષ્ટાચારનું સૌથી મોટું કારણ અછત છે. સરકારી સેવા સંસ્થાઓ, દવાખાનાં, અસ્પતાલો, શિક્ષણકેન્દ્રો અને પોલીસમથકો જોઈએ તેના કરતાં ઘણાં ઓછાં છે અને જેટલાં છે તેટલાંમાં પૂરતાં કર્મચારીઓ હોતા નથી. સગવડ અને સેવાની અછતના કારણે ભ્રષ્ટાચાર વધે છે. રેલવે મુસાફરી માટે આરક્ષણ ન મળતું હોય તો લાંચ રુશવત આપવી પડે છે.
એક નક્કર દાખલો લઈએ તો મુદ્દો વધારે સ્પષ્ટ થશે. આજથી 35-40 વર્ષ અગાઉ ટેલિફોનની ભારે અછત હતી અને ટેલિફોન મેળવવા માટે મોટી રુશવત આપવી પડતી હતી. આજે આ સેવા એટલા મબલખ પ્રમાણમાં મળે છે કે તેના માટે કોઈ રુશવત માગતું નથી અને કોઈ આપતું પણ નથી. શિક્ષણ સંસ્થાઓમાં દાક્તરી શિક્ષણ આપનાર સંસ્થાઓની ભારે અછત છે, તેથી તેમાં પ્રવેશ મેળવવા માટે રુશવતખોરીનો આશરો લેવામાં આવે છે. દાક્તરી ભણનાર તમામ વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ શકે તેટલાં તાલીમ કેન્દ્રો હોય તો કેપિટેશન ફી આપોઆપ નાબૂદ થાય. નોકરીઓ ઓછી અને નોકરિયાતોની સંખ્યા વધારે છે, તેથી નોકરી મેળવવા માટે લાંચ આપવી પડે છે. બેકારી નાબૂદ થાય તો આ પ્રકારની રુશવત બિનજરૂરી બની જાય છે. અછત ભ્રષ્ટાચારની જનેતા છે.
સમાજમાં સમૃદ્ધિની વહેંચણી અન્યાયી હોય તો તેમાંથી અનેક અનિષ્ટો જન્મે છે. ભ્રષ્ટાચાર પણ આવું એક અનિષ્ટ છે. લાંચ આપ્યા વગર જે વસ્તુ અથવા જે સેવા મળતી હોય તે માટે રુશવત આપવામાં આવતી નથી, કારણ કે લાંચ લેવાનું બધાને ગમતું હોવા છતાં લાંચ આપવાવાળા માટે ઘણું ભારરૂપ અને ત્રાસરૂપ બની જાય છે.
e.mail : nagingujarat@gmail.com
સૌજન્ય : ‘તડ અને ફડ’, નામક લેખકની સાપ્તાહિક કોલમ, ’કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 13 સપ્ટેમ્બર 2017