આવતી કાલે છન્નુમા વર્ષમાં પ્રવેશ કરી રહેલાં, શ્રી એચ.કે. આર્ટસ કૉલેજનાં પૂર્વ ગ્રંથપાલ શારદાબહેન શાહ તરવરાટ, યાદશક્તિ અને જીવન માટેના ઉલ્લાસથી છલકે છે
શ્રી એચ.કે. આર્ટસ કૉલેજનાં પૂર્વ ગ્રંથપાલ શારદાબહેન શાહ દર મહિને એક વાર તો કૉલેજમાં આવે જ, બે દાદરાના પચીસેક પગથિયાં સડસડાટ ચઢીને, પહેલાં માળ પરનાં ‘શ્રી યશવંત શુક્લ ગ્રંથાલય’માં પ્રવેશીને પાંચ-સાત પુસ્તકોનો ઢગલો હાથમાં લઈને બહાર નીકળે. પુસ્તકો ઘરે દરરોજ મોડી સવારથી સાંજ સુધી એક ટેબલ સામેની ખુરશી પર બેસીને વાંચે.
તેમનો દિવસ યોગ-પ્રાણાયામથી શરૂ થાય, ચા-નાસ્તા સાથે છાપાં હોય. સામયિકોમાં અખંડ આનંદ’, ‘કુમાર’, ‘નવચેતન’, ‘નિરીક્ષક’, ‘પરબ’ ‘બુદ્ધિપ્રકાશ’, ‘શબ્દસૃષ્ટિ’ વાંચે, જેના ઉલ્લેખો તેમની સાથેની વાતોમાં મળે. સુડોકુ અને ક્રૉસવર્ડ પણ કરે. સાંજે બે-ત્રણ સિરિયલ જુએ. બે વર્ષ પહેલાં સુધી શનિ-રવિ સાંજે ચારથી રાત્રે અગિયાર વાગ્યા સુધી ક્લબમાં પત્તાં રમવા જતાં. ‘ચૌદ વર્ષની હતી ત્યારથી પંચ્યાશી વર્ષ સુધી તો સાડલા ભરતી હતી’, એમ કહીને શારદાબહેન તરત ઊભાં થઈને અંદરના ઓરડામાંથી તાજેતરમાં ભરેલો સાડલો લાવીને, આ લખનાર સાથે એમને બંગલે ગયેલાં, એચ.કે. આર્ટસ કૉલેજના અત્યારના ગ્રંથપાલ તોરલબહેનને આપે છે. ચુસ્તી-સ્ફૂિર્તનું રહસ્ય? – ‘તંદુરસ્તી કુદરતી છે. પ્રાણાયામ કરું છું. લાઇફમાં સ્ટ્રેસ, ચિંતા, જવાબદારી નથી આવ્યાં. મુશ્કેલીઓ, સંઘર્ષ કે સિદ્ધિનો કોઈ દાવો નથી : મારા વિશે શું લખશો … ખરેખર તો મારા વિશે લખવા જેવું કંઈ છે જ નહીં, સાચ્ચુ કહું છું.’ આ સ્પષ્ટતા તેઓ બહુ સરળ રીતે બે વખત કરે છે. સાધારણ સંભારણાંને સાહસમાં ખપાવતા જમાનામાં, નિરામય, દીર્ઘાયુ, દુર્લભ હોય તેવા કાળમાં પંચાણું વર્ષે આવી નિખાલસ સાલસતા મોટો ગુણ ગણાય.
પંચાણું તો જવા દો, શારદાબહેનની વયને બહુ તો પંચોતેરની કલ્પી શકાય. માજી કે બા જેવાં શબ્દો મનમાં જ ન આવે. ઉજળો વાન, એકવડી દેહાકૃતિ, કપાળે ચાંલ્લો, એ પણ ગુજરાતી ઢબે પહેરેલો સાડલો. વેશ-વાણી-વ્યવહારમાં ક્યાં ય ગર્ભશ્રીમંત હોવાનો અણસાર નહીં. શારદાબહેનનાં પિતા લાલભાઈ ગિરધરલાલને અરવિંદ મિલ અને કસ્તૂરભાઈની મિલોમાં કાપડની દલાલી હતી, એનો આર્થિક મતલબ અસલના જમાનાના અમદાવાદીઓને બરાબર સમજાય.
મિલઉદ્યોગના સુવર્ણકાળમાં કાળુપુરની ઝાંપાની પોળમાં ઓગણત્રીસ સપ્ટેમ્બર 1923ના દિવસે જન્મેલાં શારદાબહેનની વાતમાં પોળોનાં તાણાવાણા ગૂંથાયેલા છે: ‘એ મજાનું અમદાવાદ હતું. એક પોળમાંથી બીજી પોળમાં જવાય. રમતાં રમતાં બધે દોડીએ. ઝાંપાની પોળ, પછી મંદિર, પછી ગુંદીની પોળ, ધનાસુથારની પોળ, ત્યાંથી ખારાકુવાની પોળ … હાજા પટેલની પોળ થઈને ટંકશાળ પહોંચાય …’ મનસુખભાઈ શેઠની પોળની જૈન નિશાળમાં ત્રીજી સુધી, ખાડિયાની વનિતા વિશ્રામમાં સાતમી સુધી અને દાણાપીઠની મ્યુિનસિપલ ગર્લ્સ હાઇસ્કૂલમાંથી 1942માં મૅટ્રિક સુધી ભણતર. ગુજરાત કૉલેજમાં બી.એ.નું પહેલું વર્ષ ‘હિન્દ છોડો’ની ચળવળમાં અટવાયું. આઝાદીના વર્ષમાં ગુજરાતી અને સંસ્કૃત સાથે બી.એ. થયાં. શિક્ષણ તરફ એકંદર અભિગમ કંઈક આવો હતો : ‘ભણવા ખાતર ભણીએ. રમવામાં બહુ ધ્યાન, હળવા-મળવાનું, ફરવાનું … છઠ્ઠીમાં એક વખત નાપાસ. એમ.એ.માં એક વર્ષ ડ્રૉપ લીધેલો.’
બીજી બાજુ આ પણ : ‘મને બધું નવું નવું જાણવાનો બહુ શોખ. એટલે હું ભરતકામ શીખી, સિવણ ને ટાઇપિન્ગના ક્લાસ ભર્યા, 1948માં જર્નાલિઝમના ક્લાસ કર્યા.’ દૃષ્ટિસંપન્ન કેળવણીકાર યશવંતભાઈ શુક્લની પહેલથી ગુજરાત વિદ્યાસભાના પત્રકારત્વના અભ્યાસક્રમમાં ‘ખરો વિકાસ થયો’ એમ શારદાબહેન એક કરતાં વધુ વખત કહે છે. ‘પ્રેમાભાઈ હૉલમાં વીસ-પચીસ જણનો, ક્લબ જેવો ક્લાસ’. બચુભાઈ રાવત, બી.કે. મજમુદાર (બી.કે.) અને સુરેન્દ્ર દેસાઈ પણ વર્ગો લેતા. ઇન્દુલાલ યાજ્ઞિક ‘ભૂખ્યા-તરસ્યા’ ભણાવવા આવી ચડતા. પ્રજાબંધુ પ્રેસમાં તાલીમ લેવા જવાનું, એક વખત રિપોર્ટિંગ માટે દિલ્હી અને પ્રવાસ માટે દક્ષિણ ભારત ગયેલાં. ‘અમદાવાદની પહેલી ચૂંટણી’માં 1951માં કાળુપુરમાંથી લડનારા ‘બી.કે. માટે કામ કર્યું’. ‘જે કામ સોંપે તે કરવાનું, ઊંડું જ્ઞાન નહીં, પણ લખવાનું, લોકોને ઘરે જવાનું ને એવું બધું કામ હોય …’ એ જ વર્ષે ભારતીય સંસ્કૃિત સાથે એમ.એ. થયાં. ‘કોર્સ કરવા ગમે એટલે ગુજરાત વિદ્યાપીઠમાંથી ત્રણ મહિનાનો લાઇબ્રેરિયનનો કોર્સ કર્યો.’
શારદાબહેનને પ્રેમાભાઈ હૉલ ખાતેની વિદ્યાસભાની લાઇબ્રેરિમાં પુસ્તકો નોંધવાં અને ગોઠવવાંનું કામ મળ્યું. યશવંતભાઈને એમનું નામ તેમના નાના ભાઈ વિનોદભાઈ શુક્લે સૂચવ્યું એટલે તેમણે શારદાબહેનને ‘રમતિયાળ લાગે છે’ એમ કહીને પણ કામ પર લીધાં. ત્યાંથી 1958માં મિર્ઝાપુરના શાંતિ સદનમાં નવી સ્થપાયેલી રામાનંદ (અત્યારની એચ.કે) કૉલેજમાં શારદાબહેનનું કામ શરૂ થયું. 1958-59માં વડોદરાથી વળી પાછો લાઇબ્રેરિયનનો ડિપ્લોમા કર્યો, જો કે તેમાં જવા દેવા આચાર્ય યશવંતભાઈ ઓછા રાજી હતા. છતાં શારદાબહેન વડોદરાથી પાછાં આવ્યાં ત્યારે આચાર્યએ તેમને જ કૉલેજનાં ગ્રંથાલયનું કામ સોંપ્યું, કૉલેજ 1960માં આશ્રમ રોડ પરનાં નવાં મકાનમાં આવી. તેના પહેલાં ગ્રંથપાલ બનવાનું ભાગ્ય શારદાબહેનને સાંપડ્યું, જે અઠ્ઠ્યાવીસ વર્ષ સુધી ફળ્યું, 1983માં સાઠ વર્ષની ઉંમરે તે નિવૃત્ત થયાં.
શ્રી હરિવલ્લબદાસ કાળિદાસ આર્ટસ કૉલેજની ‘વગડા જેવી જગ્યાએ’ આવેલી નવી ઇમારતમાં લાઇબ્રેરીની જગ્યા પાંચ વખત ફેરવી. ગ્રંથાલયમાં ન્યુ ઑર્ડર બુક કંપની અને બાલગોવિંદ પ્રકાશનનાં માણસો પુસ્તકો મૂકી જાય. રામુભાઈ પટેલ, દિનકરભાઈ ત્રિવેદી અને નાનકભાઈ મેઘાણી આવે. અધ્યાપકો પુસ્તકો પસંદ કરે. કૉલેજમાં નાટ્યવિદ્યાનો અભ્યાસક્રમ સંભાળનારા રંગકર્મી જશવંત ઠાકરને પણ પુસ્તક પસંદગીમાં કંઈ કહેવાનું હોય. ‘યશવંતભાઈનું સિલેક્શન બહુ સરસ’. પસંદગીની બાબતમાં મતભેદો થતા નહીં. અલ્પસાધન વિદ્યાર્થી ફંડમાંથી વિદ્યાર્થીઓને પુસ્તકો વહેંચવાનું કામ પણ બહુ ચાલતું. ઘરે કામ લઈને જવું પડતું. એકંદરે બહુ વિદ્યાર્થીઓ પુસ્તકો લેવા આવતા. હોશિયાર વિદ્યાર્થીઓનાં નામ શારદાબહેનને હજુ યાદ છે – હિરુભાઈ (ભટ્ટ), રમેશભાઈ (શાહ), વિદ્યુતભાઈ (જોશી) અને તેમનાં પત્ની જયશ્રી, કુમારપાળ (દેસાઈ), રંજના (હરીશ), નયના (જાની) …
‘કેટલીક છોકરીઓને માટે હું પુસ્તકો અલગ કાઢીને રાખું.’ ટી.એલ.એસ. (ટાઇમ્સ લિટરરિ સપ્લિમેન્ટ) અને ‘મૉડર્ન રિવ્યૂ’ આવતાં. સામયિકોની ફાઇલો બનતી. કૉલેજના કલાકોમાં રિડીંગ રૂમ ભરાઈ જતો. એ સિવાયના કલાકોમાં પણ એક અલગ રૂમ, જેમની પાસે ભણવાની જગ્યા ન હોય તેવા વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવતો. યશવંતભાઈએ ગ્રંથાલય માટે બે કારકૂન અને બે પટાવાળા આપેલા. વર્ગીકરણમાં વડોદરાનાં કોર્સમાં ડ્યુઈ ડેસિમલ પદ્ધતિનું ચલણ. અહીં રંગનાથન પદ્ધતિ, મુશ્કેલીઓ પણ પડી. પ્રકાશ વેગડ સાથે રહીને ગ્રંથપાલોનું મંડળ શરૂ કર્યું, જેનું કામ શારદાબહેનના ઘરેથી ચાલતું. બીજાં મંડળોની સાથે રહીને અધ્યાપકોની જેમ ગ્રંથપાલોનાં સારાં પગારધોરણો માટેની લડતમાં જોડાયાં. દર અઠવાડિયે બધા ગ્રંથપાલો એચ.કે.માં મળતા. શારદાબહેન જૂનાગઢ, મોડાસા, શ્રીનગરમાં થયેલાં ગ્રંથપાલોનાં અધિવેશનોમાં પણ ગયાં છે. ‘પેપર પ્રેઝેન્ટ કરતાં ?’ જવાબ : ‘હું તો લાઇબ્રેરી ચલાવતી, લખતાં-વાંચતાં બહુ ન આવડે …’
આ એમની કહેવાની રીત ભલે હોય, પણ વાચનનો વારસો દાદા પાસેથી મળેલો. ઘરમાં ‘પ્રજાબંધુ પ્રેસ’નાં ભેટપુસ્તકો આવે, જૈન ધર્મની પુસ્તિકાઓ હોય. રમવા પછીની બીજી પ્રિય પ્રવૃત્તિ વાંચવાની. એમ.જે. લાઇબ્રેરી સાથે ઘરોબો. ‘મમ્મીને વાંચવાનો બહુ શોખ, એમને કૅન્સર હતું, પણ એ બહુ વાંચતાં.’ શારદાબહેન ‘કેટલાં ય વર્ષો વધારે તો અંગ્રેજી’ વાંચતાં. ‘ગુજરાતીમાં નવલકથા વધારે ગમે. લાઇફની ફિલોસૉફિ પરનાં પુસ્તકો ગમે. કંઈ નક્કી નહીં. જે ગમે તે વાંચું.’
આમ વાંચતાં વાંચતાં જ શારદાબહેન સો વર્ષનાં થાઓ તેવી શુભેચ્છા !
**********
27 સપ્ટેમ્બર 2018
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 28 સપ્ટેમ્બર 2018
છવિસૌજન્ય : તોરલબહેન પટેલ