સર્વોચ્ચ અદાલતના ત્રણ જજોમાંથી બે જજોએ ટ્રિપલ તલાકને એટલે કે તલાક-એ-બિદ્દતને મનમાની રીતે આપવામાં આવતા અન્યાય કરનારા અમાનવીય તરીકે ઓળખાવ્યા છે તો ત્રીજા જજે એને ગેરઇસ્લામિક ગણાવ્યા છે. આમ હવે પછી મુસ્લિમ પુરુષ તલાક-એ-સુન્નત દ્વારા સ્ત્રીને તલાક આપી શકશે જે અધિકાર મુસ્લિમ સ્ત્રીઓ માટે તો ઉપલબ્ધ છે જ નહીં
સર્વોચ્ચ અદાલતના બહુમતી ચુકાદાએ મુસ્લિમ મહિલાઓને મનમાની રીતે અપાતા ટ્રિપલ તલાકના દૂષણથી મુક્તિ અપાવી છે. જો મુસ્લિમ પુરુષોએ સામેથી આવા અન્યાયી અને અમાનવીય રિવાજ સામે અવાજ ઉઠાવ્યો હોત અને સુધારાની માગણી કરી હોત તો આજનો દિવસ જોવાનો ન આવ્યો હોત. મૌલવીઓએ અને મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે સુધારા માટે પહેલ કરી હોત તો સર્વોચ્ચ અદાલતે દરમ્યાનગીરી ન કરવી પડી હોત. ઉદારમતવાદી સેક્યુલર પુરુષ મુસલમાનોએ રસ્તા પર ઊતરીને મહિલાઓને સાથ આપ્યો હોત તો પણ આજનો દિવસ જોવાનો ન આવ્યો હોત. પોતાને સેક્યુલર ગણાવનારા રાજકીય પક્ષોએ જો કાયદામાં સુધારો કરવાની પહેલ કરી હોત તો પણ સર્વોચ્ચ અદાલતે દરમ્યાનગીરી ન કરવી પડી હોત. આ એ રાજકીય પક્ષો છે જેમણે મુસલમાનોના મત મેળવવા મૌલવીઓના દબાણ હેઠળ આવીને ૧૯૮૬-’૮૭ના વર્ષમાં શાહબાનોના કેસમાં સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદાને ઊલટાવ્યો હતો. મારા ઉદારમતવાદી સેક્યુલર હિન્દુ મિત્રોએ મુસ્લિમ સ્ત્રીઓને સાથ આપ્યો હોત તો પણ સર્વોચ્ચ અદાલતે દરમ્યાનગીરી કરવી ન પડી હોત. તેમણે મુસલમાનોના ધાર્મિક અધિકારોના નામે મુસ્લિમ સ્ત્રીઓને અન્યાય કરનારા રિવાજ સામે આંખ આડા કાન કર્યા હતા. મુસ્લિમ સમાજના પ્રશ્નો વિશે ઉઠાવાતા દરેક સવાલને કેટલાક સેક્યુલર હિન્દુઓ (કેટલાક, બધા નહીં) લઘુમતી કોમની સતામણી અને સ્વતંત્રતાના આયનામાં જુએ છે.
સૌજન્ય : સૂરેન્દ્ર : "ધ હિન્દુ", 23 અૉગસ્ટ 2017
હવે જ્યારે સર્વોચ્ચ અદાલતના બહુમતી ચુકાદાએ ટ્રિપલ તલાકની વિરુદ્ધ ચુકાદો આપ્યો છે ત્યારે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ સહિતના બધા લોકો ચુકાદાનું સ્વાગત કરી રહ્યા છે. જેમણે અત્યાર સુધી મુસ્લિમ મહિલાઓને થતા અન્યાય વિરુદ્ધ અવાજ નહોતો ઉઠાવ્યો એવા સેક્યુલર રાજકીય પક્ષો અને સેક્યુલર નાગરિકો પણ ચુકાદાનું સ્વાગત કરી રહ્યા છે. આજકાલ દેશમાં એવી માનસિકતા વિકસી રહી છે કે જો અદાલત કડવી દવા પીવડાવી દે તો આપણે અકારા થવું નહીં. મુખ્ય ન્યાયમૂર્તિ જે. એસ. ખેહરે એની નોંધ પણ લીધી છે.
વિડંબના તો જુઓ! ચુકાદાનું સ્વાગત એવા લોકો કરી રહ્યા છે જેઓ સ્ત્રીઓએ રાત્રે બહાર ન નીકળવું જોઈએ અથવા પુરુષોને ઉત્તેજિત કરે એવાં ટૂંકાં કપડાં ન પહેરવાં જોઈએ એવી સલાહ આપે છે. ચુકાદાનું સ્વાગત એવા લોકો કરી રહ્યા છે જેઓ આંતરજ્ઞાતિ અને આંતરધર્મી લગ્નનો વિરોધ કરી રહ્યા છે અને ઑનર કિલિંગને ઑનર સમજી રહ્યા છે. ચુકાદાનું સ્વાગત એવા લોકો કરી રહ્યા છે જેઓ વૅલેન્ટાઇન્સ ડેનો વિરોધ કરે છે અને લવ-જેહાદનું આંદોલન કરી રહ્યા છે. ચુકાદાનું સ્વાગત એવા લોકો કરી રહ્યા છે જેઓ કોણે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ એની શરતો મૂકી રહ્યા છે. ચુકાદાનું સ્વાગત એવા લોકો કરી રહ્યા છે જેઓ મુસલમાનોના ઘરમાં ડોકિયાં કરવાની પ્રવૃત્તિને દેશપ્રેમ અને રાષ્ટ્રવાદ માને છે. ચુકાદાનું સ્વાગત એવા લોકો કરી રહ્યા છે જેઓ હિન્દુ સ્ત્રીઓને વારસાહક નથી આપતા. ચુકાદાનું સ્વાગત એવા લોકો કરી રહ્યા છે જેઓ સ્ત્રીઓના સબરીમાલા જેવાં મંદિરોમાં પ્રવેશનો વિરોધ કરી રહ્યા છે.
ટૂંકમાં, જેઓ અસહિષ્ણુ છે, જેઓ હિન્દુસ્તાન મેં રહના હો તોની શરતો મૂકે છે અને જેઓ હિન્દુ સ્ત્રીઓ, દલિતો તેમ જ ભારતના નાગરિકોના નાગરિક-અધિકારોની પરવા નથી કરતા એવા લોકો મુસ્લિમ સ્ત્રીઓના અધિકારોના મસીહા બની ગયા છે. જો સભ્ય સમાજે વહેલાસર મુસ્લિમ સ્ત્રીઓના અધિકારોની ખેવના કરી હોત તો આજનો દિવસ જોવાનો ન આવ્યો હોત. ધડો એ લેવાનો છે કે માનવતા અને નાગરિક અધિકારો સર્વોચ્ચ છે અને એમાં બાંધછોડ કરવાની ન હોય. ફન્ડામેન્ટલ હ્યુમન વૅલ્યુઝ આર નૉન નિગોશિએબલ. ધર્માધતા સામે, અન્યાય સામે અને લૈંગિક કે બીજા પ્રકારના ભેદભાવ સામે અવાજ ઉઠાવવો એ નાગરિક-ધર્મ છે.
ટ્રિપલ તલાક પર પ્રતિબંધ મૂકવો જોઈએ એવી મુસ્લિમ સ્ત્રીઓની પિટિશન સર્વોચ્ચ અદાલતની પાંચ જજોની બંધારણીય બેન્ચે સાંભળી હતી. પાંચ જજોની ખંડપીઠે જે ચુકાદો આપ્યો છે એ વાસ્તવમાં એક ચુકાદો નથી, પરંતુ ત્રણ ચુકાદાઓ છે. ન્યાયમૂર્તિ રોહિન્ટન નરીમાન અને ન્યાયમૂર્તિ યુ.યુ. લલિતે ચુકાદો આપ્યો છે કે ટ્રિપલ તલાક મનમાની રીતે આપવામાં આવી રહ્યા છે અને એ બંધારણમાં સુરક્ષિત કરવામાં આવેલા માનવીય અધિકારોની વિરુદ્ધ છે. ન્યાયમૂર્તિ કુરિયન જોસેફે ચુકાદો આપ્યો છે કે ટ્રિપલ તલાક કુરાનનો અર્થાત શરિયતનો હિસ્સો નથી એટલે એ ઇસ્લામના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ છે. તેમણે મુસ્લિમ મહિલાના મૂળભૂત અધિકારો વિશે ચુકાદામાં કંઈ કહ્યું નથી. મુખ્ય ન્યાયમૂર્તિ જે.એસ. ખેહર અને ન્યાયમૂર્તિ એસ.એ. નઝીરે ચુકાદો આપ્યો છે કે તલાક મુસલમાનોની શ્રદ્ધાનો વિષય છે, શરિયતનો અર્થાત ઇસ્લામનો અવિભાજ્ય હિસ્સો છે અને ૧૪૦૦ વર્ષ લાંબી પરંપરા છે, મુસ્લિમ પર્સનલ લૉઝમાં એનો સમાવેશ થાય છે એટલે એને બંધારણના આર્ટિકલ ૨૫ (ધર્મસ્વાતંત્ર્ય) હેઠળ સંરક્ષણ મળવું જોઈએ. તેમણે સરકારને સલાહ આપી છે કે જો શાસકોને આ બધું અમાનવીય કે અન્યાયી લાગતું હોય તો સરકાર કાયદો ઘડે, બાકી અદાલતના ખભે બંદૂક મૂકવાનું બંધ કરે.
આમ પાંચ જજોના ચુકાદામાં એકવાક્યતા નથી. પાંચ જજોમાંથી કોઈએ સ્ત્રીઓના તલાકના અધિકારનો પ્રશ્ન નથી ઉઠાવ્યો. પુરુષ તલાક આપી શકે તો સ્ત્રી શા માટે નહીં? પાંચ જજોમાંથી કોઈએ તલાકના બે પ્રકાર તલાક-એ-સુન્નત અને તલાક-એ-બિદ્દત વચ્ચેના ફરકનો અને એમાંથી કયા તલાક યોગ્ય છે કે નથી એ વિશે કોઈ નુક્તેચીની નથી કરી. તલાક-એ-બિદ્દત મુસ્લિમ પુરુષ એકસાથે ત્રણ વખત તલાક તલાક તલાક બોલીને સ્ત્રીને તલાક આપે છે અને એમાં એક વાર તલાક આપ્યા પછી એને ઉલટાવવાનો માર્ગ બચતો નથી. તલાક એ સુન્નતના બે પેટા પ્રકાર છે :
તલાક-એ-અહસાન અને તલાક-એ-હસન. આ બન્ને પ્રકારના તલાકમાં ત્રણ મહિના લેવામાં આવે છે અને એમાં તલાકને રદ કરીને પાછા ફરવાનો માર્ગ ઉપલબ્ધ છે. સર્વોચ્ચ અદાલતના ત્રણ જજોમાંથી બે જજોએ ટ્રિપલ તલાકને એટલે કે તલાક-એ-બિદ્દતને મનમાની રીતે આપવામાં આવતા અન્યાય કરનારા અમાનવીય તરીકે ઓળખાવ્યા છે તો ત્રીજા જજે એને ગેરઇસ્લામિક ગણાવ્યા છે. આમ હવે પછી મુસ્લિમ પુરુષ તલાક-એ-સુન્નત દ્વારા સ્ત્રીને તલાક આપી શકશે જે અધિકાર મુસ્લિમ સ્ત્રીઓ માટે ઉપલબ્ધ નથી.
આ અર્થમાં સર્વોચ્ચ અદાલતનો બહુમતી ચુકાદો પણ એક અર્થમાં અધૂરો છે. મારા મતે ન્યાયમૂર્તિ કુરિયન જોસેફે ઇસ્લામિક અને ગેરઇસ્લામિકની ભાંજગડમાં પડવાની જરૂર નહોતી. ૧૯૮૬માં શાહબાનોના કેસમાં એ વખતના મુખ્ય ન્યાયમૂર્તિ વાય.વી. ચન્દ્રચૂડ ઇસ્લામના તત્ત્વજ્ઞાનની ભાંજગડમાં પડ્યા હતા અને એમાં ન્યાયનું ગળું ઘોંટાઈ ગયું હતું. હજાર લોકો હજાર રીતે ધર્મોના આદેશોનું અર્થઘટન કરતા હોય છે એટલે જજોએ માત્ર બંધારણનું અને કાયદાનું અર્થઘટન કરવું જોઈએ.
બીજી વાત, મુસ્લિમ સ્ત્રીઓને મળેલી મુક્તિનું ભલે આપણે સ્વાગત કરીએ અને કરવું જ જોઈએ, પરંતુ ન્યાયમૂર્તિ ખેહર અને ન્યાયમૂર્તિ નઝીરે ઉઠાવેલા સવાલો પણ એટલા જ મહત્ત્વના છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 24 અૉગસ્ટ 2017