સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે એ સમલિંગી સેક્સ વિશે પુર્નવિચાર કરશે.
આના માટે એક વિશાળ બંધારણીય બેન્ચની રચના કરવામાં આવશે અને એ બેન્ચ સમક્ષ સુનાવણી થશે. આનું કારણ એ છે કે આ કેસમાં મૂળભૂત અધિકારના બંધારણીય મુદ્દાઓ જોડાયેલા છે અને એમાં કેન્દ્ર સરકારનો અભિપ્રાય પણ માગવામાં આવશે. મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા, ન્યાયમૂર્તિ એ. એમ. ખાનવિલકર અને ન્યાયમૂર્તિ ધનંજય ચંદ્રચૂડે કહ્યું હતું કે સુરેશકુમાર કૌશલના કેસની તમામ વિગતો લક્ષમાં લેવામાં આવે તો સ્વીકારવું રહ્યું કે સર્વોચ્ચ અદાલતનો ૨૦૧૩નો ચુકાદો પુર્નવિચાર કરવો પડે એવો છે.
મૂળમાં સર્વોચ્ચ અદાલતનો ૨૦૧૩નો ચુકાદો પછાત તો હતો જ, પણ હાથ ઊંચા કરી લેનારો પણ હતો અને એ માટે સર્વોચ્ચ અદાલતની સર્વત્ર ટીકા થઈ હતી. ત્યારે સુરેશકુમાર કૌશલ વિરુદ્ધ નાઝ ફાઉન્ડેશનના ખટલામાં એ સમયના સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓ જી.એસ. સિંઘવી અને એસ.જે. મુખોપાધ્યાયે અંગ્રેજોના વારાના ભારતીય દંડ સંહિતાના સેક્શન ૩૭૭ને કાયદેસરનો ગણાવ્યો હતો એટલું જ નહીં, સેક્શન ૩૭૭ને ગેરબંધારણીય ઠરાવનારા દિલ્હીની વડી અદાલતના ચુકાદાને ઉલટાવ્યો પણ હતો. હદ તો એ વાતની હતી કે ન્યાયમૂર્તિઓએ ત્યારે હાથ ઊંચા કરતાં કહ્યું હતું કે જો અંગ્રેજકાલીન કાયદાઓ કાલબાહ્ય લાગતા હોય તો એ સુધારવાની જવાબદારી સંસદની છે. સંસદ ધારે તો એને સુધારી શકે છે અને ધારે તો એને રદ્દ પણ કરી શકે છે. અદાલતનું કામ કાયદાપોથીમાં ઉપલબ્ધ કાયદાઓના પ્રકાશમાં ન્યાય તોળવાનું છે.
સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓની દલીલ ખોટી અને ગેરમાર્ગે દોરનારી હતી. બંધારણ સર્વોચ્ચ છે અને બંધારણના પ્રકાશમાં કાયદાઓને મૂલવવાનો સર્વોચ્ચ અદાલતને અધિકાર છે. સર્વોચ્ચ અદાલત બંધારણવિસંગત કાયદાઓને રદ્દ કરી શકે છે. આમાં પણ નાગરિકોના મૂળભૂત અધિકારો એ બંધારણનો પ્રાણ છે અને પ્રાણનું રક્ષણ કરવાની જવાબદારી બંધારણે સર્વોચ્ચ અદાલતને આપી છે. આ જવાબદારી માત્ર આપવામાં નથી આવી, એને સર્વોચ્ચ અદાલતનું મુખ્ય કર્તવ્ય ગણાવવામાં આવ્યું છે. સર્વોચ્ચ અદાલત એમ ન કહી શકે કે કાયદાઓને ઘડવાનું, બદલવાનું અને રદ્દ કરવાનું કામ માત્ર સંસદસભ્યોનું છે. સર્વોચ્ચ અદાલતને જ્યારે એમ લાગ્યું છે કે સંસદે ઘડેલા કાયદાઓ બંધારણવિસંગત છે ત્યારે એને સર્વોચ્ચ અદાલતે રદ્દ કર્યા હોય એવી દેશમાં અનેક ઘટનાઓ બની છે.
૨૦૧૩માં સર્વોચ્ચ અદાલતે પછાત ચુકાદો આપ્યો ત્યારે લોકસભાની સામાન્ય ચૂંટણી નજીકમાં હતી. ૨૦૧૪ની સાલમાં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી હતી જેણે ભારતીય દંડ સંહિતાના સેક્શન ૩૭૭ને રદ કરવાની બાબતે કોઈ ઉત્સાહ નહોતો બતાવ્યો. એમ થવાનું જ હતું એની ખાતરી હતી, કારણ કે રૂઢિચુસ્ત હિન્દુત્વવાદી સરકાર સમલિંગી સંબંધોને માન્યતા આપે એ શક્ય નહોતું. આ સ્થિતિમાં સર્વોચ્ચ અદાલત એના ચુકાદા વિશે પુર્નવિચાર કરે એ જ એકમાત્ર માર્ગ બચતો હતો. સર્વોચ્ચ અદાલતમાં રિવ્યુ પિટિશન કરવામાં આવી હતી જેને પણ સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી હતી. કાયદા મુજબ રિવ્યુ પિટિશનમાં એ જજ કે જજોને બેસાડવામાં આવે છે જેણે મૂળ ચુકાદો આપ્યો હતો. આમ રિવ્યુ પિટિશન સાંભળનારી બેન્ચમાં બે ન્યાયમૂર્તિઓ એ જ હતા જેમણે મૂળ ચુકાદો આપ્યો હતો એટલે પિટિશન ફગાવી દેવાનો નિર્ણય અપેક્ષિત હતો.
એ પછી પિટિશનરો પાસે હજી એક માર્ગ બચતો હતો જેને અંગ્રેજીમાં ક્યુરેટિવ પિટિશન કહેવામાં આવે છે. પુર્નવિચાર નહીં, ભૂલને સુધારવાને લગતી અપીલ. ક્યુરેટિવ પિટિશનમાં અદાલતે સ્વીકારવું પડે છે કે જે ચુકાદો આપવામાં આવ્યો છે એમાં પહેલી નજરે ખામી દેખાઈ રહી છે. સોમવારે સર્વોચ્ચ અદાલતના ત્રણ ન્યાયમૂર્તિઓએ સ્વીકાર્યું છે કે સર્વાંગીણ રીતે જોતાં સુરેશકુમાર કૌશલના કેસમાં ફેરવિચાર કરવો પડે એમ છે. અદાલતે બે અભિપ્રાય આપ્યા છે. એક તો એ કહ્યું છે કે ભારતના નાગરિકોએ ભય હેઠળ જીવવું પડે એ બરાબર નથી. કાયદાનો ભય હોવો જ જોઈએ, પરંતુ કાયદો જો નાગરિકના મૂળભૂત અધિકારો પર તરાપ મારનારો હોય, તેના અંગત જીવન પર નજર રાખનારો હોય અને એને કારણે નાગરિકોએ ભય હેઠળ જીવવું પડતું હોય તો એ બરાબર નથી. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓએ બીજો અભિપ્રાય એવો આપ્યો છે કે સમાજમાં નૈતિકતાના માપદંડો સમયસાપેક્ષ હોય છે. ઓગણીસમી સદીના નૈતિકતાના માપદંડો એકવીસમી સદીમાં કાળસુસંગત હોય એ જરૂરી નથી.
હવે પછી બંધારણીય બેન્ચ નવેસરથી કેસ સાંભળશે અને ઘણું કરીને સેક્શન ૩૭૭ને રદ્દ કરશે. જો પુખ્ત વયની બે વ્યક્તિ એકબીજાની સંમતિ સાથે એકાંતમાં જાતીય સંબંધ રાખતી હોય તો એમાં કોઈને શા માટે વાંધો હોવો જોઈએ. અહીં ત્રણ શબ્દ મહત્ત્વના છે – પુખ્ત વય, સંમતિ અને એકાંત. બસ, આટલું પૂરતું છે. પુખ્ત નાગરિકો સંમતિ સાથે એકાંતમાં જાતીય સંબંધ બાંધે એમાં દુનિયાને કે રાજ્યને શું લેવાદેવા? એ જાતીય સંબંધનું સ્વરૂપ નક્કી કરનારા તમે કોણ? જ્યારે જાતીય સંબંધ બાંધનાર વ્યક્તિને કોઈ વાંધો નથી ત્યારે ત્રીજા પક્ષકારને દરમ્યાનગીરી કરવાનો અધિકાર ક્યાંથી આવ્યો? નાગરિકના શુદ્ધ અંગત જીવનમાં રાજ્યને પણ પક્ષકાર બનવાનો અધિકાર નથી. આમ બંધારણ કહે છે અને સર્વોચ્ચ અદાલતનું કામ બંધારણનું અર્થઘટન કરવાનું છે, કાયદાપોથીમાંના કાયદાઓની આંખ મીંચીને રખેવાળી કરવાનું નથી.
આજકાલ મુસ્લિમ મહિલાઓને ન્યાય આપવાનું કેટલાક લોકોએ બીડું ઝડપ્યું છે. તેમની અંદર અચાનક કરુણાના ઝરા ફૂટી નીકળ્યા છે. તેમણે બાકીની સ્ત્રીઓના ન્યાય માટે જિંદગીમાં કયારે ય અવાજ ઉઠાવ્યો છે ખરો? પોતાના ઘરમાં મૂંગે મોઢે યાતના વેઠતી સ્ત્રીની પીડા વિશે જો તેઓ ન જાણતા હોય તો હું જણાવું કે એ પીડા શું છે? મુસ્લિમ સમાજમાં ડોકિયાં કરનારાઓને પોતાના ઘરમાં શું ચાલી રહ્યું છે એની જાણ નથી અને જાણ રાખવા જેટલી અનુકંપા પણ નથી. લગ્ન ભોગવટાનો અધિકાર પક્ષપાતી છે એ તમે જાણો છો? પતિ પત્નીની સંમતિ ન હોય તો પણ શારીરિક સંબંધ બાંધી શકે અને એ બળાત્કાર નથી ગણાતો. કારણ? કારણ કે પતિ લગ્ન ભોગવટાનો અધિકાર ધરાવે છે. હદ તો એ વાતની છે કે પત્ની સગીર વયની હોય તો પણ પતિ તેની સાથે શારીરિક સંબંધ બાંધી શકે છે, કારણ કે સાહેબ ભોગવટાનો અધિકાર ધરાવે છે. સમલિંગીઓ તો પુખ્ત વયના છે અને સંમતિ સાથે સંબંધ ધરાવે છે જ્યારે અહીં તો ચાર દીવાલની અંદર રોજેરોજ કરવામાં આવતો બળાત્કાર છે અને એ પણ કેટલાક કિસ્સાઓમાં સગીર વયની બાળા સાથે.
પતિ જો પત્નીની સંમતિ વિના શારીરિક સંબંધ બાંધે અને વારંવાર મનમાની કરે તો એને ગુનો ગણવો જોઈએ એવી માગણી સ્ત્રીઓ કરી રહી છે જેને તમે ટેકો આપ્યો છે? ન આપ્યો હોય તો આજથી આપવાનું શરૂ કરો. મને ખાતરી છે કે તમારામાંથી એક ટકો પુરુષ માંડ નીકળશે જે આ માગણીને ટેકો આપશે. મહાન કુટુંબસંસ્થાને એનાથી નુકસાન પહોંચશે, પરિવારો તૂટશે, બાળકો નોધારાં થઈ જશે એવી દલીલો તરત કરવા લાગશો. મુસ્લિમ સ્ત્રીને ન્યાય મળવો જોઈએ, પણ આપણી સ્ત્રીએ તો મૂંગે મોઢે જીવવું જોઈએ. આખરે પરિવાર અને પ્રતિષ્ઠાનો સવાલ છે. તમે જો આવું બેવડું વલણ ધરાવતા હો તો તમે કરુણાવાન નથી, ઢોંગી કોમવાદી છો. શા માટે દરેક ત્યક્તા સ્ત્રીને ન્યાય આપવામાં ન આવે પછી એ ગમે તે ધર્મની હોય. કાયદેસર છૂટાછેડા આપ્યા વિના જો કોઈ પતિ પોતાની પત્નીને ત્યજી દે તો એ ગુનો બનવો જોઈએ. આવો કાયદો અનુચિત છે? અને જો ઉચિત હોય તો પહેલા ગુનેગાર આપણા વડા પ્રધાન બની શકે એમ છે. આને કહેવાય પસંદગીના ધોરણે દાખવવામાં આવતી ન્યાયનિષ્ઠા.
ખેર, સર્વોચ્ચ અદાલત એક જુનવાણી (દરેક અર્થમાં) કાયદાને કચરાટોપલીમાં નાખશે એવી આશા બંધાઈ છે. આ ઉપરાંત લગ્ન ભોગવટાના અધિકાર(કૉન્જુગલ રાઇટ)ને પણ રુખસદ આપવાની જરૂર છે, જે પણ અંગ્રેજકાલીન છે અને જુનવાણી છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 11 જાન્યુઆરી, 2018