યુનિવર્સલ બેઝિક ઇન્કમની અવધારણાનાં મુદ્દા પર દેશ અને દુનિયામાં ખૂબ ચર્ચા થઈ છે. પણ, શું આ વ્યવસ્થા લાગુ કરવાથી ક્યાંક સરકાર ઘૂસણખોરી અને કામચોરીને પ્રોત્સાહન તો નથી આપી રહી ને? આ કેવી રીતે શક્ય છે કે દેશનાં માત્ર થોડાં લોકો પાસે સંપત્તિનું નિરંતર કેન્દ્રિયકરણ થતું રહે અને બાકીનાં નાગરિકો પાસે વિપદા સિવાય કશું જ ના બચે? આ યોજનાનાં તમામ પાસાંનાં સંદર્ભમાં સમીક્ષા કરતો પ્રસ્તુત છે આ લેખ:
યુનિવર્સલ બેઝિક ઇન્કમ એટલે કે યુ.બી.આઈ.નો વિચાર ભારતીય અવધારણા નથી. ગરીબી હટાવવાની આ એક વિકસિત દેશોની નવીન રોમાન્ટિક ઊપજ છે. યુનિવર્સલ બેઝિક ઇન્કમ એટલે કે સાર્વભૌમિક મૂળ વેતનની આ રોમાન્ટિક ઊપજનાં મુદ્દે દેશ અને દુનિયામાં ખૂબ ચર્ચા થઈ છે. ઓગણીસમી સદીનાં પ્રૂસિયાથી લઈને અત્યારસુધી જનકલ્યાણ સંદર્ભમાં જેટલી પણ આર્થિક અવધારણાઓ આવી છે તે તમામ અવધારણાઓમાં લગભગ આ જ વાત ચર્ચાઈ રહી છે. જેમાં તમામ નાગરિકને ઓછામાં ઓછી એટલી આવકની ગેરંટી ચોક્કસ મળે કે જેથી તે રોજિંદા જીવનની સામાન્ય જરૂરી ચીજવસ્તુઓથી વંચિત ના રહી જાય. સાથે તે નાગરિક સન્માનીય જીવન જીવી શકે. આર્થિક અસંતુલનથી વિરુદ્ધ ‘મનરેગા’ બાદ યુ.બી.આઈ.ની અવધારણા કદાચ અહીં જ સ્થાપિત થઇ રહી છે.
કેટલાંક અર્થશાસ્ત્રીઓનું એવું કહેવું છે કે આ અવધારણાને ભારત જેવાં વિકાસશીલ દેશમાં પણ લાગુ કરવી જોઈએ. કોલંબિયા વિશ્વવિદ્યાલયના અર્થશાસ્ત્રી પ્રણવ વર્ધન કહે છે કે જો ભારતમાં વર્ષ ૨૦૧૪-૧૫ની કિંમત આધારિત ફુગાવાનું અનુમાન કરતાં પ્રત્યેક વ્યક્તિદીઠ દસ હજાર રૂપિયા આપવામાં આવે તો જી.ડી.પી. પર આ અનુમાનની દસ ટકા અસર થશે કે જેની ભરપાઈ બિનજરૂરી સબસીડી અને ચૂકી ગયેલા કરની રાહત હટાવીને ખૂબ જ સરળતાથી કરી શકાય છે. જ્યારે અર્થશાસ્ત્રી વિજય જોષી, ટેન્ડુલકર સમિતિ આ માનદંડના આધાર પર પ્રતિ વ્યક્તિ સાડા ત્રણ હજાર રૂપિયા આપવાના પક્ષમાં છે, જેનો જી.ડી.પી. પર પણ સાડા ત્રણ ટકા ભાર પડશે. એક અન્ય ત્રીજી ભલામણ એવી છે કે નાગરિકોને એક ચોક્કસ ઇન્કમ આપવાની જગ્યાએ તેમને જી.ડી.પી.નો એક ચોક્કસ હિસ્સો આપી શકાય છે. જેનાથી ભારતીય અર્થવ્યવસ્થા અસરકારક બની રહેશે.
કેન્દ્ર સરકારનાં તાજેતરનાં આર્થિક સર્વેમાં એક સંપૂર્ણ અધ્યાય રજૂ કરવામાં આવ્યો કે જેમાં યુ.બી.આઈ. તર્કસંગત છે તે વાત રજૂ થઈ છે. ગરીબોનું જીવનધોરણ ચોક્કસપણે સુધારવા માટે ભારત સરકારનાં આર્થિક સર્વેક્ષણ વર્ષ ૨૦૧૬-૧૭માં યુ.બી.આઈ.નો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. એવું કહેવામાં આવે છે કે આ વ્યવસ્થાથી દેશમાં ગરીબીને ઓછી કરી શકાશે. નાણામંત્રી અરુણ જેટલીએ પણ આ પક્ષમાં પોતાની રજૂઆત કરતાં કહ્યું કે યુ.બી.આઈ.ને વિવિધ તબક્કામાં લાગુ કરવી જોઈએ, કારણકે આ થકી આર્થિક સુધારામાં મદદ મળશે અને તેનો ફાયદો તમામ સ્તર સુધી પહોંચશે.
અને આદર્શ સ્થિતિમાં યુનિવર્સલ બેઝિક ઇન્કમની યોજના એ એક એવી યોજના છે કે તેમાં કોઈપણ પ્રકારની શરત જોવા મળતી નથી. આ બિનશરતી યોજના હેઠળ તમામ લોકોને ચૂકવણી કરવામાં આવે છે કે જેનાથી દરેક નાગરિકને પોતાનાં દૈનિક જીવનની જરૂરિયાત પૂરી કરવા માટે ‘બેઝિક ઇન્કમ’નો અધિકાર પ્રાપ્ત થઈ શકે. સંક્ષેપમાં આ યોજનાનો મતલબ એ છે કે યુ.બી.આઈ. એ એક એવી આવક છે કે જે તમામ લોકો માટે છે અને બિનશરતી તમામનાં ખાતામાં પહોંચી જાય છે. અને અહીં સુધી કે આ યોજનાનાં લાભ માટે કોઈ ન્યૂનતમ યોગ્યતાની પણ જરૂરિયાત રહેતી નથી. આ આવકને નાગરિકોનાં ખાતાઓ સુધી પહોંચાડવી પણ સરળ છે. જ્યારે આ યોજના તમામ લોકો માટેની છે એટલે આ યોજનામાં કોને સામેલ કરવા અથવા કોને સામેલ કરવા નહિ તે સમસ્યાથી છૂટકારો મળે છે. કેટલાંક ખાસ તબક્કામાં ગરીબી રેખા હેઠળ જીવતાં લોકોને પૂરી પાડવામાં આવતી સુવિધાને પાર્શિયલ બેઝિક ઇન્કમ એટલે કે પી.બી.આઈ. કહેવામાં આવે છે.
ભારત સરકારનું માનવું છે કે યુ.બી.આઈ. થકી ગરીબી હટાવવામાં ભરપૂર મદદ મળશે. કારણ કે આ ખાસ યોજના હેઠળ એવો નિર્ણય કરવામાં આવે છે કે દેશનાં પ્રત્યેક નાગરિકને, દર મહિને એક ચોક્કસ ધનરાશિ ચોક્કસપણે ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગરીબોને મળનારી તમામ પ્રકારની સબસીડીને એકઠી કરીને એક સમગ્ર વિકલ્પ તરીકે યુ.બી.આઈ. યોજના લાગુ કરી શકાય છે. યુ.બી.આઈ.ની જરૂરિયાતને સાચી સાબિત કરતાં આર્થિક સર્વેક્ષણમાં એ પણ કહેવામાં આવ્યું છે કે આ યોજના દેશનાં આર્થિક વિકાસને વિસ્તાર આપવા માટેની ખાસ જરૂરિયાત છે. આ યોજના સામાજિક ન્યાય અને ઉત્પાદક અર્થવ્યવસ્થા એમ બંને માટે એક ક્રાંતિકારી પરિવર્તનનું ઉદાહરણ છે. નાણાકીય નૈતિકતા અને બદલાઈ રહેલાં વિશ્વનાં આ સમયમાં આપણે જાણીએ જ છીએ કે નાણાકીય સમજદારીયુક્ત ખુલ્લી અર્થવ્યવસ્થા થકી જ આગળ વધી શકાય છે. અર્થ વિશેષજ્ઞોનું કહેવું છે કે ભારત જેવો દેશ આર્થિક અસ્થિરતા(મેક્રોઈકોનોમિક)ને સહન કરવાની સ્થિતિમાં નથી.
યુ.બી.આઈ.ની એક ખાસ વાત એ કહી શકાય કે સરકાર પોતાના નાગરિકો પર વિશ્વાસ સ્થાપિત કરે છે. સરકાર પોતાના નાગરિકોનાં ખાતાઓમાં રોકડ ધનરાશિ જમા કરાવીને એ વિશ્વાસ અપાવે છે કે આ ધનરાશિથી તેઓ પોતાની મનપસંદ ચીજવસ્તુઓ ખરીદી શકશે. આ યોજના લાવવા પાછળ સરકારનો એ હેતુ હોઈ શકે કે આ યોજના લાગુ પાડવાથી રોજગારીનાં મુદ્દાનું નિરાકરણ આવી શકે. કોઈ પણ સરકાર આજે એ નિર્ણય કરવામાં સક્ષમ નથી કે તમામ બેરોજગાર લોકોને કામ મળી જ જશે. આમ જોવા જઈએ તો આધુનિક મશીનીકરણનાં આ યુગમાં ઘણા માનવીય રોજગાર છીનવાઈ ગયા છે. ઉદાહરણ તરીકે આપણે રોબોટ અને કમ્પ્યુટરનું નામ લઇ શકીએ છીએ. કોર્પોરેટ કંપનીઓનો નફો વધી રહ્યો છે પણ તેની સરખામણીમાં કંપનીઓનાં કર્મચારીઓની સંખ્યા ઘટી રહી છે.
આપણા સંવિધાન ઘડવૈયાઓએ સામાજિક, આર્થિક ન્યાય, અવસરની સમાનતા અને વાક્તિગત નાગરિક સન્માનની વાત કરી છે. સંવિધાન, રાજ્યનાં આપવામાં આવેલ દિશા-નિર્દેશક તત્ત્વ પણ જનકલ્યાણની યોજનાઓ અંતર્ગત રાજનૈતિક, સામાજિક અને આર્થિક સમતા સ્થાપિત કરવાની વાત કરે છે. પરંતુ, એ વાત કોણ નથી જાણતું કે દેશની તમામ જનકલ્યાણકારી યોજનાઓમાં ખૂબ જ ભ્રષ્ટાચાર જોવા મળે છે. જે લોકો સુધી જનકલ્યાણકારી યોજનાઓ પહોંચવી જોઈએ તે લોકો સુધી તો ક્યારે ય પહોંચી જ શકતી નથી. દેશનાં પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ દેશની આ ભ્રષ્ટાચારી વ્યવસ્થા પ્રત્યે ખેદ વ્યક્ત કરતાં જે એક બ્રહ્મ વાક્ય કહ્યું હતું તે આજે પણ એટલું જ પ્રાસંગિક છે. રાજીવ ગાંધીએ ત્યારે કહ્યું હતું કે દિલ્હીથી કાર્યરત કલ્યાણકારી એક રૂપિયો ગામડાં સુધી પહોંચતા-પહોંચતા માત્ર દસ પૈસા જ બનીને રહી જાય છે. દેશની નેવું ટકા ધનરાશિ ભ્રષ્ટાચારની ભેટ ચઢી જાય છે.
તેવામાં એ જોવું ખૂબ જ જરૂરી થઈ પડે છે કે દેશના ગરીબોનો ગરીબી થકી ઉદ્ધાર કેવી રીતે થાય? કારણ કે કોઈ પણ યોજનાનાં પૈસા ગરીબો સુધી પહોંચી જ નથી શકતા અને તેને વચેટિયાઓ થકી વચ્ચે જ પચાઈ પાડવામાં આવે છે. ત્યારે સરકારે કોઈ વૈકલ્પિક વિચાર તો કરવો જ ઘટે. એટલા માટે કદાચ યુ.બી.આઈ. પર વિચાર કરવામાં આવ્યો છે કે જેથી વિવિધ યોજનાઓ માટે પૈસા ખર્ચ કરો તેના કરતાં નિર્ધન તબક્કાનાં ખાતાઓમાં સીધા જ પૈસા પહોંચાડવામાં આવે. એવું કહેવાય છે કે વિવિધ જનકલ્યાણ યોજનાઓના સમગ્ર ગૃહ ઉત્પાદનનો લગભગ પાંચ ટકા ખર્ચ આવે છે. અને જો તમામ ન્યૂનતમ આવક યોજના શરૂ કરવામાં આવે તો પણ આટલો જ ખર્ચ આવશે.
જો આ પ્રકારની વ્યવસ્થા લાગુ કરવાથી જો એવો વિચારણીય પ્રશ્ન ઉપસ્થિત થાય કે શું આ વ્યવસ્થાથી સરકાર ઘૂસણખોરી અને કામચોરીને પ્રોત્સાહન પૂરું પાડે છે? અને બીજી બાજુ આ પણ કોઈ ઓછો વિકટ પ્રશ્ન નથી કે તમામ લોકોને ઓછામાં ઓછી ન્યૂનતમ આવક તો મળવી જ જોઈએ ને? કોઈ પણ લોકતાંત્રિક વ્યવસ્થામાં એક લાંબા સમયગાળા સુધી આ કેવી રીતે શક્ય છે કે દેશના માત્ર થોડા લોકો પાસે સંપત્તિનું નિરંતર કેન્દ્રિયકરણ થતું રહે અને બાકીના નાગરિકો પાસે વિપદા સિવાય કશું જ ના બચે? શું લોકતંત્રમાં આના કરતાં વધારે ઘાતક સ્થિતિ બીજી કોઈ હોઈ શકે અને શું તેનાં વિસ્ફોટક નિષ્કર્ષ પરિણમે?
એવું યાદ રાખવું જોઈએ કે આર્થિક સર્વેક્ષણમાં આ વિવાદિત અસંતુલન પર પણ વિચાર કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ યુ.બી.આઈ.ના પ્રબળ સમર્થક છે, જ્યારે નીતિ આયોગનાં ઉપાધ્યક્ષ અરવિંદ પનગઢિયા કહી ચૂક્યા છે કે ભારત જેવા વિશાળ દેશ માટે આ પ્રકારની કોઈ પણ યોજના વ્યવહારિક નથી. થશે એવું કે યુ.બી.આઈ. જેવી કોઈ પણ યોજના લોકોને ખરાબ દાનત સંલગ્ન કાર્ય કરવા માટે વધુ પ્રેરિત કરશે. અહીં ખરાબ દાનતની પ્રશંસામાં અગાઉ કહેવામાં આવેલ એક પરમ પ્રેરણાદાયી કહેવતને પણ અહીં ખાસકરીને મૂકી શકાય કે જેમાં કહેવાયું છે કે જ્યારે ઈશ્વર ખાવાનું પીરસે તો કમાવવા માટે કોણ જાય?
આંતરરાષ્ટ્રીય સ્તર પર દક્ષિણપંથી અને વામપંથી વિચારધારા માન્યતા પ્રાપ્ત અર્થશાસ્ત્રી યુ.બી.આઈ.નું સમર્થન કરતા આવ્યા છે. આ યોજનાઓના સમર્થકોનું એવું પણ કહેવું છે કે ભારત જેવાં સૌથી અધિક અસમાન આવક ધરાવતા દેશ માટે આ યોજના ખૂબ જ સહાયક સાબિત થઈ શકે છે અને દેશની ગરીબી પણ નાબૂદ કરી શકાય છે. આ યોજનાથી દેશની લગભગ વીસ કરોડ જેટલી ગરીબ આબાદીને સીધો જ લાભ પ્રાપ્ત થઈ શકે છે.
લંડન વિશ્વવિદ્યાલયનાં પ્રોફેસર ગાય સ્ટેિન્ડંગે ગત કોંગ્રેસયુક્ત યુ.પી.એ. સરકારને આ યોજનાની વાત કરી હતી, પણ યુ.પી.એ. સરકાર ત્યારે હિંમત એકઠી કરી શકી નહોતી. ત્યારે એવો તર્ક આપવામાં આવ્યો હતો કે જ્યારે રોજગારી જ નથી આપી શકતા તો સીધી આવક કેવી રીતે આપી શકીએ? પણ જો વર્તમાન ભા.જ.પ.યુક્ત એન.ડી.એ. સરકાર આ યુ.બી.આઈ. યોજનાને અમલમાં મૂકે તો તેમને અચૂક તે પ્રમાણે રાજનૈતિક ફાયદો મળી શકે કે જે પ્રમાણે કોંગ્રેસયુક્ત યુ.પી.એ. સરકારને મનરેગા થકી મળ્યો હતો.
અનુવાદ – નિલય ભાવસાર
e.mail : nbhavsarsafri@gmail.com