આર્ત્મનિભર આ રીતે થવાય? :
કેન્દ્ર સરકારે તેની માલિકીની મિલકતો ભાડે કે ભાડાપટે આપીને ૨૦૨૪-૨૫ સુધીમાં રૂ. ૬ લાખ કરોડ મેળવવાનું નક્કી કર્યું છે. ચાલુ વર્ષે રૂ. ૮૮,૦૦૦ કરોડ આ રીતે મેળવવામાં આવશે એવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. નાણાં પ્રધાને જાહેર કર્યું છે કે સરકાર પોતાની માલિકીની જમીનો કે અસ્કામતો (assets) વેચી રહી નથી પણ તે રસ્તા, વિદ્યુત મથકો, વિમાની મથકો, સ્ટેડિયમ, વખારો, ગેસની પાઈપલાઈન, રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાંથી આ રીતે ભાડાની આવક ઊભી કરી રહી છે. સરકારના આ કાર્યક્રમનું નામ જ Asset Monetisation Plan છે. એટલે તેમાં અસ્કામતો કે મિલકતો (properties) વેચવાની નથી પણ મિલકતોનો ઉત્પાદક ઉપયોગ કરવાનો છે એવો સરકારનો દાવો છે. નીતિ આયોગ દ્વારા જે National Monetization Pipelineનો આરંભ કરાયો છે તેના ભાગરૂપે આ કામ થઈ રહ્યું છે.
કેન્દ્ર સરકાર આ મિલકતો સ્વદેશી અને વિદેશી રોકાણકાર કંપનીઓને ભાડે કે ભાડાપટે આપશે એમ કહેવામાં આવે છે. સરકાર તેમ કર્યા પછી તેના પર દેખરેખ પણ રાખશે એમ કહેવામાં આવે છે. દેશની કંપનીઓને આ મિલકતો અપાય ત્યાં સુધી તો સમજ્યા, પણ જો એ વિદેશી કંપનીઓને આપવામાં આવે તો તે આર્ત્મનિભર ભારત ઊભું કરવાની દિશાનું પગલું કેવી રીતે કહેવાય? નાણાં પ્રધાને પોતે જ કહ્યું છે કે વિદેશી રોકાણ પણ આ માટે મેળવવામાં આવશે. એનો અર્થ તો એવો થાય કે દેશની ઘણી સરકારી મિલકતો વિદેશી કંપનીઓના હાથમાં ઓછાવત્તા પ્રમાણમાં જતી રહેશે. આ કંપનીઓ કંઈ દેશની કે દેશના લોકોની સેવા કરવા ભારતમાં આવતી નથી પણ નફો કરવા આવે છે. દેશ આ રીતે આર્થિક રીતે વધુ ગુલામ બની શકે છે.
જો કે, એમ પણ કહેવામાં આવે છે કે સંસ્થાકીય રોકાણકારો એટલે કે ICICI, IDBI, LIC વગેરે જેવી નાણાં સંસ્થાઓ આ નીતિને પરિણામે લાંબા ગાળાનું રોકાણ માળખાગત સવલતો માટે કરશે અને તેમાં કાર્યક્ષમતા પણ આવશે. કેન્દ્ર સરકારની આ યોજનામાં ૧૨ મંત્રાલયો અને ૨૦ પ્રકારની અસ્કામતો સામેલ છે. રાજ્ય સરકારોને પણ આવા જ કાર્યક્રમ માટે કેન્દ્ર સરકાર પ્રોત્સાહન આપશે. ૨૬ જેટલી રાજ્ય સકારોએ તેને માટે નોડલ એજન્સીની વ્યવસ્થા પણ કરી છે. એમાં માત્ર ભા.જ.પ.ની જ સરકારો છે એવું નથી, પણ કૉન્ગ્રેસ સહિત બધા પક્ષોની રાજ્ય સરકારો છે. જો રાજ્ય સરકાર આ રીતે પોતાની કોઈક મિલકત ખાનગી કંપનીને ભાડે કે ભાડાપટે આપશે તો તેને કેન્દ્ર સરકાર તે રકમના ૩૩ ટકા રકમ પ્રોત્સાહન તરીકે પણ આપશે એમ પણ જણાવવામાં આવે છે. જો કેન્દ્ર સરકાર વિદેશી કંપનીને આ માટે જોતરી શકે તો રાજ્ય સરકારો પણ જોતરી જ શકે. પરંતુ જો કેન્દ્ર સરકાર રૂ. ૬ લાખ કરોડ આ રીતે મિલકતોમાંથી ભેગા કરી શકે તો બધી રાજ્ય સરકારો પણ એટલી રકમ તો ભેગી કરી જ શકે. તો કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોને આપવા માટે તેના ૩૩ ટકા જેટલી રકમ એટલે કે બે લાખ કરોડ રૂપિયા ક્યાંથી લાવશે? જે કેન્દ્ર સરકાર – વળતરની રકમ આપવાનાં ધાંધિયા કરે છે એની પાસે આટલી મોટી રકમ ક્યાંથી આવશે?
આમેય દેશમાં હાલ ૩,૮૦૦ કરતાં વધુ વિદેશી કંપનીઓ કામ કરે જ છે અને વધુ ને વધુ વિદેશી કંપનીઓને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વિદેશી રોકાણ આકર્ષવા માટે લાલ જાજમ બિછાવીને બોલાવે જ છે. આમ જુઓ તો આ ધંધો ૧૯૯૧ની કૉન્ગ્રેસી સરકારની ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની નીતિથી શરૂ થયેલો છે. દેશના રાજકારણનું વધુ ને વધુ કંપનીકારણ થઈ રહ્યું છે કારણ કે સરકારી મિલકતોનું કંપનીકરણ થઈ રહ્યું છે!
આ યોજના માટે નીતિ આયોગ દ્વારા ત્રણ મુદ્દા જણાવવામાં આવે છેઃ (૧) માળખાગત સવલતોના સંચાલન અને કામગીરીમાં ફેરફાર કરવો અને તેની કાર્યક્ષમતા વધારવી તેવો તેનો ઉદ્દેશ છે. (૨) માળખાગત સવલતોમાં મૂડીરોકાણ થાય તે માટે સંસ્થાકીય રોકાણકારો માટે વિકલ્પો ઊભા કરવા. (૩) નાના રોકાણકારો પણ તેમાં રોકાણ કરી શકે તે માટે InvTs (Infrastructure Investment Trusts) નામનાં સાધનો પણ વિકસાવવામાં આવશે.
સરકાર પાસે પૈસા નથી? :
એમ પણ કહેવામાં આવે છે કે સરકારને ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સ માટે નાણાં જોઈએ છે તે આ બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ્સ ભાડાપટે આપીને ઊભાં કરવામાં આવશે. ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સ એટલે એવા પ્રોજેક્ટ્સ કે જેમાં બધું કામ નવેસરથી જ કરવાનું હોય. બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ્સ એટલે એવા પ્રોજેક્ટ્સ કે જેમાં હાલ જે માળખાગત બાંધકામ છે તેમાં જ નવું કામ કરવાનું હોય. એનો અર્થ એ થયો કે સરકાર પાસે નવા પ્રોજેક્ટ્સ માટે પૈસા છે જ નહિ અથવા તો બહુ જ ઓછા પૈસા છે અને તેથી તે પોતાની મિલકતો ખાનગી કંપનીઓને નિશ્ચિત સમયગાળા માટે આપવા માંગે છે.
આમ જુઓ તો, સરકાર પોતે જ આ મિલકતોનો વિકાસ કરી શકે એમ છે. સરકાર એટલી તો સક્ષમ છે જ. એનું ચાલુ વર્ષનું બજેટ રૂ. ૩૪.૮૩ લાખ કરોડનું છે. આ કામ માટે ખાનગી કંપનીઓની અને તેમાં પણ વિદેશી કંપનીઓની શી આવશ્યકતા છે? સરકાર પાસે જે કંઈ વિકાસ કરવો છે તેને માટે પૈસા ના હોય તો દેશની બેંકો પાસે તા. ૨૬-૦૩-૨૦૨૧ના રોજ રૂ. ૧૫૧ લાખ કરોડની થાપણો છે જ અને સરકાર તે વ્યાજે લઈ શકે છે. વળી, દેશના ૧૦ કરોડ પરિવારો પાસે પણ બેંક બચત છે જ એટલે જો સરકાર ઈચ્છે તો તે વ્યાજે માગી શકે છે. ભલે સરકારનું દેવું વધે, ભારત સરકારના આંતરિક દેવાની ચિંતા કરવાની જરૂર છે જ નહિ. એક જાણીતા અર્થશાસ્ત્રી એ.પી. લર્નર તો કહે જ છે કે “આંતરિક દેવું એ દેવું છે જ નહિ” અને તેથી તેની ચિંતા કરવાની જરૂર પણ નથી. પણ સરકાર એમ કરતી નથી એ બતાવે છે કે સરકારનો ઈરાદો જ ગમે તે ભોગે પોતાની મિલકતોનું ખાનગીકરણ કરવાનો છે. જેમ વધુ વિદેશી કંપનીઓ આવશે તેમ વિદેશી દેવું વધશે એ નક્કી છે. તા. ૩૧-૩-૨૦૨૧ના રોજ ભારતનું વિદેશી દેવું ૫૭૦ અબજ ડોલર હતું કે જે ૨૦૧૯માં ૫૪૩ અબજ ડોલર હતું. વળી, રસપ્રદ બાબત એ પણ છે કે ૨૦૨૦-૨૧ના બજેટમાં કેન્દ્ર સરકારની કંપનીઓએ રૂ. ૬.૪૫ લાખ કરોડ આપ્યા હતા. એટલે સરકારી કંપનીઓ બિન-ઉત્પાદક છે એવું કહી શકાય તેમ નથી.
શું સરકાર દેવળિયા થઈ ગઈ છે માટે આ મિલકતો હવે વેચવા કે ભાડાપટે આપવા માટે કાઢવામાં આવી છે? કોરોના કાળ દરમ્યાન રાજકોષીય ખાધ ઘણી વધી છે એ એક હકીકત છે. ચાલુ વર્ષે પણ રૂ. ૧૫ લાખ કરોડની રાજકોષીય ખાધ અંદાજવામાં આવી છે કે જે ગયા વર્ષે લગભગ રૂ. ૧૯ લાખ કરોડની હતી તેવો સુધારેલો અંદાજ છે. એટલે સરકારને આ મિલકતોમાંથી નાણાં ઊભાં થાય તો વધુ દેવું લેવું ના પડે એમ બની શકે. પણ ખાધનો તો તે બહુ જ ઓછો હિસ્સો દૂર કરી શકે તેમ છે. એટલે ખાધ દૂર કરવી છે એ તો મિલકતોનું આ રીતે આંશિક ખાનગીકરણ કરવાનું એક બહાનું લાગે છે. સરકારે બજેટમાં આ વર્ષે રૂ. ૧.૭૫ લાખ કરોડની આવક સરકારી કંપનીઓના શેર વેચાણમાંથી થશે એવો અંદાજ મૂકેલો જ છે. સરકારને હજુ વધારે કેટલું વેચવું છે?
માળખાગત સવલતોમાં શિક્ષણ અને આરોગ્ય ખરું કે નહિ? :
નાણાં પ્રધાન એમ કહી રહ્યાં છે કે દેશમાં જે રૂ. ૧૧૦ લાખ કરોડની માળખાગત સવલતોના વિકાસની યોજના બનાવવામાં આવી છે તેને માટે આ નાણાં ખર્ચવામાં આવશે. આ રકમ રૂ. ૧૦૦ લાખ કરોડની છે એમ હજુ હમણાં જ આઝાદી દિને વડા પ્રધાને તેમના લાલ કિલ્લા પરના ભાષણમાં જાહેર કર્યું હતું. સાચો આંકડો કયો? આ યોજનામાંથી મળનારી રકમ તો કુલ રકમના પાંચ ટકા જેટલી માંડ થાય છે. તો બાકીની રકમ ક્યાંથી આવશે? ભારત સરકારનું ૨૦૨૧-૨૨નું બજેટ તો રૂ. ૩૪.૮૩ લાખ કરોડનું જ છે. એટલે ચાલુ વર્ષ સહિત આગામી બીજાં બે વર્ષનાં બજેટ માત્ર માળખાગત સવલતોના વિકાસ માટે જ વપરાય તો મેળ પડે! એટલે આ રકમ પોતે જ એક જુમલો લાગે છે. વાસ્તવમાં, થોડીક મિલકતો વેચીને કે ૨૫ કે ૫૦ કે ૯૯ વર્ષ જેવા અત્યંત લાંબા ગાળા માટે ભાડાપટે આપીને પૈસા ઊભા કરવામાં આવશે.
માળખાગત સવલતોની વાત કરવામાં આવે છે ત્યારે ટેલિકોમ, રેલવે, રસ્તા અને બંદરો અને વિમાની મથકો વગેરેની જ વાત મોટે ભાગે કરવામાં આવે છે. તેમાં મહદંશે શિક્ષણ અને આરોગ્યની સવલતો વિષેની પ્રાથમિકતા આવતી જ નથી. શું જે રૂ. ૬ લાખ કરોડ ઊભા થશે તેમાંથી દેશની ૬ લાખ શાળાઓને શિક્ષકો સાથે આધુનિક બનાવી શકાય કે નહિ? સરકાર એ માર્ગે વિચારી શકે કે નહિ? એવી એની દાનત છે કે નહિ? સરકારની બજેટની ખાધ આ છ લાખ કરોડ રૂપિયાથી થોડી ઓછી થઈ શકે છે પણ તેથી સામાન્ય લોકોની જિંદગીમાં કશો મોટો તફાવત ઊભો થાય એમ લાગતું નથી.
આ યોજના હેઠળ રસ્તા અને રેલવે વગેરેના કિસ્સામાં જે મિલકતો ભાડે કે ભાડાપટે ખાનગી કંપનીઓને આપવામાં આવે તેમાં તેમનો ઈજારો ઊભો થઈ શકે છે અને તેથી ગ્રાહકોને નુકસાન થઈ શકે છે કારણ કે બજારમાં હરીફાઈનું તત્ત્વ ના હોય તો ગ્રાહકનું શોષણ થાય છે એમ અર્થશાસ્ત્રની સીધી-સાદી માન્યતા છે. આ યોજના માટે કોઈ નિયમનકારી સંસ્થા કે વ્યવસ્થા હજુ સુધી ઊભી કરવામાં આવી નથી અને તે અંગે કોઈ જાહેરાત પણ કરવામાં આવી નથી એ એક હકીકત છે.
મિલકતના મૂલ્યની આકારણીમાં પારદર્શિતા અને પ્રામાણિકતા :
જે મિલકતો તદ્દન બિન-ઉપજાઉ હોય તે ભાડે કે ભાડાપટે અપાય તો તેની સામે વાંધો ના જ હોઈ શકે. જેમ કે મારી પાસે ચાર રૂમનું ઘર હોય અને તેમાં એક રૂમ બહુ વપરાતો જ ના હોય તો હું એક રૂમ ભાડે આપીને તેમાંથી આવક ઊભી કરું. સરકાર પણ આવું કરે તો કશો વાંધો ના હોય. પરંતુ તે કોને, કયા ભાવે, કેટલા સમયગાળા માટે ભાડે અપાય છે તે મહત્ત્વનું બને છે. તેમાં સૌથી મહત્ત્વનો પ્રશ્ન મિલકતોના મૂલ્યની આકારણીનો છે. રૂ. ૧૦૦ કરોડની મિલકતનું ભાડું રૂ. ૧૦ કરોડ આવી શકે તેમ હોય પણ તે રૂ. બે કરોડના ભાડામાં કોઈક દેશી-વિદેશી કંપનીને ખૂબ લાંબા સમયગાળા માટે પધરાવી દેવામાં આવે એમ પણ બની શકે છે. વ્યૂહાત્મક વેચાણ (strategic sale)ને નામે જ્યારે કેટલીક સરકારી કંપનીઓ ખાનગી કંપનીઓને આખેઆખી વેચી દેવામાં આવી ત્યારે આવું બન્યું જ હતું તેમ ભારતનો ખાનગીકરણનો ૧૯૯૧ પછીનો તરતનો ઇતિહાસ બોલે છે. એટલે આ વેચાણમાં પારદર્શિતા અને પ્રામાણિકતા કેટલી રહેશે તે મોટો સવાલ છે. આ માટેની કોઈ જ વ્યવસ્થા આખી યોજનામાં ક્યાં ય દેખાતી નથી.
PPP મોડેલમાં પારદર્શિતાનો અભાવ :
સરકાર એમ પણ કહી રહી છે કે તે PPP (Public Private Partnership) એટલે કે જાહેર ખાનગી ભાગીદારીના મોડેલ પર આ મિલકતો ભાડે કે ભાડાપટે આપશે. જે કંપનીઓ આ મિલકતો ભાડે કે ભાડાપટે લેશે તેઓ નફો કરવાના ઈરાદાથી જ લેશે. કોઈ કંપની ટ્રેન ભાડાપટે લેશે તો એ ટ્રેનમાં થતા પ્રવાસનાં ભાડાં વધશે કે નહિ? જે રેલવે સ્ટેશન ખાનગી કંપની લેશે તે કેવી રીતે એમાંથી નફો કમાશે? એ સ્ટેશનના પ્લેટફોર્મ પર મફત પીવાનું પાણી મળશે કે નહિ? એવું જ રસ્તા માટે પણ થશે. ખાનગી બનેલા રસ્તા પર ટોલટેક્સ કેટલો અને કેટલાં વર્ષો સુધી લાગશે? દેશમાં કેન્દ્ર સરકારે કે રાજ્ય સરકારે જ્યાં પણ PPP મોડેલ પર મિલકતો ભાડે કે ભાડાપટે આપી છે તે મિલકતો પાછી સરકારને માલિકી ધોરણે મળી હોવાનો કોઈ દાખલો જાણમાં નથી. જેમ કે, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે. આ એક્સપ્રેસ વે પરનું ભાડું તો વરસોવરસ વધતું જ જાય છે એ એક હકીકત છે. આ એક્સપ્રેસ વે ક્યારે સરકારની માલિકીનો થવાનો છે?
કંપનીઓ સાથેના આવા PPPના કરારોની વિગતો પણ જાહેર કરવામાં આવતી નથી. વળી, સરકાર પાસે માહિતીના અધિકાર હેઠળ અરજી કરીને પણ આવા કરારોની વિગતો માંગવામાં આવે છે ત્યારે તે આપવામાં આવતી નથી. કેટલાને ખબર છે કે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે જે કંપનીએ બનાવ્યો છે તે રસ્તો ક્યારે સરકારની માલિકીનો બનશે, તેમાં ભાડું ક્યારે ક્યારે કેટલું વધારી શકાય? એટલે સરકાર જ્યારે ખાનગી કંપનીઓ દ્વારા વિકાસનું કામ કરે છે ત્યારે તેમાં પારદર્શિતાનો સદંતર અભાવ રહે છે એ એક સામાન્ય અનુભવ રહ્યો છે. વાત સુશાસનની થાય છે પણ એ ક્યાં ય સમ ખાવા પૂરતું પણ સુશાસન નજરે પડતું નથી. શું સરકાર આ આખી યોજનામાં સરકારી મિલકત કોને, કયા ભાવે અને કેટલાં વર્ષ માટે ભાડે કે ભાડાપટે આપવામાં આવી તે જાહેરખબર આપીને જાહેર કરશે ખરી? સ્વપ્રશસ્તિની મસમોટી જાહેરખબરો આપવામાંથી સરકાર નવરી પડે તો જ તેને આ સૂઝે!
મહ્ત્ત્વનો મુદ્દો એ પણ છે કે ભા.જ.પ.ના લોકો સતત એમ કહી રહ્યા છે કે છેલ્લાં ૭૦ વર્ષમાં દેશમાં કશું થયું જ નથી. જો ખરેખર થયું જ નથી તો જે મિલકતો ઊભી થઈ છે તે કેવી રીતે થઈ કે આજે વેચવા માટે કાઢવામાં આવી છે? વળી, જ્યારે આ મિલકતો ખાનગી કંપનીઓને આપવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તેને માટે કોઈ માપદંડ ઘડવામાં આવ્યો જ નથી અને તેનો શો હેતુ છે તે પણ સ્પષ્ટ નથી. ઉપરાંત, રેલવેની મિલકતો જો ભાડે કે ભાડાપટે આપવાની હોય અને ટ્રેનો કે રેલવે સ્ટેશનો જો ભાડે આપવાનાં હોય તો તે સંબંધમાં રેલવે કર્મચારીઓનાં મંડળો સાથે પણ કોઈ ચર્ચા-વિચારણા કરવામાં આવી નથી.
સરકારી મિલકત એટલે કયા લોકોની મિલકત? :
યાદ રાખો, આ મિલકતો દેશના લોકોના કરવેરા અને લોકોએ સરકારને આપેલા દેવાંમાંથી ઊભી થઈ છે. સરકારની મિલકત એટલે લોકોની મિલકત. જો સરકાર એ મિલકતો ભાડે કે ભાડાપટે આપે તો લોકોને તે મિલકત મળવી જોઈએ. સરકાર લોકોને આ મિલકત પાછી આપવાના રસ્તા શોધી શકે છે પણ તે શોધતી નથી. સરકાર એમ કહી રહી છે કે જે તે ખરીદાર કંપનીએ જે તે મિલકત અમુક સમય પછી સરકારને પાછી આપવાની રહેશે. જો એમ જ હોય તો એનો સમયગાળો કેટલો રહેશે? જે તે મિલકતને વધુ આધુનિક બનાવવાનું કામ સરકાર પોતે કરી શકે છે, પણ સરકાર એમ સમજે છે કે સરકાર પોતે જ બિન-કાર્યક્ષમ છે, સરકાર નકામી છે!
વાસ્તવમાં, સરકારી મિલકત કોના હાથમાં કયા ભાવે, શા માટે અને કેટલા સમય માટે જાય છે તે વધારે મહત્ત્વનું છે. હા, સરકારે ONGC કે IOC વગેરે જેવી અનેક કંપનીઓના શેર અગાઉ વેચ્યા અને હવે LICના પણ વેચવા જઈ રહી છે. એવું ચોક્કસ કહી શકાય કે સરકારની મિલકત લોકોના હાથમાં જ આવી રહી છે. પણ સવાલ એ છે કે આ લોકો કોણ છે કે જેમના હાથમાં સરકારની આ કંપનીઓના શેર આવ્યા છે? દેશમાં શેર બજારમાં રોકાણ કરનારા સક્રિય લોકોની સંખ્યા ત્રણ કરોડથી વધારે તો નથી જ. શું આ રોકાણકારો દેશના સામાન્ય લોકો છે? સામાન્ય લોકોને તો શેર બજાર શું છે એની ખબર સુદ્ધાં નથી. આ રીતે PPP એ ખરેખર તો ઘણી વાર Public Private Patnership રહેતી નથી પરંતુ Private Private Partnership બની જાય છે. બસ, બરાબર આવું જ આ Asset Monetisationનું પણ થશે જ. સરકારની મિલકત થોડા લોકોની કે થોડી કંપનીઓની ખાનગી મિલકત બની રહી છે અને સરકારની આ યોજનાથી એ પ્રક્રિયા વધુ ઝડપી બનશે.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2021; પૃ. 09-11