આપણે મુક્ત વાતાવરણમાં શ્વાસોચ્છ્વાસ લઈ શકીએ એ માટે ઘણા લોકો કિંમત ચૂકવતા હોય છે એની ઘણી વાર તો આપણને જાણ પણ નથી હોતી, પરંતુ જો જાણ થાય તો એની કદર કરતાં શીખવું જોઈએ
ગુલઝાર અને પાકિસ્તાની કવયિત્રી ફહમીદા રિયાઝ
સાહિત્યકારો અને સર્જકોએ વધતીજતી અસહિષ્ણુતા સામે માન-સન્માન પાછાં કરીને અવાજ ઉઠાવ્યો છે એ જોઈને સરકાર અને શાસક સંઘપરિવાર હેબતાઈ ગયાં છે. કેન્દ્રસ્થ અકાદમીના અવૉર્ડ પામેલા થોડાઘણા નહીં, ભારતની વિવિધ ભાષાના ૩૩ જેટલા સાહિત્યકારોએ અવૉર્ડ પાછા કર્યા છે. રાજકીય વિરોધીઓની અને ઝોલાવાલા સેક્યુલર કર્મશીલોની ઉપેક્ષા થઈ શકે છે, પરંતુ સાહિત્યકારોની અવગણના થઈ શકતી નથી. એક તો ૩૩નો આંકડો કોઈ નાનો નથી અને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો અવૉર્ડ મામૂલી નથી. એ જ્ઞાનપીઠ પછીનો બીજા ક્રમનો પ્રતિષ્ઠિત અવૉર્ડ છે અને એ અવૉર્ડ મેળવનારા સાહિત્યકારો માણસ તરીકે ગમે એવા હોય, સર્જક તરીકે પહેલી હરોળના હોય છે. દરેક ભાષાની વિચારનારી અને વાંચનારી પ્રજાનો પોતપોતાની ભાષાના સર્જન અને સર્જકો સાથે અનુબંધ હોય છે. ભારતની ભાગ્યે જ કોઈ મહત્ત્વની ભાષા બચી હશે જેના કોઈ ને કોઈ સર્જકે અવાજ ન ઉઠાવ્યો હોય. આ યાદીમાં છેલ્લે ગુલઝારસાહેબ ઉમેરાયા છે અને યાદી વિસ્તરી રહી છે.
જે લોકો રોજિંદી રાજકીય બાબતોમાં રસ લેતા નથી એવા લોકો જ્યારે મોઢું ખોલે ત્યારે એની ગંભીરતા વધી જતી હોય છે. લોકોને સમજાવા લાગે છે કે જરૂર ક્યાંક કશુંક ખોટું થઈ રહ્યું છે. શું બની રહ્યું છે એની જો લોકોને આછીપાતળી જાણ હોય તો એની ગંભીરતા સમજાવા લાગે છે. વળી એ તો દેખીતી વાત છે કે પ્રજા સાવધાન થવા લાગે એ શાસકોને ગમતું નથી. ડર રાજકીય હરીફોનો નથી હોતો, એની સાથેનાં રાજકીય સમીકરણો પરસ્પરના સ્વાર્થ મુજબ બદલાતાં રહે છે. ડર પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ્સનો કે કર્મશીલોનો પણ ખાસ નથી હોતો, કારણ કે તેમનું તો કામ જ ઊહાપોહ કરતા રહેવાનું છે. એ અસંતુષ્ટ જમાત છે જે સંતાપ વ્યક્ત કર્યા કરે છે અને તેમના સંતાપમાં ઘણી વાર તટસ્થતા પણ નથી હોતી, પરંતુ એ સંતાપનો સૂર જ્યારે સર્જક કાઢતો થઈ જાય ત્યારે એની ગંભીરતા વધી જતી હોય છે.
સર્જક અને ભાવકનો તાર એવો કોઈક રહસ્યમય રીતે જોડાયેલો હોય છે કે એની અવગણના થઈ શકતી નથી. એટલે જો તમે વીતેલી સદી પર અને સમકાલીન યુગ પર નજર કરશો તો ધ્યાનમાં આવશે કે જગતભરમાં સરમુખત્યારોએ અને જુલમી શાસકોએ સૌથી વધુ જુલમ સર્જકો પર કર્યા છે. જે રાજકીય હરીફ છે અને સત્તાનો દાવેદાર છે એના કરતાં પણ વધુ જુલમ સર્જકો પર ગુજારવામાં આવે છે, કારણ કે પેલો આંખ ખોલી આપવાનો ગુનો કરે છે અને એ પણ રહસ્યમય સર્જનાત્મકતા સાથે. ફાસીવાદ વિશેનાં દસ પુસ્તકો જે ન કહી શકે એ ચાર્લી ચૅપ્લિનની એક નાનકડી મૂંગી ફિલ્મ ‘ધ ગ્રેટ ડિક્ટેટર’ કહી શકે. ૨૦મી સદીના મહામેધાવી બટ્રાર્ન્ડ રસેલની ઉપેક્ષા થઈ શકે, પરંતુ અલ્પશિક્ષિત ચાર્લી ચૅપ્લિન વધારે મોંઘા પડે. આ સર્જક અને ભાવક વચ્ચેના અનુબંધનો તાર અત્યંત રહસ્યમય હોય છે અને ખબર નહીં કેટલો પણ કલ્પના બહારનો વિસ્ફોટક હોય છે. એટલે તો પાબ્લો નેરુદા, ચાર્લી ચૅપ્લિન, ઍલેક્ઝૅન્ડર સોલ્ઝેનિત્સિન, ઍન્ડ્રેઇ તાર્કોવ્સ્કી, ઝફર પનાહી, એમ. એફ. હુસેન જેવા સર્જકોને હેરાન કરવામાં આવ્યા છે કાં દેશવટો આપવામાં આવ્યો છે.
ફહમીદા રિયાઝ નામની પાકિસ્તાની કવયિત્રીએ માત્ર બસો શબ્દોમાં એક કવિતા રચીને આપણને એવી શિખામણ આપી છે જે આ લખનાર સંખ્યાબંધ લેખોમાં પણ કહી શક્યો નથી. ખાસ આપણા માટે હિન્દુસ્તાની ભાષામાં લખાયેલી કવિતા કહે છે:
તુમ બિલકુલ હમ જૈસે નિકલે, અબ તક કહાં છુપે થે ભાઈ
વહ મૂરખતા, વહ ધામડપન (ફૂવડપણું), જિસમેં હમને સદી ગંવાઈ
આખિર પહૂંચી દ્વાર તુમ્હારે, અરે બધાઈ! બહુત બધાઈ!
ભૂત ધરમ કા નાચ રહા હૈ
કાયમ હિન્દુ રાજ કરોગે?
સારે ઉલ્ટે કાજ કરોગે?
અપના ચમન તારાજ કરોગે?
તુમ ભી બૈઠે કરોગે સોચા,
પૂરી હૈ વૈસી તૈયારી
કૌન હૈ હિન્દુ કૌન નહીં હૈ, તુમ ભી કરોગે ફતવે જારી
વહાં ભી મુશ્કિલ હોગા જીના, દાંતોં આ જાએગા પસીના
કુછ ભી નહીં પડોસ સે સીખા? ક્યા હમને દુર્દશા બનાઈ
કુછ ભી તુમકો નઝર ન આયી?
(આ તો એ કવિતાનો અંશ છે. આખી કવિતા ઇન્ટરનેટ પર જોવા મળશે અને એ વાંચવા જેવી છે)
આ ફહમીદા રિયાઝે પણ અંતરાત્માને જાગતો રાખવાની કિંમત ચૂકવી છે. જેના વિશે આપણને ચેતવણી આપવામાં આવી છે અને જેણે ઝનૂની ઇસ્લામિસ્ટોને છૂટો દોર આપ્યો હતો એ જનરલ ઝિયા ઉલ હકના સમયમાં તેમણે દેશવટો ભોગવવો પડ્યો હતો. ૧૯૮૧થી ૧૯૮૮માં જનરલ ઝિયા ઉલ હકનું રહસ્યમય મૃત્યુ થયું ત્યાં સુધી ફહમીદા રિયાઝ દિલ્હીમાં રહેતાં હતાં. એક સરમુખત્યારને એક કવિયત્રીનો ડર લાગતો હતો. ગૂંગળામણની ભાષા હોય છે જે સર્જકો આબાદ પકડી પાડતા હોય છે. તેમનો અવાજ સરમુખત્યારોના પ્રચંડ અવાજ કરતાં અનેકગણો બુલંદ હોય છે.
આપણે મુક્ત વાતાવરણમાં શ્વાસોચ્છ્વાસ લઈ શકીએ એ માટે ઘણા લોકો કિંમત ચૂકવતા હોય છે એની ઘણી વાર તો આપણને જાણ પણ હોતી નથી, પરંતુ જો જાણ થાય તો એની કદર કરતાં શીખવું જોઈએ.
ને જાણ પણ હોતી નથી, પરંતુ જો જાણ થાય તો એની કદર કરતાં શીખવું જોઈએ.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 27 અૉક્ટોબર 2015
http://www.gujaratimidday.com/features/columns/creators-sound-are-much-more-audible-than-dicttor