ગંગામુક્તિ માટે ૧૧૧ દિવસ ઉપવાસ કરીને પ્રાણ સમર્પિત કરનારા પ્રા. જી.ડી. અગ્રવાલને અંગત રીતે ઓળખવાનું સદ્ભાગ્ય મને મળ્યું હતું. પર્યાવરણને લાગેવળગે છે ત્યાં સુધી પર્યાવરણ માટે સરોકાર ધરાવનાર આખું જગત તેમને જાણે છે. પર્યાવરણ વિશે ઊહાપોહ કરનારા અને પેપર રજૂ કરનારા વિદ્વાનો તો જગતમાં ઘણા છે; પરંતુ જી.ડી. અગ્રવાલ પર્યાવરણ સારું સતત ઝઝુમતા હતા, તે ત્યાં સુધી કે તેમણે સન્યાસ લીધો હતો. મેં એકવાર તેમને સન્યાસ લેવાનું કારણ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ‘તેઓ રૂઢ અર્થમાં મોક્ષાર્થી નથી, ઈશ્વરપ્રાપ્તિ માટે બીજા જેમ સન્યાસ લે છે એવી કોઈ ભાવના નથી. મેં સન્યાસ લીધો એનું કારણ ગંગા છે. પ્રજા જો ભગવા કપડાંધારી સાધુની વાત સાંભળતી હોય અને ગંગાને બચાવતી હોય તો હું સંસાર છોડવા પણ તૈયાર છું.’ સન્યાસ લીધા પછી તેઓ સ્વામી જ્ઞાનસ્વરૂપાનંદ તરીકે ઓળખાતા હતા. જો કે જગત તો તેમને દંતકથારૂપ પ્રો. જી.ડી. અગ્રવાલ તરીકે જ ઓળખે છે અને ઓળખતું રહેશે. તેમનું યોગદાન અને ઊહાપોહ ભૂલાવાના નથી.
પ્રો. જી.ડી. અગ્રવાલે ગંગાને બચાવવા પહેલાં સંસાર છોડ્યો અને હવે દેહ છોડ્યો, પણ પ્રજાને કોઈ ફરક પડ્યો નથી. ભારતના બહુમતી હિન્દુઓ ગંગાને કે હિમાલયને પ્રેમ કરે છે અને સાધુની વાત સાંભળે છે એ તેમનો ભ્રમ હતો, જે તેમના પ્રાણાર્પણ દ્વારા સાચો ઠર્યો છે. ગંગાનો ખપ તો ભારતની હિન્દુ પ્રજાને પાપ ધોવા ડૂબકી મારવા પૂરતો છે કે જેથી નવેસરથી પાપ કરી શકાય. બીજો ખપ હિન્દુ હોવાના ગૌરવના દેખાડા માટેનો છે. આ વિકૃતિ હમણાં હમણાંની છે. હિન્દુ પ્રજા જ્યારે ખરેખર ઈશ્વરપરાયણ હતી ત્યારે નહોતી તે ગંગાને આજ જેટલી અશુદ્ધ કરતી કે નહોતી ગંગાનું રાજકારણ કરતી.
૧૯૩૬ની સાલમાં હિન્દી સાહિત્યકાર મુન્શી પ્રેમચંદે ‘સાંપ્રદાયકતા ઔર સંસ્કૃિત’ નામના તેમના નિબંધમાં કહ્યું હતું કે કોમવાદને પોતાનાં અસલી ચહેરા અને વસ્ત્ર સાથે જાહેરમાં બહાર નીકળતાં શરમ આવે છે એટલે તે સંસ્કૃિતનાં વસ્ત્રો ધારણ કરે છે. ગંગા, હિમાલય, વેદ, ઉપનિષદ, કાશી, મથુરા, મઠો, મંદિરો વગેરે હિન્દુ કોમવાદનાં સાંસ્કૃિતક પ્રતીકો માત્ર છે. કોમવાદે ઘરની બહાર નીકળવા માટે અને સારા દેખાવા માટે ધારણ કરેલા વસ્ત્રો માત્ર છે. પ્રો. જી.ડી. અગ્રવાલ ભ્રમમાં હતા કે તેમનું ગાંધીજીની બરાબરીનું, સો ટચનું સાધુત્વ જોઇને પ્રજા તેમની વાત સાંભળશે અને ગંગાને બચાવવા બહાર પડશે. જો તેમણે ત્રિશૂળ હાથમાં લઈને રામલીલા મેદાનમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃિતને બચાવવા વિધર્મીઓને લલકાર્યા હોત, તો જરૂર પ્રજાએ તેમની વાત સાંભળી હોત. તેઓ ફાઈવ સ્ટાર આશ્રમના માલિક હોત અને અબજો રૂપિયાની દવાઓ અને અગરબત્તીઓ વેચતા હોત.
પ્રજા બિચારી ભોળી હોય છે અને ભક્તો ગમાર હોય છે. કોમવાદી રાજકારણીઓના અને ગમાર ભક્તોના સાંસ્કૃિતક ગોકીરામાં સ્વામી જ્ઞાનસ્વરૂપાનંદની વાત લોકો સુધી પહોંચી જ નહીં. તામસ સામે સત્ત્વનો પરાજય થયો એમ જ કહેવું રહ્યું. પ્રજાને એ ખબર નહોતી કે પ્રો. જી.ડી. અગ્રવાલ કોણ હતા? તેમને એ વાતની પણ જાણ નહોતી કે જગતમાં તેમનું શું સ્થાન હતું. તેમને એ વાતની પણ જાણ નહોતી કે છેલ્લા ઉપવાસ કરીને પ્રાણ સમર્પિત કરનારા જી.ડી. અગ્રવાલે ગંગાને બચાવવા કેટલો સંઘર્ષ કર્યો હતો. પ્રજાને એ વાતની પણ જાણ નહોતી કે તેમનું દિલ જીતવા તેમણે સંસારત્યાગ કરીને ભગવાં ધારણ કરી લીધા હતાં. તેમને એ વાતની પણ જાણ નહોતી કે પ્રો. જી.ડી. અગ્રવાલ ત્રણ મહિનાથી ઉપવાસ પર બેઠા છે. તેમણે પ્રાણ ત્યાગ કર્યો એ પછી પ્રજાને જાણ થઈ કે આવો કોઈ સાધુ આપણી વચ્ચે હતો. તેમના નિધનથી ગ્લાનિ કેટલાને થઈ હશે એ વિશે આજના સાંસ્કૃિતક તામસ યુગમાં મને શંકા છે. કાશીમાં ગંગા નદીમાં ડૂબકી લઈને પાપ ધોનારા, તેમાં જ લઘુશંકા કરનારા, તેમાં જ ગંદાં કપડાં ધોનારા અને એ પછી સાંજે ગંગાઆરતી જોઇને મહાન હિન્દુ સાંસ્કૃિતક વારસાથી ગદગદિત થઈ જનારા હિન્દુઓને મેં અનેકવાર સગી આંખે જોયા છે.
ગંગાને સાફ કરવાની શી જરૂર છે જ્યારે ગંગાઆરતી ભોળા હિન્દુને ગદગદિત કરવા માટે પર્યાપ્ત છે. આજકાલ હિમાલયથી લઈને ગંગાસાગર સુધી ઠેકઠેકાણે ગંગાઆરતી થવા લાગી છે. મુન્શી પ્રેમચંદે કહ્યું હતું એમ કોમવાદનો એ સાંસ્કૃિતક ચહેરો છે. વસ્ત્ર છે અને પ્રજા મસ્ત છે. બીજી બાજુ કોર્પોરેટ કંપનીઓ, કોન્ટ્રાક્ટરો, પર્યટનનો ધંધો કરનારાઓ અને રાજકારણીઓ હિમાલય અને તેમાંથી નીકળતી નદીઓને ખેદાન-મેદાન કરી રહ્યા છે. ૨૦૧૩ની કેદારનાથની ઘટના પછી પણ કોઈ ફરક પડ્યો નથી. એ પૂરનાં દ્રશ્યો જ્યારે યુ ટ્યુબ પર જોયાં ત્યારે દૂર મુંબઈમાં બેસીને હાજા ગગડી ગયાં હતાં. કેવાં એ વિનાશક પૂર હતાં! પાંચ હજાર કરતાં વધુ લોકો માર્યા ગયા અને સાડા ચાર હજાર ગામડાંને તેની અસર થઈ હતી. હિમાલય અને હિમાલયમાંથી નીકળતી નદીઓ સાથે ચેડાં કરવામાં ન આવે એવી ભલામણ કરતા અનેક અહોવાલો કેદારનાથની ઘટના પહેલાં સરકાર પાસે હતા અને ઘટના પછી હજુ વધુ આગ્રહપૂર્વક ભલામણ કરનારા અહેવાલો આવ્યા છે.
આમ છતાં કોઈ ફરક નથી પડતો. હિમાલય અને નદીઓનું જે થવું હોય એ થાય ખેદાન-મેદાન કરવામાં અબજોની પાણ છે. બીજી બાજુ પર્યાવરણ-સંરક્ષણનો ધંધો પણ અબજો રૂપિયાનો છે. ગંગાશુદ્ધિકરણ યોજના, બીજી નદીઓના શુદ્ધિકરણની યોજનાઓ, હિમાલય સંરક્ષણ યોજના, પ્રજાના પર્યાવરણ-પ્રશિક્ષણ યોજના જેવી અનેક યોજનાઓ છે જે અબજો રૂપિયાની છે. અબજો રૂપિયાનો ઘંધો હિમાલય અને ગંગાને તમાચો મારવાનો અને બીજો અબજો રૂપિયાનો ધંધો ગાલ પંપાળવાનો. બન્ને હાથમાં લાડુ. મુન્શી પ્રેમચંદે જે કહ્યું છે એમાં હું ઉમેરો કરવા માગું છું. સંસ્કૃિત જેમ કોમવાદને ઢાંકવાનું વસ્ત્ર છે એમ વિકાસ એ કુદરત સાથે ચેડાં કરીને લૂંટવાનું વસ્ત્ર છે. એટલું જ નહીં, એ બન્ને પરસ્પરને પોષે છે. ગંગા સાથે ચેડાં કરવા માટે ગંગાઆરતી ક્લોરોફોમનું કામ કરે છે.
ગંગામાં પેશાબ કરી લીધા પછી ગંગાઆરતી જોઇને ગદગદિત થઈ જનારો હિન્દુ જ્યાં સુધી અસ્તિત્વ ધરાવે છે અને સ્વામી જ્ઞાનસ્વરૂપાનંદની જગ્યાએ ત્રિશૂળધારી બાબાઓ હિન્દુ ધર્મના ઠેકેદારો બનીને વિહરે છે ત્યાં સુધી જ્ઞાનસ્વરૂપાનંદોએ બલિદાન આપવું પડશે. આ કિંમત છે જે સાચા માણસોએ ચૂકવવી પડતી હોય છે. ત્રિશૂળધારી બાબાઓ પણ હિમાલયમાં ફાઈવ સ્ટાર આશ્રમો ધરાવે છે અને હિમાલયને તેમ જ નદીઓને ખેદાન-મેદાન કરી રહ્યા છે.
અંતે એક જ વાત કહેવાની. કુદરતની લાત આકરી હોય છે. જો પ્રો. ડી.જી. અગ્રવાલની વાત કાને નહીં ધરો તો કુદરત પોતાનો રસ્તો કરી લેશે. દર વરસે પોતાનો કોપ પ્રગટ કરીને કુદરત સંકેત આપી જ રહી છે, બસ હવે ઘણું થયું.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 14 અૉક્ટોબર 2018