મારું મન્તવ્ય છે કે વ્યક્તિઓ કોમો વર્ણો વર્ગો, સહજતા કે માનવ્યથી નથી જોડાયેલાં એટલાં ભેદો અને ભેદભાવથી જોડાયેલાં છે – ડિફરન્સિસ હૅવ મેડ ધ સોશ્યલ ફાઇબર.
અને, મારું બીજું મન્તવ્ય છે કે એ ફાઇબર સહજ સ્પર્શના આપ-લેની ઓછપને કારણે નબળાથી વધારે નબળો પડી રહ્યો છે.
સમાજવ્યાપી એ ભેદબુદ્ધિનાં મૂળ ક્યાં પડેલાં છે? આગળની સદીઓમાં અને અનુવર્તી દાયકાઓમાં.
ભૂતકાળમાં હિન્દુ અને મુસ્લિમ તેમ જ હિન્દુ અને ખ્રિસ્તી પ્રજાસમૂહો વચ્ચે જેટલા કંઈ સંઘર્ષ થયા તેની સ્મૃતિ, સવર્ણો અને દલિતો વચ્ચે ભૂતકાળમાં જે ઘટનાઓ ઘટી એ ઇતિહાસોની સ્મૃતિ, બન્ને, હજી પણ નષ્ટ નથી થઈ. એ દર્દભીની યાદો રહી જ ન હોય, ભુંસાઈ ગઈ હોય, એ હદની સમરસતા હજી સિદ્ધ નથી થઈ.
સમરસતાના વિષયમાં, રાજકીય ઇચ્છાશક્તિ પોતાની ભૂમિકાએથી સક્રિય રહેતી હોય; સામાજિક સંગઠનો શક્ય મથામણ કરતાં હોય; એ સ્વરૂપના બાહ્ય બધા જ ઇલાજોને સલામ ભરીએ.
તેમ છતાં, એ ટ્રૉમા હજી છે. એમાંથી બહાર આવીને આ સમાજ સાવ સાજો નથી થઈ શક્યો. સામાન્યપણે કહી શકાય કે એક મુસ્લિમનાં અમસ્તાં દર્શન થકી – અંગ્રેજીમાં કહેવાય કે વિથ એ ગ્લિમ્પ્સ ઑફ હિમ – સરેરાશ હિન્દુના મનમાં સુષુપ્ત અણગમો સળવળે છે. એ જ ઢબે, મુસ્લિમના મનમાં પણ હિન્દુ માટે અણગમો જ સંભવે છે. આ હકીકત છે અને એને હું એટલા માટે પણ ધ્યાનપાત્ર ગણું છું કે એ અણગમાને સચેત કરીને કોમોને અવારનવાર અથડાવી મારવામાં આવે છે.
બાકી, સમાજની એ રુગ્ણ અવસ્થાને નૃવંશવિજ્ઞાન અને મનોવિજ્ઞાન ઐતિહાસિક ટ્રાન્ઝિટ કહીને ચૂપ રહી જાય છે. અસ્તિત્વવાદી ફિલસૂફ જીવનની કોઈપણ વાતની આરપાર જોઈને કહેતો હોય છે એમ આ પરત્વે પણ કહેવાનો કે બધું મીનિન્ગલેસ છે – ઍબ્સર્ડ, ભૂલી જા.
જ્ઞાનીઓ-વિજ્ઞાનીઓ પાસેથી એવા ખુલાસા ભલે મળી શકે, જેમ રોગીને લાઇલાજ દાક્તર પાસેથી મળતા હોય છે, પણ એથી વર્તમાનમાં કશો સુખદ ફર્ક નથી પડતો. રોગી તો એટલી જ રાહ જુએ છે કે – ક્યારે બેઠો થઈ શકું …
તાત્પર્ય એ છે કે આવી નાજુક બાબતમાં ઍપિસ્ટીમોલૉજિકલ ઍક્સ્પ્લેનેશન્સ નહીં પણ ઑન્ટોલૉજિકલ ડિસ્ક્રીપ્શન્સ મદદ કરી શકે. દાખલા તરીકે, ફિઝિક્સ કહે છે કે સ્પર્શેન્દ્રિય શરીર તેમ જ ચિત્ત બન્ને સ્તરે આપણું રક્ષણ કરે છે અને હું જેને સહજ પ્રેમ વ્હાલ વાત્સલ્ય કે ભેટવાનું કહું છું એ તમામ નૉન-સૅક્સ્યુઅલ ક્રિયાઓ ‘ઑક્સિટોન’ નામનું ‘બૉન્ડિન્ગ હૉરમોન’ પ્રગટાવે છે, જે ‘સ્ટ્રેસ હૉરમોન્સ’-ને ઘટાડી નાખે છે. આવી જાણકારીથી અમુક લોકો જરૂર પ્રેરાતા હોય છે.
SOCIAL FIBER
Pic Courtesy : Screen -Shot
બાકી, આપણા સૌના અનુભવની વાત છે કે સ્પર્શથી વ્યક્તિ હૂંફ અનુભવે છે, એને પોતાનું કોઈક તો છે એવી પ્રતીતિ થાય છે, કેમ કે એકલતા આ સંસારમાં માણસનો મહા શત્રુ છે.
નહિતર, એવા દાખલા નૉંધાયા છે કે સ્પર્શનાં ઉક્ત પરિણામોથી વંચિત રહી ગયેલી વ્યક્તિઓ ન તો પોતાને મદદ કરી શકતી હોય છે, ન તો સામાને. એથી ઊલટું, પ્રેમનાં એ પીયૂષ પીને મોટી થયેલી વ્યક્તિઓનાં આસપાસમાં વર્તન સરળ અને સંતુલિત હોય છે. ઉપરાન્ત, કો’ક શુભ ઘડીએ એમનામાં સમાજપરક મનોભાવ ઝંકૃત થાય છે અને એમને વિકાસને માર્ગે દોરે છે.
પરમ્પરાગત કુટુમ્બોમાં એ સ્પર્શનું હોવું, ન-બરાબર હોય છે એ તો ખરું જ પણ, ઊલટું એને ત્યાજ્ય મનાય છે. સાંભળવા મળે છે – અરેરે, એક પથારીમાં બાપ જોડે જુવાન દીકરીથી સુવાય ! ઘરડેરા તો એમ ક્હૅવાના – એવી જરૂર શાને ભઈલા? એક જ દલીલ જુદા જુદા શબ્દોમાં રજૂ થયા કરે છે – અન્તર રાખવાનું – મલાજો સચવાવો જોઈએ – સંસ્કાર કેળવાવા જોઈએ – ધરમકરમ હચવાવાં જોઈએ. કો’ક જુવાનિયો એમ પણ કહે છે – દેવતા ને ઘી આઘાં જ સારાં.
જુવાનિયાનું એ કહેણ મને નૉંધપાત્ર લાગે છે. કેમ કે એમ કહીને એણે સહજ સ્પર્શને ત્યાજ્ય ગણવા પાછળ સૂતેલી ખરી બીક તરફ ઇશારો કરી દીધો.
સમજીએ કે સંસ્કારપરક એ વ્યવસ્થાથી પ્રાપ્ત શું થાય છે – એક સ્વરૂપનાં રાખરખોપાં – એક જાતની વિશ્વસનીયતા – એક ખાતરી કે કશું અઘટિત નહીં થાય. પણ એ કેળવેલું અન્તર, સ્પર્શનો અભાવ, વ્યક્તિના મનને એની જાણ બહાર જેની સાથે જોડી રાખે છે એ તો છે, વાસના, જાતીયતા કે સૅક્સ !
એ વ્યવસ્થા, સમજાશે કે ઉપર ઉપરનું ઢાંકણ છે, દમ્ભની ચાદર છે. પૈતૃક વર્ચસ્ હેઠળ વિકસેલી પરમ્પરાગત સંસ્કૃતિઓમાં એવી અનેક ચાદરો વણાઈ છે, અને પુરુષપ્રધાન સમાજોએ એને સાચવી છે, જરૂરતે જરૂરતે વાપરી છે.
એ ચાદર ખસી જાય, ઢાંકણ ખૂલી જાય, ત્યારે સમક્ષ થાય છે, વ્યક્તિ, કુટુમ્બ કે સમાજનું નગ્ન સ્વરૂપ. એ વિશે, હવે પછી.
(ક્રમશ:)
(March 7, 23 : A’vad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર