૧૯મી સદીમાં જ્યારે સમાજવાદી વિચારધારાના અંકુર ફૂટ્યા, એ વિચાર વ્યાપક સ્વીકાર પામવા લાગ્યો અને ૧૯૧૭માં રશિયામાં સામ્યવાદી ક્રાંતિ થઈ, ત્યારે સામે પક્ષે દલીલ કરવામાં આવી કે મૂડીવાદના પાયામાં વ્યક્તિનો સ્વાર્થ છે અને સ્વાર્થમાં સમજદારી હોય છે. માણસ પોતાનું કલ્યાણ જુએ છે અને શક્ય એટલા લાંબા સમય સુધી પોતાનું કલ્યાણ જળવાઈ રહે એવો તે પ્રયત્ન કરે છે. તે મુર્ઘીનાં ઈંડાંથી સંતોષ માનશે, ઈંડાં દેનારી મુર્ઘીને ખાઈ નહીં જાય. તે મુર્ઘીનું પોષણ પણ કરશે. ટૂંકમાં તે પોતાના લાંબા ગાળાના સ્વાર્થ માટે બીજાનું શોષણ કરશે તો સાથે પોષણ પણ કરશે. તેઓ બીજી દલીલ એ કરતા હતા કે સ્વાર્થ માણસને ઉદ્યમશીલ બનાવે છે. માણસ પોતાનાં પેટ માટે અને સુખાકારી માટે દોડતો રહે છે. સમાજવાદમાં સરકારી અંકુશોના કારણે અને વ્યક્તિ પાસે મહેનત કરવા માટે ખાસ કોઈ અંગત કારણ હોતું નથી એટલે ઉત્પાદકતા ઘટે છે. એની રેન્ડ નામની એક જમાનાની ખ્યાતનામ રશિયન લેખિકાએ તો ‘ધ વર્ચ્યુ ઓફ સેલ્ફીશનેસ’ નામનું સ્વાર્થનો મહિમા કરનારું પુસ્તક લખ્યું હતું અને ખૂબ વખણાયું હતું.
૧૯૯૦નાં વર્ષોમાં પહેલાં પૂર્વ જર્મનીમાં, એ પછી પૂર્વ યુરોપના બીજા દેશોમાં અને છેવટે રશિયામાં સામ્યવાદનું પતન થયું ત્યારે તેને સ્વાભાવિક માનવામાં આવ્યું હતું. સ્વાર્થ એટલે કે સ્વનું હિત એ પ્રચંડ ચાલકબળ છે અને એ જ ઉદ્યમ અને ઉત્પાદકતાનું કારણ છે. માટે સામ્યવાદના પતનને મૂડીવાદીઓએ મૂડીવાદના વિજય તરીકે ઓળખાવ્યો હતો. ફ્રાન્સીસ ફૂકુયામા નામના સાંપ્રત યુગના ખ્યાતનામ સમાજશાસ્ત્રીએ તો ‘એન્ડ ઓફ હિસ્ટરી’ની ઘોષણા કરી દીધી હતી. હવે વાદ-પ્રતિવાદ અને એમાંથી સર્જાતા નવા વાદ અને ફરી નવા વાદ સામે પ્રતિવાદના સદીઓથી ચાલ્યા આવતા ઐતિહાસિક ક્રમનો અંત આવશે. એન્ડ ઓફ હિસ્ટરી દ્વારા તેઓ એમ કહેવા માગતા હતા કે મૂડીવાદનો અંતિમ વિજય થઈ ચુક્યો છે અને હવે તેની સામે પ્રતિવાદની કોઈ સંભાવના બચી નથી.
પણ અત્યારે મૂડીવાદનો જે ચહેરો નજરે પડી રહ્યો છે એ જોઇને હવે ફ્રાન્સીસ ફૂકુયામાં કહે છે કે મૂડીવાદના ઈલાજ તરીકે સમાજવાદ પાછો આવશે. હિસ્ટરીનો અંત નહીં આવે. એની રેન્ડનું ૧૯૮૨માં અવસાન થયું હતું. તેઓ જો અત્યારે હયાત હોત તો તેઓ સ્વાર્થનો મહિમા કરવા માટે શું કહેત એ કલ્પનાનો વિષય છે.
કેવો છે મૂડીવાદનો સાંપ્રત ચહેરો? એવું શું નજરે પડી રહ્યું છે જેની એની રેન્ડ, ફૂકુયામાં અને તેમના જેવા બીજા જમણેરી વિચારકોએ અને અર્થશાસ્ત્રીઓએ કલ્પના કરી નહોતી? રીઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને એક પુસ્તક લખ્યું છે જેનું શીર્ષક છે: ‘સેવ કેપીટાલીઝમ ફ્રોમ કેપીટાલીસ્ટ.’
મૂડીવાદના બે વરવા ચહેરા છે જેની કલ્પના તેમણે કરી નહોતી. સમાજવાદ / સામ્યવાદમાં રાજ્ય અર્થતંત્ર પર કબજો કરે છે અને પરિણામે ઉત્પાદકતાને હાની પહોંચાડે છે એનો અનુભવ જગતે વીતેલી સદીમાં કર્યો હતો. અત્યારે બીજા છેડાનો અનુભવ થઈ રહ્યો છે. મુઠ્ઠીભર મૂડીપતિઓએ રાજ્ય પર કબજો કર્યો છે જે આર્થિક સમાનતા તો બાજુએ રહી મૂડીની વહેંચણી, રોજગારી અને લોકકલ્યાણને હાનિ પહોંચાડે છે. તેઓ સરકારી સંસાધનોને લૂંટે છે અને પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. પોતાનો સ્વાર્થ લાંબાગાળા સુધી જળવાઈ રહે એ માટે મૂડીવાદીઓ શિક્ષણ અને આરોગ્ય જેવી લોકકલ્યાણની પવૃત્તિ માટે રૂપિયા ખર્ચશે એમ જે માનવામાં આવતું હતું એની જગ્યાએ ઊલટું થઈ રહ્યું છે. તેમણે લોકકલ્યાણની પ્રવૃત્તિને જ ધંધામાં ફેરવી નાખી છે. શિક્ષણ અને આરોગ્ય ધંધાનો વિષય બની ગયા છે. સરકારે લોકકલ્યાણનાં પ્રયાસો છોડી દીધા છે અને તેને મૂડીપતિઓને ધંધો કરવા માટે આપી દીધા છે. મધ્યકાલીન યુરોપમાં રાજ્ય (શાસન /શાસકો) જે રીતે ચર્ચ સામે લાચાર હતું એમ અત્યારે મૂડીપતિઓ સામે લાચાર છે.
મૂડીપતિઓને હવે શોષણ અને લૂંટ સામે પ્રજાકીય વિદ્રોહ કે વિસ્ફોટનો ડર નથી રહ્યો એ સાંપ્રત મૂડીવાદનું બીજું પાંસુ છે. તેમણે શાસક (રાજકીય પક્ષો અને નેતાઓ), પ્રશાસન (પોલીસ ન્યાયતંત્ર વગેરે) અને મીડિયા દ્વારા લોકમાનસ પર કબજો કરી લીધો છે. વ્યાપક ઊહાપોહ કરવા માટે કોઈ જગ્યા જ રહેવા દીધી નથી. નેતા-શાસક, પોલીસ, જજ અને પત્રકાર એમ ચારેય ખિદમતમાં હોય તો ડરવાપણું ક્યાં રહ્યું? હવે હળવે હળવે, આંચકો ન લાગે એમ, સંપત્તિનો સંગ્રહ નજરમાં ન આવે એમ, બધું ધીરેધીરે કરવાની જરૂર નથી. હવે માનવતાવાદી દેખાવા માટે એક હિસ્સો ગરીબો માટે દાનરૂપે કાઢવાની જરૂર નથી. હવે સમાજવાદની તુલનામાં મૂડીવાદ કેટલો દેશ માટે ઉપયોગી નીવડી શકે એમ છે અને સમાજવાદ કેટલો નુકસાનકારક છે એની દલીલો પેશ કરવાની જરૂર નથી.
શાસકો ભડવીર હોવાનો દેખાવ એટલા માટે કરે છે કે શાસકો લાચાર છે અને ભડવીર હોવાના દેખાવ દ્વારા તેઓ પોતાની લાચારી છૂપાવે છે. તમે કદાચ નોંધ્યું હશે કે જગત આખામાં સમાજવાદ, મૂડીવાદ, વિકાસ, પર્યાવરણને બહુ નુકસાન ન પહોંચાડે એવો સંતુલિત તેમ જ ચિરંજીવ વિકાસ, વિકસિત દેશો, વિકાસશીલ દેશો, ગરીબ દેશો અને તેનાં પ્રશ્નો તેમ જ જવાબદારીઓ, સંપત્તિની ન્યાયી વહેંચણી, કલ્યાણરાજ વગેરે પ્રજાકીય સરોકારના પ્રશ્ને કોઈ ચર્ચા જ નથી થતી. તેની જગ્યાએ સર્વત્ર દેશપ્રેમ, રાષ્ટ્રવાદ, મહાન પરંપરા, જે તે ધર્મની કે વંશની તેમ જ તે પ્રજાની સર્વોપરિતા, ઇતિહાસનાં હિસાબકિતાબ, રુદન અને લલકાર વગેરે ચાલી રહ્યું છે. અને આવું અલગ અલગ સ્વરૂપમાં જગત આખામાં ચાલી રહ્યું છે.
લાંબાગાળાનું હિત જોનારો સ્વાર્થ સ્વભાવત: સંયમી અને વિવેકી હોય છે એવું જમણેરી અર્થશાસ્ત્રીઓ આપણને જે સમજાવતા હતા એ વાત ખોટી સાબિત થઈ છે. મૂડીવાદનો આજે જે ચહેરો નજરે પડી રહ્યો છે એ ભૂખાળવો છે અને અધીરો છે. મૂડીવાદના કેન્દ્રમાં ઉત્પાદકતા હોય છે, પણ અત્યારના મૂડીવાદના કેન્દ્રમાં ઉત્પાદકતા નથી, ઊઘાડી લૂંટ છે. આપનારાઓને, આપનારાઓ અને લેનારાઓ પર નજર રાખનારાઓને અને ન્યાય કરનારાઓને મેનેજ કરી લેવામાં આવ્યા છે. હવે બોલનારાઓની કે ઊહાપોહ કરનારાઓની ચિંતા કરવાની જરૂર નથી. તેમનો અવાજ લોકો સુધી નહીં પહોંચે અને લોકો પાછા સોશ્યલ મીડિયા પર વ્યસ્ત છે મસ્ત છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી.
પણ સમાજ સ્વભાવત: પરિવર્તનશીલ હોય છે. આનો પણ અંત આવશે, પરંતુ એ અંત ક્યારે આવશે, કોના દ્વારા આવશે અને વૈકલ્પિક વિચારધારા તેમ જ વ્યવસ્થા કેવી હશે એ કહેવાની સ્થિતિમાં અત્યારે કોઈ નથી. લૂંટ મચી છે એનું કારણ આ પણ છે. વિકલ્પ ક્યાં છે? વિકલ્પ નજરે પડે કે તરત મૂડીવાદ ઠાવકો થઈ જાય એવું પણ બને. દરમ્યાન કુદરતે કિંમત વસૂલવાનું શરૂ કરી દીધું છે.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 16 જુલાઈ 2023