શું ભારત જોડો યાત્રાએ સાંપ્રદાયિક તિરસ્કાર ઘટાડ્યો ? કે પછી તે મારો ભોળો બાલિશ આશાવાદ છે ? હું આ પ્રશ્ન થોડા ગભરાટ સાથે પૂછું છું. પરંતુ તણાવ ઓછો કર્યો છે એ હકીકત છે.
હું લાંબા સમયથી સંખ્યાઓ અને ગણિત સાથે કામ કરનાર માણસ છું. મેં હંમેશાં કોઈ પણ કારણ અને અસરના દાવાઓનું સમર્થન કરવા માટે નક્કર પુરાવા માંગ્યા છે. પરંતુ આવા સવાલ નક્કર પુરાવા સ્વીકારતો નથી. ઓછામાં ઓછા આટલા ટૂંકા સમયમાં તો નહીં જ તેમ છતાં, તે પૂછવા યોગ્ય છે, કારણ કે તે ખરેખર કોઈ મોટી બાબત સાથે સંબંધિત પ્રશ્ન છે. જો એ વાત સાચી હોય કે આ યાત્રાએ ખરેખર સાંપ્રદાયિક તણાવમાં સહેજ પણ ઘટાડો કર્યો છે, તો તે સમર્થન અને ઉજવણી કરવાનું સૌથી મોટું કારણ હોઈ શકે છે. તે એવા યુગમાં રાજકારણની સર્જનાત્મક સંભાવના વિશે છે જ્યારે રાજકારણને એક ખરાબ વસ્તુ તરીકે જોવામાં આવે છે અને પ્રસ્તુત કરવામાં આવે છે. તે એવા યુગમાં રાજકારણની સર્જનાત્મક ક્ષમતા વિશે છે જ્યારે રાજકારણને જ ખરાબ બાબત તરીકે જોવામાં આવે છે અને રજૂ કરવામાં આવે છે.
તેથી ચાલો, હું આ વાત સાવધાનીપૂર્વક જણાવું છું. હું માત્ર એક પ્રશ્ન ઉઠાવી રહ્યો છું, અંતિમ જવાબ આપતો નથી; જેમ સામાજિક વિજ્ઞાનમાં કહેવાય છે ને કે તે એવી પૂર્વધારણા છે કે જેની ચકાસણી કરવાની બાકી છે. અહીં હું રમખાણો, હિંસા અને નફરતને લીધે થતા ગુનાઓ જેવાં સાંપ્રદાયિકતાનાં સંગઠિત અથવા પૂર્વ આયોજિત કૃત્યો વિશે વાત નથી કરી રહ્યો. જો આ કૃત્યો નફરતની રાજનીતિથી પ્રેરિત જૂથો દ્વારા ડિઝાઈન ન કરાય અને ચલાવવામાં ન આવે, જેનો આ યાત્રા વિરોધ કરવા માંગે છે.
હું તેમનામાં અચાનક હૃદય પરિવર્તનની અપેક્ષા રાખતો નથી, અને તે પણ ભારત જોડો યાત્રાથી. મને રોજિંદા સાંપ્રદાયિક તણાવમાં રસ છે જે ગુપ્ત દુશ્મનાવટ અને અવિશ્વાસ, દુરુપયોગ, અપમાન, પડોશની બોલાચાલીમાં અસ્તિત્વ ધરાવે છે – મને એમાં રસ છે કે શું આ યાત્રાએ સાંપ્રદાયિક કટ્ટરતામાં સામાન્ય લોકોની સંડોવણીને ઓછી કરી છે ખરી ? આ વાત યાત્રાએ જે વિસ્તારોને આવરી લીધા છે તે વિસ્તાર પૂરતી સીમિત નથી. અને મારું અનુમાન છે કે જ્યાં જ્યાં આ યાત્રાનો સંદેશો પહોંચ્યો છે ત્યાં તેણે સ્થાનિક કોમી તણાવ ઘટાડવાનો પૂરતો પ્રયાસ કર્યો છે.
મજબૂત અપીલ
એકતા પરિષદના મારા સહયાત્રી, પુષ્પરાગે મારા આ અનુમાન વિશે મને સૌ પ્રથમ સચેત કર્યો હતો. તે નવેમ્બરનું છેલ્લું અઠવાડિયું હશે, જ્યારે અમે મધ્ય પ્રદેશના એક મોટા ગામમાં અમારી યાત્રા પૂરી કરી હતી. તેઓ પાછા આવ્યા અને તેમણે સ્થાનિક ગ્રામજનો સાથે કરેલી વાતચીતનું વર્ણન કર્યું – કેટલાક મુસ્લિમ પરિવારો, જેમણે તેમના નિવાસસ્થાન પહોંચતા પહેલાં યાત્રા વિશે સાંભળ્યું હતું તેમણે કહ્યું કે જ્યારથી યાત્રાના સમાચાર આવવા લાગ્યા છે ત્યારથી તેમના ગામમાં સાંપ્રદાયિક તણાવ ઓછો થયો છે. એકે કહ્યું : તેઓ રાહતની લાગણીનો અનુભવ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે તેમણે અન્ય સ્થળોએ પણ આવી જ વાર્તાઓ સાંભળી છે. મને વિશ્વાસ બેસતો ન હતો. જ્યારે સારા સમાચાર આવે છે ત્યારે અમે ઝડપથી વિશ્વાસ નથી કરતા. જ્યારે મેં એક મિત્ર સામે આનો ઉલ્લેખ કર્યો, ત્યારે તેણે પણ કહ્યું કે તેણે એક રાજ્યના એક વરિષ્ઠ પોલીસ અધિકારી પાસેથી એવું જ કંઈ સાંભળ્યું છે કે જ્યાંથી યાત્રા પહેલા જ પસાર થઈ ગઈ હતી.
ગુપ્તચર અહેવાલોમાં પણ રાજ્યમાં સાંપ્રદાયિક ઘટનાઓમાં ઘટાડો નોંધાયો છે. પરંતુ તેણે મને તરત જ તેના વિશે ન લખવાની સલાહ પણ આપી, કારણ કે આવા સમાચાર નફરતની રાજનીતિથી લાભ મેળવનારાઓ તરફથી પ્રતિક્રિયા તરફ દોરી શકે છે. વાસ્તવમાં, કર્ણાટકના મારા મિત્રોએ રાજ્યમાં યાત્રાની સફળતા બાદ નફરતની ઝુંબેશમાં વધારો નોંધ્યો છે. ત્યારથી મેં મારા ઘણા મિત્રો સાથે જુદા જુદા વિસ્તારોમાં તપાસ કરી છે જ્યાં અલગ અલગ સરકારો છે. પ્રતિભાવો મારી પૂર્વધારણાની હળવીથી માંડીને મજબૂત પુષ્ટિ સુધીના હતા. એ વાત સાચી છે કે નફરતને લીધે પ્રેરિત ગુનાઓમાં નાટ્યાત્મક ઘટાડો થયો નથી. તેમ જ ઝેર ફેલાય તેવા પ્રસાર માટે મીડિયા સંચાલિત ઝુંબેશ નથી. પરંતુ મેં કહ્યું તેમ, હું એવી આશા નથી રાખતો કે નફરત કરનારાઓ નિરાશ થઈ જશે. મને નફરતમાં શામેલ થતા સામાન્ય લોકો પર યાત્રાની અસર જોવામાં – શોધવામાં રસ છે. તેથી, હું આ પૂર્વધારણા કેટલાક ભાવિ સામાજિક વિજ્ઞાનીઓ સમક્ષ રજૂ કરું છું. દરમિયાન, હું રાષ્ટ્રવ્યાપી જનમત સર્વેક્ષણના આગલા રાઉન્ડની રાહ જોઉં છું કે શું તેમને સાંપ્રદાયિક દૃષ્ટિકોણમાં કોઈ નાના ફેરફારો દેખાયા છે ખરા ? અથવા અમુક કેસ સ્ટડીની કે જે ચૂંટણીથી ઉપર ઊઠીને યાત્રાની અસરની તપાસ કરે.
નફરતના સમયમાં પ્રેમ
એક સારી પૂર્વધારણાને પ્રભાવિત કરતાં બે પરિબળો વચ્ચેના સંબંધને દર્શાવવાને કારણે બંધ ન કરવી જોઈએ. આપણે આવા સંબંધની અપેક્ષા રાખવાનું કારણ પણ જણાવવું જોઈએ. મારે જે કહેવું છે તે અહીં છે. ભારત જોડો યાત્રાએ સાંપ્રદાયિક કટ્ટરતામાં ઘટાડો કર્યો હોય તેવું લાગે છે, એટલા માટે નહીં કે તેણે સાંપ્રદાયિકતાનો સામનો કરવા માટે સક્રિય તાકાતનું નિર્માણ કર્યું છે. તેણે જે વિસ્તારો પસાર કર્યા છે તે રાષ્ટ્રીય અસર નોંધવા માટે ખૂબ નાના છે. તે વિસ્તારોમાં યાત્રાએ હજુ સુધી સ્વૈચ્છિક દળનું નિર્માણ પણ કર્યું નથી જે કોઈ પણ સંઘર્ષમાં અસરકારક રીતે હસ્તક્ષેપ કરી શકે.
અમારી પાસે યાત્રાનો સંદેશ છે, સામાન્ય અને વ્યાપક. તેમ છતાં, ‘જોડો’નું અસરકારક આહ્વાન જ એકતાના સંદેશને યાદ કરવાનું અને ફરીથી જોડવાનું કામ કરે છે. નફરતની રાજનીતિ સામે રાહુલ ગાંધીનું સ્પષ્ટ વલણ વિપક્ષના મોટા ભાગના મુખ્ય પ્રવાહના રાજકારણીઓ દ્વારા જે વ્યૂહાત્મક મૌન ચાલી આવ્યું હતું, તેમાં એક તાજું પરિવર્તન આવ્યું. અને પ્રેમ વિશે બોલવાનું એ અચાનક સ્વીકાર્ય બન્યું છે. ‘હું નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલવા આવ્યો છું’ જેવાં નિવેદનોની શેલ્ફ લાઈફ આપણે ધારીએ છીએ તેના કરતાં લાંબી હોય છે.
જો નફરત ફેલાય છે, તો પ્રેમ પણ ફેલાય છે
જ્યારે યાત્રા ઉત્તર પૂર્વ દિલ્હીને પાર કરી રહી હતી ત્યારે હું તેના વિશે વિચારતો રહ્યો. જાફરાબાદ મેટ્રો સ્ટેશનથી શિવ વિહાર સુધી, અમે એવા વિસ્તારોમાંથી પસાર થયા જ્યાં ૨૦૦૨માં કોમી રમખાણો થયાં હતાં. રસ્તાની બંને બાજુએ, સાંપ્રદાયિક રીતે વિભાજિત એવા બંને બાજુના લોકોએ અમારું સ્વાગત કર્યું. યાત્રામાં એક દેશભક્તિનું ગીત વાગી રહ્યું હતું, ‘સારે જહાં સે અચ્છા,’ હું તેને સારી રીતે સાંભળી શકતો હતો. ‘મઝહબ નહીં સીખાતા આપસ મેં બૈર રખના’ આ ગીત અને દૃશ્ય જોઈને મારી આંખોમાં આંસુ સાથે આગળ વધનારો હું એકલો નહોતો.
મુસ્લિમો ખુશ, ઉત્સાહિત હતા, પરંતુ યાત્રામાં સ્થાનિક હિંદુઓની પણ નોંધપાત્ર હાજરી હતી. હું તેમના ચહેરા પર કંઈક બીજું વાંચવાનો પ્રયાસ કરી રહ્યો હતો. શું આ પ્રદેશમાં તેમની સંખ્યા વધુ હતી તેથી કે યાત્રાની હાજરીથી મુસ્લિમોનો ભય અને ચિંતા ઓછાં દેખાતાં હતાં ? અથવા હું ફક્ત તેની ક્લ્પના કરી રહ્યો હતો ?
મને ફૈઝ અહમદ ફૈઝની એ પંક્તિઓ યાદ આવી ગઈ : ‘ખૂન કે ધબ્બે ધુલેંગે કિતની બરસાતોં કે બાદ’. શું લોહીના ડાઘ ખાલી ભાષણોથી સાફ થઈ શકે ? પરંતુ જો લોહીના ડાઘ નફરતમાંથી જન્મે છે, જે શબ્દોને કારણે છે, તો શબ્દોથી તેનાં વળતાં પાણી શા માટે નથી થતાં ? તો શું આ માત્ર બાલિશ કોરો આશાવાદ છે ? એવું હોય પણ ખરું, પરંતુ, કોઈ મારી પૂર્વધારણાનું ખંડન કરે તે પહેલાં હું આ ક્ષણનો આંનદ માણવા માગું છું.
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 ફેબ્રુઆરી 2023; પૂ. 16 તેમ જ 23