તુષારભાઈ ગાંધીએ લખેલી ડાયરીના છેલ્લાં પાનાંઓમાં આ અંજલિઓ વાંચતાં હૃદય દૃવી ઊઠ્યું, લેખકની અનુમતિથી અનુવાદ કર્યો. આમ તો આ કસ્તૂરબા(11 એપ્રિલ 1869 – 22 ફેબ્રુઆરી 1944)ની પણ તિથિએ પ્રકાશિત થાય તેવી ગણતરી.
— આશા બૂચ
બાના અવસાન બાદ બાપુએ ઘણા પ્રસંગોએ એમના વ્યક્તિત્વની મૂલવણી આંકી અને પોતાના જીવનમાં આપેલા એમના ફાળાની અવારનવાર નોંધ લીધેલી. અન્ય લોકોએ પણ બાના માનમાં અંજલિ આપી હતી. હું તેમાંની કેટલીક અહીં ફરી રજૂ કરું છું.
બાપુ બાને પોતાના અહિંસાના ગુરુ તરીકે સ્વીકાર કરે છે :
જ્યારે હું મારી પત્નીને મારી ઈચ્છા મુજબ વાળવાનો પ્રયત્ન કરતો હતો, ત્યારે તેની પાસેથી હું અહિંસાનો પાઠ શીખ્યો. એક તરફ એનો મારી માગણીનો મક્કમ પ્રતિકાર, અને બીજી બાજુ મારી મૂર્ખામીને કારણે વેઠવા પડેલ દરદને શાંતિથી સહન કરવાની તેની શક્તિએ મને મારી જાત માટે શરમનો અનુભવ કરાવ્યો અને હું તેના પર આધિપત્ય જમાવવા જન્મ્યો છું, એવી મૂર્ખામીભરી વિચારધારામાંથી મને બચાવી લીધો અને એ મારી અહિંસાની મોટી ગુરુ બની.
એમ.કે. ગાંધી, ‘હરિજન’ 02 ડિસેમ્બર 1938
લોર્ડ અને લેડી વૅવેલના શોક સંદેશનો બાપુનો પ્રત્યુત્તર :
મારી પત્નીના અવસાન બદલ આપ અને લેડી વેવેલે પાઠવેલ પ્રેમભર્યા દિલાસાના સંદેશ બદલ હું આભાર વ્યક્ત કરું છું. જો કે તેના મૃત્યુને મેં આવકાર્યું, કેમ કે શરીરને ભોગવવી પડતી પીડામાંથી તેને મુક્તિ મળી, પરંતુ મને થવું જોઈએ તેના કરતાં મને વધુ દુઃખ તેને ગુમાવવાનું થયું.
અમે એક અસાધારણ કહેવાય એવાં દંપતી હતાં. 1906માં અનેક પ્રયાસો બાદ અને પરસ્પરની સંમતિથી અમે ઇન્દ્રયો પર સ્વચ્છાએ અંકુશ રાખવાને અમારો જીવન મંત્ર બનાવ્યો. તેને પરિણામે અમે બંને પહેલાં કયારે ય નહોતાં તેટલાં નિકટ આવ્યા તેનો મને ખૂબ આનંદ થયો. અમે બંને બે અલગ વ્યક્તિ મટી ગયાં. મારી ઈચ્છા નહોતી તો પણ તેણે મારામાં સંપૂર્ણપણે ઓગળી જવાનું પસંદ કર્યું. તેનું પરિણામ એ આવ્યું કે તે ખરા અર્થમાં મારી ‘ઉત્તમ અર્ધાંગિની’ બની.
એ બહુ મક્કમ ઈચ્છા શક્તિ ધરાવનાર મહિલા હતી, કે જેને હું મારી નાની વયે તેને જીદ્દીપણું માનવાની ભૂલ કરતો. પણ તેની એ મક્કમ નિર્ણય શક્તિએ તેને અજાણતાં જ મારી અહિંસક રીતે અસહકારની કલાને વ્યવહારમાં કેમ મુકવી તેની ગુરુ બનવામાં મદદ કરી.
બાપુની બાને અંજલિ : ‘એ મારાથી ઊંચેરી હતી’
બા મારાથી કોઈ પણ અર્થમાં મારી પાછળ નહોતી. ઊલટાનું એ મારાથી ઊંચેરી હતી. હું કદાચ ક્યારેક હતાશાની ખાઈમાં સારી જતો, તો એ મારી પ્રતિજ્ઞાને ખરા અર્થમાં વળગી રહેવા મને જાગૃત રાખતી. તેણે હંમેશ મારી રાજકીય લડતોમાં સાથ આપ્યો અને પોતે એવા જંગમાં કૂદી પડવા ક્યારે ય ખચકાઈ નહીં. તે અશિક્ષિત હતી, પરંતુ મારા મતે એ સાચા શિક્ષણનું દૃષ્ટાંત હતી. એ એક સમર્પિત વૈષ્ણવ હતી. પણ તેણે પોતાના દિમાગમાંથી જ્ઞાતિ પ્રથા વિશેના તમામ ખ્યાલોનું નામનિશાન ભૂંસી નાખ્યું અને એક હરિજન બાળાને પોતાના સંતાનવત પ્રેમ આપ્યો. નરસિંહ મહેતાએ ‘વૈષ્ણવજન’ ભજનમાં ગાયા છે એ આદર્શોને તેણે મૂર્તિમંત કરી બતાવ્યા. ક્યારેક એવા સંયોગો ઊભા થયા કે હું મૃત્યુ સાથે સંઘર્ષ ખેલી રહ્યો હતો. મારા આગાખાન મહેલમાં કરેલા અનશન વખતે હું મોતના મુખમાંથી પાછો આવેલો. પણ તેની આંખમાં આંસુનું ટીપું પણ નહોતું, ક્યારે ય આશા કે હિંમત ન ગુમાવ્યા અને ઈશ્વરને પૂરી શ્રદ્ધાથી પ્રાર્થના કરતી રહી.
બાની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે બાપુની અંજલિ :
બાની વિદાયની તારીખ હતી 22ની ફેબ્રુઆરી 1944. આ ઘટના 1947માં જ્યારે બાપુ રમખાણોથી ગ્રસ્ત નોઆખલી અને ટીપેરા વિસ્તારમાં શાંતિ યાત્રા માટે ઘૂમી રહ્યા હતા ત્યારની છે.
19 ફેબ્રુઆરી મહાશિવરાત્રી હતી, શિવની પૂજાનો તહેવાર. તે દિવસે બાપુ બીરામપુરમાં હતા, અને તેમને માટે એ દિવસ દરદભરી યાદો લાવનાર હતો. ત્રણ વર્ષ પહેલાં એ દિવસે તેમણે પોતાના સહધર્મચારિણી કસ્તૂરને આગાખાન મહેલની કેદમાં ગુમાવ્યાં હતાં. ત્યારથી તેઓ દર પુણ્ય તિથિએ અનશન અને પ્રાર્થના કરતા. બહારથી એ કોઈ પણ એક સામાન્ય દિવસ જેવો જ દિવસ ભાસતો, જે પ્રાતઃકાળ ચાર વાગે શરૂ થતો અને અવિરત પણે કાર્યો ચાલતાં. તેમના મનથી તેનું કેવું અત્યંત વ્યક્તિગત મહત્ત્વ હતું તેની સાબિતિ તેમની ડાયરીમાં એક અછડતા ઉલ્લેખમા મળી આવે છે : “આજના દિવસે અને બરાબર આ જ સમયે (સાંજના 7.35 વાગે) બાએ પોતાના નશ્વર દેહનો ત્યાગ કર્યો.”
સાંજે 7.35 વાગે બાપુને કાંતેલા સૂતરની આંટી પહેરાવેલા બાના ફોટા પાસે નાનો દીપ પ્રગટાવેલો તેની આસપાસ કેટલાક લોકો એકઠા મળ્યા. એ સૂતરની ફરી આંટી બનાવીને વણવા માટે મોકલી આપવામાં આવતું; એક પણ વસ્તુનો વ્યય ન થતો. ભગવદ્દ ગીતાના પ્રથમ છ અધ્યયનના પઠન સમયે બાપુ બેઠા રહ્યા, અને પછી થાક વર્તાવાને કારણે આડા પડ્યા. બાદમાં તેઓએ ઉલ્લેખ કરેલો કે જ્યારે તેઓ બાકીના ગીતા પાઠને સાંભળતા સૂઈ ગયા હતા ત્યારે તેઓને પોતાની પ્રિય પત્ની સાથે એકત્વ સધાયાનો ભાસ થયો. તેમને બાની હાજરીનો અનુભવ થયો. તેઓ વધુમાં લખે છે, “ગીતાના અધ્યયન દરમ્યાન ત્રણ વર્ષ પહેલાં બાની અંતિમ ક્ષણોનું દૃશ્ય મારા અંતઃચક્ષુ સામે તદ્દન તાદૃશ થઇ ગયું. મને એવો ભાસ થયો કે તેનું માથું ખરેખર મારી છાતી ઉપર ટેકવેલું હતું. ગીતાના છ અધ્યાય સાંભળ્યા બાદ જ્યારે મેં આરામ કરવા આંખ મીંચી ત્યારે આ અનુભવ થયો.” તેમણે વેદના સાથે અભિપ્રાય આપ્યો કે “માટે કબૂલ કરવું જોઈએ કે તેના (કસ્તૂરબા) વિના હું અહિંસા અને સ્વ શિસ્તના મારા પ્રયાસોમાં સફળ ન થયો હોત. તે મને બીજા કોઈના કરતાં વધુ સારી રીતે સમજી શકતી. તેની વફાદારીનો કોઈ જોટો નહોતો. મને તેના અંતિમ દિવસ સુધી ખ્યાલ નહોતો કે કોના ખોળામાં તેની આંખ મીંચાશે. પણ અંત સમય નજીક આવ્યો તે પહેલાં તેણે મને પાસે બોલાવ્યો અને મારા ખોળામાં અંતિમ શ્વાસ લીધા. એવી હતી બા. આપણે તેનો શ્રાદ્ધ દિવસ તેના ગુણોનું સ્મરણ કરીને અને બને તેટલાને આપણા વર્તનમાં ઊતારીને પાળી શકીએ. મેં આવી કપટ રહિત શ્રદ્ધા, નિઃસ્વાર્થ એકનિષ્ઠા અને સેવા ભાવના જેવી તેનામાં હતી તેવી અન્ય કોઈનામાં હોય તે નથી જાણ્યું. અમારા વિવાહ થયા ત્યારથી એ હંમેશ મારા જીવનના હરેક સંઘર્ષમાં અડગ સત્યનિષ્ઠા સાથે મારી પડખે ઊભી રહી અને મારા જીવનના ધ્યેયને સિદ્ધ કરવા તન અને આત્માની તમામ શક્તિ સાથે પોતાની જાતને સમર્પિત કરી દીધી – એવી એની રીત કે જેની કોઈ તુલના ન થઇ શકે.”
(આ ચાર અંજલિઓ બાપુએ આપેલી, જે કેટલાક લોકોના વાંચવામાં આવી હશે, પરંતુ તેનું પુનઃપઠન બાપુના માનવીય પાસાને ઉદ્ઘાટિત કરે છે અને તેમની અત્યંત અંગત ભાવનાઓ આપણા હૃદયને ભીંઝવી જાય છે. હવે બીજી અંજલિ સુભાષચંદ્ર બોઝે આપેલી તે પ્રસ્તુત છે. આજે મહાત્મા ગાંધી અને તેમના સાથીદારો સાથેના તેમના સંબંધો વિષે ઘણો કીચડ ઉછાળવામાં આવે છે, જે એમ કરનારના અજ્ઞાન અને સ્વાર્થપટુતાનું પરિણામ છે. આ અંજલિથી સુભાષબાબુ અને ગાંધીજી-કસ્તૂરબા વચ્ચેના અમાપ આદર અને સન્માનનું દ્યોતક સાબિત થાય છે.)
નેતાજી સુભાષચંદ્ર બોઝની બાને અંજલિ :
“ભારતીની પ્રજાની માતાને અંજલિ”
શ્રીમતી કસ્તૂરબા ગાંધીનું નિધન થયું. તેઓ પૂનામાં બ્રિટિશ રાજની કેદમાં 74 વર્ષની વયે અવસાન પામ્યાં. દેશમાં અને વિદેશમાં રહેતા મારા 38,80,00,000 દેશવાસીઓ સાથે હું કસ્તૂરબાના મૃત્યુ માટે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરું છું. તેઓ ખૂબ કરુણ સંયોગોમાં મૃત્યુને વર્યાં, પરંતુ એક ગુલામ દેશના પ્રજાજન માટે આથી વધુ સન્માનનીય અને ગૌરવશાળી મોત ન હોઈ શકે. ભારતને અંગત ખોટ પડી છે. દોઢ વર્ષ પહેલાં પૂનાની કેદમાં પુરાયા બાદ કસ્તૂરબા ગાંધીનું અવસાન એ તેમની સાક્ષીમાં બીજા કેદીનું અવસાન થયું છે. પહેલું મૃત્યુ તે એમના આજીવન કાર્યકર અને અંગત મંત્રી મહાદેવ દેસાઈનું. વર્તમાન કારાવાસ દરમ્યાન ગાંધીજીએ આ બીજી અંગત ખોટ સહન કરી છે.
હું મારા તરફથી એ મહાન મહિલા, કે જે ભારતની પ્રજાની રાષ્ટ્ર માતા હતી, તેને વિનમ્ર શ્રદ્ધાંજલિ આપું છું, અને ગાંધીજીને આ શોકના સમયમાં અંતરની દિલસોજી પાઠવું છું. મને અવારનવાર શ્રીમતી કસ્તૂરબા ગાંધીના અંગત પરિચયમાં આવવાનો મોકો મળેલો, અને હું થોડા શબ્દોમાં તેમને માટેની અંજલિ આપીશ. તેઓ એક આદર્શ ભારતીય નારી હતાં – સશક્ત, ધૈર્યવાન, શાંત અને સ્વનિર્ભર.
પોતાની માતૃભૂમિ માટેના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમ્યાન ભારતની લાખો કન્યાઓ વચ્ચે ફરીને કામ કર્યું તેથી તેઓ તેમને માટે પ્રેરણાનો સ્રોત બની રહ્યાં. દક્ષિણ આફ્રિકાના વસવાટથી શરૂ કરીને લગભગ ત્રીસેક વર્ષ સુધી તેઓએ પોતાના મહાન પતિની સાથે અનેક કસોટીઓ અને યાતનાઓ સહી છે. તેમની ઘણી જેલયાત્રાઓએ તેમનાં સ્વાસ્થ્યને હાનિ પહોંચાડી, પરંતુ જેલવાસનો તેમની 74 વર્ષની આયુમાં પણ ડર નહોતો લાગતો. જ્યારે પણ મહાત્મા ગાંધીએ નાગરિક અસહકારની ચળવળનું એલાન કર્યું, ત્યારે કસ્તૂરબા એ લડતની આગેવાનીમાં તેમની સાથે જ સામેલ રહેતાં, ભારતની કન્યાઓ માટે એક અભૂતપૂર્વ દૃષ્ટાંત અને પુત્રો માટે પોતાની બહેનોને ભારતના આઝાદી સંગ્રામમાં પાછળ ન રાખવા માટેનો પડકાર પૂરો પાડ્યો.
કસ્તૂરબા એક શહિદના મૃત્યુને વર્યાં. તેઓ ચાર મહિનાથી હૃદયના રોગથી અસરગ્રસ્ત હતાં. પરંતુ એ નિર્દય બ્રિટિશ સરકારે સમસ્ત રાષ્ટ્રની સ્વાસ્થ્યના મુદ્દાને મધ્ય નજર રાખીને કસ્તૂરબાને માનવતાના પાયા ઉપર મુક્ત કરવાની વિનવણીને અનસૂની કરી. બ્રિટિશરોને એવી ધારણા હતી કે ગાંધીજીને આવી માનસિક યાતનાઓ આપશે તો તેઓ શરીર અને મનથી ભાંગી પડશે અને શરણાગતિ સ્વીકારવા મજબૂર થશે. હું એ ક્રૂર લોકો, કે જેઓ એક બાજુ સ્વતંત્રતા, ન્યાય અને નૈતિક કારણોસર લડવાનું આહ્વાન આપે છે, અને બીજી બાજુ ઠંડે કલેજે આવી હત્યા કરે છે તેને માટે માત્ર મારો તિરસ્કાર વ્યક્ત કરી શકું. એ લોકો મહાત્મા ગાંધીને સમજી નથી શક્યા. તેઓ ભારતની પ્રજાને નથી સમજી શક્યા.
બ્રિટિશ સરકાર ગમે તેટલો માનસિક ત્રાસ અને શારીરિક યાતનાઓ ગાંધીજી અને ભારતની પ્રજા ઉપર ગુજારે તો પણ તેઓએ લીધેલાં પગલાંમાંથી તેઓ એક તસુ પણ પાછા નહીં હઠે. યુદ્ધની ભયાનક્તામાંથી ઉગારવા ગાંધીજીએ બ્રિટિશ સરકારને ભારત છોડવાની હાકલ કરી. બ્રિટિશ સલ્તનતે અપમાનકારક ઉત્તર આપી તેમને એક સામાન્ય ગુનેગારની માફક કેદમાં પૂર્યા. એ અને એમનાં ઉમદા ધર્મપત્ની ગુલામ દેશમાં ફરી મુક્ત થાય તેના કરતાં એ જેલમાં મૃત્યુ પામે એવી એની નેમ.
બ્રિટિશ સરકાર કસ્તૂરબા હૃદયની બીમારીથી તેના પતિના સાનિધ્યમાં કેદમાં મૃત્યુ પામે એ માટે દૃઢનિશ્ચયી હતી. એ લોકોએ પોતાની એ ગુનાહિત ઈચ્છાઓ પૂરી કરી, અને એ એક પ્રકારના ખૂનના કૃત્ય કરતાં જરા પણ ઓછું નથી. પરંતુ દેશમાં વસતા અને વિદેશમાં રહેતા ભારતીયો માટે આ ઘટના યાદ અપાવે છે કે બ્રિટિશરો આપણા નેતાઓનો એક પછી એક નિર્દયી રીતે નિકાલ કરવા કટિબદ્ધ છે.
જ્યાં સુધી બ્રિટિશ સત્તા ભારતમાં રહેશે ત્યાં સુધી આપણા દેશ વિરુદ્ધ આવા ભયંકર દુષ્ટ કૃત્યો વિના રોકટોક ઘટયા જ કરશે. શ્રીમતી કસ્તૂરબા ગાંધીના મૃત્યુનો બદલો ભારતના પુત્ર અને પુત્રીઓ એક જ રીતે લઇ શકે, અને એ છે બ્રિટિશ સામ્રાજ્યનો ભારતમાં સદંતર નાશ. પૂર્વ એશિયામાં બ્રિટિશ શાસકો વિરુદ્ધ જે સૈનિકોએ સશસ્ત્ર સંગ્રામ આદર્યો છે તેમના ખભ્ભા પર આ ખાસ જવબદારી છે. અહીં રહેતી મહિલાઓની પણ આ જવબદારીમાં ભાગીદારી છે. આપણી આ દુઃખદ પળોમાં આપણે જ્યાં સુધી છેલ્લામાં છેલ્લા બ્રિટિશરને ભારતમાંથી હદપાર કરવામાં નહીં આવે ત્યાં સુધી આપણી સશસ્ત્ર લડાઈ ચાલુ જ રહેશે એ પ્રતિજ્ઞા ફરીથી લઈશું.
(તુષારભાઈ ગાંધી લિખિત ‘The Lost diary of Kastur – my Baa પુસ્તકના અંત પૃષ્ઠોમાં આ અંજલિઓ મુકાઈ છે, જે એમની અનુમતિ સાથે ‘ઓપિનિયન’ના વાચકો માટે સાદર પ્રસ્તુત)
e.mail : 71abuch@gmail.com