આ કોલમમાં મેં એક વાર લખ્યું હતું કે મ્યાનમારનાં નેતા સૂ કીને આપવામાં આવેલું શાંતિ માટેનું નોબલપ્રાઈઝ પાછું લઈ લેવું જોઈએ. સૂ કીને શાંતિ માટેનું નોબેલ પ્રાઈઝ અહિંસક માર્ગે શાંતિપૂર્વક બર્માના લશ્કરી શાસકો સામે કરવામાં આવેલા સંઘર્ષની કદર કરવા માટે ૧૯૯૧માં આપવામાં આવ્યું હતું. લગભગ અઢી દાયકા સુધી તેમણે હિંમત હાર્યા વિના સંઘર્ષ કર્યો હતો. તેમને વિદેશ પાછાં જતાં રહેવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો, પણ તેનો તેમણે સ્વીકાર કર્યો નહોતો. સૂ કી દુનિયા આખીમાં આદરણીય ગણાયાં એનું આ પણ એક કારણ હતું.
૧૯૮૮માં બર્મામાં સરમુખત્યાર જનરલ ને વિનનું પતન થયું ત્યાં સુધી સૂ કી લંડનમાં દેશવટો ભોગવતાં હતાં. તેમણે બ્રિટિશ ઇતિહાસકાર માઈકલ એરિસ સાથે લગ્ન કર્યાં હતાં અને સંતાનો અને પતિ સાથે ઇંગ્લૅન્ડમાં રહેતાં હતાં. ૧૯૮૮માં ને વિનના પતન પછી તેઓ બર્મામાં લોકતંત્ર સ્થાપિત કરવા બર્મા પાછાં આવ્યાં હતાં. ૧૯૯૦માં યોજાયેલી ચૂંટણીમાં સૂ કીના પક્ષને ભવ્ય વિજય મળ્યો હતો, પરંતુ ને વિનના અનુગામી લશ્કરી ટોળકીએ ચૂંટાયેલી સરકારને સત્તા સોંપી નહોતી. એ પછીથી સૂ કી બે દાયકા સુધી પોતાના ઘરમાં નજરકેદમાં હતાં. એ દરમ્યાન તેમના પતિનું અવસાન થયું હતું, પરંતુ એ છતાં તેઓ ઇંગ્લૅન્ડ નહોતા ગયાં. જો તેઓ લંડન જાય તો કદાચ પાછા ફરવા નહીં મળે, એવી શક્યતા હતી. આટલી ધીરજ અને આટલો સંયમ તેમના પ્રત્યે માનની લાગણી પેદા કરે એવો હતો.
એટલે તો અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાં તેમની પહેલી મુદત દરમ્યાન ભારતની મુલાકાતે આવ્યા, ત્યારે તેમણે ભારતની સંસદના સંયુક્ત સત્રને સંબોધતા સૂ કીના પડખે નહીં ઊભા રહેવા માટે ભારતને ઠપકો આપ્યો હતો. એ ટીકા વાજબી હતી. ભારત તેની માનવીય ફરજ ચૂકી ગયું હતું. પૂર્વ એશિયામાં સંબંધો વિકસાવવાના સ્વાર્થની ગણતરીઓથી પ્રેરાઈને ભારતે નૈતિક ભૂમિકા નહોતી લીધી. એ સમયે આ લખનારે પણ ભારત સરકારની ટીકા કરી હતી. આવાં સંઘર્ષવીર સૂ કીને નોબેલ ઇનામ આપવામાં આવ્યું ત્યારે આખા જગતે રાજીપો વ્યક્ત કર્યો હતો. ભારત સરકારે સૂ કીને ૧૯૯૩માં જવાહરલાલ નેહરુ એવોર્ડ આપીને મૂલ્યનિષ્ઠાનો દેખાવ કરી લીધો હતો, પરંતુ પ્રત્યક્ષ ખાસ કોઈ મદદ નહોતી કરી. સૂ કીએ પણ આ વિષે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું.
૨૦૧૦ પછીથી લશ્કર કૂણું પડ્યું હતું અને અને સૂ કીને નજરકેદમાંથી મુક્ત કરવામાં આવ્યાં હતાં. આજે તેઓ મ્યાનમારના સ્ટેટ કાઉન્સેલર છે. તેમના પતિ અને સંતાનો બ્રિટિશ નાગરિક હોવાથી બંધારણ મુજબ તેઓ પ્રમુખ બની શકે એમ નથી, એટલે તેમના માટે આ નવો હોદ્દો પેદા કરવામાં આવ્યો છે. વાસ્તવમાં તેઓ ૨૦૧૫થી મ્યાનમારનાં શાસક છે અને શાસક તરીકેની સત્તા ધરાવે છે.
સૂ કીના એકાંકી સંઘર્ષમાં જગતે જોઈએ એવો સાથ નહોતો આપ્યો કારણ કે મ્યાનમાર ખાસ કોઈ રાજકીય મહત્ત્વ નહીં ધરાવતો ગરીબ દેશ છે એવી લાગણી સૂ કી ધરાવે છે તો તેમાં તેઓ જરા ય ખોટાં નથી. સવાલ એ છે કે મ્યાનમારમાં કોઈ પ્રકારનું રાજકીય-આર્થિક મહત્ત્વ નહીં ધરાવતા અને સાવ ગરીબ રોહિંગ્યા મુસલમાનોને અન્યાય થઈ રહ્યો છે ત્યારે તેઓ ક્યાં છે? તેમને વ્યવસ્થિત સતાવવામાં આવે છે કે જેથી તેઓ મ્યાનમાર છોડીને જતા રહે. મ્યાનમારમાં બંગાળના અખાતને લાગીને આવેલા રખાઈન પ્રાંતમાં રોહિંગ્યા વસે છે. તેઓ મુસલમાન છે અને તેમની ભાષા ઇન્ડો-આર્યન કૂળની છે એટલે તેઓ ભારતમાંથી આવેલા છે, એમ કહીને મ્યાનમારના બૌદ્ધ રાષ્ટ્રવાદીઓ તેમને સતાવે છે. અંગ્રેજીમાં આને વંશસફાઈ (એથનિક ક્લેન્ઝિંગ) કહે છે. આની શરૂઆત સુ કી સત્તામાં આવ્યા એ પછીથી થઈ છે અને અત્યાર સુધીમાં દસ લાખ રોહિંગ્યાઓમાંથી છ લાખ રોહિંગ્યા મ્યાનમાર છોડીને નજીકના બંગલાદેશમાં જતા રહ્યા છે.
આપણે એમ નથી કહેતા કે સૂ કી રોહિંગ્યાઓની વંશસફાઈ કરાવી રહ્યાં છે. રોહિંગ્યાઓને સતાવવાનું ૨૦૧૫ પછી શરૂ થયું એ કદાચ યોગાનુયોગ હશે, પરંતુ અભયવચનના બે શબ્દો ક્યાં? તેમણે આજ સુધી રોહિંગ્યાઓની તરફેણમાં એક શબ્દ નથી ઉચાર્યો. તેમણે બૌદ્ધ રાષ્ટ્રવાદીઓની આલોચના નથી કરી. તેમને ચેતવણી નથી આપી. ભારતમાં મુસલમાનોનું લિન્ચિંગ થાય અને આપણા વડા પ્રધાન ચૂપ રહે એનું જરા ય આશ્ચર્ય નથી થતું, પરંતુ સૂ કીની ચુપકીદી અસહ્ય છે. સૂ કી જુદી માટીનાં છે. તપસ્વિની છે. માનવીય મૂલ્યો માટે કીંમત ચૂકવી છે. લાંબો વનવાસ ભોગવ્યો છે અને એ દરમ્યાન પતિ ગુમાવ્યો છે. તેમનો મોટો પુત્ર એલેકઝાંડર એરિસ માનવ અધિકાર માટે લડનારો કર્મશીલ છે. આવી તપસ્વિની વિદુષી સ્ત્રી સત્તામાં હોય અને તેમના દેશમાં અમાનવીય ઘટનાઓ બનતી હોય ત્યારે તેઓ નિષ્ક્રિય રહે અને ચૂપ રહે એ અસ્વીકાર્ય છે. કમસે કમ મોઢું પણ ન ખોલે? સૂ કી એ રોહિંગ્યાઓ સાથે જે બની રહ્યું છે એ વિષે એટલું જ કહ્યું છે કે રોહિંગ્યાઓનો પ્રશ્ન બીજી રીતે હાથ ધરાઈ શક્યો હોત. એ બીજી રીત કઈ હોય શકે એ વિષે તેમણે કોઈ ફોડ પાડ્યો નથી. દ્વિતીય નાગરિકત્વ એ જો બીજી રીત હોય તો એ પણ સ્વીકાર્ય ન હોઈ શકે.
આ યુગ પ્રતિક્રિયાવાદી જુવાળનો છે. એક પ્રજા બીજી પ્રજાને શંકાથી જુએ છે. ચારે બાજુ ધાર્મિક અને વાંશિક છાવણીઓ રચવામાં આવી છે અને દીવાલો બાંધવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં કેટલાક નેતાઓ બહુમતી પ્રજાને ભાવે એવી ભાષામાં બોલીને સત્તા સુધી પહોંચે છે. સભ્યતા અને વિવેક ગયા ભાડમાં. લોકોને ચોક્કસ પ્રજા સામે ગાળો ભાંડવી ગમે છે તો ચાલો એમાં જોડાઈ જઈએ. લોકોને ઉદારતા સામે અણગમો છે તો ચાલો ઉદારમતવાદીઓને લેબલ ચોડીને બદનામ કરીએ. બીજા કેટલાક સત્તાધીશો એવા છે જેઓ સત્તા ટકાવી રાખવા અને પાછા ચૂંટાવા ચૂપ રહે છે. સૂ કી બીજા પ્રકારનાં નેતાઓની યાદીમાં સ્થાન ધરાવે એ આઘાતજનક છે.
ખરી તપસ્યા સામા પ્રવાહે તરવામાં છે અને સૂ કી પાસે એની અપેક્ષા છે. કહો કે રોહિંગ્યા મુસલમાનો સાથે જે બની રહ્યું છે એ અસ્વીકાર્ય છે. બર્મીઝ બૌદ્ધોને કહેવું જોઈએ કે તેઓ ભગવાન બુદ્ધ સાથે દ્રોહ કરી રહ્યા છે. ઘણો સમય વીતી ગયો અને અડધા કરતાં વધુ રોહિંગ્યાઓ દેશ છોડીને જતા પણ રહ્યા છે, પરંતુ સૂ કી બહેને મોઢું ખોલ્યું નથી. ઘણું થયું એટલે જગત આખામાંથી માગણી ઊઠી છે કે સૂ કીને આપવામાં આવેલું નોબેલ ઇનામ પાછું લઈ લેવામાં આવે. ઇનામ પાછું લેવાની માગણી વિષે ખુલાસો કરતાં નોબેલ ફાઉન્ડેશનના અધ્યક્ષે કહ્યું હતું કે સૂ કીની ચુપકીદી દુઃખદ છે, પરંતુ આપેલું ઇનામ પાછું લેવાનો કોઈ અર્થ નથી. તેમની દૃષ્ટિએ તેઓ ખોટા નથી. નોબેલ પીસ પ્રાઈઝ કમિટી ભૂતકાળમાં હેન્રી કિસિંજર, અનવર સાદત અને ઇઝરાયલના રાક્ષસો અનુક્રમે મેનેકેમ બેગિન, ઈત્ઝાક રેબિન અને શિમોન પેરેસ જેવા ખોટા સિક્કાઓને શાંતિ માટેનાં ઇનામ આપી ચૂકી છે. જો સૂ કીને આપવામાં આવેલું ઇનામ પાછું લેવામાં આવે તો માનવતાના દુશ્મનોનું શું કરવું? આ સિવાય ખાસ કોઈ મોટા યોગદાન વિના નોબેલ પ્રાઈઝ મારી જનારા આપણા કૈલાશ સત્યાર્થી જેવા બીજા એક ડઝન લોકો છે. તેમના કરતાં સૂ કી તો હજાર દરજ્જે સારાં કહેવાય, પરંતુ તેમની ચુપકીદી સ્વીકાર્ય નથી. સ્વીકાર્ય એટલા માટે નથી કે તેઓ સૂ કી છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 07 અૉક્ટોબર 2018