ઈટલીના 13મી સદીમાં થઈ ગયેલા મહાકવિ દાન્તેનું એક પ્રલંબ કાવ્ય ‘ડિવાઇન કૉમિડી’ બહુ મશહૂર છે. કહે છે કે પશ્ચિમનું સમગ્ર સાહિત્ય વાંચી નાખો, પણ ‘ડિવાઇન કૉમિડી’ ન વાંચ્યું, તો કંઈ વાંચ્યું નહીં !
એ એક અદ્દભુત એવું પ્રવાસ-કાવ્ય છે. એની અંદર, પ્રવાસી દાન્તેને એક ભોમિયાની જરૂરત ઊભી થાય છે અને ઈસુ પૂર્વે થઈ ગયેલો એક અતિ તેજસ્વી કવિ વર્જીલ, કુદરતને ઈશારે, તેની મદદે આવે છે.
આ બન્ને કવિઓ, દાન્તે અને વર્જીલ, પ્રવાસમાં આગળ વધે છે. ફરતાં ફરતાં તેઓ એક એવા સ્થળે આવે છે, જ્યાં એક ખાસો મોટો દરવાજો હતો. અને ત્યાં એક સૂચના લખવામાં આવી હતી. લખ્યું હતું કે :
“અહીંથી પસાર થઈને તમો આહોના શહેરમાં દાખલ થશો. અહીંથી પસાર થઈને તમો હરહંમેશની પીડાઓની એક એવી વસ્તીમાં આવી જશો, જ્યાં લોકો, હંમેશના માટે, પોતાપણું ગુમાવી દે છે !
“ઓ અહીંથી પસાર થનારાઓ, તમારી તમામ આશાઉમેદો તજી દો !”
આ છે જહન્નમનો દરવાજો અને અહીંથી શરૂ થાય છે આહોનાં, શિક્ષાનાં, પીડાનાં શહેરો, ગામોધામો. −− પરંતુ સાચી નહીં, કવિની કાલ્પનિક જહન્નમ છે આ.
એ જહન્નમ પછી જોઈશું, પ્રથમ દાન્તેને મળી લઈએ. −− તેનો જન્મ ઈ.સ. 1265માં ફ્લોરેન્સ શહેરમાં થયો હતો. કહે છે કે તેની માતાએ તેને ભણાવ્યોકેળવ્યો હતો તેનો શિક્ષક શાયર હતો, રાજકારણી પણ હતો. તેના હરીફો અને વેરીઓ ઘણા હતા. તે પોપનો વિરોધી અને રાજાશાહીનો હિમાયતી હતો. તેણે સરકારી નોકરી કરી હતી અને લશ્કરી અધિકારી તરીકે પણ સેવા બજાવી હતી.
એ ઈટાલીમાં રાજકીય ઊથલપાથલનો સમય હતો અને કહે છે કે દાન્તેના વિરોધીઓ સત્તા પર આવતાં, તેને દેશનિકાલ કરી દેવામાં આવ્યો હતો. તે અગર પકડાઈ જાય, તો તેને જીવતો જલાવી દેવાનો હુકુમ, પોપે જારી કર્યો હતો ! તેનું ન કોઈ ઘરગામ કે દેશ હતા. એક ભટકતો શાયર હતો !
આ કવિએ ઈશ્ક પણ કર્યો હતો. તેની પ્રિયતમા હતી બયાતરાચે નામે એક ખૂબસૂરત જાજરમાન મહિલા. એ હજી નવ વર્ષની હશે ત્યારે દાન્તેએ તેને જોઈ હતી. અને જોઈ એટલે જોઈ, દીવાનો થઈ ગયો. તેને એની અંદર એક પવિત્ર આત્મા અને પરિપૂર્ણ સૌંદર્યનાં દર્શન થયાં. આ ઈશ્ક એ હદનો હતો કે કવિએ બાદમાં અન્ય કોઈ મહિલામિત્રની ઈચ્છા કરી નહોતી. તે મનોમન તેની પ્રાર્થના કરવા લાગ્યો હતો. આ ઈશ્કનો ધ્વનિ કવિના સોનેટોમાં ઠેર ઠેર સંભળાય છે.
પરંતુ મજાની વાત આ છે કે રૂપગુમાની બયાતરાચેને દાન્તેના આ ઈશ્કની ખબર ન હતી. આગ બન્ને નહીં, એક જ છેડે લાગી હતી. અને કદાચ એથી અન્ય ઈટાલિયન નારીઓ દાન્તેની ઠેકડી કરવા લાગી હતી ! કહે છે કે થોડીક નાજુક સલામો તથા મીઠાં સ્મિતની નવાજેશ કર્યાં પછી તે દાન્તેને ઝૂરતો મૂકી કોઈક ધનવાનને તે પરણી ગઈ હતી.
ગમે એમ, પણ દાન્તે એક પ્રતિભાશાળી કવિ હતો. તેજસ્વી કલમનો માલિક હતો. દેશનિકાલની શિક્ષા તેને ઝાંખો પાડી શકી નહીં. વિદેશોની રખડપટ્ટી દરમિયાન તેણે મહાકાવ્ય ‘ડિવાઇન કૉમિડી’ લખ્યું અને અંતિમ શ્વાસ પણ પોતાના દેશ ઈટાલીમાં લેવાનું નસીબ થયું નહીં ! આ મહાકવિ કે જેને જીવતે જીવત ઈટલીએ સંઘર્યો નહીં, ધિક્કાર્યો, દેશનિકાલ કર્યો. તેના અવસાન બાદ ઈટાલી તેનું દીવાનું થઈ ગયું. અને ઘણું કરીને ઈ.સ. 1371-72માં સરકારી ધોરણે તેને પુરસ્કૃત કરવામાં અને ઈટાલીના એક મહાન સપૂત તરીકે બિરદાવવામાં આવ્યો. અને ઈટાલિયનો ‘ડિવાઇન કૉમિડી’ની નકલો માથે મૂકીને નાચવા લાગ્યા. આને કહે છે : ‘જાદૂ વહ જો સર ચઢ કર બોલે !’
•••
આ હતો કવિ દાન્તેની જીવનકથાનો સાર. હવે આપણે પગ ધરીશું જહન્નમની ભૂમિ પર. જઈશું આહોનાં શહેરો તરફ, જોઈએ દાન્તેની સર્જનાએ શું ગુલ ખીલવ્યાં છે !
દાન્તે અને તેનો ભોમિયો વર્જીલ મસમોટા − ભવ્ય દરવાજામાંથી થઈને જહન્નમપ્રદેશમાં પ્રવેશ્યા. આ ભાગ એકરોન નદીના હેઠવાસમાં આવેલો હતો. અહીં તે ફિરસ્તા હતા, જે જમીન પર જઈને પોતાનું મૂળ સ્થાન ગુમાવી બેઠ હતા. અહીં તે લોકો પણ હતા, જે શંકાકુશંકામાં ચકરાતા રહ્યા હતા અને ખુદાના હોવા ન હોવા વિશે કશો નિર્ણય લઈ શક્યા ન હતા. તેઓ બંધાયેલા હાથે સામસામે બેસીને, સમજાય નહીં એવો શોર કરી રહ્યા હતા.
તેઓ ત્યાંથી આગળ ગયા તો શારૂન નામે એક હોડીવાન મળ્યો. તેની આંખો લાલઘૂમ હતી, જાણે ધીકતા અંગારા ! તેની હોડીમાં ક્યાંક પહોંચાડવા માટેના ઘણા આત્મા લાદેલા હતા. દાન્તે અને વર્જીલ એ હોડીમાં બેસી ગયા. હોડી જઈ રહી હતી એ વિસ્તારમાં જાણીબૂજીને ગુના કરનારા લોકો શિક્ષા ભોગવી રહ્યા હતા. અને રોકકળ તથા આહોનો શોર હતો. અહીં વચમાં એક શેતાન ઊભો હતો અને તેના ચહેરા પર રોષમિશ્રિત પીડાઓ જામેલી હતી. − અહીં વ્યભિચારી સ્ત્રી-પુરુષો હવામાં અધ્ધર લટકી રહ્યાં હતાં.
એનાથી થોડે આગળ ગંદાં પાણી તથા પરુનો વરસાદ થઈ રહ્યો હતો. અહીં અઠંગ શરાબખોરો હતા. ચહેરા વિકૃત હતા, દાંત પીસી રહ્યા હતા અને ગંદું પાણી તથા પરુ પી રહ્યા હતા.
તેમણે એવા લોકોને પણ જોયા, જે ધનદોલતના મોટા ઢગો તળે ભીંસાતા – કચડાતા કણસી – ચીખી રહ્યા હતા. એ સૌ યોગ્ય – અયોગ્યની પરવા કર્યા વિના ધન ભેગું કરનારા અને અન્ય લોકોના હક મારનારા દુષ્ટો હતા.
તેમણે, ગંદવાડથી લથબથ થયેલા અને એકબીજાને ડાફાં ભરતા ને ચીખતા – ચીલ્લાતા લોકો પણ જોયા. તેઓ હતા ત્યાંના પાણીમાં મોટા મોટા પરપોટા થઈ રહ્યા હતા. − વર્જીલે કહ્યું, આ તે લોકો છે, જે ગુનાઓમાં ડૂબેલા હતા. અને આ પરપોટા એ તેમની આહો છે !
અહીંથી આગળ જહન્નમનું પાટનગર હતું. અહીં તે લોકોના આત્મા હતા, જે કુદરતી ક્રમ વિરુદ્ધ, હેવાનોની માફક ગુના કરતા રહ્યા હતા. − ખોફનાક બલાઓ તેમને ભીંસી – પીસી રહી હતી અને તે ચીખી રહ્યા હતા. … … આ પાટનગરના દરવાજા બંધ હતા, બંધ જ રહ્યા. પરંતુ ત્યાં કેદ ગુનેગારોની આહો – ચીખોનો શોર બહાર પડઘાતો રહ્યો !
‘ડિવાઇન કૉમિડી’ની આ જહન્નમમાં ઘણા વર્તુળો − સંકૂલો છે. છઠ્ઠું સંકૂલ ઉકળતા લોહીવાળી એક નદીના સામે કાંઠે હતું. અને આ તરફને કાંઠે ઘોડા દોડી રહ્યા હતા. આ ભાગતા ઘોડા, લોહીભરી નદીમાંથી બહાર નીકળવા મથતા લોકોને પાછા નદીમાં પટકી દેતા હતા ! અત્યંત ભયાનક દૃશ્ય હતું ! આ તે લોકોના આત્મા હતા, જેમણે તેમનાં સગાંઓ, પાડોશી – પરિચિતોને રંજાડ્યા હતા. અહીં ખૂનીઓ પણ શિક્ષા ભોગવી રહ્યા હતા. અને આહો જ આહો હતી !
તેમણે કાંઠાની રેતમાં ભભૂકતા અંગારા અને તેના પર શેકાતા વ્યાજખોરો, ધોખાબાજો, ઠગોને પણ જોયા. અને ઉકળતા લોહીવાળી નદી પાર કરીને છઠ્ઠા સંકૂલમાંના એક ધૂંધળા જંગલ આગળ આવી પહોંચ્યા. અહીં તે લોકોના આત્મા હતા, જેમણે પોતાના જીવ પર જૂલમ કીધો હતો અને આત્મહત્યા કરી હતી.
આ એક એવું જંગલ હતું જ્યાં કોઈએ કદી પગલાં પાડ્યાં ન હતાં ! કોઈ રસ્તો નહીં, કોઈ કેડી નહીં. માત્ર ઝાડી અને અંધકાર – સૂનકાર ! વૃક્ષ હતાં પણ ફળ નહોતાં, અતિશય ઝેરીલા કાંટા હતા. દાન્તે અહીં એક ડાળખી તોડી બેઠો. અને તોડતાં જ ધ્રુજી ગયો. ડાળખી તોડી હતી ત્યાંથી લોહી વહેવા લાગ્યું હતું ! અને પછી ઝાડે આહ નાખતાં કહ્યું, ‘તમે મને જખ્મી કેમ કર્યું ?’
આત્મહત્યા કરનારાઓનું આ જંગલ હતું. અહીં એ સૌ આત્મહત્યારાઓને ઝાડ બનાવી દેવામાં આવ્યા હતા. દાન્તે કહે છે કે ન્યાયના દિવસે સમગ્ર માનવજાત તેના અસલ સ્વરૂપમાં આવી જશે ત્યારે, આ આત્મહત્યારાઓને લિબાસ મળશે નહીં. અને ન્યાયવિધિ પૂરો થયા પછી આ લોકોના શરીર ઝાડોની શાખો પર લટકાવી દેવામાં આવશે કે જેથી આત્મા તેમના દેહને દેખતા રહી અઝાબ ભોગવતા રહે !
આ અને અચંબામાં નાખે એવું બીજું ઘણું ‘ડિવાઇન કૉમિડી’માં છે. ચોર – ડાકુનો વસવાટ કાળોતરા સાથે હશે. બુદ્ધિનો દુરુપયોગ કરનારાના ચહેરા વિકૃત થઈ ગયા હશે અને તે આગમાં શેકાતાં આહ – આહ કરી રહ્યા હશે. અને જહન્નમનો અંતિમ ભાગ અત્યંત ટાઢો પટ છે, જ્યાં શેતાન ઊભો હશે અને તેનો પગથી કમર સુધીનો ભાગ જામીને બરફ થઈ ગયો હશે ! ત્યાંથી નીકળવાની તેની કોઈ મથામણ સફળ નહીં થાય !
આ બધાં દૃષ્યો નિહાળીને દાન્તે હતાશ થઈ ગયો હતો. પરંતુ ત્યાર પછી જહન્નમની હદમાંથી બહાર આવીને સૂર્યનો પ્રકાશ દીઠો તો તેનું હૃદય પણ આશાના ઉજાશથી ઝળહળી ઊઠ્યું !
•••
એ હતું કવિનું કાલ્પનિક જહન્નમ અને ત્યાંનાં આહોનાં શહેર. એ સિવાય પણ આ ધરતી ઉપર માનવસર્જિત, રાજકારણના પેટે જન્મેલાં ઘણાં જહન્નમો છે. જેવાં કે ઈરાકી જહન્નમ, સીરિયન જહન્નમ, અફઘાની જહન્નમ, આફ્રિકી જહન્નમ, વગેરે. અને એ છે સુપર પાવરની અવળચંડાઈનું, અનીતિનું, ડોલરિયા વખનું પરિણામ.
જહન્નમ ગુનેગારોની શિક્ષા માટે હોય છે. પણ માનવસર્જિત જહન્નમમાં, ગુનેગાર કે બેગુનાહ એવો કોઈ તફાવત રખાતો નથી. સૌને એક સાથે શેકી નાખવામાં આવે છે ! શ્રીમંતો માટે તો હોય છે ફ્લાઇટ, સેઇફ હેવન ! મરે છે બિચારા ગરીબો !
કાશ્મીર પણ એક એવું જ જહન્નમ છે ! આમ તો એ જન્નત સમાન હતું, પણ સૌથી મોટી જમહુરિયતે રાજકીય રવાડે ચઢીને એને જહન્નમ બનાવી દીધું છે ! ગઈ કાલે જ્યાં અનન્ય સૌંદર્ય હતું ત્યાં આજે ધૂંધવાતી આહોનાં શહેરો છે ! લોહીથી લથબથ શિક્ષાધામો છે ! અને ત્યાં હુકમ ચાલે છે ખરગોનિયા જલ્લાદોના !
કહે છે કે આ ખરગોનિયાઓનો રાજકીય ગુરુ પેલો બદનામ ઝમાના મેકાવલી છે, જેને શેતાન પણ કહેવામાં આવે છે.
15મી સદીમાં થઈ ગયેલો આ ઇટાલિયન મેકાવલી ભારે ફાંટાબાજ માણસ હતો. તે તેના પુસ્તક ‘પ્રિન્સ’થી જાણીતો યા બદનામ હતો. એ પુસ્તકમાં તેણે શાહો, શાહઝાદાઓને સત્તા ટકાવી રાખવાના નુસખા બતાવ્યા છે !
તે કહે છે કે રાજકીય સત્તા માટે સારાઈ – બુરાઈ બન્ને અર્થહીન વસ્તુ છે. અસલ ચીજ સત્તા છે. સત્તાવાને સત્તા કોઈ પણ હિસાબે ટકાવી રાખવી જોઈએ. એ તેનો હક છે. સત્તા માટે તેણે બળનો, જરાયે ખચકાયા વિના, ઉપયોગ કરવો અને હાનિકારક એવાં તમામ તત્ત્વોને કચડી નાખવાં જોઈએ.
બળના બેફામ ઉપયોગ પર વિશેષ ભાર મૂકતાં, મેકાવલી કહે છે કે પ્રજા ઉપર રાજ્યકર્તાનો રોફ અને દબદબો રહેવો જોઈએ. એ સંદર્ભે તે દમન, અન્યાય, અત્યાચારની સલાહ આપે છે !
મેકાવલીના શેતાની નુસખા ઉપર આજે કાશ્મીરમાં અમલ થઈ રહ્યો છે. અને ખરગોનિયા સત્તાવાળા એના પર ગર્વ અનુભવી રહ્યા છે. તેમને કાશ્મીર રહે કે બળીને રાખ થઈ જાય કે આહોનાં શહેરો ઘૂંઘવાતાં રહે એની કોઈ પરવા નથી !
તો બીજી તરફ અધિકાર અને આઝાદી માટે મેદાને પડેલા કાશ્મીરીઓ પણ તેમના નિર્ધારમાં અડગ છે. લડત આપી રહ્યા છે, કુરબાની પેશ કરી રહ્યા છે ! આવી દિલેરી, આવો હોસલો જવલ્લે જોવાં મળે છે કે પડી રહ્યા છે પડઘા સમગ્ર કાશ્મીર ખીણમાં :
જોઈએ છે ઓ વતન !
કેટલી આહો તને
રક્તની ધારો તને
કેટલી લાશો તને
ઓ વતન, પ્યારા વતન !
•
11, Croston Terrace, Ayres Road, Old Trafford MANCHESTER M16 7FD [U.K.]
ત્રણેય ચિત્રોનું સૌજન્ય ઈન્ટરનેટ જગત