મને એમ લાગે છે કે ખાસ પ્રકારની બૌદ્ધિક ક્ષમતા ધરાવનારાઓ માટે ડિફરન્ટ્લી ઇન્ટેલિજન્ટ શબ્દ વાપરવામાં આવે તો કેમ?
આગલા દિવસે સંકલ્પ કર્યો હોય કે આવતી કાલે વિકાસને લગતા કોઈ વિષય પર લખવું છે, પણ ત્યાં તો સરકાર પશુવ્યાપાર પ્રતિબંધ જેવો કોઈ અધ્ધર નિર્ણય લે અથવા તો શાખામાં બૌદ્ધિક તાલીમ પામેલો કોઈ બત્રીસલક્ષણો એવા અમર જ્ઞાનનો લાભ આપે કે આગલા દિવસે કરેલો સંકલ્પ બદલવો પડે. એક બાજુ રમૂજથી સવાર સુધરી જાય તો બીજી બાજુ રંજ થાય કે આવા લોકો અદાલતોમાં, યુનિવર્સિટીઓમાં, શોધસંસ્થાઓમાં ગોઠવાઈ રહ્યા છે ત્યારે દેશનું શું થશે? એકવીસમી સદીમાં જગતમાં જિનેટિક સંશોધનો થઈ રહ્યાં છે અને પેટન્ટ રજિસ્ટર થઈ રહ્યા છે ત્યારે આપણે ત્યાં ગાયનાં છાણનું સંશોધન થઈ રહ્યું છે અને આવા લોકો પાછા યુનિવર્સિટીઓમાં વાઇસ-ચાન્સેલર તરીકે ગોઠવાઈ રહ્યા છે. ક્યાં હોઈશું આપણે અન્ય દેશોની સરખામણીમાં એમ વિચારીને કંપી જવાય છે.
મહેશ ચન્દ્ર શર્મા નામના વિદ્વાન ન્યાયમૂર્તિ મંગળવારે રાજસ્થાનની વડી અદાલતમાંથી નિવૃત્ત થયા. નિવૃત્ત થતાં પહેલાં તેઓ એક મહાન ચુકાદો આપતા ગયા છે. તેમણે કહ્યું છે કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવી જોઈએ અને ગાયની હત્યા કરનારને આજીવન કારાવાસની સજા કરવી જોઈએ. તેમણે તેમના લાંબા ચુકાદામાં માત્ર એક જ જગ્યાએ કાયદાપોથીનો અને બંધારણનો આશરો લીધો છે; જે માર્ગદર્શક સિદ્ધાંતોને સંબંધિત છે. આ સિવાય સર્વત્ર તેમણે વેદોનો, લોકવાયકાઓનો, મહાન હિન્દુ પરંપરાનો, ઊંડી શ્રદ્ધાનો આશરો લીધો છે. તેઓ એ રીતે ચુકાદો આપતા હતા જાણે કે કથામંડપમાં બાપુઓની વ્યાસપીઠ પર બેઠા હોય. મહેશ ચદ્ર શર્મા જજ હતા અને એ પણ વડી અદાલતના જજ હતા અને તેઓ અદાલતમાં ચુકાદો આપતા હતા એની યાદ અપાવવી પડે એટલી હદે કોર્ટરૂમ ગોમાહાત્મ્યના માંડવામાં ફેરવાઈ ગયો હતો. સવાલ એ થાય છે કે આવા લોકો વડી અદાલત સુધી પહોંચી કેવી રીતે જાય છે? મહિના પહેલાં કલકત્તાની વડી અદાલતના ન્યાયમૂર્તિ કર્ણનનાં કારનામાંઓથી આપ પરિચિત છો. કોલેજિયમમાં જબરી ક્ષતિ છે એમાં કોઈ શંકા નથી.
શું કહ્યું હતું ન્યાયમૂર્તિ મહેશ ચન્દ્ર શર્માએ એ જોઈએ:
ભગવાન કૃષ્ણ ગોપાષ્ટમીના દિવસે ગાયને પૃથ્વી પર લઈ આવ્યા હતા.
એમ માનવામાં આવે છે (જજસાહેબ કહે છે એમ માનવામાં આવે છે) કે ૩૩ કરોડ દેવતાઓનો વાસ ગાયના શરીરમાં હોય છે.
ગોમાતા આ ધરતી પર એકમાત્ર પ્રાણી છે જે શ્વાસમાં પણ ઑક્સિજન લે છે અને ઉચ્છ્વાસમાં પણ ઑક્સિજન બહાર ફેંકે છે. આના સમર્થનમાં તેમણે કૃષિવિજ્ઞાની ડૉ. જુલિયસ અને ડૉ. બુક જર્મનના અભિપ્રાયને ટાંક્યો છે.
ગાયનું શરીર સ્વયં એક ક્લિનિક છે અને ગૌમૂત્ર તેમ જ છાણ અમૃત સમાન છે.
ગૌમૂત્રનું સેવન કરવાથી વૃદ્ધાવસ્થાથી બચી શકાય છે.
ગાયનું ઘી અને પંચગવ્યનું સેવન કરવાથી કોઈ પણ રોગ મટી શકે છે.
બ્રિટનના ડૉ. હૅમિલ્ટનના કહેવા મુજબ ગૌમૂત્રના સેવનથી હાર્ટ-અટૅક નિવારી શકાય છે અને કૉર્નેલ યુનિવર્સિટીના ડૉ. રોનાલ્ડ ગોરેટીના કહેવા મુજબ ગાયનાં દૂધનું સેવન કરવાથી યાદશક્તિમાં વધારો થાય છે.
જર્મન વિજ્ઞાની ડૉ. રૂડલ સ્ટિનરના અભિપ્રાય મુજબ ગાયનાં શિંગડાં કૉસ્મિક એનર્જી ઝીલે છે અને રશિયન વિજ્ઞાની શિરોવિચના કહેવા મુજબ ગાયનાં છાણથી ઘર લીંપવાથી રેડિયો ઍક્ટિવથી બચી શકાય છે.
મદ્રાસના પ્રસિદ્ધ વિજ્ઞાની ડૉ. કિંગના કહેવા મુજબ ગાયનાં છાણને કારણે કૉલેરાનાં જંતુ મરી જાય છે.
જજસાહેબે અનેક લોકોને ટાંક્યા છે, પરંતુ એકમાત્ર માર્ગદર્શક સિદ્ધાંતને છોડીને કોઈ જગ્યાએ કાયદાનો આશ્રય નથી લીધો. તેમને એવી જરૂરત નથી લાગી કે ન્યાયની ખુરસીમાં બેસીને કાયદાનો આશ્રય લેવો જોઈએ. હિન્દુ પરંપરા માટે ગર્વ અનુભવનારાઓ એટલી લઘુતાગ્રંથિ ધરાવે છે કે તેમને તેમની મહાનતા સિદ્ધ કરવા માટે પણ પશ્ચિમના વિજ્ઞાનીઓના અભિપ્રાયને ટાંકવા પડે છે. તેમણે ભરઅદાલતમાં કહ્યું હતું કે ભગવાન કૃષ્ણ જબ ઇસ ધરતી પર આએ તબ આને સે પહલે ઉન્હોંને વૃંદાવન મેં ગાય કો ઉતારા … ઔર ઉન્હેં પતા થા કી હમારા જો વૈદ્ય હોગા, ડૉક્ટર હોગા, સજ્ર્યન હોગા વહ ગાય હોગી. ગાય કે દૂધ સે સબ તરહ કી બીમારિયાં દૂર હોતી હૈ, સાત્ત્વિકતા બઢતી હૈ, ધાર્મિકતા બઢતી હૈ. ગાય કી હડ્ડિયાં ભી તાંત્રિક પ્રયોગ કે લિએ કામ આતી હૈ.
એ પછી જજસાહેબ કોર્ટરૂમની બહાર આવીને પત્રકારોને કહે છે – આપકો માલૂમ હૈ મોર કો રાષ્ટ્રીય પક્ષી ક્યોં બનાયા હૈ? ક્યોંકિ પીકૉક મેં અનન્ય ક્વૉલિટીઝ હોતી હૈ. મોર આજીવન બ્રહ્મચારી હોતા હૈ. વો કભી ભી મોરની કે સાથ સેક્સ નહીં કરતા. ઉસકે જો આંસુ આતે હૈ વે ચુગ કર મોરની ગર્ભવતી હોતી હૈ. મોર કે પંખ ભી ભગવાન કૃષ્ણને ઇસ લિએ તો સિર પર લગાએ હૈં.
આ પહેલાં ૨૦૧૧માં મોરના શિકારને લગતા એક કેસમાં ચુકાદો આપતાં ન્યાયમૂર્તિ શર્માએ વિશ્વભરના મોટા-મોટા વિદ્વાનોનો હવાલો આપીને બ્રહ્મચારી મોરનો મહિમા કર્યો હતો. ઢેલ મોરનાં આંસુ પીને ઈંડાં આપે છે એવું મેં મારા બાળપણમાં સાંભળ્યું હતું. એ પછી નેહરુયુગીન શિક્ષણ મેળવ્યું અને મોર વિશેનું મહાજ્ઞાન ગામને પાદર છોડી દીધું. વિદ્વાન ન્યાયમૂર્તિએ વિદેશના જે-જે વિદ્વાનોનો હવાલો આપ્યો છે એના વિશે ‘ઇન્ડિયન એક્સપ્રેસે’ તપાસ કરી તો કોઈકનાં નામ ખોટાં છે, કોઈકે આવું કહ્યું જ નથી અને બે-ચાર વિદ્વાનો તો અસ્તિત્વ જ નથી ધરાવતા.
આજકાલ અંગ્રેજી ભાષામાં ડિસેબલ (અપંગ) માટે ડિફરન્ટલી એબલ શબ્દ વાપરવામાં આવે છે. મને એમ લાગે છે કે ખાસ પ્રકારની બૌદ્ધિક ક્ષમતા ધરાવનારાઓ માટે ડિફરન્ટલી ઇન્ટેલિજન્ટ શબ્દ વાપરવામાં આવે તો કેમ?
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 02 જૂન 2017