ભારતને આઝાદી મળી એને ૨૦૨૨માં ૭૫ વર્ષ થશે, પરંતુ હજુ આપણે આપણું ભાષાધોરણ ઠરાવી શક્યા નથી. કેટલાક મતભેદોનો તો અંત જ નથી આવતો અને ખરું પૂછો તો અંત આવવા દેવામાં આવતો નથી. આમાં મતનું રાજકારણ અને સ્થાપિત હિત એમ બન્ને કામ કરે છે. રાષ્ટ્રભાષા અને ત્રિ-ભાષા આવો એક અનંત વિવાદ છે.
નરેન્દ્ર મોદીની સરકારે તેની વીતેલી મુદ્દત દરમ્યાન નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તૈયાર કરવા કૃષ્ણસ્વામી કસ્તૂરીરંગનની અધ્યક્ષતા હેઠળ એક સમિતિની રચના કરી હતી. સમિતિએ તેનો અહેવાલ ગયા વરસના ડિસેમ્બર મહિનામાં એ સમયના માનવદ્રવ્ય વિકાસ ખાતાના પ્રધાન પ્રકાશ જાવડેકરને સુપ્રત કર્યો હતો. સરકારને ત્યારે લાગ્યું હતું કે ચૂંટણી નજીક છે ત્યારે જો અહેવાલ જાહેર કરવામાં આવશે તો ચૂંટણીનાં ઘોંઘાટમાં તેના વિષે સરખી ચર્ચા નહીં થાય એટલે સરકારે ત્યારે અહેવાલ રાષ્ટ્રીય ચર્ચા માટે ખુલ્લો નહોતો મુક્યો. સરકારે કદાચ એમ પણ વિચાર્યું હશે કે જો અત્યારે રાષ્ટ્રીય ચર્ચા માટે અહેવાલ ખુલ્લો મૂકવામાં આવશે તો રાજકીય પક્ષો રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખવાની જગ્યાએ ચૂંટણી જીતવા પક્ષીય હિતને ધ્યાનમાં રાખીને પ્રતિક્રિયા આપશે અને આખો ઉદ્દેશ રોળાઈ જશે. ચર્ચામાં એક ભાગીદાર પક્ષ જનતા પણ છે એ વાતનું તો કોઈ મહત્ત્વ જ નથી.
કેન્દ્ર સરકારનો એ નિર્ણય દરેક રીતે યોગ્ય હતો, પરંતુ સમસ્યા એ છે કે ભારતમાં ચૂંટણી હોય કે ન હોય, બારેય મહિના અને આખી જિંદગી વિતંડા કરવો અને કેટલાક પ્રશ્ને સર્વસંમતિ ન જ બનાવવી એવો દસ્તૂર થઈ પડ્યો છે. નરેન્દ્ર મોદીની સરકારે તેની બીજી મુદ્દતમાં પહેલું કામ કસ્તૂરીરંગન સમિતિનો અહેવાલ રાષ્ટ્ર સમક્ષ ચર્ચા માટે ખુલ્લો મૂકવાનું કર્યું હતું. એ અહેવાલ જાહેરમાં ચર્ચા માટે આવ્યો એને હજુ તો ચોવીસ કલાક નહોતા વીત્યા ત્યાં કહેવામાં આવ્યું કે કેન્દ્ર સરકાર દક્ષિણનાં રાજ્યો પર હિન્દી લાદવા માગે છે.
અહેવાલ વાંચ્યા વિના જ ડી.એમ.કે.ના નેતા સ્તાલિને શિક્ષણ સમિતિના અહેવાલનો વિરોધ કર્યો. તેમની સાથે કેન્દ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમ્ અને કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સિદ્ધારામૈયા જોડાયા. બી.જે.પી.ની સરકારને હિન્દીતરફી સરકાર ઠરાવવામાં રાજકીય લાભ છે. આ રીતે બી.જે.પી.ના રથને દક્ષિણમાં પ્રવેશતો રોકી શકાશે એમ તેમને લાગ્યું હતું. આ બાજુ કેન્દ્ર સરકાર પણ પાણીમાં બેસી ગઈ. દક્ષિણ ભારતમાં પ્રવેશ મુશ્કેલ ન બને એ માટે અહેવાલમાં ખરેખર શું કહેવામાં આવ્યું છે એની સ્પષ્ટતા કરવાની જગ્યાએ ખૂલાસો કરવામાં આવ્યો કે આ તો માત્ર રાષ્ટ્રીય ચર્ચા માટેની ભલામણનો ખરડો છે. કોઈ નિર્ણય લેવાયો નથી અને સરકારે સમિતિનો અહેવાલ હજુ સ્વીકાર્યો પણ નથી. વાત સાચી, પણ વિવાદ નિરાધાર છે એટલું કહેવા જેટલી પણ હિંમત નહોતી મજબૂત સરકારમાં? હદ તો હવે આવે છે. કેન્દ્ર સરકારે વિવાદ વકરે નહીં અને દક્ષિણ ભારતમાં ભા.જ.પ.-પ્રવેશ માટે અવરોધ પેદા થાય નહીં એ માટે કસ્તૂરીરંગન સમિતિ પર દબાવ લાવીને ત્રિ-ભાષા વિષયક ફકરો જ બદલાવડાવ્યો. આ બધું બે દિવસમાં બની ગયું. મજબૂત સરકાર આટલી બધી નબળી? આગળ કહ્યું એમ રાષ્ટ્રનિર્માણમાં એક પક્ષકાર અને ખરું પૂછો તો સૌથી મોટું હિત ધરાવનાર પક્ષકાર ભારતીય જનતા છે એ પણ પક્ષીય નેતાઓને અને કેન્દ્રના શાસકોને ન સૂઝ્યું?
શું કહ્યું છે કસ્તૂરીરંગન સમિતિએ ભાષા વિષે? સમિતિએ કોઈ જગ્યાએ કહ્યું નથી કે હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવામાં આવે અને દક્ષિણનાં રાજ્યોમાં હિન્દીનું શિક્ષણ ફરજિયાત કરવામાં આવે. સમિતિએ કહ્યું કે છે કે ૩થી ૮ વર્ષનાં બાળકો વિના આયાસ અનેક ભાષાઓ શીખી શકે છે એટલે તેનો લાભ લેવો જોઈએ. અર્થાત્ તમિળ બાળક હિન્દી ભાષા અને ઉત્તર ભારતનું હિન્દી ભાષિક બાળક ભારતની બીજી કોઈ પણ ભાષા સહેલાઈથી શીખી શકે છે. બાળકમાં રહેલી આ ઈશ્વરદત્ત શક્તિનો લાભ લેવો જોઈએ એમ જે કહેવામાં આવ્યું છે એમાં શું ખોટું કહ્યું છે?
બીજું, અહેવાલમાં અંગ્રેજી હટાવવાની પણ કોઈ વાત કહેવામાં આવી નથી. ઊલટું એમ કહેવામાં આવ્યું છે કે ભારતના પ્રત્યેક બાળકને ઉત્તમ અંગ્રેજી શિક્ષણનો લાભ મળવો જોઈએ, પરંતુ એક ભાષા તરીકે. ભણતરના માધ્યમ તરીકે નહીં. શિક્ષણનું માધ્યમ તો માતૃભાષા હોવી જોઈએ. માતૃભાષામાં બાળક વધારે ગ્રહણશક્તિ ધરાવે છે વગેરે માતૃભાષાની તરફેણમાં જે દલીલો કરવામાં આવે છે એ દલીલો કસ્તૂરીરંગન સમિતિએ પણ કરી છે. તમિળ વિદ્યાર્થી પોતાની માતૃભાષામાં ભણે, ઉત્તમ અંગ્રજીનું જ્ઞાન મેળવે અને ૩થી ૮ વરસનાં બાળકમાં પરાઈ ભાષા શીખવાની જે ઈશ્વરદત્ત શક્તિ છે તેનો લાભ લેવામાં આવે.
કસ્તૂરીરંગન સમિતિએ તેના અહેવાલમાં ત્રિ-ભાષાનો પ્રયોગ ગંભીરતાપૂર્વક લાગુ કરવામાં આવે એમ કહ્યું છે. ગેર-હિદી પ્રદેશોમાં વિદ્યાર્થી પોતાની માતૃભાષામાં ભણે, દેશને જોડનારી ભાષા તરીકે હિન્દી ભણે અને તેની સાથે અંગ્રેજી પણ ભણે. આ યોજના પચાસ વરસ પહેલાં અમલમાં મુકવામાં આવી હતી અને તેને નિષ્ફળ પણ બનાવી દેવામાં આવી છે એટલે સમિતિએ તેને ગંભીરતાથી લાગુ કરવાની ભલામણ કરી છે.
જેમ કે હિન્દી ભાષિક પ્રદેશોમાં વિદ્યાર્થી હિન્દી માતૃભાષા તરીકે શીખે, અંગ્રેજી બીજી ભાષા તરીકે શીખે અને ત્રીજી તેણે કોઈ એક ભારતીય ભાષા શીખવી જોઈએ. આ છે ત્રિ-ભાષા ફોર્મ્યુલા. આમાં કોઈ ખામી તમને નજરે પડે છે? આ તો દેશને જોડનારી અને દેશના નાગરિકોને જગત સાથે જોડનારી ફોર્મ્યુલા છે. દુર્ભાગ્યે હિન્દી ભાષિક પ્રદેશોમાં ત્રીજી ભાષા તરીકે કોઈ ભારતીય ભાષા શીખવવાની જગ્યાએ બાળકોને સંસ્કૃત ભણવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આમાં વિદ્યાર્થીઓને અને શાળા સંચાલકોને એમ બન્નેને ફાયદો છે. વિદ્યાર્થીને સંસ્કૃતની ગોખણપટ્ટી કરીને વધુ માર્ક્સ મળે એટલે ટકાવારી સુધરે અને સંચાલકોએ માત્ર સંસ્કૃતનો જ મોટા ભાગે એક શિક્ષક રાખવો પડે. વિદ્યાર્થીઓ જો બીજી આધુનિક ભારતીય ભાષા પસંદ કરે તો એટલા શિક્ષકો વધુ રાખવા પડે. આમ સંસ્કૃતની પસંદગી એ સંસ્કૃત માટેનો પ્રેમ નથી, પણ ત્રિ-ભાષાની પાછળના ઉદ્દેશને જ મારી નાખનારું છટકું છે કે છટકબારી છે.
આવી જ રમત દક્ષિણમાં ચાલતી રહી છે. જેમ હિન્દીભાષિક પ્રદેશોમાં હિન્દી સિવાયની ભાષાને ખો આપવામાં આવે છે એમ દક્ષિણ ભારતમાં હિન્દીને ખો આપવામાં આવે છે. આમ હિન્દીવાળાઓએ અને દ્રવિડવાળાઓએ મળીને ત્રિ-ભાષા ફોર્મ્યુલાને નિષ્ફળ બનાવી છે. બન્નેએ દેશને જોડવાના મિશનને નિષ્ફળ બનાવ્યું છે.
કસ્તૂરીરંગન સમિતિએ જે ભલામણો કરી છે એ રાષ્ટ્રહિતમાં ગંભીરતાપૂર્વક કરેલી ભલામણો છે. તેના વિષે રાષ્ટ્રીય ચર્ચા થવી તો બાજુએ રહી, વાંચ્યા વિના વિરોધ કરવામાં આવે અને સરકાર હકીકત વિષે સ્પષ્ટતા કરવાની જગ્યાએ ઘૂંટણીએ પડીને તેમાં ફેરફાર કરી નાખે ત્યારે શું કહેવું? પ્રજા નામના ત્રીજા સબળ પક્ષકારનો કોઈ અવાજ ખરો કે નહીં? આપણો અવાજ નથી એટલે તો આવી સ્થિતિ છે. અહીં એક વાતની યાદ અપાવવી જરૂરી છે. અંગ્રેજી ટકી રહે, એટલું જ નહીં પણ અનિવાર્ય ભાષા તરીકે ટકી રહે એમાં માત્ર દક્ષિણના રાજકીય પક્ષોનો જ સ્વાર્થ છે એવું નથી; એનાથી મોટો સ્વાર્થ બાકીના ભારતના ભદ્રવર્ગનો, અંગ્રેજી અખબારોનો અને કોચિંગ ક્લાસોનો છે એ ન ભૂલવું જોઈએ. તેમનો અવાજ પ્રજાના અવાજ કરતાં કાને ધરવો પડે એવો બુલંદ છે.
06 જૂન 2019
[‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 09 જૂન 2019]