ઘણીવાર તો એવો વહેમ પડે છે કે અંગ્રેજો ગયા જ નથી ને આપણે હજી અનેક પ્રકારનાં બંધનો, પ્રતિબંધોથી જકડાયેલાં હોવાનો વહેમ પડે છે. એ ખરું કે સ્વતંત્રતા જવાબદારી તો ઊભી કરે જ છે, પણ જવાબદારી જ હોય ને મોકળાશ ન હોય તો જે અનુભવ બચે તે ગુલામીથી બહુ જુદો ન હોય. એ પણ છે કે એક વર્ગ એવો છે જેને બધું ઉત્તમ જ થતું દેખાય છે. એ ભક્તિમાર્ગી ભલે આનંદ માણે, પણ મોટે ભાગની પ્રજા રાજી નથી. હવે જે રાજી નથી તે વિપક્ષ જ છે એમ માનવું એ એવા લોકોને અન્યાય કરે છે જે વિપક્ષના સભ્યો નથી. આજકાલ વિરોધ કરે તે વિપક્ષનો જ છે ને ભક્તિ કરે છે તે ભા.જ.પ.નો જ છે એવી જાહેર સમજ પ્રવર્તે છે, પણ ઘણા લોકો એવા છે જે ભા.જ.પ.ના નથી ને વિપક્ષના પણ નથી, તેમને માટે કોઈ જગ્યા આ દેશમાં છે કે કેમ તે પ્રશ્ન છે.
દેશના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણાએ તાજી જ ચિંતા વ્યક્ત કરી છે કે દેશમાં વિપક્ષ માટે જગ્યા નાની થતી જાય છે ને સરકારનો વિરોધ દેશના વિરોધમાં ખપાવાય છે. એને કારણે સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે વૈમનસ્ય વધતું આવે છે. આ તંદુરસ્ત લોકશાહીની નિશાની નથી. સરકારનું વલણ એવું જણાય છે કે વિપક્ષ જેવું ખાસ ક્યાં ય રહે જ નહીં. જ્યાં પણ વિપક્ષની સરકાર છે ત્યાં પણ કોઈક રીતે સરકાર એવા પ્રયત્નમાં રહે છે કે એ સરકાર તૂટે ને ભા.જ.પ.ની સરકાર ત્યાં બને. એમાં પ્રજા કલ્યાણનાં કામો થતાં નથી ને ઘણો બધો સમય નવી સરકાર બનાવવામાં કે નવી ચૂંટણી લાવવામાં જ ખર્ચાય છે. આમ પણ ચૂંટણી કેવળ ખર્ચાળ હોય છે ને તેમાં મધ્યાવધિ ચૂંટણીના ખર્ચ છેવટે તો પ્રજાને માથે જ પડે છે ને મહત્ત્વનો પ્રશ્ન તો એ છે કે પક્ષાંતર કર્યું કે કરાવ્યું, ચૂંટણી લાવ્યા, લડ્યા, સરકાર જોડી, તોડી, બનાવી એટલું જ કામ સરકારનું છે કે એ સિવાય પણ કૈં કરવાનું રહે છે? એ સિવાય પણ સરકાર કામ કરે છે ને તે લોકાર્પણનું. લોકાર્પણ જરૂરી છે તેની ય ના નથી, પણ સામાન્ય પ્રજાના પ્રશ્નો ને પ્રોજેક્ટ્સ વચ્ચે અંતર ઘણું છે.
સરકારની બીજી સમજ એવી વિકસી છે કે સારું તો સરકાર જ કરે છે ને વિપક્ષ તો મફત આપીને માત્ર મત જ મેળવે છે. તો, પ્રશ્ન એ થાય કે લોકોને મફત અનાજ, ખાતામાં પૈસા, ચૂંટણી વખતે જુદા જુદા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ એ બધું શું મતની અપેક્ષા વગર સરકાર કરે છે? અહીં વિપક્ષનો બચાવ કરવાની વાત નથી કે નથી તો સરકારનો કોઈ વિરોધ ! વાંધો એટલો જ છે કે ડાહી સાસરે જતી નથી ને ગાંડીને શિખામણ આપે છે. એની જરા પણ ના નથી કે સરકાર ઘણું કરે છે ને વડા પ્રધાન અનેક રાજ્યોમાં વિકાસનાં અનેક કામો ભારે ઊલટથી કરે જ છે. ચિંતા એક જ વાતની છે કે આ દેશમાં ગરીબને સરકાર પૂરું પાડે છે, અમીરો સરકારને પૂરું પડે તે જુએ છે, પણ જે વહેરાય છે તે મધ્યમવર્ગ ! તેને અમીરો અને સરકાર બંને છેડે બેસીને નિરાંતે વહેરે છે. એમાં સરકારને માને છે તે કોમનમેન પણ કૈં બહુ પામી જતો નથી. તે જો કૈં બોલવા જાય તો સોશિયલ મીડિયા તેને કાબૂમાં કેમ રાખવો તે જાણે છે. એ તો સોશિયલ મીડિયાની વાત થઈ, પણ સરકાર જે રીતે અભિવ્યક્તિને રૂંધી રહી છે એ પણ ઓછું ચિંતાજનક નથી.
બહાર સોશિયલ મીડિયા રૂંધે ને સંસદમાં સ્પીકર અભિવ્યક્તિને બાનમાં રાખે એ ઠીક નથી. લોકશાહીમાં જવાબદારી સહિતની અભિવ્યક્તિનો મહિમા ન હોય તો એ લોકશાહી અંગે શંકા ઊભી કરે છે. નવા નિયમો હેઠળ લોકસભા સચિવાલય દ્વારા ‘જુમલાજીવી’, ‘શકુનિ’, ‘સરમુખત્યાર’, ‘જયચંદ’, ‘વિનાશ પુરુષ’, ‘નકામો’, ‘ખાલિસ્તાની’, ‘નૌટંકીબાજ’, ‘ચમચાગીરી’, ‘બહેરી સરકાર’ જેવા કેટલાક શબ્દોને બિનસંસદીય યાદીમાં મૂકવામાં આવ્યા છે. એ જ રીતે ‘કોવિડ સ્પ્રેડર’, ‘સ્નૂપગેટ’, ‘અશેમ્ડ’, ‘કરપ્ટ’, ‘બ્લડી’, ‘ક્રોકોડાઇલ ટીયર્સ’, ‘ડૉન્કી’, ‘મિસલીડ’, ‘લાઇ’ જેવા અંગ્રેજી શબ્દોને પણ અસંસદીય શબ્દોની યાદીમાં મૂકવામાં આવ્યા છે. આવા શબ્દોની યાદી નવી વાત નથી. 1954-1959થી આવા શબ્દોની યાદી બનતી આવી છે ને તે હવે તો 1,100 પાનાંમાં સંગ્રહિત છે. ગયે વર્ષે જ આ યાદીમાં 62 નવા શબ્દો ઉમેરવામાં આવેલા. લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાની કાર્યવાહીમાંથી કાઢવામાં આવેલા શબ્દોની યાદી બનાવવામાં આવે છે. જો કે, આ વખતે ઊહાપોહ થયો છે. દેખીતું છે કે આ ઊહાપોહ વિપક્ષ જ કરે ને સૂત્રો તેનો બચાવ કરે. વિપક્ષે તો આ પ્રકારના પ્રતિબંધોને લોકશાહી પ્રણાલીની વિરુદ્ધ ગણાવ્યા છે તો સૂત્રોનું કહેવું છે કે આ પ્રણાલી યુ.પી.એ.ના વખતમાં પણ હતી. જે શબ્દો સંસદની ગરિમા અને શિષ્ટાચારને અનુરૂપ નથી, તેને ગૃહની કાર્યવાહીમાંથી ગૃહના પ્રમુખ અધિકારીઓ બહાર કાઢવાનો અધિકાર ધરાવે છે. ગૃહની કાર્યવાહી દરમિયાન એવા શબ્દોનો ઉપયોગ થઈ શકતો નથી. જો કોઈ સભ્ય એવા શબ્દોનો ઉપયોગ કરે છે તો તેને અયોગ્ય વર્તન ગણવામાં આવે છે ને તે કાર્યવાહીનો ભાગ બનતો નથી.
કેટલાક શબ્દો તો ખલપાત્ર કે નબળી ક્રિયાના સંકેતો છે, તે વ્યવહારમાં પણ સહજ રીતે વપરાય છે, તે અશ્લીલ કે બીભત્સ નથી, માત્ર કોઈ વ્યક્તિ કે ક્રિયાને સૂચવવા, ચોક્કસ સંદર્ભે અમુક વખતે વપરાયા છે, એટલા પરથી તેને કાયમી ધોરણે દૂર કરવાનું ઠીક નથી. તેને અસંસદીય ઠેરવવાનો અર્થ તો એ થાય કે ચોક્કસ સમયે ને સંદર્ભે, ચોક્કસ અર્થમાં વપરાયેલો શબ્દ કાયમને માટે ઉપજાવાયેલો અર્થ જ ધરાવે છે. એવું તો ન હોય. દાખલા તરીકે કોઈ મંત્રી માટે ‘સરમુખત્યાર’ શબ્દ વપરાયો હોય ને તે જે તે મંત્રી માટે અસંસદીય ગણાય તે સમજી શકાય, પણ પછી મંત્રી બદલાય ને તે સરમુખત્યાર ન હોય તો ‘સરમુખત્યાર’ને દૂર કરી રાખવો યોગ્ય છે? તે બીજા કોઈ સંદર્ભે વાપરી જ ન શકાય તે બરાબર નથી. આ રીતે તો શબ્દોને સીમિત કરવા જેવું થશે ને એ રીતે તો ભાષા પણ સંકોચાશે. એવું કરવા જેવું ખરું?
બંધારણની કલમ 105(2)માં એવો નિર્દેશ છે કે ગૃહમાં ચર્ચા દરમિયાન કેટલાક શબ્દોનો ઉપયોગ કરવાની સ્વતંત્રતા નથી. જો સ્પીકરને લાગે કે ગૃહની કાર્યવાહી દરમિયાન ઉપયોગમાં લેવાયેલા શબ્દો અસંવેદનશીલ, અભદ્ર કે અપમાનજનક છે તો તેને સદનની કાર્યવાહીમાંથી દૂર કરવાનો તે આદેશ આપે છે. આ રીતે અસંસદીય ઠરેલા શબ્દોનો કોઈ સભ્ય ગૃહમાં ઉપયોગ કરે તો તેને કાર્યવાહીમાંથી હાંકી કાઢવામાં આવે છે. જો કે તે અંગેનો અંતિમ નિર્ણય અધ્યક્ષનો ગણાય છે. ગયા અઠવાડિયે કેટલાક અસંસદીય શબ્દની યાદી બહાર પાડવામાં આવી તેના વિરોધમાં સી.પી.આઇ. (એમ)ના મહાસચિવ સીતારામ યેચુરીએ કહ્યું કે મોદી સરકારની વાસ્તવિકતા વર્ણવવા માટે વિપક્ષ દ્વારા ઉપયોગમાં લેવાતા તમામ શબ્દોને હવે ‘અસંસદીય’ ગણવામાં આવશે. એ સંદર્ભે લોકસભાના સ્પીકરે ખુલાસો કરતા કહ્યું કે કોઈ પણ શબ્દ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી, માત્ર એક પ્રક્રિયા હેઠળ કેટલાક શબ્દોને દૂર કરવામાં આવ્યા છે. સ્પીકરની આ વાત વિરોધાભાષી છે. માની લઇએ કે અસંસદીય શબ્દો પર પ્રતિબંધ નથી, પણ ગૃહમાં કોઈ તેનો ઉપયોગ કરે છે તો તેને અયોગ્ય વર્તન ગણવામાં આવશે એનો શો અર્થ કરીશું? ગૃહમાં તે શબ્દ બોલવાની છૂટ નથી તેનું શું? મતલબ કે કોઈ સજા ન થાય તો પણ અસંસદીય શબ્દોનો ઉપયોગ ગૃહની કાર્યવાહી દરમિયાન થઈ શકતો નથી તે તો ખરુંને ! એ જો સહજ શબ્દ જ હોત તો તેને અસંસદીય ઠેરવવાની જરૂર જ ઊભી થઈ ન હોત ને !
આટલું ઓછું હોય તેમ લોકસભામાં શુક્રવારે ધરણા, સૂત્રોચ્ચાર અને પ્રદર્શન પર પણ રોક લગાવી દેવાઈ છે ને તે પછી શનિવારે પેમ્ફલેટ, પ્લેકાર્ડ, પોસ્ટર વગેરે પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આજથી ચોમાસુસત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે સચિવાલયે પાણી પહેલાં પાળ બાંધી હોય એવું લાગે છે. આ બધું વિપક્ષની બોલતી બંધ કરવા થઈ રહ્યું હોવાનો વહેમ પડે છે. સી.પી.આઇ. (એમ)ના મહાસચિવ યેચુરીએ વિરોધ પ્રદર્શન પર મુકાયેલા પ્રતિબંધ સંદર્ભે કહ્યું કે આ તાનાશાહીનો પુરાવો છે. સંસદમાં પ્રદર્શન કરવાનો સાંસદોનો રાજનૈતિક અધિકાર છે. બીજા કાઁગ્રેસી નેતા રાહુલ ગાંધીએ અસંસદીય શબ્દો સંદર્ભે એમ વિરોધ નોંધાવ્યો કે બેરોજગાર યુવકો સરકારનાં જૂઠાણાં માટે ‘દગો’ કે ‘ગુમરાહ’ જેવા શબ્દો વાપરશે તો ચાલશે? અસંસદીય શબ્દોની નવી સૂચિ અને સંસદ પરિસરમાં વિરોધ પર મુકાયેલ બાન સંદર્ભે રાષ્ટ્રપતિપદના ઉમેદવાર અને પૂર્વ મંત્રી યશવંત સિંહાએ કહ્યું કે દેશમાં લોકતંત્રનો અંત આવી ગયો છે. શિવસેનાએ અસંસદીય શબ્દો સંદર્ભે ‘સામના’માં લખ્યું કે સાંસદોનો સંસદમાં બોલવાનો અધિકાર છીનવાશે તો લોકતંત્રનો આત્મા નષ્ટ થઈ જશે.
આટલા ઊહાપોહ પરથી એટલું સમજાય છે કે સરકાર કોઈ વાતે સ્વસ્થ નથી. તેનાથી કોઈનો વિરોધ વેઠાતો નથી. સરકારને શેનો ભય છે તે નથી ખબર, પણ વિરોધને રોકવાની આ ચેષ્ટા લોકતંત્રની વિરુદ્ધની છે. માની લઇએ કે વિપક્ષ ખોટી રીતે વિરોધ કરે છે, તો પણ વિરોધના ભયે સરકાર આગોતરી એવી કોઈ વ્યવસ્થા ન કરી શકે જે લોકતંત્રની વિરુદ્ધ દિશાની હોય. જો સરકાર લોકસેવાના ભરપૂર કાર્યો કરી રહી હોય, વિકાસની ગાડી પૂરપાટ દોડતી હોય અને લોકસભામાં ઈર્ષા આવે એવી બહુમતી હોય, આગામી વર્ષો સુધી ભા.જ.પ.નું શાસન રહેવાનું હોય તો મુઠ્ઠીભર વિરોધ તેનું શું બગાડી શકે એમ છે? તેણે તો કોઈની ય પરવા કર્યા વગર નક્કર પગલાં વિકાસની દિશામાં ભરવા જોઈએ, પણ ઊંડે ઊંડે તેને ડર છે કે ક્યાંક, કૈંક ગરબડ છે. બીજું બધું જવા દઇએ તો પણ, એક જ વ્યક્તિની સરકાર ગમે તેટલી ઉત્તમ હોય તો પણ, તે લોકશાહીને વિકલ્પે સરમુખત્યારશાહીનો પડઘો તો નથી પાડતીને તેની ચિંતા કરવાની રહે. ગમ્મત એ છે કે સરકારને ભય વિપક્ષોનો છે ને સંવેદનશીલ પ્રજાને ભય છે છૂપી રીતે આવી રહેલી દેશી ગુલામીનો –
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 18 જુલાઈ 2022