[પાર્ટ-2]
કોઈ પણ સત્તાધીશને સવાલ કરો તો તેને ન ગમે. 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરામાં 58 રામસેવકોને જીવતાં સળગાવી દીધાં તે ઘટના પાશવી હતી. એ ઘટના બાદ ગુજરાતમાં મુસ્લિમો પ્રત્યે રોષનો જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો. માની લઈએ કે ગોધરાની ઘટના પૂર્વ આયોજિત કાવતરું હતું, પરંતુ આ કાવતરું સરકાર પકડી શકી ન હતી; તેથી 58 નિર્દોષ લોકો ભોગ બની ગયાં ! સરકાર માટે આ શરમજનક ઘટના હતી; કેમ કે ગુજરાતમાં આ પ્રકારની કોઈ ઘટના અગાઉ બની ન હતી. મુખ્ય મંત્રી હિન્દુઓનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગયા હતા; તેથી લોકોનું ધ્યાન ડાયવર્ટ કરવા ભોગ બનનારની ડેડ-બોડીઓ અમદાવાદ મંગાવીને સામૂહિક સ્મશાનયાત્રા કઢાવી ! તેથી લોકો વધુ ઉશ્કેરાયા; અમદાવાદ શહેર અને અન્ય વિસ્તારોમાં ત્રણ દિવસ સુધી સામૂહિક હિંસા ફાટી નીકળી ! સરકારની પક્ષપાતની કાર્યવાહી અંગે આક્ષેપો થયા. તે વખતે વડા પ્રધાન અટલ બિહારી બાજપાઈ હતા; તેમણે કેન્દ્રીય મંત્રી જ્યોર્જ ફર્નાડીઝને અમદાવાદ મોકલ્યા. ફર્નાડીઝ અનેક લોકોને મળ્યા. ફર્નાડીઝે બાજપાઈને રિપોર્ટ કર્યો. તેથી બાજપાઈ ગુજરાતની મુલાકાતે આવ્યા. તે સમયે બાજપાઈએ તત્કાલિન મુખ્ય મંત્રીને કહ્યું હતું-‘રાજધર્મ નીભાવો !’ બાજપાઈ; સત્તાપક્ષના અન્ય નેતાઓ તથા ગુપ્તચર એજન્સીના રિપોર્ટથી જાણતા હતા કે ગુજરાતમાં સરકાર લઘુમતીઓની દરકાર કરતી નથી ! બાજપાઈને આ બે શબ્દો ન છૂટકે પોતાના મુખ્ય મંત્રીને કહેવા પડ્યા હતા ! આ બે શબ્દોને કારણે વિપક્ષ અને ન્યાય ઈચ્છી રહેલ લોકોને જબરજસ્ત બળ મળ્યું હતું !
આ તોફાનોમાં સરકારી આંકડા મુજબ 790 મુસ્લિમો, 254 હિન્દુઓ અને અન્ય આંકડાઓ મુજબ 1,926થી 2,000થી વધુ નિર્દોષ બાળકો / મહિલાઓ / વૃદ્ધોની ઘાતકી હત્યાઓ થઈ ! બળાત્કાર થયાં ! 2,500થી વધુ લોકોને ઈજા પહોંચી. 273 દરગાહો, 241 મસ્જિદો, 19 મંદિરો, 3 ચર્ચને તોડી નાખવામાં આવ્યા કે તેમને નુકશાન કરવામાં આવ્યું ! મુસ્લિમોના 1 લાખ ઘર / 1,100 હોટલ / 15,000 ધંધાઓ / 3, 000 ગૃહઉદ્યોગ / 5,000 વાહનોને નુકશાન પહોંચ્યું ! 2 લાખ મુસ્લિમોને ઘર છોડવું પડ્યું ! કરોડો રૂપિયાની સંપત્તિનો નાશ થયો ! કરોડો રુપિયા રાહતમાં ખર્ચાયા. 27,780 લોકોને એરેસ્ટ કરવામાં આવ્યા. 11,167 લોકોને ગુનાહિત વર્તણૂક માટે એરેસ્ટ કર્યા; તેમાં 3,269 મુસ્લિમ અને 7,896 હિન્દુઓ હતા. 16,615 લોકોને અટકાયતી પગલાં માટે એરેસ્ટ કરવામાં આવ્યા; જેમાં 2,811 મુસ્લિમો અને 13,804 હિન્દુઓ હતા ! Concerned Citizens Tribunal, તથા Crimes Against Humanityના જણાવ્યા મુજબ એરેસ્ટ કરેલ આરોપીઓમાંથી 90% આરોપીઓને ત્વરિત બેઈલ ઉપર મુક્ત થઈ ગયા હતા ! હત્યા અને આગ ચાંપવાના આરોપીઓ પણ જામીન ઉપર છૂટી ગયેલ ! આ બધી ઘટનાઓના કારણે અમેરિકાએ તત્કાલિન મુખ્ય મંત્રીને અમેરિકાના વિઝા આપવાનો ઈન્કાર કરી દીધો હતો ! ગોધરા-હિંસા અને પછીની હિંસાથી વિશ્વમાં ગુજરાતનું નામ ખરડાયું હતું; સ્વાભાવિક છે કે સત્તામાં હોય તેનો વાંક જોવામાં આવે. SIT તથા સુપ્રિમકોર્ટની ક્લિન-ચિટથી આ હત્યાઓ થઈ નથી તેવું સાબિત થઈ જતું નથી ! સત્તામાં ફરી-ફરી ચૂંટાઈ જાય, તેથી આ હત્યાનો ઇતિહાસ ભૂંસાઈ જતો નથી ! હા, ‘સત્તા’ હોય તો ચૂકાદા તરફેણમાં જરૂર આવે છે !
સવાલ એ છે કે ન્યાય માંગવો તે ગુનો છે? 24 જૂને 2022ના રોજ સુપ્રિમકોર્ટનો ચૂકાદો આવે છે અને બીજે જ દિવસે તીસ્તાની મુંબઈથી ધરપકડ કેમ? શું તીસ્તા આતંકવાદી છે? તીસ્તા સેતલવાડ વડા પ્રધાનને આંખના કણાની જેમ કેમ ખટકે છે? આ છે કારણો : [1] તીસ્તાએ પોતાની NGO મારફતે 2002ની હિંસાની સચ્ચાઈ ઉજાગર કરી; અને સરકારને જવાબદાર ઠેરવી. [2] ન્યાય માટે જુદી જુદી કોર્ટમાં લડાઈ લડી. તેમના પ્રયાસના કારણે જ સુપ્રિમકોર્ટે 2008માં SITની રચના કરી. આ SIT સાથે ‘કામ પાડવા’માં ‘સત્તા’નો દમ નીકળી ગયો ! [3] તત્કાલિન મુખ્ય મંત્રીને અમેરિકાએ વિઝા આપવાનો ઈન્કાર કર્યો તે સહન થઈ શકે તેમ ન હતું. [4] મુખ્ય મંત્રીમાંથી 2014માં વડા પ્રધાન બન્યા; 2919માં ફરી વડા પ્રધાન બન્યા છતાં 2002ની નામોશીથી છૂટકારો ન મળ્યો ! [5] તીસ્તાએ સુપ્રિમકોર્ટમાં જઈને ‘બેસ્ટ બેકારી કેસ’ / ‘બિલ્કીસ બાનો કેસ’ મુંબઈમાં ટ્રાન્સફર કરાવ્યો; જેથી ગુજરાતની ‘સત્તા’ને નીચાજોણું થયું ! બન્ને કેસમાં આરોપીઓને સજા થઈ. ‘બિલ્કીસ બાનો કેસ’માં IPS અધિકારી આર.એસ. ભગોરાને 30 મે 2019ના રોજ ડિસમિસ કરવા પડ્યા ! બિલ્કીસ ઉપર ગેંગરેપ થયો હતો. તેની અઢી વર્ષની દીકરી સહિત પરિવારના 7 વ્યક્તિઓની 3 માર્ચ 2002ના રોજ હત્યા થઈ હતી. સુપ્રિમકોર્ટે તેને 50 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો. ‘સત્તા’ માટે નીચાજોણું થયું હતું. [5] રાષ્ટ્રીય /આંતરરાષ્ટ્રીય મીડિયામાં આ કિસ્સાઓ ગાજતા હોવાથી વડા પ્રધાનની ‘ઈમેજ’ને ધક્કો પહોંચતો હતો. 2002ની હિંસા અંગે સ્ટિંગ ઓપરેશનો થયા. જેના કારણે નામોશી સતત થતી રહી હતી. પુસ્તકો લખાયાં – ‘Gujarat files-Anatomy of a cover up’ લેખક – રાણા અય્યુબ, 25 માર્ચ 2026 / ‘The anatomy of hate’ લેખક-રેવતી લૌલ, 10 ડિસેમ્બર 2018 / ‘Fear and Forgiveness : The Aftermath of Massacre’ લેખક-હર્ષ મંદર, 1 જાન્યુઆરી 2015 / ‘Between Memory and Forgetting : Massacre and the Modi years in Gujarat’ લેખક-હર્ષ મંદર / ‘Scarred : Experiments with Violence in Gujarat’ લેખક-ડિઓને બુન્શા, 1 જાન્યુઆરી 2006 / ‘Communal Violence, Forced Migration and the State : Gujarat since 2002’ લેખક – સંજીવની બાડીગર લોખંડે, 13 ઓક્ટોબર 2016 / ‘Under cover : My journey into the darkness of Hindutva’ લેખક-આશિષ ખેતાન, 11 જાન્યુઆરી 2021 / ‘Gujarat Behind the Curtain’ લેખક – આર.બી. શ્રીકુમાર, 17 ડિસેમ્બર 2015 / ‘Gujarat : The Making of a Tragedy’ લેખક-તીસ્તા સેતલવાડ / સિદ્ધાર્થ વરદરાજન, 25 નવેમ્બર 2003. તીસ્તાની ઝૂંબેશના કારણે સત્યશોધકો આગળ વધતા હતા અને પુસ્તકોમાં પર્દાફાશ કરતા હતા; જેથી ‘અવતારી-દિવ્યશક્ત’ની ઈમેજમાં ગોબો પડતો હતો ! ખાસ તો વિદેશોમાં ‘વિશ્વગુરુ’ની છબિ વધુ ખરડાઈ રહી હતી; એટલે જ તીસ્તા સેતલવાડને જેલમાં પૂરવામાં આવ્યાં !
રાણા અય્યુબ તથા આશિષ ખેતાનનાં પુસ્તકો સાબિત કરે છે કે હિંસામાં ‘સતા’ કઈ રીતે સંડોવાયેલ હતી. બેસ્ટ બેકરી કેસમાં ઝહિરા શેખને ફરી જવા બચાવ પક્ષે લાંચ આપી હતી ! તેમના સ્ટિંગ ઓપરેશનની કારણે બાબુ બજરંગી અને માયા કોડનાનીને દોષિત ઠેરવવામાં આવ્યાં હતાં. 2002ની હિંસા પછી ‘સત્તા’એ એક જબરજસ્ત વિજય હાંસલ કર્યો છે – તેણે નાગરિકોને ભીડમાં ફેરવી નાખ્યા છે ! જે ભીડ હવે સત્યશોધકો ઉપર હુમલાઓ કરે છે; ગાળો આપે છે; અવાજ દબાવે છે. એક તરફ ભીડ; બીજી તરફ સત્તાનો જુલમ ! જે સત્યશોધકો હિમ્મત કરે છે તેમને ‘સત્તા’ જેલમાં પૂરે છે !
17 જુલાઈ 2022
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર