[પાર્ટ-1]
હંમેશાં સત્યના પડખે ઊભા રહેનાર તીસ્તા સેતલવાડ શા માટે જેલમાં છે? શા માટે તેઓ વડા પ્રધાનને આંખના કણાની જેમ ખૂંચે છે? જે સુપ્રિમકોર્ટે તીસ્તા સેતલવાડની પીઠ થાબડી હતી; તેણે શા માટે તેને જેલમાં પૂરાવ્યા? તીસ્તા જેલમાં છે, તેનો અર્થ શું છે? વગેરે બાબતો દરેક જાગૃત નાગરિકોએ જાણવી જરૂરી છે. તીસ્તા સેતલવાડની ઉંમર 60 વર્ષની છે; તીસ્તા સેતલવાડનો જન્મ મુંબઈમાં, ગુજરાતી પરિવારમાં, 09 ફેબ્રુઆરી 1962ના રોજ થયો હતો. તેમના પિતા અતુલ સેતલવાડ પ્રસિદ્ધ વકીલ હતા. માતાનું નામ સીતા હતું. તીસ્તાના દાદા એમ.સી. સેતલવાડ ભારતના પ્રથમ એટર્ની જનરલ હતા. તીસ્તા પત્રકાર અને હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટ છે. તેમણે પત્રકાર અને માઈનોરિટી રાઈટસ એક્ટિવિસ્ટ જાવેદ આનંદ સાથે લગ્ન કરેલ છે અને સંતાનમાં દીકરી-દીકરો છે.
તીસ્તાએ કોલેજમાં બે વર્ષ કાયદાનો અભ્યાસ કર્યો, પણ તે અભ્યાસ છોડી દીધો. પછી 1983માં બોમ્બે યુનિવર્સિટીમાંથી ફિલોસોફીમાં સ્નાતકની ડિગ્રી મેળવી અને પત્રકાર તરીકે કામ શરૂ કર્યું. ‘ધ ડેઈલી’ (ઈન્ડિયા) અને ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’ અખબારોની મુંબઈ આવૃત્તિઓ અને પછી ‘બિઝનેસ ઈન્ડિયા’ મેગેઝિનમાં કામ કર્યું. 1984માં ભિવંડી રમખાણો અંગે લખ્યું. 1993માં, મુંબઈમાં હિંદુ-મુસ્લિમ રમખાણોના પ્રતિભાવરૂપે, તેણે પતિ સાથે ‘કોમ્યુનલિઝમ કોમ્બેટ’ નામનું માસિક સામયિક શરૂ કર્યું, જે નવેમ્બર 2012 સુધી ચાલું હતું.
27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરાકાંડની પાશવી હિંસા બાદ, ગુજરાતમાં અનેક જગ્યાએ સામૂહિક હિંસાની ઘટનાઓ બની. 01 એપ્રિલ 2002ના રોજ, તીસ્તા / તેમના પતિ / ફાધર સેડ્રિક પ્રકાશ (કેથોલિક પાદરી) / અનિલ ધારકર (પત્રકાર) / અલીક પદમસી / જાવેદ અખ્તર / વિજય તેંડુલકર / રાહુલ બોઝ તથા અન્ય લોકો સાથે મળીને CJP-Citizens for Justice and Peace નામની NGO સ્થાપી. ગુજરાતની સામૂહિક હિંસા માટે તત્કાલિન મુખય મંત્રી અને સરકારના અધિકારીઓ સામે વિવિધ અદાલતોમાં કેસો કર્યા. એપ્રિલ 2004માં સુપ્રિમકોર્ટે ‘બેસ્ટ બેકરી કેસ’ને ગુજરાતમાંથી પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કર્યો અને 27 જૂન 2003ના રોજ, નીચલી કોર્ટે 21 આરોપીઓને નિર્દોષ છોડવાનો હુકમ કર્યો હતો તે રદ્દ કર્યો અને આદેશ આપ્યો કે તપાસ અને ટ્રાયલ નવેસરથી હાથ ધરવામાં આવે ! બેસ્ટ બેકરીની ઘટનામાં 01 માર્ચ 2002ના રોજ, વડોદરામાં 14 મુસ્લિમોને સળગાવી દીધા હતા. જાહિરા શેખ સાક્ષી હતી. કેસ ચાલતો હતો તે દરમિયાન તે ફરી ગઈ અને તીસ્તા સામે ખોટા આક્ષેપ કરેલ ! સુપ્રિમકોર્ટે જાહિરા શેખને કોર્ટને ગેરમાર્ગે દોરવા સબબ 1 વર્ષની સજા કરી હતી ! 09 જુલાઈ 2012ના રોજ બોમ્બે હાઈકોર્ટે બેસ્ટ બેકરી કેસમાં 4 આરોપીઓને આજીવન કેદની સજા કરી હતી. જાહિરા શેખનો કિસ્સો એ દર્શાવે છે કે આરોપીઓને સજા ન થાય તે માટે સત્તાપક્ષના લોકો દ્વારા સાહેદોને ફેરવી નાખવામાં આવતા હતા !
તીસ્તાનું મુખ્ય કામ સમાજમાં પ્રેમ / શાંતિ / સદ્દભાવને પ્રોત્સાહન આપવાનું છે. ‘કોમ્યુનલિઝમ કોમ્બેટ’ માસિક એનું સાક્ષી છે. પત્રકારત્વ કેટલો શ્રમ માંગે છે, તેનો ખ્યાલ આ મેગેઝિન જેમણે વાંચ્યું હોય તેને જ ખબર પડે ! સાંપ્રદાયિક ધૃણા / હિંસા ફેલાવતા સંગઠનોનો તીસ્તા મક્કમતાપૂર્વક વિરોધ કરે છે. આ કારણસર ગુજરાતના તત્કાલિન મુખ્ય મંત્રી અને હાલના વડા પ્રધાન તીસ્તા સાથે નારાજ છે ! તીસ્તા લોકોને જાગૃત કરે / નાગરિક સભાનતા પ્રગટાવે તે ગોડસેવાદી સરકારને કઈ રીતે ગમે? તીસ્તાએ 10 જૂન 2002ના રોજ ‘યુનાઈટેડ સ્ટેટ્સ કમિશન ઓન ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ’માં ગોધરા પછીની સાંપ્રદાયિક હિંસામાં ગુજરાતની તત્કાલિન સરકારની ભૂમિકા અંગે જુબાની આપી હતી; સરકારથી આ સહન થાય? તીસ્તા એક પ્રખર નારીવાદી છે. દલિતો, મુસ્લિમો અને મહિલાઓના અધિકારો અને વિશેષાધિકારો માટે ઝૂંબેશ ચલાવે છે. તીસ્તા પતિ સાથે ‘સબરંગ કોમ્યુનિકેશન’ ચલાવે છે; જે માનવ અધિકારો માટે લડે છે. તીસ્તા ‘CJP’ના વડા / ‘PUHR – પીપલ્સ યુનિયન ફોર હ્યુમન રાઈટ્સ’ના જનરલ સેક્રેટરી / ‘Pakistan – India People's Forum for Peace and Democracy’નાં સભ્ય છે. તીસ્તાનાં ઉમદા કાર્યને સમજવા માટે એક નજર કરીએ : [1] 1993માં PUCL જર્નાલિઝમ ફોર હ્યુમન રાઈટ્સ એવોર્ડ મળ્યો. [2] 1993માં ઉત્કૃષ્ટ મહિલા મીડિયાપર્સન માટે ચમેલી દેવી જૈન પુરસ્કાર. [3] 1999માં મહારાણા મેવાડ ફાઉન્ડેશનનો હકીમ ખાન સુર એવોર્ડ. [4] 2000માં દલિત લિબરેશન એજ્યુકેશન ટ્રસ્ટનો માનવ અધિકાર પુરસ્કાર. [5] 2002માં રાજીવ ગાંધી રાષ્ટ્રીય સદ્દભાવના પુરસ્કાર. [6] 2003માં, ન્યુરેમબર્ગ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એવોર્ડ. [7] 2004 ડિફેન્ડર ઓફ ડેમોક્રેસી એવોર્ડ. [8] 2004 M.A. થોમસ નેશનલ હ્યુમન રાઈટ્સ એવોર્ડ. [9] 2006માં, નાની એ. પાલખીવાલા એવોર્ડ. [10] 2007માં, માતોશ્રી ભીમાબાઈ આંબેડકર એવોર્ડ. [11] 2007માં રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી પુરસ્કાર. [12] 2009માં, કુવૈતમાં FIMA – ફેડરેશન ઓફ ઈન્ડિયન મુસ્લિમ એસોસિયેશન દ્વારા એક્સેલન્સ એવોર્ડ. [13] પેક્સ ક્રિસ્ટી ઇન્ટરનેશનલ પીસ એવોર્ડ. [14] 2020માં, યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયા તરફથી માનદ્દ ડોક્ટરેટ !
જ્યારે સરકાર ખોટી હોય, ત્યારે તમારી સચ્ચાઈ તમને જેલમાં પહોંચાડે છે ! તમે સમાજમાં શાંતિ /ભાઈચારો જળવાઈ રહે તે માટે ક્ષણે ક્ષણે જાગૃત રહેનાર; વંચિતો / ગરીબો / દલિતો /આદિવાસીઓ / લઘુમતીઓના માનવ હકોની રખેવાળી કરનાર અને તેમને મદદ / હૂંફ આપનાર તીસ્તા સેતલવાડ તથા પ્રમાણિકતા-સચ્ચાઈમાં જેનો જોટો ન જડે તેવા IPS અધિકારી આર.બી. શ્રીકુમારને સાબરમતી જેલમાં પૂરીને સરકાર નાગરિકોને શું સંદેશ આપવા માંગે છે?
16 જુલાઈ 2022
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર