‘એક્ઝામ વૉરિયર્સ’ સમક્ષ ભાષણ કરતા વડાપ્રધાનશ્રીને દેશના શિક્ષણની ખરી સમસ્યા દેખાઈ નથી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના તાલકટોરા સ્ટેિડયમમાં હજારો વિદ્યાર્થીઓ સમક્ષ ‘પરીક્ષા પર ચર્ચા’ કરી. હાડોહાડ રાજકારણી એવા વડાપ્રધાને વિદ્યાર્થીઓ સમક્ષ એમની સમાજસુધારકની છબી પેશ કરતાં ઘણી સુષ્ઠુસુષ્ઠુ વાતો કરી. વિદ્યાર્થીઓમાં હકારાત્મક અભિગમ કે આત્મવિશ્વાસ કેળવાય તેવી સલાહો આપી. મુખ્યત્વે એકતરફી સંવાદમાં વડાપ્રધાને કેટલાક સવાલોના જવાબો પણ આપ્યા. ભારતના દરેક બાળકને જન્મથી જ તે રાજકારણી હોવાનો શિરપાવ આપીને નમોએ 2019ની ચૂંટણી સંદર્ભના એક સવાલના જવાબમાં, ‘ચૂંટણીઓ તો આવે ને જાય, તૈયારી જરૂરી છે અને હું પૂરી નિષ્ઠાથી મહેનત કરીશ,’ એમ કહ્યું હતું. એપ્રિલ 2014માં મોદી થાઉંથાઉં વડાપ્રધાન હતા ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે એમણે દસમા-બારમાના પરીક્ષાર્થીઓ અને તેમના વાલીઓ જોગ ટેલીફોનિક શુભેચ્છા સંદેશમાં કહ્યું હતું કે, ‘આ વરસે(2014)માં તમારી સાથે મારી પણ પરીક્ષા છે. પણ હું તેની બહુ ફિકર કરતો નથી.’
નરેન્દ્ર મોદીનો દેશના ભાવિ મતદારો સાથેનો આ સંવાદ કેવો વાસ્તવિકતાથી પર હતો તેનો પુરાવો બે દિવસ પછી જ મળ્યો. હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાની ચેસ્તા ગ્રામ પંચાયતની શાળાના વિદ્યાર્થીઓને શાળા મેનેજમેન્ટ કમિટીના એક વગદાર અને ઉચી જાતિના આગેવાનના ઘરે ટી.વી. પર આ ચર્ચા સાંભળવા લઈ જવાયા હતા. ત્યાં આ ‘એક્ઝામ વૉરિયર્સ’ દલિત વિદ્યાર્થીઓને ઘરની બહાર જુદા બેસાડવામાં આવ્યા હતા! આવા ભેદભાવ અને અસમાનતા હોય છે એનો ઉલ્લેખ સુધ્ધાં વડાપ્રધાનની પેલી સુફિયાણી વાતોમાં નહોતો. એમ તો ઉત્તર પ્રદેશ ધારાસભાની ચૂંટણીઓમાં પરીક્ષામાં ચોરીઓનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. વડાપ્રધાન તેમની ચૂંટણીસભાઓમાં આ મુદ્દો ઉછાળીને સમાજવાદી પક્ષની આલોચના કરતા હતા. આ વખતની યુ.પી.ની બોર્ડ એક્ઝામમાં નકલપ્રેમી લાખો વિદ્યાર્થીઓ બેઠા જ નહીં એવી વાતોનો યોગી આદિત્યનાથ સરકારે બહુ પ્રચાર પણ કર્યો, પરંતુ પરીક્ષામાં થતી ચોરીઓની કશી જિકર વડાપ્રધાને તેમના ભાષણમાં કરી નહીં. દેશમાં ભલે આજકાલ પરીક્ષાઓનો સમય હોય, પણ કાળ તો કસોટીનો છે. એટલે વડાપ્રધાન અને તેમના સાથીઓ પરીક્ષા અને કસોટીથી બચી શકવાના નથી.
હૈદરાબાદ યુનિવર્સિટીના હોનહાર દલિત વિદ્યાર્તી રોહિત વેમુલાની આત્મહત્યા એ જો સંસ્થાનિક હત્યા હતી, તો ઘરઆંગણે ભાનુભાઈ વણકરના આત્મદાહને એક રીતે વહીવટી હત્યા કહી શકાય. માત્ર બે દલિતોની ચાકરિયાત ભોંયને કાયમી કરાવવા એક દલિત કાર્યકરને જાહેરમાં સળગી મરવું પડે તે સરકાર અને શાસનની નાલેશી છે. પણ મોદી હોય કે રૂપાણી, બહુમતીએ મળેલી સત્તાના નશામાં એવા તો ગુલતાન હોય છે કે 2019ની પરીક્ષા એમનો કસોટી કાળ છે તેનાથી એ સાવ જ બેતમા લાગે છે.
રોજેરોજ આ દેશમાં અગ્નિપરીક્ષાઓ જેવી પરીક્ષા થતી રહે છે. પરીક્ષા માત્ર વિદ્યાર્થીઓની જ નથી થતી. રાજકીય પક્ષોની, સત્તાપક્ષ અને વિપક્ષની, બિનસાંપ્રદાયિક પરિબળોની, દલિતો, આદિવાસીઓ, પછાતો, લઘુમતીઓ, મહિલાઓ, નાગરિક સમાજની અને દેશના એકેએક નાગરિક થાય છે. આ વરસ ખાસ્સાં આઠ-નવ રાજ્યોની ચૂંટણીનું વરસ છે. તો 2019માં લોકસભાની ચૂંટણી માથે ઊભી છે. કેન્દ્ર અને રાજ્યોના અંદાજપત્રો જાણે કે રાજકીય પક્ષોના ચૂંટણીઢંઢેરા બનીને આવી રહ્યા છે. આ કે તે યોજનામાં બજેટ ફાળવણીમાં વધારા ઘટાડા સિવાય તેમાં દેશની કે રાજ્યની ખરી સમસ્યાઓનું નિદાન ગાયબ છે.
કેન્દ્રની મોદી સરકારની ખરી કસોટી આર્થિક મોરચે છે. ખાસ કશી નાણાકીય જોગવાઈઓ વિના નાણામંત્રીએ ‘ઓબામાકેર’ જેવી ‘નમોકેર’ની આરોગ્યવીમાની યોજના તો જાહેર કરી દીધી છે, પણ એ જગજાહેર છે કે સરકારો શિક્ષણની જેમ આરોગ્ય સેવાઓનું પણ મોટા પાયે ખાનગીકરણ કરી રહી છે. ગરીબોને તે ખાનગી સેવાઓના ભરોસે છોડીને કસોટીથી ભાગી રહ્યા છે. વળી અત્યાર સુધી નરેન્દ્ર મોદી સરકાર નાણાકીય ભ્રષ્ટાચારોની જાહેર ચર્ચાઓથી બચતી રહી હતી, પરંતુ નીરવ મોદી, મેહુલ ચોકસી અને વિક્રમ કોઠારીના કૌભાંડોએ સરકારની આબરૂ ઉઘાડી પાડી દીધી છે. લલિત મોદી, વિજ્ય માલ્યા, સુબ્રતો રોય અને રાફેલ સોદો પણ સરકાર સામે ઊભા છે. યુ.પી.એ. સરકારનાં બહુ ગાજેલાં કૌભાંડોમાંથી નેતાઓ છૂટી રહ્યા છે, ત્યારે જ પંજાબ નેશનલ બેન્કનું કૌભાંડ મોદી સરકારની વિશ્વનીયતાની પરીક્ષા લેનારું જ નહીં તેમની આકરી કસોટી કરનારું બની રહેવાનું છે.
ન્યાયતંત્રની સ્વતંત્રતા અને બંધારણીય સંસ્થાઓની સ્વાયત્તતા પણ સરકારની કસોટી કરનાર બાબતો છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મોદીએ લોકાયુક્તની નિમણૂક થવા દીધી નહોતી અને ‘કૅગ’ના અહેવાલો વિધાનસભાના સત્રના અંતિમ દિવસે રજૂ થતા હતા. અણ્ણા હઝારેના લાડકા નમો હજુ ચાર વરસે ય કેન્દ્રમાં લોકપાલ નીમતા નથી. સુપ્રીમ કોર્ટના ચાર સિનિયર જજોએ જે રીતે પ્રેસ સમક્ષ આવી અસંતોષ વ્યક્ત કર્યો તેનાથી ન્યાયતંત્રમાં બધું સમુંસૂતરું ચાલી ન રહ્યું હોવાનું જણાય છે. જસ્ટિસ લોયાના મૃત્યુુનું રહસ્ય પણ સરકારની કસોટી કરનાર બનનારું છે. દેશમાં વાણી અને અભિવ્યક્તિ સ્વતંત્રતા ખતરામાં હોવાના બનાવો બનતા રહે છે. તે અંગેનું સરકારોનું વલણ રાજસ્થાન સરકારના કાળા કાનૂનમાં દેખાય છે. પત્રકારો, વકીલો અને નાગરિક સમાજના સતત વિરોધ પછી રાજસ્થાનની ભાજપ સરકારે એ બિલ પાછું ખેંચવું પડ્યું છે, પણ તેથી લોકોનો કસોટી કાળ સાવ પૂરો થતો નથી. કાવેરી જળવિવાદ હોય કે નર્મદાના પાણીની ઘટતી જળસપાટી- સર્વત્ર માહોલ પરીક્ષાનો નહીં એટલો કસોટીનો છે. કાશ્મીર સરહદે રોજરોજ જવાનોની શહીદીના સમાચારો આવે છે અને મંત્રીઓ પત્રકાર પરિષદો યોજીને ‘બદલા લેંગેં’ની ભાષામાં ગર્જ્યા કરે છે. સંઘ સુપ્રીમો ત્રણ જ દિવસમાં સંઘના સ્વંયસેવકો લશ્કર બની જશેનો, એવો લલકાર કરે છે પણ કાશ્મીર હોય કે અયોધ્યા કોઈના શાંતિપૂર્ણ લોકશાહી ઉકેલની પહેલ કરતા નથી. હા, લાલ કિલ્લે યજ્ઞ જરૂર કરે છે. એમની લલકારની ભાષામાં અગ્નિ વધુ અને પ્રકાશ ઓછો હોય છે. એટલે તે ખરાખરીની કસોટીએ ભાગતા લાગે છે.
શાયદ 2000ના વરસમાં ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં ‘ઈસરો’ના પૂર્વ ચેરપર્સન પ્રો. યુ.આર. રાવે કાળગ્રસ્ત પરીક્ષાપદ્ધતિના કારણે સાયબર યુગને સમજી શકે તેવા વિદ્યાર્થીઓ ન હોવાની રાવ ખાધી હતી. વિજ્ઞાનનો વિષય લઈને તૈયાર થનારાની ટકાવારી ઘટી રહી હોવાની પણ આ વિજ્ઞાનીને ચિંતા હતી. ‘એક્ઝામ વૉરિયર્સ’ સમક્ષ ભાષણ કરતા વડાપ્રધાનશ્રીને દેશના શિક્ષણની આ ખરી સમસ્યા દેખાઈ નથી પરંતુ વર્તમાન કાળગ્રસ્ત પરીક્ષા પદ્ધતિમાં સફળ થવા વિદ્યાર્થીઓ અને તેમનાં માબાપોના ઉધામામાં થોડો આત્મવિશ્વાસ ઉમેર્યો છે. લાગે છે કે નરેન્દ્ર મોદીને અને દેશની જનતાને તેની ખરી કસોટીની ખબર નથી અને 2019 તો માથે આવી ઊભું છે.
e.mail : maheriyachandu@gmail.com
સૌજન્ય : ‘કઠણાઈ’, “દિવ્ય ભાસ્કર”, 22 ફેબ્રુઆરી 2018