"હું ડો. વિક્રમ સારાભાઈની દીકરી તરીકે નહીં, પાપાની દીકરી તરીકે મોટી થઈ છું. એ પાપા હતા. મને યાદ છે કે હું જેમાં ફસાઈ ગઈ હોઉં, એવું હોમવર્ક તે મને નો'તા કરાવતા. એ કહેતા, "મલી, ઊંડા શ્વાસ લે. આ જો તારા વશનું ના હોત, તો ટીચરે આપ્યું જ ન હોત." અને હું કહેતી, "પાપા, મેં કેટલા શ્વાસ ભર્યા, તો ય નથી આવડતું." એ માત્ર હસતા અને કહેતા, "આવડશે. હજુ વધુ શ્વાસ ભર."
હું ૧૨ વર્ષની હતી અને સ્કૂલમાં બે મોટા છોકરા લડ્યા, તો આરોપ એવો મુકાયો કે મારા કારણે એ ઝઘડ્યા હતા. પાપાને બોલાવાયા. એમને રમૂજ થતી હતી કે ૧૨ વર્ષની છોકરીએ 'પરિસ્થિતિ' બગાડી હતી. તેમણે મને બેસાડી અને કહ્યું કે દુનિયામાં બે પ્રકારના લોકો હોય. એક એવા હોય, જે સમાજે બનાવેલા – યોગ્ય કે અયોગ્ય – નિયમોને અનુસરે અને બીજા એવા હોય, જે સવાલો કરે અને શું સાચું અને શું ખોટું, તે જાતે નક્કી કરે. આ બીજા પ્રકારના લોકો સમાજના નિયમોને બદલે અંતરાત્માને અનુસરે.
ચિત્રમાં, વિક્રમ સારાભાઈ મલ્લિકા અને કાર્તિકેય સાથે
તેમણે કહ્યું કે તેઓ અને અમ્મા (શાસ્ત્રીય નૃત્યાંગના મૃણાલિની સારાભાઈ) આ બીજા પ્રકારનાં છે અને મારે નક્કી કરવું જોઈએ કે હું સમાજના હુકમોને માનું કે અંતરાત્માને અનુસરું. તેમણે કહ્યું, "તું જો સમાજની અપેક્ષાઓ પ્રમાણે નહીં ચાલે અને આત્માને અનુસરીશ, તો પથ્થરો ખાવાની તૈયારી રાખજે." મેં થોડા દિવસ આનો વિચાર કર્યો અને પછી મેં એમને કહ્યું, મને લાગશે કે બીજા કહે છે તે રસ્તો ખોટો છે, તો હું મને જે સાચો લાગશે, તે રસ્તે ચાલીશ.”
અને મેં એમ જ કર્યું છે.
હું ૧૩ વર્ષની હતી ત્યાં સુધી, કમલા ચૌધરી (IIM અમદાવાદની પહેલી રિસર્ચ ડિરેક્ટર અને મૃણાલિનીની બહેનપણી) સાથે એમના સંબંધને લઈને હું તેમને નફરત કરતી હતી. મારી માને પણ એની બહુ પીડા હતી, પણ મેં તેમની સાથે સંવાદ શરૂ કર્યા, તે પછી અમારા સંબંધમાં ગહેરાઈ આવી. મને સમજાયું કે તેઓ એ જ કરતા હતા, જે તેમને સાચું લાગતું હતું – હું જો કે એમાં સંમત ન હતી. તેમનાં કારણે ઘરમાં જે પીડા હતી, એનું તેમને પણ દુઃખ હતું. મને સમજાતું હતું કે તેઓ બંને સ્ત્રીઓને ઊંડો પ્રેમ કરતા હતા. આજે મને સમજાય છે કે આ શક્ય છે. જો કે, હું હજુ પણ માનું છું કે બેમાંથી એકપણ જો દુઃખી હોય, તો તમારામાં એકને પસંદ કરવાનું સાહસ જોઈએ, બે ય હાથમાં લાડવા ના હોય.
આ અઘરી બાબત છે. એમાં ખાલી પ્રેમ નહીં, પણ પરિવાર, પીડા, પ્રાથમિકતાઓ અને વફાદારીઓ પણ હોય છે. એના કોઈ સીધા જવાબો નથી. હું જો એ 'બીજી સ્ત્રી' હોઉં અને એ જો એની પત્ની અને પરિવારને ચાહતો હોય, તો મારામાં એને છોડી દેવાનું સાહસ હોવું જોઈએ. મને લાગે છે સૌની ભલાઈ માટે હું આવું કરું.
હું મુંબઈમાં હતી અને નવા વર્ષમાં એ મને અને અમ્માને ઘરે લઈ જાય, તેની રાહ જોતી હતી અને ૫૨ વર્ષની ઉંમરે એ અલવિદા ફરમાવી ગયા. બહુ કામો અધૂરાં છોડી ગયા! હું માનું છું કે આજે એ જીવતા હોત, તો તેમણે દેશની દિશાને પ્રભાવિત કરી હોત.
એમને મીસ કરું છું. રોજ. ખાસ તો, ચારેતરફ નફરત અને હિંસા જોઉં છું એટલે. એ કોઈ અંગત સ્વાર્થ વગરના, દ્રષ્ટિવાળા ડાહ્યા માણસ હતા. તેમણે અને અમ્માએ અમને શિક્ષણ અને આદર્શોનું મહત્ત્વ શીખવાડ્યું હતું અને એટલે જ હું એ બાબતોને મારો અવાજ આપું છું, જેને લોકો નજરઅંદાજ કરે છે.
પાપાને ભારત અને તેના લોકોમાં ઊંડી શ્રદ્ધા હતી. પોતાની જરૂરિયાતો માટે બીજા દેશોથી સ્વાવલંબી અને સ્વતંત્ર થવાની ભારતની ઇચ્છાથી પાપા પ્રેરિત થયા હતા. નિર્ણયો લેતી વખતે આપણે બીજા દેશોનાં દબાણોના વશમાં ના થઈએ, તેની તેમને ફિકર હતી. પાપા અને અમ્માએ તેમની પસંદના ક્ષેત્રમાં કામ કરીને ભારતને ઉત્તમ દેશ બનવવાનું કામ કર્યું હતું. પાપા વૈજ્ઞાનિક હતા. મા કલાકાર હતી. હું મેનેજમેન્ટમાં અને મારો ભાઈ (કાર્તિકેય) ભૌતિકશાસ્ત્ર તેમ જ પોલીટિકલ સાયન્સમાં નિષ્ણાત છીએ. અમે ભારતીયોના કલ્યાણ માટે કામ કરીએ છીએ. દેશને મહાન અને દુનિયાને રહેવા લાયક બનાવવા માટેની અમારી પ્રતિબદ્ધતા ગહેરી છે.
વંચિતો માટે કશું કરવું જોઈએ, તેનો ભાવ અમને વારસામાં મળ્યો છે. મારા પિતા, ડો. વિક્રમ સારાભાઈને, આજે મારા મારા ગૌરવ ઉપજ્યું હોત.
આજના 'ધ ક્વિન્ટ’માં
[ભાવાનુવાદ : રાજ ગોસ્વામી]